Sunday, July 3, 2016

ઋણાનુબંધ- મહેન્દ્ર પુનાતર

ઋણાનુબંધ: સંબંધો લેણદેણના
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

માણસનું જીવન ખૂબ જ રહસ્યમય છે. તે ખરેખર શું છે. તેના મનમાં કેવા વિચારો ઘૂમી રહ્યા છે તે તેના સિવાય બીજું કોઈ જાણી શકે નહીં. સંબંધોના આટાપાટા અને ગૂંચવણો ઉકેલવામાં જિંદગી પૂરી થઈ જાય છે. ખબર રહેતી નથી. આયખું કેવી રીતે પૂરું થઈ ગયું. લેણદેણના સંબંધો આપણને બાંધે છે અને ભેગા કરે છે. સંબંધો પૂરા થાય એટલે વિખૂટા પડવાનો વારો આવે છે. વહેલું કે મોડું સૌએ અલગ પડવાનું છે. મૃત્યુ સામે આપણું કશું ચાલતું નથી, પરંતુ જ્યાં સુધી સાથે છીએ ત્યાં સુધી અરસપરસના સંબંધોમાં સુમેળ અને મીઠાશ જળવાઈ રહે. પોતાના થકી સંબંધોમાં ઘસારો ન લાગે તે જોવાનું દરેક માણસનું કર્તવ્ય છે. પતિ-પત્ની, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન, માતા-પિતા આ બધા સંબંધો કઈ રીતે જોડાયા? માતા-પિતા, ભાઈ-બહેન આ બધા સંબંધોની શું આપણે પસંદગી કરી હતી. નિયતિ આપણને આ બધા સંબંધોથી જોડે છે. આમાં પસંદગીને કોઈ અવકાશ નથી. આપણે કર્મો અનુસાર એકબીજાથી બંધાઈએ છીએ અને સમય પૂરો થાય એટલે જુદા પડીએ છીએ. કર્મો અનુસાર આપણે એક બીજાને સુખી અને દુ:ખી કરીએ છીએ. આ સંબંધો એટલે એકબીજા પ્રત્યે લાગણી, એકબીજા પ્રત્યે પ્રેમ. પારિવારિક સંબંધોના પાયામાં જો પ્રેમ. લાગણી અને સંવેદના હશે તો આ સંબંધો મહેંકી ઊઠશે નહીંતર એકબીજા પ્રત્યે નફરત, ઘૃણા અને તિરસ્કાર સિવાય કશું પ્રાપ્ત થશે નહીં. આ સંબંધો ઋણાનુબંધ છે. જેમાં એકબીજાએ ઋણ અદા કરવાનું છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે આ લેણદેણના સંબંધો છે. આ સંબંધોની કસોટી એ છે કે આપણી દૃષ્ટિ લેવા તરફ છે કે દેવા તરફ. જે માણસની નજર લેવા તરફ છે તેમને પ્રેમનો અનુભવ નહીં થાય. પ્રેમમાં મેળવવા કરતા આપવાનું વધુ મહત્ત્વ છે. તેમાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી. જેમ જેમ સ્વાર્થ વધતો જાય છે તેમ તેમ પ્રેમ સંકુચિત થતો જાય છે.

સંબંધો પરિવાર પછી આસપાસ વિસ્તરતા રહે છે. જિંદગીમાં આપણે અસંખ્ય માણસોના પરિચયમાં આવીએ છીએ. માણસો સંબંધોને જોડે છે અને તોડે છે. માનવીના વનસ્પતિ, પશુ-પંખી અને પ્રકૃતિ સાથેના પણ સંબંધો છે. જ્યાં આપણું બચપણ વીત્યું હોય, જ્યાં આપણો ઉછેર થયો હોય, જ્યાં આપણો વિકાસ થયો હોય એ ભૂમિ સાથે આપણે જોડાઈ જઈએ છીએ. એટલે જ વતન પ્રત્યેનો પ્રેમ માણસના દિલમાં હંમેશાં રહે છે, તેના સંસ્મરણો ભૂલાતાં નથી.

માણસની પ્રગતિ અને વિકાસ આ સંબંધો સાથે જોડાયેલાં છે. કોઈ પણ માણસ એકલા હાથે આગળ વધી શકે નહીં. જીવન વિકાસમાં આપણને અનેક લોકોનો સહારો મળ્યો હોય છે. કુટુંબ, સમાજ, શિક્ષણ અને વેપાર-વ્યવસાયમાં ઘણાની મદદ મળી હોય છે. માણસ સફળ થાય છે ત્યારે આ બધું ભૂલી જાય છે. ધન, પદ અને સત્તાનું અભિમાન લાંબો સમય ટકતું નથી. કોઈએ પણ નાનો એવો ઉપકાર આપણા પર કર્યો હોય તેને ભૂલવો જોઈએ નહીં. આપણો વિકાસ એકબીજા પર આધારિત છે. કોઈ પણ માણસ મોટો બને છે ત્યારે નાના-મોટા અનેક માણસોનો સધિયારો તેને મળ્યો હોય છે. માણસ મોટો બન્યા પછી નાના માણસોને ભૂલી જાય છે ત્યારે સંબંધોમાં ઘસારો લાગે છે. નાના માણસો પ્રત્યે નમ્રતા અને આદર ન હોય તો આ મોટાઈની કોઈ કિંમત નથી. માત્ર પૈસાથી નહીં ગુણોથી માણસ મોટો બને છે. સમય બદલાઈ ગયો છે. ખરે વખતે જેણે મદદ કરી હોય તેને માણસ સિફતથી ભૂલી જાય છે. પરંતુ કોઈએ કડવું લાગે એવું સત્ય કહ્યું હોય તે જલદીથી ભૂલાતું નથી. માણસનો અહંકાર તેને જંપવા દેતો નથી. કેટલાક માણસો ધન આવે ત્યારે અદ્ધર ચાલવા માંડે છે, પણ આ સિદ્ધિમાં કેટલા બધા માણસોનો એક યા બીજી રીતે સાથ મળેલો હોય છે તે વાત યાદ રહેતી નથી.

સંબંધોમાં પ્રેમ, ઉદારતા અને બીજા પ્રત્યે કાંઈક કરી છૂટવાની, ભોગ આપવાની તૈયારી હોય તો આ સંબંધો ઉષ્માભર્યા બને છે. પ્રેમ એ સંબંધોની સુગંધ છે. પારિવારિક અને માનવિય સંબંધોમાં આપણે જો કેટલીક બાબતોનો ખ્યાલ કરીએ અને કોઈ જાતની અપેક્ષા ન રહે તો આ સંબંધો મીઠા-મધુર બને છે.

(૧) સૌ પ્રત્યે પ્રેમ-ભાવના રાખવી, જ્યાં પ્રેમ હશે ત્યાં હિંસા, ઘૃણા અને સ્વાર્થને સ્થાન મળી શકશે નહીં. પ્રેમ જેટલો આપો તેટલો મળશે. આ એક એવી ચીજ છે જે આપ્યા વગર મળશે નહીં. પ્રેમ અને આનંદ એ જીવનનું અમૃત છે. ધન, દોલત, સંપત્તિ બધુ હશે પણ, પરંતુ પ્રેમ નહિ હોય તો બધું વ્યર્થ બની જશે. પારિવારિક પ્રેમ, સહકાર અને સાથ એ જીવનનો સૌથી મોટો આનંદ અને સંતોષ છે. આ સાચું સુખ છે.

(૨) આપણા સિદ્ધાંતો, વિચારો, આદર્શો અને આપણી માન્યતાઓ બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કરવો નહીં. વિચારોની આસક્તિએ ઘણા અનર્થો સર્જ્યા છે. હું કહું એ જ સાચું એ આપણો અહંકાર છે. સૌને, સૌની રીતે ચાલવા દેવા, જરૂર પડે તો માર્ગદર્શન આપવું પણ આગ્રહ રાખવો નહીં. દરેક માણસ પોતાના અનુભવમાંથી શીખે છે.

(૩) જીવનના બધાં સ્વપ્નો કદી કોઈનાં સિદ્ધ થયાં નથી. આકાશમાં ઉડવા કરતાં ધરતી પર પગ સ્થિર રાખવાનું વધુ મહત્ત્વનું છે. આપણી શક્તિ અને હેસિયત ન હોય એવા સ્વપ્નમાં રાચવું નહીં. ઊંચું નિશાન રાખવું પણ તેને સિદ્ધ કરવા માટે સામર્થ્ય કેળવવું. પુરુષાર્થ વગર સ્વપ્ન સિદ્ધ થતા નથી.

(૪) આપણા સ્વપ્નો જે સિદ્ધ થયાં નથી તે બીજા દ્વારા પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો નહીં. માણસ પોતાના અધૂરાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષા પુત્ર પૂરી કરશે એવી આશા રાખીને બેઠા હોય છે. સંતાનોને તેની રીતે વિકસવા દેવા. આપણી ભાવના તેમના પર થોપવી નહીં. આવી મનોવૃત્તિ માણસને દુ:ખી કરે છે.

(૫) વણમાગી સલાહ કોઈને આપવી નહીં. કુટુંબ પરિવાર અને સમાજમાં બધુ જોવું, સમજવું પણ ક્યાંય બિનજરૂરી માથું મારવું નહીં. કોઈ સલાહ માગે તો અનુભવનો નિચોડ રજૂ કરી દેવો. કોઈને ગેરમાર્ગે દોરવા નહીં. તટસ્થભાવે જે કહેવું હોય તે કહી દેવું. પરંતુ જીદ કે આગ્રહ રાખવો નહીં.

(૬) કોઈ પોતાનું રહસ્ય કે હૃદયની વાત કરે તો સાંભળવી, પરંતુ બીજાને કહેવી નહીં. જેટલું કહે તેટલું સાંભળવું, પરંતુ વચમાં પ્રશ્ર્નો કરીને તેના હૃદયને ખોતરીને વધુ જાણવાનો પ્રયાસ કરવો નહીં. તેની ઈચ્છા વગર તેની પાસેથી વધુ વાત કઢાવવી નહીં. આ જાણકારીનો ક્યાંય ઉપયોગ કરવો નહીં. આ શસ્ત્ર તેની સામે ઉગામવું નહીં. એમણે સહૃદયી મિત્ર સમજીને આપણી સામે હૃદય ખોલ્યું હોય છે તેને સાંત્વન આપવું પણ ઉશ્કેરણી કે દિલ દુભાય તેવું કરવું નહીં.

(૬) પરસ્પરના સંબંધોમાં કોઈ પણ જાતની અપેક્ષા રાખવી નહીં. ઈચ્છા અને અપેક્ષા બૂરી ચીજ છે. મોટાભાગનાં મનદુ:ખો તેમાંથી સર્જાતાં હોય છે. કોઈ પણ કામ કરવું કે જવાબદારી નિભાવવી પણ તેના બદલામાં કાંઈક મળશે એવી અપેક્ષા રાખવી નહીં. પત્ની, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન, માતા-પિતા સૌની સેવા અને કાળજી રાખવી પણ તેમની પાસેથી કોઈ ઈચ્છા રાખવી નહીં. ફરજ અને કર્તવ્ય નિભાવવું. સૌ આપણા છે એમ માનીને કરવું, પરંતુ મનમાં સમજવું કે આમાં આપણું કોઈ નથી. સુખ-દુ:ખને સમાન ગણવા.

(૮) કાજીની જેમ કોઈનો ન્યાય તોળવા બેસી જવું નહીં. કોણ સારું અને કોણ ખરાબ છે તેનો હિસાબ રાખવો નહીં. ‘આપ ભલા તો જગ ભલા’ લોકોને સુધારવા પ્રયાસ કરવો નહીં. જગતને સુધારવાનો માત્ર એક ઉપાય છે આપણે ખુદ સુધરી જવું. આપણે જેવા હોઈશું તેવું જગત આપણને દેખાશે.

(૯) કોઈની ટીકા અને નિંદાથી દૂર રહેવું. જેઓ બીજાના દોષોને જુએ છે તેમને પોતાના દોષો દેખાતા નથી. કોઈના રાઈ જેવડા દોષોને પર્વત જેવા કરવા નહીં. કોઈ માણસ સર્વસંપૂર્ણ નથી. દરેક માણસમાં કાંઈકને કાંઈક ખૂબી અને ખામી રહેલી છે. ઈર્ષા અને અદેખાઈના કારણે નિંદા થતી હોય છે. માણસને કોઈ બીજી રીતે પરાજિત કરી શકાય નહીં ત્યારે નિંદાને શસ્ત્ર બનાવાતું હોય છે. કોઈની પર જૂઠા આક્ષેપો કરવા, કોઈને ઉતારી પાડવા, કોઈની અવહેલના કરવી અને કોઈનું બૂરું ઈચ્છવું એના જેવું બીજું કોઈ પાપ નથી. કોઈનું સારું ન બોલી શકીએ તો કાંઈ નહીં પણ કોઈનું ખરાબ બોલવું નહીં. આપણે કોઈની સામે આંગળી ચીંધીએ છીએ ત્યારે બીજી ત્રણ આંગળીઓ આપણા તરફ તકાયેલી છે તેનો ખ્યાલ રાખવો. બીજાની વાત કરતા પહેલાં જાતને તપાસવી.

(૧૦) કુટુંબ અને પરિવારમાં આપણે કહીએ તેમ જ થવું જોઈએ, સૌએ પોતાની સલાહ માનવી જોઈએ એવી જીદ રાખવી નહીં. પરિવારના પ્રશ્ર્નો બધાને વિશ્ર્વાસમાં રાખીને ઉકેલવા. આ અંગે બધાએ ખુલ્લું મન રાખવું. બીજાની સાચી વાત સાંભળવી અને ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી. સંપત્તિ અને મિલકતના ઝઘડામાં મન મોટું અને ઉદાર રાખવું. થોડું ઓછું મળશે તો ચાલશે પણ કૌટુુંબિક સંબંધો ખરડાશે તો પણ જોડવા મુશ્કેલ છે. મન, મોતી અને કાંચ એક વખત તૂટ્યા પછી ફરી સંધાતા નથી. તેના નિશાનો રહી જાય છે.

(૧૧) જે કામ આપણે પોતે કરી શકીએ તેમ હોઈએ તેનો બોજો બીજા પર લાદવો નહીં. પોતાનાં કામો પોતે કરી લેવાં. પોતે વડીલ છે એટલે બીજાઓએ તેમના કામો કરવા જોઈએ એવી ઈચ્છા રાખવી નહીં. હાથ પગ ચાલતા ન હોય, લાચારી હોય ત્યારે બીજા જે કરી આપે તેમાં ખુશ રહેવું. થોડું ચલાવી લેવાની ભાવના રાખવી. ક્યાંય કચાશ રહી જાય તો બીજા પર ગુસ્સે થવું નહીં. હંમેશાં આભારની લાગણી વ્યક્ત કરવી.

આ બધા જીવન જીવવાનાં સોનેરી સૂત્રો છે. આટલી આચારસંહિતા પળાય તો જીવન ખળખળ વહેતા ઝરણા જેવું બની જાય. સુખ આપણી પાસે છે માત્ર શોધતા આવડવું જોઈએ.

No comments:

Post a Comment