Thursday, May 30, 2013

ધન અને કીર્તિ- મહેન્દ્ર પુનાતર

જૂઠી શાન અને શોભા, આ રાજ અને તાજ બધું છેવટે માટીમાં મળી જવાનું છે
માણસને બે વસ્તુનો અતિ મોહ છે: એક, ધન અને બીજું કીર્તિ. સૌ કોઈ આ માટે ઝંખે છે. કેટલાક લોકો નાનું એવું બિરુદ, ચંદ્રક કે એવૉર્ડ મળે તો ગામ ગજાવી મૂકે છે. લાયકાત વગરના માનમોભાનો કોઈ અર્થ નથી. આ બધું ક્યાં સુધી રહેવાનું છે? તો પછી આ બધા ઉધામા શા માટે?
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મમાં કહ્યું છે કે મોહ, માયા અને આસક્તિ આ ત્રણે પ્રલોભનો જીવનને દુ:ખમય બનાવે છે. આ દુનિયામાં માણસને બે વસ્તુઓનો અતિ મોહ છે એક, ધન અને બીજું કીર્તિ. આ બંને વસ્તુ મેળવવા માણસ બનતું બધું કરી છૂટે છે. જેને મહેનત વગર જલદીથી આ મળી જાય અને જેને સખત મહેનત અને મથામણ કરવા છતાં ન મળે એ બંને માટે આ બાબત ખતરનાક બની જાય છે. એકને આનો મદ અને નશો ચડે છે અને બીજો નિરાશા-હતાશામાં ધકેલાઈ જાય છે. જેની પાસે ધન આવે છે તેને મોટા થવાનો, પ્રસિદ્ધિ મેળવવાનો અને કીર્તિ પ્રાપ્ત કરવાનો ચસકો લાગે છે. એક વખત આ બધું મળે પછી તેનો મોહ જતો નથી. માન ન મળે, ઉચિત સ્વાગત ન થાય કે ઊંચા આસને બેસવા ન મળે તો તેનાથી સહેવાતું નથી. દિલમાં ઘા લાગે છે.

ધન, પદ, પ્રતિષ્ઠા અને માન-મોભા માટે સૌ કોઈ ઝંખે છે. માણસને ધન પ્રાપ્ત કર્યા પછી આ ઝંખના સવિશેષ જાગે છે. જીવનમાં જો આ બધું ન મળે તો ધન વ્યર્થ બની જાય છે. માણસ બધું છોડી શકે પણ આનો મોહ છૂટતો નથી. ધન સાથેનું આ વળગણ છે. ઈચ્છા, અપેક્ષા અને લાલસા અનેક દુ:ખો સર્જે છે. આમ છતાં દુનિયા આ બધી વસ્તુઓ પાછળ પાગલ છે. ધન અને કીર્તિને જીરવવાનું, ટકાવી રાખવાનું મુશ્કેલ છે. માણસને સેવા અને શુભ કાર્યો દ્વારા જે માન મળે છે તે લાંબો સમય ટકી રહે છે, પરંતુ ધન સાથે જે માન-મરતબો આવે છે તે ધન ચાલ્યું જતાં ટકી શકતું નથી. હકૂમત અને સત્તા દ્વારા મળેલું માન, હોદ્દો હોય ત્યાં સુધી જ ટકે છે. માણસ એક વખત ખુરશી પરથી ઊતરી જાય પછી તેનો કોઈ ભાવ પૂછતું નથી.

ધન, કીર્તિ અને પ્રસિદ્ધિનો મોહ માણસને ચેનથી રહેવા દેતો નથી. આ અહંકાર માણસને સહજ રહેવા દેતો નથી. આ અહંકાર માણસને સહજ અને સ્વાભાવિક રીતે વર્તવા દેતો નથી. તેના કારણે દંભ અને દેખાવ વધે છે અને તે પોતાને બીજા કરતાં ચડિયાતો માનવા લાગે છે. પોતે બીજા કરતાં સવિશેષ છે એવું તેને લાગે છે. કૂવામાંના દેડકા જેવી આ પરિસ્થિતિ છે. બહારની તરફ નજર કરતા નથી એટલે આપણને લાગે છે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. આપણે નાનાં વર્તુળોમાં કોલર ઊંચા રાખીને ફરીએ છીએ અને લોકો સલામ ભરે છે એટલે ફુલાઈ જઈને માનવા લાગીએ છીએ કે આપણે સર્વશ્રેષ્ઠ છીએ. મોટા દેખાવાના દંભમાં માણસ કેટલીક વખત એવી હરકતો કરતો હોય છે જે તેને શોભા આપતી નથી. બધા પૈસાથી અંજાઈ જાય છે એટલે સાચું કહે કોણ? અને આ પ્રકારના માણસોને સાચું સાંભળવું પણ ગમતું નથી.

સમાજમાં લોકો હંમેશાં કહેતા હોય છે, ભાઈ આપણને ખુરશીનો મોહ નથી. આપણને હોદ્દો જોઈતો નથી, આપણે તો લોકોનું સારું કરવું છે, સેવા કરવી છે, પરંતુ હકીકતમાં તેને આગ્રહ કરીને હોદ્દા પર બેસાડો નહીં ત્યાં સુધી તેઓ સહાય કરતા નથી કે કામ કરતા નથી. નાના અને મોટા બંનેને હોદ્દાનો મોહ હોય છે. એક આ માટે વલખાં મારે છે અને બીજાને આગ્રહ કરીને હોદ્દા પર બેસાડવો પડે છે. સંસ્થાઓને પણ આવા શોભાના કાંગરાઓની જરૂર હોય છે. કેટલાક માણસોને હોદ્દા અને માન-પાન વગર ફાવતું નથી. કેટલાક માણસો સેવાની વાત કરીને સિફતથી હોદ્દો છીનવી લે છે. કેટલાકને સહેજ આગ્રહ થાય તો સ્ટેજ પર ચડી બેસે છે. કેટલાક માઈક પર ચીટકી રહે છે તો કેટલાક માઈક ઝૂંટવી લે છે અને બોલતા આવડે કે ન આવડે, ભરડતા રહે છે. આ બધા પાછળ માણસને બહાર દેખાવું છે, પોતે કાંઈક છે એવું પ્રદર્શિત કરવું છે. કેટલાક લોકો નાનું એવું બિરુદ મળે કે કહેવાતો એવૉર્ડ મળે તો ગામ ગજવી નાખે છે જાણે કે ભારતરત્નનો ઈલકાબ મળ્યો હોય.

જુદા જુદા સમાજોમાં આવી જૂઠી શાન, શોભા અને શોહરતનું ઘેલું લાગ્યું છે. આપણે એકબીજાની વધુ પડતી પ્રશંસા કરતા થઈ ગયા છીએ. પ્રશંસા અને ખુશામત વચ્ચે વાળ જેટલું અંતર હોય છે. મોટે ભાગે આપણે ખુશામત કરતા રહીએ છીએ. જુદી જુદી સંસ્થાઓ સન્માન સમારંભો યોજીને ઈલકાબો અને એવૉર્ડની લહાણી કરતી હોય છે. તેનું કોઈ ચોક્કસ ધોરણ હોતું નથી. આમાં એવૉર્ડ લેનાર અને દેનાર બંનેની ગરિમા જળવાતી નથી. યુવક રત્ન, પત્રકાર રત્ન, સમાજ રત્ન, સમાજરત્ન, ભૂષણ, સમાજ શિરોમણી વગેરે અનેક જાતનાં બિરુદો પાનબીડાની જેમ અપાતાં હોય છે. આવા પ્રસંગોએ રાજકારણીઓને પણ આમંત્રણ અપાતાં હોય છે. આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ છે. નવા ઊગીને ઊભા થયેલા અને બે પૈસા કમાયેલા લોકોને પૈસાના જોરે થોડા મોટા માણસો વચ્ચે બેસવાનું મળે એટલે તેમને એમ લાગે છે કે જીવન ધન્ય થઈ ગયું. સમારંભના પ્રમુખ, અતિથિવિશેષ, માનવંતા મહેમાન વગેરે સ્થાનો માટે પણ કિંમત ચૂકવવી પડે છે. આવા સમારંભો તેમના હિસાબે અને જોખમે યોજાતા હોય છે. કેટલાક સમાજસેવકો આવો ધંધો લઈને બેઠા હોય છે. એવૉર્ડ અને ઈલકાબ મેળવનારા મોટા માણસો પણ એ સમજી શકતા નથી કે આ એવૉર્ડનું મૂલ્ય શું? એવૉર્ડ આપનાર સંસ્થા લાયક છે કે નહીં? આવા એવૉર્ડ આપવાનું તેનું કાર્યક્ષેત્ર છે કે કેમ? તે માન્ય પ્રતિષ્ઠિત વિશ્ર્વસનીય સંસ્થા છે કે નહીં? માન મળતું હોય તો આવું બધું વિચારવાની કોને ફુરસદ છે. સમાજના ઊંચા ગજાના પ્રતિષ્ઠિત માણસો આવા નાના નાના ઈલકાબો પાછળ દોડતા હોય છે ત્યારે વામણા લાગે છે.

આજકાલ લોકોને પોતાનું સ્ટેટસ અને મોભો જળવાઈ રહે તેની પણ બહુ ચિંતા હોય છે. તેમની નજર બીજા તરફ હોય છે. પોતાને શું ગમે છે તેના કરતાં લોકો શું કહેશે, લોકો શું ધારશે તેની વધુ દહેશત હોય છે. આ બધું જાળવવા માણસે દોડવું પડે છે. કોઈ આગળ નીકળી જાય તો જલન થાય છે. પ્રતિષ્ઠાનું આ જગત થકવી નાખે છે. તેમાં ઊંચે આવ્યા પછી ફંગોળાઈ જતાં વાર લાગતી નથી. માણસ સારો હોય કે ન હોય, પણ તેને બીજા કરતાં વધુ સારા દેખાવું છે.

અગાઉ ધનિકો અને ગર્ભશ્રીમંતો એકદમ નોખા તરી આવતા હતા. પૈસાની સાથે ઠાવકાઈ હતી. ઠાઠની પરિપકવતા હતી. હવે એવું રહ્યું નથી. માણસનો દેખાવ જોઈને તેનું સાચું માપ નીકળતું નથી. બધું આભાસી બની ગયું છે. પહેલાં પૈસાદાર માણસોને ઓળખવા બહુ સહેલા હતા. ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ જેવો ઘાટ હતો. પુરુષનાં કપડાંમાં અને મહિલાઓના અલંકારમાં તેમની શ્રીમંતાઈ છલકી ઊઠતી હતી. આજે એવું રહ્યું નથી. સ્ટેટસ સિમ્બોલ માટે હવે કપડાં-ઘરેણાંનું મહત્ત્વ રહ્યું નથી. એવી જ રીતે વિદેશમાં ફરવા જવાનું. મોટી મોટી ક્લબોના સભ્ય બનવાનું, લગ્ન કે બીજા પ્રસંગોએ લખલૂંટ ખર્ચાઓ કરવાની બાબત પણ મોભાનું પ્રતીક રહી નથી. સામાન્ય મોટરકારો, મોંઘા મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે લેપટોપ કે બે-ત્રણ બેડરૂમના ફલેટોની કોઈ વિસાત નથી. આ બધું મોટા ભાગના લોકોની પહોંચમાં આવી ગયું છે. ફાર્મહાઉસ, હિલ સ્ટેશન પર બંગલો અને થોડા મોંઘાં પેઈન્ટિંગો અને કલાકૃતિની અમૂલ્ય ચીજો અંગે તમે થોડો ગર્વ અનુભવી શકો છો. મોટા પત્રકારો, તંત્રીઓ, ફિલ્મસ્ટારો, સંગીતકારો અને કલાના ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓ સાથેના સંબંધોથી થોડીક પ્રસિદ્ધિ મળી શકે. રાજકારણીઓ અને ‘ભાઈઓ’ સાથે સંબંધો રાખવાથી મોભો વધે છે, પણ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. સાધુ, સંતો, મહંતો ફરતે વીંટળાઈ રહેવામાં વાંધો નથી. આમાં પૈસા સિવાય બીજું કશું નુકસાન નથી.

દરેક વસ્તુની મર્યાદા છે. ધન આવે ત્યારે કૂદકા મારવાની જરૂર નથી. માણસે કાંઈક પ્રાપ્ત કરે ત્યારે નમ્ર બનવું જોઈએ. વૃક્ષને જ્યારે ફળ આવે છે ત્યારે તે ઝૂકી જાય છે. જે લોકો સત્કૃત્યો અને નિષ્ઠાપૂર્વક સેવા કરે છે અને બીજાને સહાયભૂત થતા રહે છે તેમની સુગંધ ચોમેર પ્રસરે છે. તેમને ઢોલનગારાં વગાડવાં પડતાં નથી. અધૂરા ઘડા વધુ છલકાતા હોય છે. સાચા અને સારા માણસોને છીપના મોતીની જેમ શોધવા પડે છે. ઢંઢેરો પીટવાવાળા માણસો ઢેઢે પિટાતા હોય છે.

કોઈ પણ જ્યોતિષીને, સાધુ, સંતોને પૂછો કે લોકો તમારી પાસે શા માટે આવે છે? તેમની શી કામના છે? કયા પ્રશ્ર્નોનું તેઓ સમાધાન ઈચ્છે છે? આ બધા પ્રશ્ર્નોનો એક જવાબ છે: માણસ ધન અને કીર્તિ માટે આ પ્રકારના આંટાફેરા કરે છે. પ્રભુની ભક્તિ પાછળ પણ આવી જ મનોકામના હોય છે.

કેટલાક માણસો નાનાં એવાં કાર્યો કરીને કીર્તિના ધજાગરા ફરકાવતા હોય છે. થોડું કરીને વધુ દેખાવ કરવા પાછળ પ્રશંસા સિવાય બીજું કશું નથી. આવા ધાંધલિયા લોકોને સાચી કીર્તિ મળતી નથી. થોડી વાર ચમકીને આ પૂંછડિયા તારાઓ ખરી પડે છે. લાયકાત વગર મેળવેલી ચમક ક્યાં સુધી ટકે? કીર્તિ અને પ્રસિદ્ધિ મહેક છે, વારંવાર સૂંઘ્યા કરીએ તો તે ઊડી જાય.

સફળતા, માન-ચાંદ, કીર્તિ-પ્રસિદ્ધિ કે લોકપ્રિયતા મળે તો ફુલાવાની જરૂર નથી. મળે તો નમ્રભાવે સ્વીકારી લેવું. ન મળે તો નાસીપાસ થવાની કે હતાશ થવાની બિલકુલ જરૂર નથી. મજેથી, આનંદથી જીવવા માટે આ કોઈ એવી જડીબુટ્ટી નથી.

આ એક નશો છે. થોડીવાર મજા આવે છે. તેનું ધેન ચડવા ન દેવાય. આપણે આપણાં સાધનોમાં આપણી રીતે જીવવાનું છે. માથે ભાર લઈને ફરવાથી કશું વળવાનું નથી. આ બધું હોય કે ન હોય, શું ફરક પડવાનો છે અને આ બધું કાયમના માટે થોડું ટકી રહેવાનું છે. જૂઠી શાન-શોભાનો મતલબ પણ શું છે?

જે લોકોનું બાહ્ય અને આંતરિક જીવન સરખું છે, જેમનામાં દંભ-દિખાવટ નથી, માન-મરતબાની પડી નથી, તેને કોઈની સાથે સરખામણી કરવાની રહેતી નથી. તેઓ તો નિજાનંદમાં મસ્ત હોય છે. આ તેમનું સુખ છે. આ તેમનો વૈભવ છે. બાકી બધું માટીમાં મળી જવાનું છે. આ અંગે કુતુબ ‘આઝાદ’ની એક રચના:...

સહુને એક દિ’ માટી મહીં મળી જવાનું છે,

ઢળે છે સંધ્યા એમ ઢળી જવાનું છે,

યુવાની એટલે ટટ્ટાર ચાલવાનું છે,

બુઢાપો એટલે વાંકા વળી જવાનું છે,

આ રાજ, તાજની પાછળ હરાજ થાઓમા,

બરફની જેમ બધું ઓગળી જવાનું છે,

હતા જ્યાં મહેલ ત્યાં ખંડેર આજ ઊભાં છે,

બરાબર એ જ રીતે ખળભળી જવાનું છે. 

 

Friday, May 24, 2013

સુખનો ટાપુ જેમ નજીક જાવ તેમ દૂર સરકતો રહે છે - મહેન્દ્ર પુનાતર


ઈચ્છિત સુખ કદી કોઈને સાંપડ્યું નથી. તન અને મન સ્વસ્થ હોય તો બધું સારું લાગે. જીવનમાં જે કાંઈ મળ્યું છે તેનો આનંદ માણો. કોઈની સાથે સરખામણી કરવાની જરૂર નથી. કોઈની ચાલે ચાલવા જઈએ તો ઠોકર લાગતાં વાર લાગે નહીં
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં સુખદુ:ખ, ચડતી-પડતી અને ઉતાર ચડાવ આવ્યા કરે છે. દુ:ખ અને મુસીબતથી ગભરાઈ જવાની જરૂર નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેના કારણો શોધી કાઢીને આ અંગે સાવધ રહેવું જોઈએ. આમ છતાં જીવનની ઘટમાળમાં જે બનવાનું છે તે બન્યા કરવાનું છે, પણ તેના કારણે માથે હાથ મૂકીને બેસી જવાની જરૂર નથી. જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવું હોય, સફળતા મેળવવી હોય તો આ બધા પરિતાપો સહન કરવા પડે છે. કેટલીક વખત દુ:ખ અણધાર્યું  આવી પડે છે અને માણસ હલબલી ઊઠે છે. દુ:ખની જ્યારે કલ્પના પણ ન હોય અને એકાએક મુસીબતના ડુંગરો ખડકાઈ જાય તો આકરું લાગે છે અને હતાશા-નિરાશા ઊભા થાય છે. દુ:ખ અને આફતના સમયે ધૈર્ય રાખવું અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢવો એ ડહાપણભર્યું  છે. આવા સમયે જો માણસ આત્મવિશ્ર્વાસ ગુમાવી બેસે, નાસીપાસ થાય અને સંતુલન ગુમાવી બેસે તો ફરી બેઠા થવાનું મુશ્કેલ બને છે. દુ:ખના સમયમાં જ આપણને અંતરમાં ડોકિયું કરવાનો સમય મળે છે. ભૂલો અને ક્ષતિઓ તરફ નજર કરવાની તક મળે છે. જીવનની સુખદ કે દુ:ખદ ઘટનાઓ કાંઈક ને કાંઈક બોધ આપતી જાય છે. સોનું અગ્નિમાંથી પસાર થાય ત્યારે તે વધુ શુદ્ધ બને છે. દુ:ખમાં વાસ્તવિક પરિસ્થિતિનું જેટલું ભાન થાય છે તેટલું સુખમાં થતું નથી.
જીવનમાં આશા-નિરાશા તો ઊભી થવાની છે, પણ આપણે તેને કઈ રીતે મન પર લઈએ છીએ તેની પર બધો આધાર છે. કેટલીક વખત કાલ્પનિક દુ:ખોથી પણ પરેશાની અનુભવવી પડે છે. ભવિષ્યમાં આવું બનશે એવી કલ્પના માણસને ડરાવતી હોય છે. જે માણસ ખોટું કામ કરે છે અવળે રસ્તે ચાલે છે અને પોતાની જાતને છેતરે છે તેને આવો ડર રહેવાનો. કેટલાક માણસો સહેજ મુશ્કેલી આવે તો ડગમગી જાય છે, જ્યારે હિંમતવાન માણસો સ્વસ્થતાથી તેનો મુકાબલો કરે છે. દુનિયામાં ભયભીત થવા જેવું કશું નથી. મન મક્કમ હોય અને અડગ નિર્ધાર હોય તો માણસ ધારે તે કરી શકે છે. સુખ અને દુ:ખ એક સંજોગ છે. આપણી ધારણાથી જે વિપરીત બને અને જેમાં ધનહાનિ અને માનહાનિ થવાનો સંભવ ઊભો થાય તેને આપણે દુ:ખ માનીએ છીએ. જેનાથી ધન, યશ અને કીર્તિ વધે તે આપણા માટે સુખ બની જાય છે. હકીકતમાં તો માણસને જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જાય તો દુ:ખ જેવું કશું નથી. દુ:ખનું મોટું કારણ એ છે કે માણસને પોતાની જરૂરિયાત કરતા વધુ
જોઈએ છે.
આપણે ઘણી વાર દુ:ખ અને આપત્તિઓને હોય તેના કરતા મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને તેના પરિણામો અંગે મનને ચગડોળે ચડાવી દઈએ છીએ. તેના કારણે આ દુ:ખ વધુ ઘેરું બની જાય છે. ઉંમર વિત્યા પછી ઘણાને લાગે છે. જીવનમાં જેટલું ધાર્યંુ હતું તેટલું કરી શકાયું નથી. કેટલાકને કહેવાતા બધા સુખો મળ્યા હોવા છતાં ખાલિપો લાગે છે. જીવન નિષ્ફળ ગયું હોવાનો ભાસ થાય છે. ઉંમર વધતા કશુક વધુ મેળવવાની, પ્રાપ્ત કરવાની ઝંખના વધુ પ્રબળ બને છે. કશું છૂટતું નથી, સંતોષ થતો નથી.
પાછલી ઉંમરે જીવનમાંથી જે કાંઈ પસાર થઈ ગયું છે તેની કિંમત સમજાય છે. લોકો પોતાના ભૂતકાળને વાગોળ્યા કરે છે. તેને એમ લાગે છે કે આના કરતા પહેલાં સારું હતું. ઓછું હતું પણ મોજ કરતા હતા. હવે બધું છે, પણ શાંતિ નથી, નિરાંત નથી. સુખ અને દુ:ખ દરેક સમયમાં હોય છે ત્યારે પણ તે સમય તેમને કપરો જ લાગતો હતો. ત્યારે સહન કરવાની સંઘર્ષ કરવાની શક્તિ હતી એ અત્યારે ન હોય એટલે પણ એવું લાગતું હોય. જીવન એટલે સંઘર્ષ અને પડકાર. કોઈ પણ બાબતમાં સુખ અને આનંદ જેને શોધતા આવડે છે તેમના માટે કોઈ પણ સમય કઠિન નથી. મન અને તન સ્વસ્થ હોય તો બધું સારું લાગે. આમાંથી એક પણ બગડે તો જીવન જીવવા જેવું લાગે નહીં. અમુક ઉંમરે પૈસાનું બહુ મૂલ્ય રહેતું નથી. ગમે તેટલું હોય પણ ભોગવી શકાતું નથી. સમયાનુસાર જે કાંઈ મળતું રહે તેનો આનંદ માણી શકાય તો તે પ્રભુની કૃપા સમજવી. જેટલી જરૂરિયાત ઓછી તેટલો માણસ સુખી. જે માણસ સાદુ-સરળ જીવન જીવે છે અને સહજભાવે રહે છે તેને વધુ ઉધામા કે વલોપાત કરવો પડતો નથી. આપણે વર્તમાનમાં જીવતા નથી. ભૂતકાળને યાદ કર્યા કરીએ છીએ અને ભવિષ્યના સ્વપ્નો જોઈએ છીએ. આ રીતે વર્તમાન હાથમાંથી સરકતો રહે છે અને તે ભૂતકાળ બન્યા પછી આપણને એમ લાગે છે કે એ સમય સારો હતો. જીવનની દરેક અવસ્થાનો આનંદ હોય છે, પણ આ માટે આપણે સમય અને સંજોગોને અનુરુપ બનવું પડે છે. જીવનનું આ સીધી સાદું ગણિત છે, પણ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ઝંખનાઓને કારણે જીવનનો દોર વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. સંપૂર્ણ ઈચ્છીત સુખ કોઈને પ્રાપ્ત થતું નથી. આ ટાપુ પર કોઈ પહોંચી શકાતું નથી. આપણે જેમ નજીક જઈએ તેમ આ ટાપુ દૂર ખસતો રહે છે. મૃગજળ જેવી આ સ્થિતિ છે.
માણસના નકારાત્મક વલણમાંથી પણ દુ:ખો સર્જાતા હોય છે. લોભ, સ્વાર્થ, અહંકાર અને ઈર્ષ્યા તેને સુખેથી રહેવા દેતી નથી. માણસને પોતે જે કાંઈ છે તેમાં સંતોષ નથી. તે બીજાની સાથે સરખામણી કરીને દુ:ખી થતો રહે છે. માણસ પોતાની પાસે શું છે તેના કરતાં બીજા પાસે શું છે તેનો વિચાર કરીને જીવ બાળે છે. તેને એમ લાગે છે કે આ સ્થાને પહોંચવા માટે તેને ઘણું કરવાનું બાકી છે. કદાચ એ સ્થાન મળી જાય તો પણ બીજું ઊંચું સ્થાન હાજર હોય છે. ગમે તેટલું મળે તો પણ કોઈ ને કોઈ તો આપણાથી અડિયાતો રહેવાનો જ છે. કેટલા સાથે સ્પર્ધા કરશો? દરેક જગ્યાએ શેરને માથે સવાશેર છે. આપણાથી અનેક લોકો અનેક ક્ષેત્રમાં આગળ રહેવાના જ છે. આવું વિચારવાનો કોઈ અર્થ નથી.
માણસ જે કોઈ છે તે પર્યાપ્ત છે. પ્રભુએ તેને પૂરતી શક્તિ અને તાકાત આપેલી છે. પોતાના ગુણધર્મો અનુસાર આગળ વધવાનું હોય છે. આપણે બીજાના ગુણોને જીવનમાં ઉતારી શકીએ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકીએ પણ આપણે તેમના જેવા બનવાની કે કોઈની નકલ કરવાની જરૂર નથી. આપણે બીજાનું વ્યક્તિત્વ આપણામાં આરોપિત કરી શકીએ નહીં. આપણે જે કોઈ છીએ તે બની રહીએ અને બિનજરૂરી બીજાથી પ્રભાવિત ન થઈએ. આ અંગે એક દૃષ્ટાંત કથા...
અકબરે પોતાના દરબારમાં નવ રત્નોને બોલાવ્યા અને કહ્યું, આ દેશમાં મેં રામાયણની ખૂબ પ્રશંસા સાંભળી છે. હું કાંઈ રામથી નાનો રાજા નથી તો મારા જીવન પર રામાયણ કેમ લખી ન શકાય?
બધા ચૂપ રહ્યા. બોલે પણ શું? અકબર ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ તેના જીવન પર રામાયણ કઈ રીતે લખી શકાય, પરંતુ બાદશાહને આ સાચી વાત સમજાવે કોણ?
છેવટે બિરબલ બોલ્યો, હજૂર લખી શકાય, શા માટે ન લખી શકાય? આપનામાં શું ખામી છે? રામનું રાજ્ય તો આપના કરતા પણ નાનું હતું. આપના જીવન પર હું રામાયણ લખીશ, પરંતુ આ કાર્ય ખૂબ મહેનતનું છે. આ માટે એક લાખ અશરફી અને એક વર્ષનો સમય લાગશે.
બિરબલ તો એક વર્ષ સુધી મોજમજા કરતો રહ્યો. તેને આ રામાયણ ક્યાં લખવી હતી. એક વર્ષ પૂરું થયું. અકબરે બિરબલને બોલાવ્યો અને પૂછયું, મારા જીવન પરની રામાયણ લખાઈ ગઈ?
બિરબલે કહ્યું, હજૂર બધું લખાઈ ગયું છે બસ માત્ર એક પ્રસંગ અંગે આપને પૂછવાનું છે તે વગર રામાયણ પૂરી નહીં થાય.
અકબરે કહ્યું, પૂછી લો વાંધો શો છે? બિરબલે કહ્યું: મહારાજ, અમારા રામની સીતાનું રાવણે અપહરણ કર્યંુ હતું. આપની બેગમનું કોણે અપહરણ કર્યંુ હતું તે જણાવો એટલે રામાયણ પૂરી થાય.
અકબર આ સાંભળીને ગુસ્સે થઈ ગયો. તેણે તલવાર કાઢવા મ્યાન પર હાથ મૂક્યો અને બોલ્યો, તું પાગલ થઈ ગયો છે. મારી બેગમ સામે કોઈ આંખ ઊંચી કરે તો તેની આંખો ફોડી નાખું, કોઈ બોલે તો ખરું તેની જીભ કાપી નાખું. તું કેવી વાત કરી રહ્યો છે. બીજો કોઈ હોત તો મેં તેનું માથું વાઢી નાખ્યું હોત!
બિરબલે કહ્યું: હજૂર તો પછી રામાયણ નહીં લખી શકાય. મૂળ રામાયણમાં સીતાનું અપહરણ થયું હતું અને રામ તેને યુદ્ધ કરીને છોડાવી લાવ્યા હતા.
અકબરે કહ્યું: આમ હોય તો મારે રામાયણ લખાવવી નથી. જવા દે એ વાત.
બિરબલે કહ્યું, હજૂર આમ નિરાશ ન થાવ. આપના જીવન પર રામાયણ ભલે ન લખી શકાય પણ મહાભારત તો લખી શકાય ને?
અકબરે કહ્યું: તેમાં અપહરણની કોઈ મુસીબત નથી ને? બિરબલે કહ્યું, જહાપના આમાં અપહરણ જેવી કોઈ વાત નથી.
બિરબલે પાછી એક વર્ષ સુધી મોજમજા કરી અને વર્ષ પૂરું થતા દરબારમાં આવ્યો અને કહ્યું: મહારાજ મહાભારત લખાઈ ગયું છે પણ એક નવી ગૂંચવણ ઊભી થઈ છે. તેના વગર આ ગ્રંથ અધૂરો રહેશે. મહાભારતમાં દ્રોપદીના પાંચ પતિ હતા. બેગમના આપ એક પતિ છો બીજા ચાર પતિ કોણ છે?
આ વખતે તો અકબરે તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી અને ત્રાડ નાખીને કહ્યું, તું શું સમજે છે તારા મનમાં.
બિરબલે કહ્યું: મહારાજ, શાંત થાવ. મારો એમાં શું વાક? હું તમારા પર લખવા જાઉં છું અને મુસીબત ઊભી થાય છે હવે તમે કહો તેમ કરું.
અકબરે કહ્યું: મારે કાંઈ પણ લખાવવું નથી. હું બીજા કોઈની ચરિત્રકથા મારામાં આરોપિત કરવા માગતો નથી. આ વાત હવે મને સમજાઈ ગઈ છે.
ઓશોએ ટાંકેલી આ કથાનો સાર માત્ર એટલો છે આપણે આપણી ચાલે ચાલવાનું છે. બીજાની ચાલે ચાલવા જઈએ તો ઠોકર લાગતા વાર લાગે નહીં.

Tuesday, May 21, 2013

પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? -સૌરભ શાહ


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

આચાર્ય ગણો, ભગવાન ગણો કે ઓશો - મારે મન રજનીશજી માત્ર રજનીશ છે, એક મૌલિક અને ક્રાંતિકારી વિચારક.

દેખિતી રીતે તમને લાગે કે એમણે ભગવદ્ ગીતાથી લઈને ઉપનિષદો સુધીનાં અનેક ગ્રંથો પર ટિપ્પણી કરતાં પ્રવચનો કર્યાં કે પછી કબીર, મીરા, લાઓત્ઝુથી માંડીને ગાંધીજી સમા મહાપુરુષના વિચારોનું વિશ્ર્લેષણ કર્યું. મને એમ લાગે છે કે આ બધી હસ્તીઓ કે એ ગ્રંથો એમના માટે ખીંટી હતી. પોતાના જલદ વિચારોને સ્વીકાર્ય બનાવવા રજનીશે એ બધાંને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપર્યા અને પછી પોતાને જે કહેવું હતું તે કહ્યું. આ ગ્રંથો કે હસ્તીઓની ચાલણગાડી શ્રોતાઓને આપ્યા વિના રજનીશે સીધા જ આપણને દોડાવ્યા હોત તો કદાચ થોડે પહોંચીને આપણે થંભી જાત યા ગબડી પડત.

રજનીશે ગીતા-કબીર ઈત્યાદિના વિચારોને પોતાની રીતે ઈન્ટરપ્રીટ કર્યા એવું આપણને લાગે છે પણ જેઓ રજનીશના અઠંગ અભ્યાસી છે તેઓ જોઈ શકશે કે ઈન્ટરપ્રીટેશન તો એમનું પહેલું ગિયર પણ નથી, સ્ટાર્ટર છે. એક વખત સ્ટાર્ટ લીધા પછી તેઓ પોતાની સ્પીડે પોતાના નવા રસ્તે નીકળી પડે છે.

એક જમાનામાં રજનીશનાં પ્રવચનો પરથી બનતાં પુસ્તકો ખૂબ મોંઘાં વેચાતાં. હાર્ડ બાઉન્ડ હોય, એમ્બોસ્ડ ડસ્ટ જૅકેટ હોય, અસ્તર સિલ્કનું હોય, કાગળ અને પ્રિન્ટિંગ તો બેસ્ટ ક્વૉલિટિનાં હોય જ. એ પુસ્તકોનો ઘણો મોટો ચાર્મ હતો. રજનીશના ગયા પછી થોડાંક વર્ષો અસમંજસમાં રહ્યા પછી એમના પુસ્તકના કૉપીરાઈટ હોલ્ડરોએ પેપરબૅક એડિશન માટે પરવાનગીઓ આપવાની શરૂ કરી. આને કારણે છેલ્લાં બેએક દાયકામાં રજનીશ સાહિત્ય ખૂબ કિફાયત કિંમતે અનેક લોકો સુધી પહોંચ્યું. આનો પણ એક ચાર્મ છે. ભારતના જાણીતા અંગ્રેજી-હિન્દી પ્રકાશકોએ પણ આ પુસ્તકોના પ્રકાશનમાં હોંશે હોંશે ભાગ લીધો.

પેપરબૅકમાં છપાયેલાં રજનીશનાં સેંકડો ઉમદા પુસ્તકોમાંનું એક અત્યારે મારા હાથમાં છે. ઓશો લાઈફ એસેન્શ્યલ્સ સિરીઝમાંનું ‘ફેમ, ફૉર્ચ્યુન એન્ડ ઍમ્બિશન’ ટાઈટલ ધરાવતા આ પુસ્તકનું પેટામથાળું છે: વૉટ ઈઝ ધ રિયલ મીનિંગ ઑફ સક્સેસ? પુસ્તકની સાથે ૧૩૧ મિનિટની ડીવીડી પણ છે જેમાં ‘ફ્રોમ ડાર્કનેસ ટુ લાઈટ’ નામના પ્રવચનની વાતો છે જેનું ટાઈટલ છે: ‘ઈનોસન્સ: ધ પ્રાઈસ યુ પે ફૉર ધ ફેઈલ્યોર ઑફ સક્સેસ’

નામ અને દામ. પૈસો અને પ્રસિદ્ધિ. ફેમ ઍન્ડ ફૉર્ચ્યુન. રજનીશ આમાં ઊંડા ઊતરીને એ બંને સાથે જોડાયેલી માનસિકતાનો એકએક તાર છૂટો પાડીને તપાસે છે. લોભ-લાલચનું ઉદ્ગમસ્થાન કયું? પ્રસિદ્ધ માણસો અને શ્રીમંત માણસો સમાજમાં આટલી મોટી વગ ધરાવતા હોય એવું લાગે છે, શા માટે? પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? આ પુસ્તકમાં રજનીશ એમની સરળ, ક્યારેક રમૂજભરી તો ક્યારેક દિમાગને ઉત્તેજિત કરતી તો ક્યારેક તરબતર કરી નાખતી શૈલીમાં જવાબ આપે છે.

લોકોને પોતે જ કામ કરી રહ્યા છે, પોતે જ જિંદગી જીવી રહ્યા છે તેના કરતાં બીજાનું કામ, બીજાની જિંદગી વધારે આકર્ષક લાગવાની. ધ ગ્રાસ ઈઝ ઑલ્વેઝ ગ્રીનર ઑન ધ અધર સાઈડ. આને કારણે આપણે આપણા પોતાનામાં જે પોટેન્શ્યલ ભરીને પડ્યું છે તેની અવગણના કરતા થઈ જઈએ છીએ. બીજા લોકો તમારી પાસે જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને સંતોષવામાં તમે મંડી પડો છો. આને કારણે તમને તૃપ્તિ થતી નથી. આ અતૃપ્તિનું કારણ તમને એ લાગે છે કે જે તમે મેળવ્યું છે તે ઓછું છે એટલે તમે ધરાતા નથી. હજુ વધારે મેળવીશું તો તૃપ્ત થઈ જશું.

પણ એવું નથી. અતૃપ્તિનું કારણ એ નથી કે તમે ઓછું મેળવ્યું છે. અતૃપ્તિનું કારણ એ છે કે તમારે જે મેળવવું હતું તે તમને નથી મળ્યું અને ક્યાંથી મળે? તમે તો લોકોની તમારા માટેની અપેક્ષા સંતોષવામાં રહ્યા. તમે માની લીધું કે તમારી તમારા પોતાના માટેની અપેક્ષા પણ એ જ છે. આવું માનવામાં તમે ભૂલ કરી બેઠા.

લોકોની તમારા માટેની અપેક્ષા તમારા પર એટલી બધી હાવિ થઈ ગઈ કે તમારી પોતાની તમારા માટેની અપેક્ષા ઢંકાઈ ગઈ, બિલકુલ છુપાઈ ગઈ. તમે એને જોઈ શક્યા પણ નહીં.

તમને બીજાઓનાં કામ, બીજાઓનાં જીવન આકર્ષક લાગ્યાં ત્યારે તમે વિચાર્યું પણ નહીં એ લોકોને પણ તમારું કામ, તમારું જીવન જોઈને ઈર્ષ્યા આવતી હોય એવું બને. ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ રીતે આ ડાયલેમાનો ઉકેલ આપ્યો છે: સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: અહીં ધર્મ એટલે રિલિજિયન નહીં પણ ધર્મ એટલે જીવનનો હેતુ, જીવનની નીતિરીતિ, જીવનનું લક્ષ્ય. પોતાનો ધર્મ નિભાવતાં આવેલું મૃત્યુ પણ આવકાર્ય છે અર્થાત્ એવું કરવાથી જીવનમાં જે કંઈ અગવડો - અડચણો આવે, કોઈ ફિકર નહીં કરવાની, બહુ બહુ તો શું અંજામ આવશે? મૃત્યુ ને? ભલે. પણ બીજાના ધર્મને અનુસરવાની, બીજાના જેવા બનવા જવાની મૂર્ખામી કરવાથી ઘણો ભયાનક અંજામ આવશે, જીવતે જીવ તમે મડદા જેવા બની જવાના.

રજનીશ કહે છે: ‘કુદરતે પૈસાનો કોઈ વિચાર કર્યો જ નથી. કર્યો હોત તો પૈસા ઝાડ પર ન ઉગતા હોત? પૈસો માણસના ભેજાની પેદાશ છે - ઉપયોગી છે, પરંતુ ડેન્જરસ પણ છે. તમે કોઈ ખૂબ પૈસાદારને જુઓ છો અને તમને લાગે છે કે

કદાચ પૈસાથી આનંદ મળે છે, એ ભાઈ પોતે કેટલો ખુશ દેખાય છે, તો દોડો પૈસા પાછળ. તમને કોઈ તંદુરસ્ત માણસ દેખાય છે, દોડો તંદુરસ્તી પાછળ. તમને કોઈ બીજું કંઈક કરતું દેખાય છે અને એનાથી એ સંતુષ્ટ હોય એવું લાગે છે, દોડો બીજું કંઈક કરવા પાછળ?

આ સમાજ રચાયો છે જ એ રીતે જેમાં વ્યક્તિનું મહત્ત્વ ઓગળી જાય. વ્યક્તિમાં રહેલું આગવાપણું ભૂંસાઈ જાય એની ઈન્ડિવિજ્યુઆલિટી નષ્ટ પામે. એટલે કોઈ તમને તમે જે છો એવા રહેવા દેવા માટે પ્રોત્સાહન નહીં આપે. સમાજ, તમારી આસપાસની વ્યક્તિઓ, કુટુંબીઓ, મિત્રો, પરિચિતો - આ બધા જ તમને તમારું પોટેન્શ્યલ એક્સપ્લોર કરવાના તમારા પ્રયત્નોમાં સાથ નહીં આપે. રજનીશ તમને સાથ આપશે. આવતી કાલે.



અમિતાભ બચ્ચન અને સમરસેટ મૉમ જેટલા પૈસા અને પ્રસિદ્ધિ મળ્યા પછી શું?
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રજનીશજીની આંગળી પકડીને પૈસો અને પ્રસિદ્ધિની વાત ચાલી રહી છે. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિના વિરોધી નથી. રજનીશ પૈસા કે પ્રસિદ્ધિની તરફદારી પણ નથી કરતા. રજનીશ કહે છે કે જે થાય છે તેને આપમેળે થવા દો. સ્પૃહા રાખ્યા વિના તમે તમારું કામ કરો - જે થવાનું હશે તે થશે. આ વાત તો ગીતાએ પણ કહી. કર્મણ્યે વાધિકારસ્તે દ્વારા.

રજનીશ એક સ્ટેપ આગળ જાય છે. કહે છે કે કંઈક બનવાની, કંઈક થવાની ઈચ્છા હંમેશાં નિરાશામાં જ પરિણમે છે. તમને થશે કે પૈસાદાર બનવાની કે પ્રસિદ્ધ થવાની ઈચ્છા ફળીભૂત થાય તો વળી નિરાશા કેવી?

ધીરજ રાખીએ. આ લાંબી દાઢીવાળો બાવો છુપો રુસ્તમ છે અને મારા તમારા કરતાં ઘણું ડહાપણ છે એનામાં. તમે સફળ બનવા માગો છો અને બાય ચાન્સ બની પણ ગયા તોય તમે ધરાવાના નથી. એક વખત બૅન્કમાં એક કરોડ આવી ગયા પછી તમને બીજા એક કરોડની ઈચ્છા થવાની છે. થવાની જ છે. તમારો પોતાનો જ દાખલો તમારી સામે છે. ચાલીમાં રહેતા હતા ત્યારે એક બેડરૂમના ફ્લૅટની ઈચ્છા હતી. એ મળી ગયા પછી બાજુવાળાનો ફ્લૅટ પણ ખરીદી લઈએ તો કાયમની નિરાંત એવું વિચાર્યું હતું. એ પણ લેવાઈ ગયો અને હવે કોઈ સારા એરિયામાં જઈને રહીએ. જેથી બાળકોને સારી સ્કૂલમાં મૂકીએ, અડોશપડોશ બહેતર હોય. માની લો કે તમે બચ્ચનની બાજુના જ મકાનમાં રહેવા આવી ગયા તો એ જ મકાનના ડુપ્લેક્સની ઈચ્છા થતી રહેવાની. ડુપ્લેક્સ પણ થઈ ગયો તો એની અગાસીમાંથી દેખાતા બચ્ચનના બંગલા જેવું ઘર સપનામાં આવ્યા કરશે. અને ભગવાનના આશિર્વાદથી બચ્ચને એ બંગલો તમને વેચી પણ દીધો તો એના માસ્ટર બેડરૂમમાં સૂતાં સૂતાં એટલે કે આખી રાત જાગતાં જાગતાં તમે વિચાર્યા કરશો કે આજે તમારી પાસે ગાડીઓ છે, બંગલો પણ બચ્ચન જેવી લોકપ્રિયતા નથી, પ્રસિદ્ધિ નથી. બંગલાના ઉપલા માળની બાલકનીમાં ઊભેલા અગાઉના માલિકનાં દસ મિનિટ માટે દર્શન કરવા રવિવારે સેંકડોની ભીડ જમા થતી. તમે કલાકો સુધી તમારી બાલકનીમાં ધામા નાખીને પડ્યા રહો છો તોય કોઈ કૂતરુંય તમને પૂછવા નથી આવતું. જિંદગી ધૂણધાણી થઈ ગઈ ને. ઈચ્છાઓ પૂરી થાય છે, થતી જ રહે છે છતાં સંતોષ નામની ચીજ તમારા હાથમાં ક્યારેય નથી આવતી.

માટે જ રજનીશ કહે છે કે સફળતાની ઈચ્છા રાખ્યા પછી તમે સફળ થયા પણ, તોય તમારી એ સફળતા નિષ્ફળતા બરાબર છે. અને જે સફળતાથી તમે ધરાવાના ન હો એ સફળતા તમારા માટે શું કામની?

રજનીશ કહે છે કે તમે જે છો એ જ રહો, બીજા કોઈ બનવાની કોશિશ ન કરો. તમે ઑર્ડિનરી આદમી છો તો એ જ રહો, એમાં જ તમારી સફળતા છે. (અહીં રજનીશ તમને તમારી પ્રતિભાઓને સામાન્ય કે સાધારણ રાખવાની સલાહ નથી આપતા. તમારા વ્યક્તિત્વને સાદું, ઑર્ડિનરી રાખવાની વાત કરે છે). સફળ એ છે જે નોબડી છે, રજનીશ કહે છે! અબ્રાહમ લિન્કન કે એડોલ્ફ બનવાની કોઈ જરૂર નથી. ઑર્ડિનરી રહો, નોબડી બનો અને જિંદગી તમારા માટે છલોછલ આનંદથી ભરાઈ જશે. બસ સીધાસાદા રહો. કોઈ મોટી મોટી વાતો નહીં, કોઈ ગૂંચવણો નહીં, આંટીઘૂંટી નહીં, કોઈ માગણી નહીં, ઈચ્છા નહીં. જે આપમેળે આવતું રહે એને સોગાદ માનીને સ્વીકારી લો અને ભરપેટ એને માણો. લાખો આવી સોગાદો આવતી રહેતી હોય છે જીવનમાં પણ સતત ઈચ્છાઓમાં અટવાતું મન એને જોયા વિના જ આગળ દોડી જતું હોય છે. સકસેસ મેળવવામાં એટલા મશગૂલ થઈ ગયા છીએ કે તમને અડકીને બેઠેલી આ બધી આનંદની અપ્સરાઓની હાજરીનું ભાન પણ થતું નથી તમને.

રજનીશ માટે ઑર્ડિનરી હોવું એટલે જ એક્સ્ટ્રાઑર્ડિનરી હોવું. પણ આપણે સૌ ઑર્ડિનરી શબ્દ સાંભળીને કતરાઈએ છીએ. હું અને ઑર્ડિનરી? બીજું કોઈ હશે, મારી આસપાસના બધા જ હશે ઑર્ડિનરી. હું તો સ્પેશ્યલ છું. આ ગાંડપણનું ભૂસું આપણા સૌના મનમાં ઠાંસી ઠાંસીને ભરેલું છે.

એક આરબ જોક રજનીશ ક્વોટ કરે છે કે એ લોકોમાં એમ કહેવાય છે અલ્લા દરેક આદમીનું સર્જન થયા પછી એના કાનમાં ખાનગીમાં કહે છે: ‘મેં તારા જેવો બીજો કોઈ મનુષ્ય બનાવ્યો નથી. તું ખાસ છે. બાકીના બધા જ સામાન્ય છે.’

ઉપરવાળો આ જોક બધાની સાથે કરતો રહે છે. દરેક જણ માનતું રહે છે કે મને તો ભગવાને કહ્યું છે કે તું સ્પેશ્યલ છે, અલગ છે, યુનિક છે, બધાથી જુદો છે.

ઑર્ડિનરી થવામાં કોઈ સ્ટ્રગલ કરવી પડતી નથી. અને બધા સંઘર્ષો સમાપ્ત થઈ ગયા પછી તમામ ઉધામા શાંત થઈ જાય છે. જિંદગીનાં પાનાં જેમ જેમ ખૂલતાં જાય તેમ એને વાંચીને એનો આનંદ મેળવતા રહો. તમારા બાળપણને માણો, યુવાનીને માણો, તમારી પાછલી ઉંમરને માણો, જિંદગીને માણો અને તો જ મૃત્યુને પણ માણી શકશો. વરસની દરેક ઋતુનો આનંદ લો. દરેક સીઝનને એનું આગવું સૌંદર્ય છે. જિંદગીના દરેક તબક્કાની એની પોતાની મઝાઓ છે. જિંદગી આખી સંઘર્ષોમાં, ઉધામા કરતાં કરતાં વિતાવી હશે તો અંતિમ ઘડીઓ કેવી હશે?

રજનીશે વિલિયમ સમરસેટ મૉમ નામના બહુ મોટા બ્રિટિશ નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર વિશેના પુસ્તકની વાત કરી છે. એમના જમાનાના એ સૌથી લોકપ્રિય અને લેખનમાંથી સૌથી વધુ કમાતા લેખક હતા. ૧૯૬૫માં ૯૧ વર્ષની ઉંમરે એ ગુજરી ગયા. સમરસેટ મૉમના ભત્રીજા રૉબિન મૉમે ‘ક્ધવર્સેશન્સ વિથ વિલી’ નામના પુસ્તકમાં લખ્યું છે:

‘એ સૌથી ફેમસ ઑથર હતા અને સૌથી દુ:ખી પણ. એક વખત, ૯૧ની ઉંમરે એમણે મને કહ્યું હતું કે હવે હું મરી જવાનો. મને મરવાનું ગમતું નથી...’

ભત્રીજાએ પૂછ્યું કે, ‘તમારી સૌથી સુખી સ્મૃતિઓ કઈ?’ ત્યારે સમરસેટકાકાએ કહ્યું: ‘કોઈ નહીં. જિંદગીને એક ક્ષણની પણ સુખદ સ્મૃતિ નથી.’ ભત્રીજો લખે છે કે મેં એમના ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી. મોંઘું ફર્નિચર, સુંદર પેઈન્ટિંગ્સ, કળાની અદ્ભુત ચીજવસ્તુઓ. એમનો એ બંગલો પણ કેવો ભવ્ય અને રમણીય હતો. મોટો બગીચો, મેડિટરેનિયન સમુદ્રના કિનારે, છ લાખ પાઉન્ડની કિંમત, તહેનાતમાં અગિયાર-અગિયાર નોકરોનો તો સ્ટાફ હતો. છતાં એ હૅપિ નહોતા.

‘આમાંથી એક ટેબલ પણ હું મારી સાથે લઈ શકવાનો નથી’, સમરસેટ મૉમ બોલ્યા હતા, ‘મારી આખી જિંદગી નિષ્ફળ ગઈ. મારે એક શબ્દ લખવો જોઈતો નહોતો. શું મળ્યું મને એમાંથી? જિંદગીમાં મને નિષ્ફળતા સિવાય કશું નથી મળ્યું પણ હવે શું થાય? કશું પણ બદલવા જેટલો સમય ક્યાં બચ્યો છે?’

સમરસેટ મૉમને જિંદગી નિષ્ફળ લાગી કારણ કે એમની પાસે બધું જ હતું, સંતોષ નહોતો. એ સંતોષ જે પૈસાથી નથી મળતો, એ સંતોષ જે પ્રસિદ્ધિથી નથી મળતો. કાલે પૂરું કરીએ. 


શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રજનીશ સમજાવે છે કે તમારી પાસે પૈસા નથી, તમે કંગાળ છો તો તમે શાપિત છો, ડગલે ને પગલે તમે હડધૂત થવાના, તમારી આખી જિંદગી પૈસા મેળવવામાં ખર્ચાઈ જવાની.

તમારી પાસે પૈસા હોય તો એનાથી આ પાયાની મુસીબત બદલાતી નથી, તમે વધુ પૈસો કમાવવા, હજુ વધુ પૈસો મેળવવા આખી જિંદગી ખર્ચી નાખવાના અને જ્યારે ખૂબ બધો પૈસો તમારી પાસે આવી જશે ત્યારે તમે ગિલ્ટી ફીલ કરતા થઈ જશો. કારણ કે તમને ખબર છે કે તમે આ પૈસો કેવી રીતે ભેગો કર્યો છે- લુચ્ચાઈથી, બેરહમ બનીને, ગંદી રીતે. લોકોનું લોહી ચૂસીને એ પૈસો તમે મેળવ્યો છે. એટલે હવે તમારી પાસે ખૂબ બધો પૈસો છે પણ તમને એ પૈસો યાદ કરાવે છે કે તમે કેવા કેવા ગુનાઓ કરીને એ પ્રાપ્ત કર્યો છે.

આવા પૈસાને કારણે બે પ્રકારના લોકો પેદા થાય છે. એક પ્રકારના લોકો ગિલ્ટ દૂર કરવા માટે દાન-ધર્માદા કરવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે હવે મારે ‘સમાજ માટે કંઈક કરી છૂટવું’ જોઈએ. તમારી આ હૉસ્પિટલો, સ્કૂલો બધું અપરાધભાવથી પીડાતા લોકોના પૈસાથી બનેલું છે. તમારી આ ગિલ્ટનો પૂરેપૂરો લાભ ધર્મનો ધંધો કરનારાઓ ઉઠાવે છે. તેઓ તમારી ગિલ્ટનો ફાયદો ઉઠાવે છે એટલું જ નહીં તમારા અહમ્ને પણ પોષે છે - તમે ખૂબ સુંદર ધાર્મિક- આધ્યાત્મિક કાર્ય કરી રહ્યા છો એવું કહીને તમારા ઈગોને પંપાળે છે. તમારા એ દાનધર્માદાને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવાદેવા નથી. એ લોકો માત્ર ગુનેગારોને સારા શબ્દોમાં આશ્ર્વાસન આપતા હોય છે.

ચિક્કાર પૈસો મેળવનારા બીજા પ્રકારના લોકો એવા છે જેઓ એટલી ગિલ્ટ અનુભવતા થઈ જાય છે કે કાં તો તેઓ પાગલ થઈ જાય છે, કાં આત્મહત્યા કરી બેસે છે. એ લોકોને પોતાના જ અસ્તિત્વનો ભાર લાગવા માંડે છે. પૈસાથી પાગલ થઈ ગયેલા લોકો છકી જાય છે. પૈસાના તોરમાં તેઓ ન કરવાનું કરી બેસે છે. એમની જિંદગી પાટા પરથી ખડી પડે છે. શ્રીમંતાઈ પૈસાથી નથી આવતી, સંતોષથી આવે છે. બુદ્ધ જો ઝૂંપડીમાં રહેતા હશે તો એ ઝૂંપડી પણ એમના માટે મહેલ હશે અને જો એ મહેલમાં રહેતા હશે તો દુનિયાના બીજા કોઈ પણ આદમી કરતાં મહેલને એ વધારે માણી શકવાના. જે માણસ ઝૂંપડીને માણી શકતો હોય એ મહેલનો આનંદ તો કેટલો બધો માણી શકવાનો.

જિંદગી જીવવી જોઈએ ભરપૂર રીતે. શ્રીમંતાઈ અંદરની જાગૃતિથી આવે છે. તમે ખૂબ ગરીબ હો છતાં બહારથી તમારી પાસે ઘણો પૈસો હોય, મોટું બૅન્ક બૅલેન્સ હોય એ શક્ય છે, પણ તમારી એ લાઈફ કૂતરા જેવી જિંદગી હોવાની.

રજનીશ કહે છે કે હું એવા કેટલાય પૈસાદારોને ઓળખું છું જેમની પાસે ચિક્કાર પૈસો હોવા છતાં એ લોકો એ પૈસાને માણી શકતા નથી, જિંદગીનું સૌંદર્ય જોઈ શકતા નથી. પૈસો આવી ગયા પછી તમારે વધુ ભૌતિક સગવડો ઊભી કરવાની નથી. તમારે વધારે સંવેદનશીલ બનવાનું છે. જેથી તમારી આસપાસના જગતનો તમે આનંદ માણી શકો.

રજનીશ કહે છે કે હું ગરીબીનો વિરોધી છું, પૈસાનો તરફદાર છું. ગરીબ બનવાની કોઈ જરૂર નથી. આપણે જો ગરીબ હોઈએ તો એ માટે જવાબદાર આપણે પોતે જ છીએ. પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી, પણ પૈસાથી હાલાકીઓ અને મજબૂરીઓ ચોક્કસ હળવી બનાવી શકાય છે અને એટલે જ હું પૈસાનો વિરોધી નથી. અગવડોવાળી મજબૂરીઓ કરતાં સગવડોવાળી મજબૂરીઓ લાખ દરજ્જે સારી. હું પોતે ગરીબીમાં રહ્યો છું, હું શ્રીમંત જિંદગી પણ જીવ્યો છું અને તમને કહું છું કે ગરીબાઈ કરતાં શ્રીમંતાઈ લાખ દરજ્જે સારી છે. હું ઈચ્છું છું કે તમે સૌ ખૂબ શ્રીમંત બનો, માત્ર પૈસાથી જ નહીં, દરેક રીતે- મનથી પણ શ્રીમંત બનો.

પૈસાથી પ્રેમ મળતો નથી, પૈસાથી ખરી દોસ્તી પણ મળતી નથી, પણ જેમને પૈસો જોઈએ છે એ લોકો આવું કશું વિચારતા નથી. પૈસો મેળવતી વખતે કે પૈસો આવી ગયા પછી માણસે સમજવું જોઈએ કે દુનિયામાં કેટલીક ચીજો ખરીદી કે વેચી શકાતી નથી. કેટલીક વસ્તુઓ પૈસાથી પર છે. રજનીશ કહે છે કે યાદ રાખો, હું પૈસાનો વિરોધી નથી, પણ હું તમને એનાથી પર લઈ જવાની કોશિશ કરી રહ્યો છું. પૈસો તમારી જિંદગીમાં હોય કે ન હોય - એ બેઉ પરિસ્થિતિમાં તમે એકસરખા આનંદથી જીવી શકો એમ છો એ સમજાવવાની કોશિશ કરું છું. એ માટે કઈ કઈ પૂર્વશરતો હોય છે તે કહેતો રહું છું તમને.

રજનીશની વાતો ઘણાને ડબલ સ્ટાન્ડર્ડવાળી લાગતી હોય છે. કારણ કે આવું માનનારાઓ પોતે આખી જિંદગી ડબલ સ્ટાન્ડર્ડ્સથી જીવ્યા હોય છે. રજનીશની વાતો કોઈ બાબા-ગુરુની વાત નથી જેનો આંધળો સ્વીકાર કરવાનો હોય, જેની સામે કોઈ દલીલ ન કરવાની હોય. રજનીશ પ્રખર ચિંતક છે, મૌલિક વિચારક છે. આજે, ૨૦૧૩ની સાલમાં, પણ રજનીશના વિચારો તમને ક્રાંતિકારી લાગે છે. કારણ કે સમાજની માનસિકતા હજુય એવી ને એવી જ છે, આપણી પોતાની માનસિકતા પણ ખાસ કંઈ બદલાઈ નથી.

રજનીશ કહેવા માગે છે કે સલામતીની શોધમાં ભટક્યા કરવું ફોગટ છે. માણસ શું કામ વધારે ને વધારે કમાવા માગે છે? જેથી એને પૈસાની જરૂર ન રહે, એની લાઈફ સિક્યોર્ડ થઈ જાય, એનાં સંતાનો ભૂખ્યાં ન રહે, એણે પોતે સાજેમાંદે કોઈની આગળ હાથ લંબાવવો ન પડે. રજનીશ કહે છે કે જિંદગીનું બીજું નામ જ અસલામતી છે. મૃત્યુ આવે જ નહીં એવો કોઈ વીમો છે? એ તો આવવાનું જ. વીમાની ડઝનબંધ પૉલિસીઓ તમારી પાસે હશે છતાંય એ તો આવવાનું જ. અને લાઈફને તમે જેટલી સેફ, જેટલી સિક્યોર્ડ કરવાની કોશિશ કરશો એટલી એ વધારે શુષ્ક, વધારે ઉજ્જડ બનતી જશે.

અસલામતી તમને સતત જાગૃત રહેવા માટે મજબૂર કરે છે. દરેક પ્રકારનાં જોખમ સામે તમને સાવચેત રાખે છે. જિંદગી પૈસાવાળાની હોય કે ગરીબની - કોઈની પણ જિંદગી ખાંડાની ધાર પર ચાલવા જેવી હોય છે. સલામતીભરી જિંદગી જોખમી બની જાય છે કારણ કે તમે ખાંડાની ધાર પર ચાલતી વખતે સાવધ નથી રહેતા, જાગ્રત નથી રહેતા. હકીકત તો એ છે કે જાગ્રત નહીં રહેવા માટે, સાવધ નહીં રહેવા માટે તમે સલામત અને સુરક્ષિત જિંદગી મેળવવા માગો છો.

હજારો ઉપદેશકો કે ધાર્મિક પ્રવચનકારોથી રજનીશ જુદા એટલા માટે છે કે રજનીશ તમને ડરાવતા નથી, તમારામાં ગિલ્ટ ઊભી નથી કરતા. રજનીશની જિંદગીને, એમના વિચારોને તમે કોઈ પણ ઊભા રહીને જોઈ શકો છો. મા શીલા આનંદના ખૂણે ઊભા રહીને જુઓ તો તમને ૮૫ રોલ્સ રોયસ અને સો કીંમતી, રત્નજડિત ઘડિયાળોવાળા રજનીશ દેખાશે, ભૌતિક સુખસગવડોથી ઘેરાયેલા, સુંદર સ્રીઓના સહવાસમાં રહેતા રજનીશ દેખાશે.

એની સામેના છેડેથી જોશો તો જેમની લાઈબ્રેરીમાં ૯૦,૦૦૦ પુસ્તકો હતાં, એ દરેકને વાંચીને અંડરલાઈન કરીને, છેલ્લે પૂરું કર્યા પછી હસ્તાક્ષર કરીને રાખતા, એ રજનીશ છે. વીસમી સદીના ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ જેમનો જોટો ન મળે એવી મૌલિક વિચારધારાવાળા મહાપુરુષ છે જે સાઠ વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવીને સદીઓ સુધી ચાલે એવું ચિંતન આપતા ગયા એવા રજનીશ છે. ચૉઈસ તમારી છે, તમારે કયા રજનીશને મળવું છે. જે રજનીશને તમારે મળવું હોય તેને મળો- ફાયદો કે નુકસાન, તમારું જ છે. 


મારી  નોંધ : રજનીશ ગમે તેવી ડાહી વાત કરે પણ માં શિલા એ  જે ભાંડો ફોડ્યો છે તે રજનીશના આચાર અને વિચાર જુદાહતા તે ચોક્કસ પણે  લાગે છે . જે વસ્તુની વાત તેઓ કરે છે તે વસ્તુ તેઓ પોતે અમલમાં નથી મૂકી શકતા તેનો અર્થ એમજ છે કે આ વાત કહેવી  સહેલી છે પણ કરવી મુશ્કેલ છે . વાંચવા માટે સારી પણ અનુભવાય તેવી નથી . કહેનારા એમ પણ કહે છે કે સંતોષ એટલે પ્રગતિની પૂર્ણાહુતી . મારે પ્રગતિ પણ કરવી છે અને સંતોષ પણ રાખવો છે તે વાત એક સાથે સંભવી શકશે નહિ મહાવીર પ્રભુના ઉપદેશ માં જે આવે છે કે દરેક વસ્તુનો વિવેક રાખવો તે અત્રે પણ લાગુ પડે છે .

Wednesday, May 15, 2013

શ્રેષ્ઠને પ્રાપ્ત કરવા સામેથી જવું પડે - મહેન્દ્ર પુનાતર

શ્રેષ્ઠને પ્રાપ્ત કરવા સામેથી જવું પડે
દરેક માણસને કોઈ ને કોઈ જાતનો અહંકાર હોય છે, જે તેને શ્રેષ્ઠ પાસે જવા નથી દેતો. સારાને શોધવું પડે છે, એની મેળે આવી જતું નથી. આ માટેની પ્રથમ શરત છે નમ્રતા
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

આ જગતમાં કોઈ પણ વસ્તુ એની મેળે મળતી નથી. શ્રેષ્ઠ ચીજોને તો શોધવી પડે છે. તે મેળવવા માટે પ્રયાસો કરવા પડે છે. કેટલીક ચીજો એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. પ્રબળ ઈચ્છા અને પુરુષાર્થ હોય તો તે મળે છે. ઉત્તમ જે છે તેને મેળવવા માટે આપણે સામેથી જવું પડે છે. તેને માટે નમ્રતા ધારણ કરવી પડે છે અને અહંકારશૂન્ય બનવું પડે છે. આમાં હુકમ કે આદેશ કામ આવતો નથી. માત્ર પ્રાર્થના અને અરજ કાર્યરત બને છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પૈસાથી બધું મળી શકે છે. આપણે પૈસાના ત્રાજવે બધું તોળીએ છીએ અને હિસાબકિતાબ માંડીએ છીએ. કેટલીક વખત વસ્તુ સામે પડી હોય આમ છતાં આપણને હાથ લાગતી નથી. મોટે ભાગે જે નજીકમાં હોય તેના તરફ માણસની નજર જતી નથી, કારણ કે માણસ દૂર તરફ મીટ માંડીને બેઠો છે. આપણી પાસે જે સુખ છે તે આપણને દેખાતું નથી. બીજાનું સુખ સારું લાગે છે. જે હાથમાં હોય છે તેની કિંમત રહેતી નથી અને જે હાથમાંથી છટકી જાય છે તે મૂલ્યવાન બની જાય છે. જગતમાં જે શ્રેષ્ઠ છે તેની પાસે જવું પડે છે. તે આપણાં કદમોમાં એની મેળે આવી જતું નથી. અને જે વગર મહેનતે સહેલાઈથી હાથમાં આવી જાય છે તેની કિંમત રહેતી નથી. મફતમાં મળેલી કોઈ પણ ચીજમાં લાંબો સમય રસ રહેતો નથી. મહેનતથી મળેલું ભલે નજીવું હોય, પરંતુ તેનો આનંદ અપાર છે. આ અંગે ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંતકથા પ્રેરક છે...

એક સમ્રાટને સંગીત સાંભળવાનો શોખ હતો. સંગીતનો રસિયો આ સમ્રાટ શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારોને પોતાના દરબારમાં બોલાવતો હતો અને મહેફિલો યોજતો હતો.

એક દિવસ તેણે પોતાના પ્રધાનને બોલાવીને કહ્યું આપણા રાજ્યમાં શ્રેષ્ઠ સંગીતજ્ઞ કોણ છે જેનું સંગીત સાંભળવાની આપણને તક મળી નથી.

પ્રધાને કહ્યું: હજૂર આપણા રાજ્યમાં એક સંગીતજ્ઞ છે જેનું વીણાવાદન મંત્રમુગ્ધ કરે એવું છે પણ તે મનમોજી છે.

રાજાએ હુકમ કર્યો એ વીણાવાદકને દરબારમાં બોલાવો, અમે તેનું સંગીત માણવા ઈચ્છીએ છીએ.

પ્રધાને કહ્યું: તે એમ નહીં આવે. રાજાએ કહ્યું: તેને પકડીને લાવો, અમારો હુકમ છે તે કેમ ન આવે?

પ્રધાને કહ્યું: તેને પકડીને લાવવામાં આવશે તો એ આપના હુકમથી વીણા જરૂર વગાડશે, પણ તેમાં પ્રાણ નહીં હોય. આ તેનું અસલી સંગીત નહીં હોય.

સમ્રાટે કહ્યું: તો બીજો કોઈ ઉપાય બતાવો. હવે હું તેનું સંગીત સાંભળવા આતુર છું. પ્રધાને કહ્યું: એક ઉપાય છે. તે અહીં નહીં આવે આપણે તેની પાસે જવું પડશે.

સમ્રાટે કહ્યું: કશો વાંધો નહીં એમાં શું ફરક છે? એ અહીં આવે કે આપણે ત્યાં જઈએ.

પ્રધાને કહ્યું: એમાં ઘણો ફરક છે. આપણે બધા ચહેરાઓને ઉતારીને જવું પડશે અને નમ્રતા ધારણ કરવી પડશે.

સમ્રાટ જવા માટે તૈયાર થઈ ગયો. પ્રધાને કહ્યું: મહારાજ, આમ નહીં જઈ શકાય. તમારે આ કીમતી વસ્ત્રો ઉતારીને સાદાં વસ્ત્રો ધારણ કરવાં પડશે. એક સામાન્ય માણસની જેમ તેના ઘેર જવું પડશે.

સમ્રાટે કહ્યું: આ વસ્ત્રો કઈ રીતે બાધારૂપ છે? આપણે તો તેનું સંગીત સાંભળવું છે. પ્રધાને કહ્યું: આપ ત્યાં સમ્રાટ બનીને રહેશો તો જે સંગીત તમારે સાંભળવું છે તે નહીં સાંભળી શકો. જીવનમાં જે કાંઈ મહત્ત્વનું છે તે સમ્રાટ બનીને નહીં પણ યાચક બનીને મેળવવું પડે છે. સમ્રાટના પોશાકમાં આપ હાથ નહીં ફેલાવી શકો કે તેના આંગણે ધૂળમાં નહીં બેસી શકો.

સમ્રાટે સાદાં વસ્ત્રો ધારણ કર્યાં અને તેઓ તેના દ્વાર પર પહોંચી ગયા. સમ્રાટના એક દરબારી પાસે વીણા હતી. તેણે વીણાનું વાદન શરૂ કર્યું. તે કાંઈ બહુ જાણકાર નહોતો. આવું બેસરું વીણાવાદન સાંભળીને સંગીતજ્ઞ બારણું ખોલીને બહાર આવ્યો અને કહ્યું: મિત્ર, આ કાંઈ વીણાવાદન છે? સાદા વસ્ત્રમાં રહેલા દરબારીએ કહ્યું; તો આપ જ કહો વીણાવાદન કેવું હોય? સંગીતજ્ઞ ઘરમાંથી વીણા ઉપાડીને લાવ્યો અને બધાને આંગણામાં બેસાડીને વીણા વગાડવાનું શરૂ કર્યું. તેના સૂરોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. સમ્રાટ તો મંત્ર મુગ્ધ થઈ ગયો.

વીણાવાદન પૂરું થયા પછી તેણે કહ્યું: હું સમ્રાટ છું. હું આપનું સંગીત સાંભળવા અહીં આવ્યો હતો. અને હવે મને લાગે છે કે મેં કાંઈક મેળવ્યું છે.

સંગીતજ્ઞે કહ્યું: આપ સમ્રાટ તરીકે આવ્યા હોત તો કદાચ આ વીણાના સૂરો અલગ હોત અને આપ અવસર ચૂકી જાત.

દરેક માણસને કાંઈકને કાંઈક અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, તો કોઈને પ્રતિષ્ઠાનો. આ અહંકાર તેને શ્રેષ્ઠ પાસે જેવા દેતો નથી. તે તો એમ જ માને છે કે બધા એની પાસે આવે, તેની ખુશામત કરે. કહેવાતા શ્રીમંત પ્રતિષ્ઠિત માણસો ગમે તેવું સારું પ્રવચન હોય કે ગીત-સંગીતનો કાર્યક્રમ હોય તેઓ લોકોની વચ્ચે બેસીને તેને માણી શકતા નથી. તેઓને આમંત્રણ અને આગ્રહ હોય, આગળની ખુરશીમાં બેસવા મળવાનું હોય તે સિવાય તેઓ કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અને હાજર રહ્યા પછી પણ તેમનું ધ્યાન આ કાર્યક્રમમાં હોતું નથી, પરંતુ તેના કરતાં બીજા કોને વધુ માન મળ્યું, આયોજકોએ તેમના પર કેમ વધુ ધ્યાન ન આપ્યું. એ બધી બાબતો અને તેમનો અહંકાર તેમને સારું સાંભળવા અને માણવા દેતો નથી. ગમે તેવો સુંદર અને મનને ભીંજવી દે તેવો સંગીતનો જલસો હોય પણ તેઓ કોરા રહી જાય છે અને કાંઈક ને કાંઈક અહંકારનો ફુગ્ગો ફુલાવીને પાછા ફરે છે. તેઓ સામાન્ય માણસ બની શકતા નથી અને જીવનનો મોટો લહાવો ગુમાવે છે.

જીવનમાં કાંઈ પણ સારું પ્રાપ્ત કરવું હોય તો અહંકારને ઓગાળવો પડે. મારા જેવું કોઈ નથી, હું બધું જાણું છું એવા ભાવે જઈએ તો કશું હાથમાં આવે નહીં. એક અદના માણસ તરીકે પોતાને ગણીએ અને નમ્રતાનો ભાવ આવે તો સારી વસ્તુને શોધી શકાય. સારાને હંમેશાં શોધવું પડે છે, ખરાબ એની મેળે આવી જાય છે.

પરમાત્માના દ્વાર પર પણ આપણે આવી રીતે જવું પડે. મંદિરમાં બધા ચહેરાઓને ઉતારી દેવા પડે. માત્ર નમ્રતાનો ચહેરો ધારણ કરવો જોઈએ તો જ પ્રભુનાં દર્શન થઈ શકે. પ્રભુ આપણી સન્મુખ છે, પરંતુ માન, અભિમાન અને અહંકારનાં પડળો આમાં બાધારૂપ છે. શોધ્યા વગર પ્રભુ પણ મળે નહીં. નમ્રતા, સરળતા, સહજતા અને મન સાફ હોય તો પ્રભુની શોધ ગહન બની જાય. પછી જ્યાં જુઓ ત્યાં પરમાત્મા નજરે પડે છે. પ્રભુ કોઈ પણ સ્વરૂપે આપણી પાસે આવી જાય. પ્રભુને સ્વાગત કરવા માટે ખુલ્લું દિલ અને પ્રેમ અને આનંદસભર હૃદય જોઈએ.

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો કૃષ્ણની મદદ માટે ગયા. કૃષ્ણ સૂતા હતા. તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવાની હતી. કૌરવના પ્રતિનિધિ દુર્યોધને મસ્તક પાસે સ્થાન ગ્રહણ કર્યું અને પાંડવોના પ્રતિનિધિ અર્જુને પગ પાસે બેઠક લીધી. દુર્યોધન પગ પાસે બેસી શકે નહીં. આ મસ્તક પાસે બેસવાનું અને પગ પાસે બેસવાનું ઘણું સૂચક છે. આમાં દુર્યોધનનો અહંકાર હતો અને અર્જુનની નમ્રતા હતી. જ્યાં નમ્રતા હોય ત્યાં પ્રભુ સમીપ હોય છે. કૃષ્ણની આંખો ખૂલી તો પ્રથમ નજર અર્જુન પર પડી. પસંદગીની વાત આવી તો એક બાજુ કૃષ્ણ હતા અને બીજી બાજુ તેમની આખી સેના હતી. દુર્યોધને સેનાને પસંદ કરી અને અર્જુને કૃષ્ણની પસંદગી કરી એમાં પણ નમ્રતા અને સમર્પણભાવ હતો.

જે માણસો અક્કડ બનીને રહે છે તેઓ જીવનના ખેલમાં હારી જાય છે. વાવાઝોડામાં અક્કડ બનીને ઊભાં રહેલાં વૃક્ષો ઊથલી પડે છે, જ્યારે નાનાં તરણાઓ વાંકા વળીને નમી જાય છે અને વાવાઝોડું તેના પરથી પસાર થઈ જાય છે અને તેઓ પાછાં બેઠાં થઈ જાય છે. વાવાઝોડું તેમને પરેશાન કરી શકતું નથી. હું કાંઈક છું, મારા જેવું બીજું કોઈ નથી. મને કોઈ પરાજિત કરી શકે નહીં એ માણસનો અહંકાર છે. જેમનામાં સંયમ અને સંતુલન નથી તેઓ જીવનની આ તંગ દોર પર ગબડી પડે છે.

જીવનમાં સંતુલન રાખવા માટે મહાવીરે એક માર્ગ બતાવ્યો છે, તે છે સમ્યક માર્ગ. જીવનમાં કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. સમ્યક એટલે મધ્યમાં રહેવું. કોઈ પણ અતિ પર જતાં અટકવું. કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. બધી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

જીવનમાં બધું જ છે. ભલાઈ છે, બૂરાઈ છે, સારું છે, ખરાબ છે, સુખ છે, દુ:ખ છે, પ્રેમ છે, નફરત છે. માણસે આ બધા દ્વંદ્વો વચ્ચે પસંદગી કરવાની છે.

જીવનમાં હાર-જીત, સફળતા-નિષ્ફળતા, ચડાવ-ઉતરાવ આવવાના છે. એકલી જીતથી કાંઈ જીવન નથી બનતું. એકલું સુખ મળે તો પણ માણસ થાકી જશે. દુ:ખ છે એટલે જ સુખની કિંમત છે. જીવનમાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. માનવમાત્ર અધૂરા. જીવનમાં થોડી મીઠાશ અને થોડી ખટાશ જરૂરી છે. ખટાશ એ મીઠાશનું પ્રથમ ચરણ છે. ફળ કાચું હોય ત્યારે ખાટું હોય છે. પાકે છે ત્યારે મીઠું બની જાય છે. જીવનમાં સફળતા માટે પણ પ્રયાસો સાથે ધીરજ અને પ્રતીક્ષાની જરૂર છે.

સફળતાની સાથે માણસ નમ્ર ન બને તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. સફળતા સાથે સાવધાની ન રહે તો જયને પરાજયમાં પલટાતાં વાર લાગતી નથી. માણસે આ અંગેની કસોટીમાંથી પસાર થવું પડે છે. આ અંગે કુતુબ ‘આઝાદ’ની એક રચના જોઈએ...

સાગર જો થવું હોય તો છલકાઈ જવું પડશે

ખારાશ ભરી હૈયે હરખાઈ જવું પડશે

અજવાળું થઈ જગમાં ફેલાઈ જવું હોય તો

સૂરજ થઈ અગ્નિમાં શેકાઈ જવું પડશે.

થાવું હશે જખ્મોને અળગા જો જિગરમાંથી

આંસુ થઈ આંખોથી રેલાઈ જવું પડશે

લેવું હશે સોનાને જો રૂપ ઘરેણાંનું

તો તાર થઈ પહેલાં ખેંચાઈ જવું પડશે

‘આઝાદ’ મોહબ્બતમાં એક એવો નિયમ પણ છે

કંઈ પામવા ચાહો તો ખોવાઈ જવું પડશે.

Mother's Day Video

Waah Waah Kya Baat hai episode 63 was dedicated to mothers on mother's day

Monday, May 6, 2013

પરફૅક્શન - સૌરભ શાહ

સૌરભ શાહ

પરફેક્ટ કશું જ નથી આ દુનિયામાં અને એ જ સારું છે

હવાહવાઈ શ્રીદેવી થોડા મહિનામાં પચાસની થશે. ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’માં આ ઉંમરે પણ ભવ્ય કામ કરનારી શ્રીદેવીએ એક ડાયેટ-બુકનું લૉન્ચિંગ કરતી વખતે કહ્યું કે, ‘ઝીરો ફિગર ફૅશન મૉડેલ માટે ઠીક છે બાકી રિયલ લાઈફમાં એવું ફિગર મેઈન્ટેઈન કરવું બહુ અઘરું છે. જે કરી શકતું હોય એને સલામ.’

અને દૂરથી જ પ્રણામ. પરફેક્ટ ફિગર કે પરફેક્ટ બૉડી સ્ત્રીપુરુષ માટે અશક્ય છે. ફિલ્મો કે ફોટાઓમાં જે દેખાય તે કામચલાઉ ઘણી મહેનત કરીને કૃત્રિમ રીતે ઠીકઠાક કરેલું શરીર હોય છે. ઉપરથી મેકઅપ, લાઈટ્સ, કૅમેરા ઍન્ગલ અને હવે તો વળી કૉમ્પ્યુટર પર ફોટોશૉપની કમાલો ઉમેરાય છે. આદર્શ શરીર એ છે જે તંદુરસ્ત હોય. આઈડિયલ વેઈટ એ છે જેમાં તમે બેડોળ ન દેખાતા હો. પરફેક્ટ બૉડી એક મિથ છે, કવિકલ્પના છે. સુદૃઢતા એટલે સિક્સ-પૅક નહીં. સુદૃઢતા એટલે લમ્પ હોય કે લૅન્કી, પણ મજબૂત અને નિરોગી શરીર. સારું ફિગર એટલે છત્રીસચોવીસ-છત્રીસ નહીં પણ સ્ફુર્તિથી હરી ફરી કે કામ કરી શકાય એવું ફિગર.

પણ પરફૅક્શનનું ગાણું એટલું બધું ગવાઈને આપણા મનમાં ઘૂસી ગયું હોય છે કે ટીવી પરની ઍડમાં કોઈ મૉડેલ જોઈ નથી અને હજુ બે કિલો ઘટાડવું પડશે એવું લાગ્યું નથી.

પરફૅક્શનનું આ ગાણું જેઓને પોતાનો માલ વેચવો છે તેઓ ગાય છે. એમાં ડાયેટ બુક્સવાળાઓથી માંડીને ચહેરાનો નિખાર વધારનારાં સૌંદર્ય પ્રસાધનો વેચવાવાળા સુધીનાં સૌ કોઈ આવી ગયા. કરોડો રૂપિયાની ઈન્ડસ્ટ્રી છે આ તો.

એક વાત સમજી લઈએ. જ્યાં જ્યાં પરફૅક્શનના પ્રચારો છે ત્યાં ત્યાં વેસ્ટેડ ઈન્ટરેસ્ટ પડદા પાછળ છુપાયેલા છે. ઉપદેશકો અને બાબાગુરુઓ તમને સદ્ગુણી બનવાનું કહેતા રહે છે. એમને પણ ખબર છે કે એમનાં ચરણસ્પર્શ કરનારાઓમાંનો એકેય કાળા માથાવાળો જીવ કામ, ક્રોધ, લોભ, મોહથી હન્ડ્રેડ પર્સેન્ટ મુક્તિ મેળવી શકવાનો નથી અને મુક્તિ નહીં મેળવી શકે એટલે આઉટ ઑફ ગિલ્ટ એ નેક્સ્ટ ટાઈમ ચરણસ્પર્શને બદલે સીધા દંડવત્ જ કરશે અને ગયા વખત કરતાં બમણી મોટી ભેટ મૂકતો જશે. સાધુમહારાજોના ઉપદેશમાંથી લાઈફના પરફેક્શનની વાતો બાદ થઈ જાય તો એમનો અડધો ધંધો ઓછો થઈ જાય.

લાઈફમાં પરફેક્ટ કશું જ હોતું નથી, જે હોય છે તે કુદરતી હોય છે. કાં તો કુદરત આપણી સાથે નાનું મોટું સમાધાન કરીને એડજસ્ટ થઈ જાય છે કાં આપણે ઉન્નીસબીસ ચલાવીને કુદરત સાથે એડજસ્ટ થઈ જવાનું હોય છે.

પરફેક્ટ કુટુંબ ક્યારેય રિયલ લાઈફમાં જોયું છે તમે? મા વાત્સલ્યમૂર્તિ હોય, પિતા વડલાની છાયા હોય, મોટો ભાઈ રામ અને નાનો લક્ષ્મણ હોય, નોકર સુદ્ધાં આજ્ઞાંકિત અને ડ્રાઈવર પણ હસમુખો હોય. શક્ય જ નથી. એવું કુટુંબ જો તમને કદાચ ક્યાંક દેખાય તો તરત જ તમે ત્યાંથી બહાર નીકળી જજો કારણ કે એ ‘હમ આપ કે હૈં કૌન’ જેવી ફિલ્મનો સેટ હશે અને તમારે કારણે શૂટિંગ ખોરવાઈ જશે.

પરફેક્ટ ઘર પણ એક મિથ છે
. લિસ્સાં પાનાંવાળાં મૅગેઝિનોમાં ઈન્ટિરિયર ડેકોરેશનવાળાઓ તમને જે ડ્રીમ હાઉસીઝ દેખાડે છે તે ભલે ફિલ્મી સેટ ના હોય, રિયલ હોય, પણ એવાં ઘરોમાં રહેવાનું સપનું સાકાર પણ થાય તો તમારું ગજું નથી એને મેઈન્ટેન કરવાનું. છ જ મહિનામાં એ ઘર, અત્યારે તમારું જેવું ઘર છે એવું બની જવાનું અને તમારો મોહભંગ થઈ જવાનો.

પરફેક્ટ સંતાનો પણ નથી હોતાં. બેબી પ્રોડક્ટસની એડમાં દેખાતાં હસતાં રમતાં બાળકો કેટલાંને ત્યાં હોય છે. નાનું બાળક છે. તમે ઊંઘો ત્યારે એ જાગે, એને ઊંઘવું હોય ત્યારે તમારે જાગીને કામે લાગવાનો ટાઈમ થઈ ગયો હોય. એની ભૂખ-તરસ-કુદરતી હાજતો. મહિનાઓ સુધી ચોવીસ કલાક એની તહેનાતમાં રહ્યા હો તો ખબર પડે કે ત્રીસ સેક્ધડની ઍડમાં દેખાતાં બાળકો અને તમારાં સંતાનોમાં ઘણો ફરક છે.

એવો ફરક જે તમારી પર્સનલ લાઈફ અને પિક્ચરો-નવલકથાઓમાં દેખાતી-વંચાતી પર્સનલ લાઈફ વચ્ચે છે. પરફેક્ટ કપલ, એક દુજે કે લિયે જેવી જોડીવાળો રોમાન્સ શોધવાનો જ ના હોય કારણ કે જગત આખામાં એ ક્યાંય છે જ નહીં. રોમેન્ટિક ફિલ્મવાળાઓ કે રોમાન્સની નવલકથા લખવાવાળાઓ તમને પરફૅક્શનનાં સપનાં વેચીને પોતાની રોજીરોટી ચલાવે છે. એ બધી વાતોનું આયુષ્ય ગેસના રંગબેરંગી ફુગ્ગા જેટલું જ હોવાનું એવું જેઓ સમજતા નથી તેઓ પસ્તાય છે, દુખી થાય છે, સામેવાળાને દુખી કરે છે.

જિંદગીમાં બસ આટલું ગોઠવાઈ જાય પછી કોઈ જ ચિંતા નથી એવું અત્યાર સુધીની લાઈફમાં તમે કેટલી વાર વિચાર્યું? અને દર વખતે એટલું ગોઠવાઈ ગયા પછી તમારી લાઈફ પરફેક્ટ બની? ના જ બને. જિંદગી કોઈ ફેક્ટરીમેડ માલ નથી અને નથી એ જ સારું છે. એવી પરફેક્ટ લાઈફના એકધારાપણાથી કંટાળીને તમે ક્યારનો આપઘાત કરી નાખ્યો હોત.

પરફૅક્શનની સૌથી મોટી પળોજણ આરોગ્યની બાબતમાં રહેવાની. તમારી સેહત ટિપટૉપ કન્ડિશનમાં હોવી જોઈએ એવો આગ્રહ કોણ રાખે છે? તમે? ના. તમારા કરતાં વધારે એવો આગ્રહ એ લોકોનો હોય છે જેમને એમાંથી કમાણી થવાની હોય છે.

અમારા એક વડીલને મેં એક વખત હસતાં હસતાં કહ્યું હતું કે તમારી જૂની કાર આટઆટલી વખત અથડાઈ, એના પર ગોબા પડ્યા, કલર ઝાંખો થઈ ગયો છતાં સરસ કામ આપે છે અને તમે પણ એની કામગીરીથી ખુશ છો; એવી જ રીતે તમારા શરીરમાં આ ઉંમરે હવે બેચાર આધિવ્યાધિઉપાધિ પ્રવેશ્યાં હોય તો લાંબી ચિંતા શું કામ કરો છો? તમારું શરીર તમને બીજી બધી જ રીતે કેટલો સરસ સાથ આપી રહ્યું છે.

પણ આપણા મનમાં ઘર કરી ગયું છે કે શરીરમાં ક્યાંય નખમાંય રોગ ના જોઈએ. કોઈકનું શરીર એવું હોય તો અમારાં અભિનંદન એમને. પણ અમે તો માનીએ છીએ કે ખુદ બાબા રામદેવનેય શરીરસંબંધ ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ હોવાના. આરોગ્યની બાબતમાં જો શરીરને હન્ડ્રેડ પર્સેન્ટ પરફૅક્શન આપી શકાતું હોત તો દુનિયાના બધા દાક્તરસાહેબો ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા હોત.

પરફૅક્શન શબ્દનું હાથવગું ગુજરાતી રૂપાંતર આ વાતના સંદર્ભમાં પૂર્ણ કરીએ તો અપૂર્ણ હોવામાં કોઈ જ વાંધો નથી, કોઈ સંકોચ નથી. અંબાણીના જીવનમાં જે સુખ હશે એની કલ્પના કરીને તમે તમારા જીવનમાં એવું સુખ નથી એમ વિચારતા હો તો સાથે સાથે એ પણ વિચારજો કે એમની જિંદગીમાં જે દુખ હશે એમાંનાં કેટલાંય તમારી જિંદગીમાં નથી. ન તો તમારી જિંદગી પરફેક્ટ છે, ન એમની. અને એ જ સારું છે. પૂર્ણ બન્યા પછી જીવનમાં કોઈ લક્ષ્ય બાકી ન રહે અને ખાલીપો વર્તાય એના કરતાં બહેતર છે કે અધૂરા રહીને, છલકાયા વિનાનું જીવન જીવતાં રહીએ. કવિમિત્રો કહેતા હોય છે એમ અધૂરપમાં મધુરપ છે. કવિ ભગવતીકુમાર શર્માનો શેર છે: થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી / તો ફરિશ્તાઓના ટોળાથી માણસ અલગ પડે.

તેરમી ઑગસ્ટને તો હજુ વાર છે પણ શ્રીદેવીને એડવાન્સમાં હૅપી બર્થડે. જિંદગીનો બહુ મોટો પાઠ શીખવાડી દીધો અમારી ‘ચાંદની’એ. 



Saturday, May 4, 2013

સફળતા અને નિષ્ફળતા-સૌરભ શાહ

સફળતા અને નિષ્ફળતા: કોઈ એક ગુણ કે એક ભૂલથી નથી સર્જાતી
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

રેલવે સ્ટેશન પર તમારો સામાન ઊંચકતો મજૂર દિવસરાત મહેનત કરે છે. સરકસમાં એક ઝૂલા પરથી બીજા ઝૂલા પર પહોંચી જતો ટ્રેપીઝ આર્ટિસ્ટ જિંદગી આખી આવાં સાહસ કરે છે.

મહેનત અને સાહસ કરવા છતાં આ બેઉ ત્યાંના ત્યાં રહે છે. કારણ?

એક તો એ કે જે મહેનત કરે છે તે માત્ર મહેનત જ કરે છે, જે સાહસ કરે છે તે માત્ર સાહસ જ કરે છે. સારા સ્વભાવવાળી, ભગવાનના માણસ જેવી વ્યક્તિ જિંદગીમાં ખાસ કશી સફળતા ન મેળવી શકે ત્યારે લોકો કહે: ‘માણસ કેટલો સારો, છતાં જિંદગીમાં ખાસ કંઈ ઉકાળ્યું નહીં.’

હકીકત એ હોવાની કે એ વ્યક્તિમાં આ એક જ ગુણ હતો, બીજા ગુણોનો અભાવ હતો. આવું જ બુદ્ધિશાળી, વગદાર કે અનુભવી વ્યક્તિઓની બાબતમાં બનતું હોય છે. જે માત્ર બુદ્ધિશાળી જ છે એને બહુ મોટી સફળતા ન મળે એવું બને. જે માત્ર વગદાર છે એની બાબતમાં પણ આવું જ બની શકે. જેની પાસે જમા બાજુએ માત્ર વર્ષોનો અનુભવ જ છે તેની જિંદગી પણ નિષ્ફળતાની આસપાસ ઝોલાં ખાતી હોય એવું બને.

અહીં આપણે દુનિયા જેને સફળતા કહે છે તેની વાત કરી રહ્યા છીએ. એ પ્રકારની સફળતા ઈચ્છનીય છે કે નહીં એ વિશેની ચર્ચાને બાજુએ રાખીને આ વાત કરી રહ્યા છીએ.

મહેનત અને સાહસ આ બેઉ ગુણ એકસાથે હોવાં જોઈએ, સફળતા માટે. અને એ એકસાથે હોય એટલું જ પૂરતું નથી. ક્યાં, ક્યારે અને કેટલી મહેનત કરવી તેમ જ ક્યાં, ક્યારે અને કેટલું સાહસ કરવું એની સમજ પણ હોવી જોઈએ. આ સમજ કોઠાસૂઝથી આવે, આ સમજ જાતે પડી-આખડીને અનુભવથી પણ આવે અને આ સમજ બીજાઓના વ્યવહાર-વર્તનનું બારીક નિરીક્ષણ કરીને પણ આવે.

સફળ માણસો શા માટે સફળતા પા્રપ્ત કરે છે તેનો અભ્યાસ જેટલો જરૂરી છે એટલો જ જરૂરી છે નિષ્ફળતા મેળવનારી વ્યક્તિઓની નિષ્ફળતાનાં કારણોનો અભ્યાસ.

સફળતા કોઈ એક ગુણને કારણે નથી મળતી. વિવિધ ગુણનું કૉમ્બિનેશન સફળતા અપાવે છે. નિષ્ફળતા કોઈ એક ભૂલને કારણે નથી મળતી. એક કરતાં વધુ ભૂલોની યુતિ સર્જાયા પછી ધબડકો વળતો હોય છે. સફળતા માટે માત્ર તક મળવી પૂરતી નથી. તક મળ્યા પછી એમાં બીજું ઘણું ઉમેરવાનું હોય છે. એ જ રીતે એકાદ ખોટા નિર્ણયને કારણે માણસ નિષ્ફળ નથી જતો, એ ખોટો નિર્ણય લીધા બાદ એક પછી એક સર્જાતી કમનસીબ ઘટનાઓની ડોમિનો ઈફેક્ટને ખાળવાની અશક્તિ અથવા અણસમજને કારણે એ નિષ્ફળ જાય છે.

ખોટા નિર્ણયો તો દરેક સફળ માણસે જિંદગીમાં અનેક વાર લીધા હોય છે. આ નિર્ણયોને કારણે એમણે ઘણું સહન પણ કર્યું હોય છે. પણ ખોટા નિર્ણયો લેવાયા પછી તરત જ શરૂ થતી આપત્તિઓની હારમાળા ખાળવા માટે, તારાજગી શરૂ થયા પછી પણ જેટલું બચી શકતું હોય એટલું બચાવી લેવા માટે તેઓ એટલી જ મહેનત કરતા હોય છે જેટલી સફળતા મેળવવા માટે કરે છે. હશે, જે થઈ ગયું તે થયું, નવેસરથી મહેનત કરીશું એવું વિચારીને તેઓ પોતાનું સઘળું લૂંટાઈ જવા દેતા નથી. એમને ખબર હોય છે કે નુકસાન તો થયું જ છે, પણ એ નુકસાનને પરિણામે થતા ઘસારામાંથી ઓછામાં ઓછું ગુમાવીને બહાર નીકળી જઈશું તો ભવિષ્યમાં આવનારી બીજી અણધારી નિષ્ફળતાઓ ઝીલવાની તાકાત આવશે.

સતત નિષ્ફળતાઓથી સંપૂર્ણપણે તૂટી જનારા લોકોનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ કે તેઓ નિષ્ફળતાની શરૂઆત થતાં જ હિંમત હારી બેસે છે. શરૂઆતના બે ચાર પગલાં ખોટાં મંડાયા હોય તો પણ સારી દિશા શોધવામાં ખાસ મોડું નથી થયું હોતું. આ બાબતમાં અંતિમ કે આખરી એવું કશું જ નથી હોતું.

આવનારી નિષ્ફળતાને જોઈ શકનારો માણસ બીજું કશું નહીં તો કમસે કમ ઓછામાં ઓછું નુકસાન કરીને બહાર આવી જઈ શકતો હોય છે. નુકસાન સહન કરવાની ક્ષમતા અને નિષ્ફળતામાંથી પાઠ શીખવાની આવડત સફળતાનું પહેલું પગથિયું છે.

પણ લોકો પોતાની નિષ્ફળતાને છુપાવેે છે. પોતાની નિષ્ફળતાઓની પ્રક્રિયા માણસે પોતે જ સમજવાની હોય, બીજાઓ આગળ જઈ જઈને સમજાવવાની ન હોય. ફોર ધેટ મેટર બીજાઓની સમક્ષ તમારી સફળતાની કે નિષ્ફળતાની કોઈ વાત જ ન કરવાની હોય.

સફળતાની વાત કરશો તો સામેવાળી વ્યક્તિ કાં તો તમને શેખીખોર માનશે, ઘમંડી માનશે કાં તમારી ઈર્ષ્યા કરશે. શક્ય છે કે તમને સાવ જુઠાડા પણ માને.

તમારી નિષ્ફળતાની વાત કરશો તો સામેની વ્યક્તિ તમારા પ્રત્યે કદાચ સહાનુભૂતિ દેખાડશે. એ સહાનુભૂતિ ચોવીસ કૅરેટની હોય કે તદ્દન તકલાદી-સહાનુભૂતિઓથી ક્યારેય કોઈનું પેટ ભરાયું નથી કે ભલું થયું નહીં. અને શક્ય એ છે કે તમે ઈન ગુડ ફેઈથ કહેલી તમારી નિષ્ફળતાઓની કબૂલાતમાંની વિગતોનો ઉપયોગ સામેની વ્યક્તિ ભવિષ્યમાં તમારું જ નુકસાન કરવા માટે વાપરે. આવું કદાચ ન પણ થયું તોય તમારી નિષ્ફળતાથી પેલી વ્યક્તિ મનોમન ખુશ તો જરૂર થવાની. બે કારણોસર: એક પોતે એવી નિષ્ફળતાને દૂર રાખી શક્યા છે એટલે અને બે, જોયું ને-હું નહોતો કહેતો કે બહુ ઉપર ચડે છે તે ક્યારેક એવો પટકાશે તે પટકાયો ને-આવું વિચારીને. પોતે સાચા પડ્યા એવું માનીને પણ પોતાની જાત આગળ માણસે નિષ્ફળતા છુપાવવી નહીં. કબૂલ કરવું કે આ નિષ્ફળતા પાછળ ખરેખરાં કારણો ક્યાં હતાં. મોટા ભાગના લોકો નિષ્ફળતા મળ્યા પછી, બીજાઓને દોષ આપીને પોતાના નસીબનો વાંક કાઢતા રહે છે.

સફળતા ક્યારેય આપણા એકલાની નથી હોતી. એમાં કેટલી બધી વ્યક્તિઓનો સીધો યા આડકતરો હિસ્સો હોય છે, કેટલીય અજાણી વ્યક્તિઓએ પણ એ સફળતામાં ભાગ ભજવ્યો હોય છે. આમ છતાં જશનો તાજ માત્ર તમારા એકલા પર મૂકવામાં આવે છે. તમે એ પહેરીને ખુશી ખુશી મહાલતા રહો છો.

પણ નિષ્ફળતા વખતે તમારા માથે મુકાતો દોષનો ટોપલો ઊંચકવાની તમે આનાકાની કરો છો. કોણે-કયાં-કેવી રીતે તમારો વિશ્ર્વાસભંગ કર્યો, સાથ ના આપ્યો વગેરે કહીને તમે એકલા એ બોજ ઉપાડવાની ના પાડો છો. તે વખતે એવું નથી વિચારતા કે તમારી સફળતાના ભાગીદારો પાસેથી યશ ઝૂંટવીને એકલા પ્રકાશમાં આવવામાં તમને કોઈ વાંધો નહોતો. તો પછી અત્યારે બીજાઓને કારણે મળેલા અપયશને સ્વીકારી લેવામાં શો વાંધો છે?

નિષ્ફળતા વખતે બીજાઓનાં વાંક કાઢવો સહેલો છે. હકીકત એ છે કે દરેક નિષ્ફળતાના કેન્દ્રમાં વ્યક્તિ પોતે જ હોય છે. દરેક સફળતાનો પરિઘ વ્યક્તિની આસપાસ રહેલી અનેક વ્યક્તિઓને કારણે જ વિસ્તરે છે.

સચ્ચાઈનો સામનો નહીં, પણ આદર કરવો પડે છે - મહેન્દ્ર પુનાતર


મોઢે સાચું સ્પષ્ટ કહેનારા લોકો ભલે કડવા લાગે, પણ દર્પણની ગરજ સારે છે. બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ રહેવું અને જરૂર ન હોય ત્યારે વધારે પડતું બોલવું, બંને સમાજહિતમાં નથી. સામાજિક સંસ્થાઓને શોભાના કાંગરા તો મળી રહે છે, પણ તેમને પાયાના પથ્થરોની જરૂર છે

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

સમાજ, ધર્મ અને રાજકારણમાં મને હંમેશાં સ્પષ્ટવક્તા અને નિખાલસ માણસો ગમ્યા છે. આવા સ્પષ્ટ સીધેસીધું બોલનારા માણસોના શબ્દોમાં મહદંશે સચ્ચાઈ હોય છે. આવા માણસો જે હોય તે મોઢા પર બોલીને ઘડીભર આપણને ભલે મૂંઝવણમાં મૂકી દેતા હોય, પરંતુ તેઓ પોતાનો મત છુપાવી આપણને છેતરતા નથી. ઘણા માણસો આપણી વાતમાં સૂર પુરાવતા હોય છે અને આપણી સાથે સંમત છે એવો ડોળ પણ કરતા હોય છે અને પાછળથી ટીકા કરીને વિપરીત અભિપ્રાયો વ્યક્ત કરે છે. આવા લોકો પર વિશ્ર્વાસ રાખીને આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. જે લોકો પર ભરોસો રાખ્યો હોય તેઓ છેલ્લી ઘડીએ ફરી બેેસે છે. સમાજમાં નિખાલસ રીતે પોતાનો મત પ્રગટ નહીં કરનારા લોકોના કારણે મોટે ભાગે ગૂંચવણો ઊભી થતી હોય છે. સમાજ અને સંસ્થાઓનાં કામોમાં આવા સ્પષ્ટ બોલનારા લોકો દર્પણની ગરજ સારે છે પણ આમાં તોછડાઈ, તુમાખી અને દંભ નહીં હોવો જોઈએ અને મારી જ વાત સાચી એવો હઠાગ્રહ નહીં કરવો જોઈએ. વાતને વિકૃત રીતે રજૂ કરવાથી સાચી વાત પણ સંભળાતી નથી. દંભ અને કપટરહિત નિખાલસ માણસોના અભિપ્રાયમાં સમાજ અને સંસ્થાનું પ્રતિબિંબ પડતું હોય છે. બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ રહેવું અને જરૂર ન હોય તો વધારે પડતું બોલવું એ બંને બાબતો સમાજહિતમાં નથી. સમાજ અને સંસ્થાઓ ગતિશીલ અને પ્રાણવાન બનતી નથી તેનું એક કારણ એ છે કે આપણે કોઈ અભિપ્રાય કે મત વ્યક્ત કરતા નથી. આપણે બધું ગોળગોળ અને મભમ રાખીએ છીએ. આપણે હંમેશાં એવો વિચાર કરીએ છીએ કે આમ બોલવાથી સામા માણસને ખોટું લાગશે અને સામો માણસ શ્રીમંત કે વગદાર હોય તો આપણે બિનજરૂરી તેની શેહમાં આવી જઈએ છીએ. આવા સમયે આપણને લાગે છે કે બોલીને આંખે ચડવાની જરૂર નથી. જે થતું હોય તે થવા દો. આનાથી સંસ્થાઓને ભારે નુકસાન થાય છે. સામાજિક અનેે સંસ્થાકીય બાબતોમાં ખોટું લગાડવાનું હોય નહીં. આમાં તો પરસ્પરના અભિપ્રાયોને મહત્ત્વ આપવું જોઈએ.

દરેક ક્ષેત્રમાં સાચા અને નિખાલસ માણસોના અભિપ્રાયનું વજન રહે છે. તેમની વાત સાંભળવી પડે છે અને તેના પર ધ્યાન આપવું પડે છે. સત્યનો વહેલો કે મોડો સ્વીકાર કરવો પડે છે. સચ્ચાઈનો સામનો કરી શકાતો નથી, તેનો આદર કરવો પડે છે.

સામાજિક સંસ્થાઓમાં સાચા માણસો હંમેેશાં અળખામણા થતા હોય છે, કારણ કે તેઓ ખોટું ચલાવી લેતા નથી અને કોઈની ખુશામત કરતા નથી. આવા સાચા માણસો હંમેશાં આકરા લાગે છે. સામાજિક અને રાજકારણમાં રહેલા કેટલાક લોકો પહેલેથી કશું સ્પષ્ટ કરતા નથી. કેટલીક વાતો છુપાવી રાખે છે અથવા ગર્ભિત બનાવે છે. નિર્ણયોમાં સ્પષ્ટતા રાખતા નથી. ગમે ત્યારે ફેરવી તોળે છે અથવા પોતાની મરજી મુજબનું અર્થઘટન કરે છે. સમાજ અને સંસ્થાઓમાં હોય તેના કરતાં સારું દેખાડવાનો અને ઊણપો બહાર ન આવે એવા પ્રયાસો થતા હોય છે. કામ કરતાં વાતો વધારે હોય છે. સંસ્થાઓમાં પણ હવે રાજકારણ ઘૂસી ગયું છે. કેટલાક માણસો અડ્ડો જમાવીને મનમાની કરતા હોય છે. સાચા, સારા, નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ અને સૌજન્યશીલ માણસો સંસ્થાઓથી દૂર થતા જાય છે. દરેક જગ્યાએ કાંઈક ને કાંઈક ડખા છે. સીધા, સાદા, નિખાલસ માણસો સંસ્થાઓ ચલાવવા માટે લાયક ગણાતા નથી. પાકા, વહેવારુ, ગણતરીબાજ અને જેમને આડુંઅવળું સમજાવીને માર્ગ કાઢતાં આવડે છે તેમને આ માટે સફળ ગણવામાં આવે છે. સમાજમાં દંભ, દેખાવ અને સ્ટેટસ જાળવવા લખલૂટ ખર્ચા થતા હોય છે. સૌને પોતાની ઈમેજ જાળવી રાખવી છે. માણસ એક વખત મોટો થયા પછી તેને નાનું થવું ગમતું નથી. ગમે તેવા સંજોગોમાં પણ સ્થાન ટકાવી રાખવા માટે હુંસાતુંસી અને કાવાદાવા થતા હોય છે. વૃદ્ધાવસ્થાને આરે આવેલા અશક્ત અને નિષ્ક્રિય લોકો પણ સંસ્થાઓના હોદ્દા છોડતા નથી. તેમને એમ લાગે છે કે તેમના વગર આ સંસ્થાઓ ચાલશે નહીં. આવા માણસોને કોઈ ઊંચકીને ફેંકી ન દે ત્યાં સુધી તેઓ હોદ્દાઓ પર ચીટકી રહે છે. યોગ્ય સમયે નિવૃત્ત થવું એ પણ એક કલા છે. એક વખત ઊંચા આસને બેઠા પછી માણસને નીચે બેસવું ગમતું નથી.

કુટુંબ અને સમાજમાં સારા થવાનું, મોટા થવાનું કોને ન ગમે? પણ આ માટેની લાયકાત હોવી જોઈએ. દંભ અને દેખાડા દ્વારા જે મોટો થાય છે તેની મોટાઈ લાંબો સમય ટકતી નથી. છેવટે માણસ જેવો છે તેવો કળાઈ આવે છે. કેટલીક વખત પૈસાને માન મળતું હોય છે. વાહવાહ થતી હોય છે. માણસ આમાં અંજાઈ જાય છે. તેને એમ લાગે છે કે મારા જેવું કોઈ નથી. આ જ બાબત તેના પતનનું કારણ બને છે. જે લોકો સારું કામ કરે છે તેમને ઢંઢેરો પીટવો પડતો નથી. સારાં કાર્યોની હંમેશાં કદર થતી હોય છે. ભલે તેને સ્વીકૃતિ મોડી મળે. હવે પહેલાંના જેવી પરિસ્થિતિ નથી. લોકો સમજતા થયા છે. સાચા અને ખોટાની તેમને સમજ છે. પણ લોકો અવાજ ઉઠાવતાં અચકાય છે. કેટલાક માણસો સમજે છે જવા દો, આ બધી માથાકૂટમાં શા માટે પડવું, આ નવરા માણસોનું કામ છે. આવી ઉદાસીનતાના કારણે સંસ્થાઓ અમુક ચોક્કસ જૂથના ઈજારા જેવી બની ગઈ છે. તેઓ સંસ્થાના કામ અને વહીવટને એટલો બધો અટપટો બનાવી નાખે છે કે બીજા આમાં આવતાં ગભરાય છે. સંસ્થાઓમાં હંમેશાં સાચા, નિષ્ઠાવાન કાર્યકરોની ખોટ રહી છે. સંસ્થાઓ પાયાના પથ્થર જેવા સંનિષ્ઠ કાર્યકરો દ્વારા ચાલે છે અને કાંગરા પર રહેલા, ઉપર બેઠેલા માણસો તેનો યશ લઈ રહ્યા છે. જીવન અને વહેવારમાં જેટલી સરળતા અને સહજતા હોય તે બધું સારું છે. દંભ અને દેખાવ કરવાની જરૂર નથી અને એ લાંબો સમય ટકશે પણ નહીં. કૃત્રિમ કવચથી માણસનું મૂળભૂત વ્યક્તિત્વ હણાઈ જાય છે. તેના આંતરિક ગુણોને વિકસવાની તક મળતી નથી અને માણસ પોતાની જાતને છેતરતો થઈ જાય છે.

આપણે જે કાંઈ જોઈએ છીએ, માનીએ છીએ અને સમજીએ છીએ એ જ સાચું છે અને બીજું ખોટું છે એવો હઠાગ્રહ રાખવો જોઈએ નહીં. સત્યનાં અનેક પાસાંઓ છે. બીજાની વાતમાં પણ સત્યના અંશો રહેલા હોય છે અને આ બધાના સુમેળથી પૂર્ણ સત્ય પર પહોંચી શકાય છે. સમાજમાં સારા માણસો ઘણા છે પણ સાચા માણસો બહુ ઓછા.

બીજા આપણે કહીએ તે કરે, આપણું અનુકરણ કરે એવો આગ્રહ રાખવો પણ નકામો છે. દરેકને પોતાના વિચારો અને મત હોય છે. અને આ વૈચારિક સ્વતંત્રતા દ્વારા જ સમાજ ટકી રહે છે અને મજબૂત બને છે. દરેક બાબતને જોવાની સૌની દૃષ્ટિ જુદી છે, જ્યાં સુધી સમગ્ર બાબતને મૂળભૂત અર્થમાં ન સમજીએ અને તેને બધી બાજુએથી ન જોઈએ ત્યાં સુધી સાચું શું છે તે સમજી શકાય નહીં.

સામાજિક ક્ષેત્રમાં સાચી વાત સમજદારીથી કહેવાની હોય છે. તેમાં વિનય અને વિવેક જાળવવો જોઈએ. તેમાં કડવાશ ઊભી ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે અને કોઈની માનહાનિ કરવાનો ઈરાદો હોવો જોઈએ નહીં. આમાં જેટલુ મન ખુલ્લું તેટલી વાત અસરકારક અને પ્રભાવિક બને છે. વહેવારમાં વાણી એક મહત્ત્વનું સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જીભ બે ધારી તલવાર છે, તેના દ્વારા સારું અને ખરાબ બંને થઈ શકે છે. પસંદગી આપણી છે.

સમાજમાં કેટલાક માણસો પોતાને જે કરવું હોય તે કરતા રહે છે અને સિદ્ધાંતની વાતો કરે છે. તેમના સિદ્ધાંતો સગવડિયા ધર્મ જેવા બની રહે છે. તેને ગમે ત્યાં લાગુ કરી શકાય છે. કોઈ વાતમાં આપણને સફળતા મળે અથવા લોકો આપણી વાત સ્વીકારે ત્યારે આપણે સાચા છીએ એમ માનવાની કે સત્યનો વિજય થયો છે એવું ધારવાની જરૂર નથી. સત્યનો વિજય કે પરાજય હોતો નથી. સત્ય તો તેનું તે જ રહે છે. આપણે કેવી રીતે મૂલવીએ છીએ તેના પર બધો આધાર છે. સાચા અને ખોટા વચ્ચે પાતળી ભેદરેખા છે. એટલે સાચું શું અને ખોટું શું એ માણસ પોતાની રીતે સમજતો હોય છે. માણસ ખુદ તેનો માપદંડ છે.

આપણે સામા માણસની વાત સાચી છે કે નહીં તે કદાચ ન સમજી શકીએ પણ આપણી પોતાની વાત સાચી છે કે નહીં તે જરૂર સમજી શકીએ. આ માટે ખુલ્લું મન હોવું જોઈએ. દરેક અસત્ય વાત સત્યના વાઘા પહેરીને આવતી હોય છે. આ નકાબને જે પર્દાફાશ કરી શકે છે તે સત્યનાં દર્શન કરી શકે છે. આ માટે નિર્મળ દૃષ્ટિ, નિ:સ્વાર્થ ભાવના અને નિષ્પક્ષતા હોવી જોઈએ.

દરેક માણસ પોતાના અંતરના અવાજ પ્રમાણે ચાલે અને અંત:કરણ પ્રમાણે વર્તે તો તે સત્યના માર્ગે ચાલી શકે છે. ખોટું કરતી વખતે માણસનું મન ડંખતું હોય છે. બુદ્ધિ અને મન વચ્ચે તુમુલ યુદ્ધ ચાલતું હોય છે. સાચી વસ્તુ સમજવા માટે સહિષ્ણુતા જોઈએ.

આપણે મોટા ભાગે અસત્ય અને જૂઠ સામે નમી જઈએ છીએ. અસત્ય સામે ઝૂકવું, જૂઠ સામે નમી પડવું અને ખોટા માણસોને વધુ પડતું મહત્ત્વ આપવું તેમાં આપણું ઔદાર્ય નહીં પણ નબળાઈ છે.

સામાજિક ક્ષેત્રમાં રહેલા માણસો વધુ સહિષ્ણુ, ઉદારમતવાદી, સરળ અને પારદર્શક બને એ અત્યારના સમયની જરૂરત છે. આવા સાચા પ્રામાણિક માણસો સંસ્થાઓ ચલાવતા હોય છે બાકીના શોભાના ગાંઠિયા જેવા હોય છે. સંસ્થાઓને શોભાના કાંગરાઓ તો મળી રહે છે, પરંતુ તેમને પાયાના પથ્થરોની જરૂર છે.

પુત્રને નાની નાની સલાહ - આશુ પટેલ

જીવનમાં સંપૂર્ણતા માટે નહીં શ્રેષ્ઠતા માટે કોશિશ કરવી જોઈએ

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

હમણાં ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન’ પુસ્તક હાથમાં આવ્યું. એ પુસ્તકના લેખક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને નાની નાની સલાહ આપતી ડાયરી લખી હતી. પુત્રને આપેલી સલાહો પરથી એમને પુસ્તક તૈૈયાર કરવાનો વિચાર આવ્યો. આ પુસ્તક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને જ અર્પણ કર્યું છે. જેક્સન બ્રાઉને બહુ સરળ શબ્દોમાં પુત્રને શીખામણો આપી છે. આજના સમયમાં પિતા-પુત્ર વચ્ચે સંવાદ ઘટતો જાય છે. ત્યારે જેક્સન બ્રાઉનના પુસ્તકની કેટલીક સલાહ વાંચવા જેવી છે.

* જીવનમાં કંઈ પણ કરે ત્યારે સંપૂર્ણતા માટે નહીં, શ્રેષ્ઠતા માટે કોશિશ કરજે.

* પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એનું કામ બિલકુલ નજીવું લાગતું હોય.

* એવી રીતે જીવજે કે તારા પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે તેઓ તને યાદ કરે.

* વિચારો મોટા કરજે, પણ નાના-નાના આનંદ માણી લેજે.

* ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની કોશિશ કરજે.

* જેમને એ વાતની ક્યારેય જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારું કરવાની આદત કેળવતો રહેજે.

* બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. બીજા લોકોને એમનું મહત્ત્વ ભાસે એવું કરવાની તક શોધતો રહેજે.

* તારા કુટુંબને તું કેટલો પ્રેમ કરે છે એ દરરોજ શબ્દો વડે, સ્પર્શ વડે અને તારી વિચારશીલતા વડે દર્શાવતો રહેજે.

* હારમાં ખેલદિલી બતાવજે, જીતમાં ખેલદિલી બતાવજે. કોઈની પણ પ્રશંસા જાહેરમાં કરજે પણ ટીકા ખાનગીમાં કરજે.

* તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે, ભલે પછી એ નાનકડું ફુલ હોય.

* આપણાથી સહેજ જેટલું થઈ શકે એમ છે એવું લાગે માટે કશું જ નહીં કરવું એમ નહીં રાખતો. જે થોડુંક પણ તારાથી થઈ શકે એ કરજે જ.

* કોઈ પણ વિશે ક્યારેય આશા સમૂળગી છોડી દેતો નહીં. ચમત્કારો દરરોજ બનતા હોય છે. 


* તુચ્છ લાગે છે એને પારખી લેતા અને પછી અવગણતા આવડવું જોઈએ
ગઈકાલે જેક્સન બ્રાઉનના પુત્રને સલાહ આપતા પુસ્તકમાંથી કેટલીક શિખામણોની વાત કરી હતી. પોતાનો પુત્ર કરિયર માટે ઘર છોડીને બીજા શહેરમાં જઈ રહ્યો હતો. ત્યારે જેક્સન બ્રાઉને તેને જે લેખિત શિખામણો આપી હતી એના આધારે છપાયેલા પુસ્તકની કેટલીક વધુ વાતો:

* દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને એ માટે કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

* તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ ક્યારેય માનતો નહીં.

* સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ ક્યારેય નહીં વાંચી શકાય એમ લાગે.

* ખુશામત એવી ચીજ છે જે બધું અનિષ્ટ જાણવા, સમજવા છતાં પણ એને અવગણતા તકલીફ પડે છે.

* સુખના આધારે આપણે જેમને ચાહતા ને સન્માનતા હોઈએ એવા લોકો સાથેના આપણા સંબંધો આપણી સ્થિતિ પર રહે છે એટલું સમજજે.

* દિમાગ મજબૂત રાખજે, પણ કાળજું કૂણું રાખજે.

* કોણ સાચું છે એની ચિંતા કરવામાં સમય ઓછો બગાડજે અને શું સાચું છે એ નક્કી કરવામાં વધારે.

* દરેક ચીજ જે હાલતમાં મળે એના કરતા સહેજ સારી સ્થિતિમાં મૂકવાનો પ્રયાસ કરજે.

* સમય નથી મળતો એમ ક્યારેય ના વિચારતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળે છે, જેટલા હેલન કેલર અને બીજા મહાન માણસોને મળ્યા હતા.

* કોઈ પણ મહાન વસ્તુ તકલીફ સહન કર્યા વિના મળતી નથી.

* જે ગાંઠ છૂટી શકે એમ હોય એને ક્યારેય કાપતો નહીં. આ વાત સંબંધોની સાચવણી માટે અનિવાર્ય સમજજે.

* સફળ લગ્નજીવનનો મુખ્ય આધારસ્તંભ છે, યોગ્ય પાત્ર બનવું.

* એકંદર યુદ્ધમાં વિજય મેળવવા નાની નાની લડાઈઓમાં હારતા શીખજે.