Wednesday, June 19, 2013

ઘર એક મંદિર - મહેન્દ્ર પુનાતર

ઘર એક મંદિર: પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર
જીવન અને વહેવારમાં ધર્મ જેટલો ઊતરવો જોઈએ તેટલો ઊતર્યો નથી. ધર્મના પ્રભાવની સાથે જીવન જે રીતે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી. ધર્મના રંગે રંગાયેલા માણસોના ચહેરાઓ મુરઝાયેલા કેમ? માણસ મંદિરમાં જેવો દેખાય છે તેવો ઘરમાં બની રહે તો ઘર નંદનવન બની જાય. ધર્મ એ જીવન જીવવાની કલા છે, પણ આપણે તેને સાચી રીતે સમજતા નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મનો પ્રભાવ ચોમેર વધ્યો છે. મંદિરો, દેરાસરો, હવેલીઓ, ઉપાશ્રયો અને ધર્મસ્થાનકોમાં લોકોની ભીડ વધી છે. કથાઓ, વ્યાખ્યાનો, આધ્યાત્મિક શિબિરો અને પ્રવચનોમાં મોટી સંખ્યામાં લોકો ઊભરાય છે. મોટા ભાગના લોકો નતમસ્તકે ધ્યાનપૂર્વક સાંભળતા હોય એવું લાગે છે. જીવન અને ધર્મ અંગે જાણવાની લોકોની જિજ્ઞાસા વધી છે. આમ છતાં ધર્મની જીવન પર જે અસર થવી જોઈએ તે થતી નથી. વર્તમાનમાં કોઈ પણ માણસ સાચા અર્થમાં સુખી નથી. ધર્મના પ્રભાવની સાથે જીવન જે રીતે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી. પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર છે. તેમાં ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. ધાર્મિક માણસ વધુ શાંત, સરળ અને સહજ હોવો જોઈએ. તેનું ઘર શાંતિનું મંદિર બનવું જોઈએ. ધર્મના રંગે રંગાયેલો માણસ પણ આટલો દુ:ખી અને વ્યથિત કેમ? ધર્મનો પ્રભાવ છતાં સમાજ ખોખલો કેમ બનતો જાય છે? સંપ્રદાયો, ધર્મના ઝઘડાઓ અને વાદવિવાદો કેમ વધતા જાય છે? આ બધા પ્રશ્ર્નોનો જવાબ એટલો સરળ નથી પણ એક વાત ચોક્કસ છે કે જીવન અને વહેવારમાં ધર્મ જેટલો ઊતરવો જોઈએ તેટલો ઊતર્યો નથી. ધર્મ એ જીવન જીવવાની કળા છે, પરંતુ ધર્મને આપણે સાચી રીતે સમજતા નથી. આપણે આપણી રીતે તેનું અર્થઘટન કરીએ છીએ. ધર્મની વાત સાંભળવી સારી લાગે છે, પણ તેનું અનુશરણ થઈ શકતું નથી. આપણા સ્વભાવ અને વલણમાં કાંઈક પાયાની ખામી છે. ધર્મ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે, પણ આપણે આડેપાટે ચડી ગયા છીએ. આપણે ધર્મને આપણા ચોકઠામાં ફિટ કરી દીધો છે. આપણે જે કાંઈ કહીએ અને કરીએ તે જ સાચું, બીજું બધું ખોટું એમ માનીએ છીએ એટલે સાચી દિશા સૂઝતી નથી અને તેનાં ઘણાં કારણો છે. દંભ અને દેખાવ વધ્યો છે. આપણે જે કાંઈ છીએ તેના કરતાં જુદું જીવીએ છીએ. બહારનું અને અંદરનું જીવન અલગ છે. ધર્મનું મહોરું પહેરી લીધું છે પણ વહેવાર એટલો શુદ્ધ જણાતો નથી. સ્વાર્થ આવે ત્યારે માણસ જૂઠ અને કપટ આચરતાં અચકાતો નથી. ક્રોધ, લોભ અને મોહ છૂટતો નથી. પ્રેમ, દયા અને કરુણાનાં ઝરણાંઓ જે વહેવાં જોઈએ તે દિલમાં વહેતાં નથી. બહારથી માણસ સદાચારી લાગે છે, પરંતુ ભીતરનું જીવન ધર્મથી તદ્દન વિમુખ છે. ધર્માત્માઓનું જીવન અને આચરણ પણ જુદું ભાસે છે. તેઓ જોઈએ તેટલો પ્રેરણાનો સ્ત્રોત બની શક્યા નથી.

બીજું કારણ છે માણસ જાણ્યે-અજાણ્યે હિંસામાં પ્રવૃત્ત છે. આપણે રોજબરોજ સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા આચરતા રહીએ છીએ. હિંસા દૂર થાય નહીં ત્યાં સુધી પ્રેમ પ્રગટ થઈ શકે નહીં. ક્રોધ, લોભ અને મોહ પણ હિંસાનાં સૂક્ષ્મ સ્વરૂપો છે. આ ત્રણે એકબીજા સાથે સંકળાયેલાં છે. તેમાં માણસ પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી, ન કરવાનું કરી બેસે છે. પ્રગટ, અપ્રગટ હિંસાના ભાવો દૂર થાય નહીં ત્યાં સુધી મૈત્રીભાવના વિકસિત થઈ શકે નહીં.

ત્રીજું કારણ છે મંદિરનો ધર્મ ઘર અને દુકાન સુધી પહોંચતો નથી, પરંતુ દુકાનો મંદિર સુધી પહોંચી ગઈ છે. મંદિરમાં અને દેરાસરમાં માણસ પ્રભુ સામે બે હાથ જોડીને ઊભો હોય ત્યારે તેના ભાવો જોઈને આપણને એમ લાગે કે આ માણસ હવે જીવનમાં કદી ખોટું કરશે નહીં, પરંતુ મંદિરનાં પગથિયાં ઊતરતાંની સાથે જ ધર્મ વીસરાઈ જાય છે અને દુકાનો સુધી પહોંચ્યા પછી ધર્મ ધર્મ રહેતો નથી, પણ પાકો વહેવાર બની જાય છે. માણસ મંદિરમાં જેવો દેખાય છે તેવો ઘરમાં રહે તો ઘર નંદનવન બની જાય, પરંતુ આવું બનતું નથી. કૌટુંબિક વિખવાદ, સ્વાર્થના આટાપાટા, આ તારું અને આ મારું, હું કહું એ જ સાચું, પૈસાનો લોભ, આ બધાના કારણે જીવન કલૂષિત બની ગયું છે. જેની પાસે છે અને જેની પાસે નથી એ બંનેની સ્થિતિ સરખી છે. ધર્મ પોથીમાંનાં રીંગણાં જેવો બની ગયો છે.

ચોથું કારણ આપણે અહંકારમાં જીવી રહ્યા છીએ. ચોમેર બહોશી, કેફ અને નશો છે. કોઈને તનનું, કોઈને ધનનું તો કોઈને પદ-પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણો અહંકાર જ આપણું નુકસાન કરે છે. સુખેથી રહેવા દેતો નથી.

એક સૂફી સંત પાસે એક માણસ આવ્યો અને તેનાં વખાણ કરવા લાગ્યો. તેણે કહ્યું, ‘આપ સાક્ષાત્ ભગવાન છો. આપનાં દર્શનથી હું ધન્ય થઈ ગયો. આપ સર્વ વ્યાપી, પરમ જ્ઞાનિ, મહાન આત્મા છો. દુ:ખી અને ગરીબોના બેલી છો.’ આવું બધું આ માણસ બોલતો રહ્યો અને સંત સાંભળતા રહ્યા પણ કશું બોલ્યા નહીં.

આ માણસ ગયા પછી તુરત બીજો એક માણસ આવ્યો. તેને સંત સાથે કાંઈ વાંકું પડ્યું હશે. આવતાંની સાથે તે ગમેતેમ બોલવા લાગ્યો. તેણે સંતને લુચ્ચા, લફંગા, ધુતારા કહ્યા અને ગાળો આપી. છેવટે થાક્યો એટલે બૂમબરાડા પાડીને ચાલ્યો ગયો.

આ માણસ ગયા પછી ત્યાં બેઠેલા શિષ્યોએ સંતને કહ્યું, ‘આ માણસ આટલો બધો બકવાસ કરી ગયો અને તમે કશું બોલ્યા નહીં...’

સંતે કહ્યું, ‘તેણે કશું ખોટું કર્યંુ નથી. હું તેનો ઉપકારી છું. મારું સંતુલન ડગી ગયું હતું તેણે ઠીક કરી દીધું છે. આ પહેલા આવેલા માણસે મારી ભારોભાર પ્રશંસા કરીને મારા અહંકારના પારાને ઊંચે ચડાવી દીધો હતો. આ માણસે આવીને તેને નીચે ઉતારી દીધો છે. હવે હું મૂળ સ્થિતિ પર પાછો આવી ગયો છું.’

પ્રશંસા, ખુશામત ભલભલાને ડગમગાવી નાખે છે. એક વખત તેનો નશો ચડ્યા પછી ઊતરતો નથી. તે માણસને ખુવાર કરી નાખે છે.

પાંચમું કારણ છે મોહ અને આસક્તિ. ઈચ્છાઓ અનંત છે. તે કદી પૂરી થતી નથી. બધાની ખુશીનું અંતર એક કદમ દૂર છે. ગમે તેટલું મળ્યા પછી પણ એક કદમ દૂર જ રહે છે. માણસને જીવનમાં જે કાંઈ મળ્યું છે તેમાં રાજી નથી. જે નથી મળ્યું તે આંખમાં ખટકે છે.

મોહનો અર્થ છે આપણે આપણામાં નહીં, પરંતુ બીજી કોઈ વસ્તુમાં જીવી રહ્યા છીએ. કોઈને પુત્રમાં, કોઈને પત્નીમાં તો કોઈને તિજોરીમાં મોહ રહેલો હોય છે. તેના વગર તેને જીવન અધૂરું લાગે છે. જેના પ્રત્યે મોહ હોય તેના પ્રત્યે માણસ આસક્ત બની જાય છે. કોઈને તિજોરી લૂંટાઈ જાય કે કોઈની ખુરશી ખેંચાઈ જાય તો મોહને વશ થયેલો તે માણસ ખતમ થઈ જશે, કારણ કે તેનો જીવ તેમાં ચોંટેલો હતો. આ મોહ સંસાર છે. જ્યાં આપણે જીવ રાખી દીધો તેના દાસ બનીને રહેવું પડશે. જે વસ્તુને આપણે પકડીશું તેના ગુલામ બની જઈશું. તેના વગર આપણને નહીં ચાલે. અને જે વસ્તુને જોરથી પકડી રાખીશું તે પકડ ઢીલી થઈ જતાં છટકી જશે અને તેને ગુમાવવાનો વારો આવશે ત્યારે દુ:ખ અને પીડાનો પાર નહીં રહે. કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ ઓછું થશે તો મોહ ધીરે ધીરે ખતમ થઈ જશે. પછી કોઈ ચીજ પ્રત્યે આસક્તિ નહીં રહે. ઉંમરની સાથે સંસારનાં સુખો બદલાયા કરે છે. આપણી અંદર જે વસ્તુ જોર કરતી હોય તે સંસાર બની જાય છે. આપણે તેને રંગોથી ભરી દઈએ છીએ. રાગનો અર્થ છે આસક્તિ. જેના પ્રત્યે રાગ અને આસક્તિ હોય તે આપણે મન સુંદર બની જાય છે અને આપણે તેનાથી મોહિત બની જઈએ છીએ.

ધર્મ જીવનમાં ઊતરતો નથી તેનું છઠ્ઠું કારણ છે સ્નેહ અને પ્રેમનો અભાવ. જીવનમાં પ્રેમનાં ઝરણાંઓ સુકાઈ ગયાં છે. તેમાં રાગ-દ્વેષનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે. માણસ વિકસવાના બદલે સંકુચિત બની રહ્યો છે. પ્રેમને આપણે ઘરમાં કેદ કરી દીધો છે. એકદમ નજીકના માણસો સિવાય કોઈના પ્રત્યે પ્રેમભાવના રહી નથી. પ્રેમનું આ ફલક વિસ્તરવાના બદલે સંકોચાઈ ગયું છે. હવે તેનો વિસ્તાર પત્ની અને સંતાનો પૂરતો સીમિત બની ગયો છે. માત-પિતા, ભાઈ-બહેનો પણ આમાંથી બાકાત થતાં જાય છે. પ્રેમ વિના દુનિયા નિર્ધન છે. પ્રેમ જીવનનું અમૃત છે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. બીજાને દુખ આપવાનો વિચાર પણ આવી શકે નહીં. સામાનું દુ:ખ આપણું દુ:ખ બની જાય. પ્રેમમાં માત્ર ફરજ અને કર્તવ્ય નહીં, પરંતુ સંપૂર્ણ સમર્પણ હોય છે.

મનુષ્ય જીવન દુર્લભ છે, પરંતુ તેનો બોધ થતો નથી. જીવનની યથાર્થતા સમજાય એ પહેલાં જીવન વેડફાઈ જાય છે. જે વસ્તુ હાથમાં હોય છે ત્યાં સુધી ખ્યાલ આવતો નથી, પરંતુ હાથમાંથી છટકી જાય છે ત્યારે તેની કિંમત સમજાય છે. જીવનમાં પણ આવું બને છે. મોત જ્યારે દરવાજો ખટખટાવે છે ત્યારે જીવનનું મૂલ્ય સમજાય છે. માણસ આવતી કાલનો વધુ વિચાર કરે છે. સમગ્ર જીવન ભવિષ્ય પર નિર્ભર છે. આવતી કાલની ચિંતાઓ, ઈચ્છાઓ અને વાસના કેડો છોડતી નથી. અસ્તિત્વ વર્તમાનમાં હોય છે અને વર્તમાનમાં રહે છે. જીવનમાં આજની ક્ષણ મહત્ત્વની છે. માણસ આજને માણી શક્તો નથી. ભવિષ્યની ચિંતામાં આજનાં સુખોને ગુમાવી દે છે. ધર્મ હંમેશાં વર્તમાનમાં રહે છે. આજે જે જામી જાય છે તેને આવતી કાલ સુધી રાહ જોવાની જરૂર નથી. જીવનને આજની સાથે જોડી દઈને અને તેની ક્ષણેક્ષણ માણીએ તો જીવન ખુદ ધર્મ બની જાય.

Wednesday, June 12, 2013

પૈસા ‘બહુત કુછ’ હૈ, પણ ‘સબ કુછ’ નહીં - મહેન્દ્ર પુનાતર


જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધન છે. આમ છતાં ધન સર્વસ્વ નથી. માત્ર એક સાધન છે. એનાથી સુખ મળશે એ પણ નિશ્ર્ચિત નથી. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેની ગુલામી પણ સ્વીકારી લેવી પડે છે. જેટલી કીમતી વસ્તુ આપણી પાસે હોય એટલો ભય વધારે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં પૈસાનું શું મહત્ત્વ છે. ધન કેટલું જરૂરી છે. ધર્મની દૃષ્ટિએ ધન અને ત્યાગમાં માણસનું શું વલણ હોવું જોઈએ અને તેની મર્યાદા કેટલી? આવા બધા પ્રશ્ર્નો દરેકના મનમાં ઊઠતા હોય છે અને કેટલીક વખત લોકોને આ અંગે જાણવાની જિજ્ઞાસા પણ ઊભી થતી હોય છે. સંતો અને મુનિ મહારાજો કહે છે પ્રામાણિકપણે આવે અને સન્માર્ગે વપરાય તે ધન સારું, પણ આની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. લોકો કહે છે પ્રામાણિકતાથી ધંધો કરવા બેસો તો માંડ માંડ રોટલા નીકળે બીજું કશું વળે નહીં. સાચું શું અને ખોટું શું એની પણ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. સૌને એમ લાગે છે કે પોતે જે કાંઈ કરી રહ્યો છે તે સાચું છે. ધન આજે સન્માર્ગે ઓછું વપરાય છે. મોજશોખ, દંભ અને પ્રદર્શન માટે તેનો ઉપયોગ થાય છે. ધન મળ્યા પછી બધાને સારા, મોટા દેખાવું છે અને આ અંગે હોડ ચાલી રહી છે.

પૈસો હાથનો મેલ હવે રહ્યો નથી ને ભલભલાના હાથનો મેલ ધોઈ નાખે છે અને બધી બૂરાઈઓને ઢાંકી દે છે. પૈસાનો ચળકાટ લોહચુંબક જેવો છે. તે સૌને આકર્ષે છે. આ માણસની પહેચાન છે. આ સિદ્ધિ, સફળતા અત્યારના અર્થમાં પૈસા સિવાય બીજું છે પણ શું?

ધન જીવનમાં જરૂરી છે. તેના વગર કશું થઈ શકે નહીં. ગમે તેટલી નશ્ર્વરતાની અને ત્યાગની વાત કરીએ પણ વાસ્તવિકતા આ છે. ગમે તેટલું ધન હોય પણ કોઈ કહેશે નહીં કે મારે હવે વધારે જોઈતું નથી. ધન વધવાની સાથે તેની પક્કડ પણ વધે છે. ધનનો પ્રભાવ ચોમેર વધ્યો છે. કુટુંબ, સમાજ, ધર્મ અને જીવનના હરક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે. પૈસા હોય તો લોકો સલામ કરે. ઊંચા આસને બેસવા મળે, પ્રશંસા અને ખુશામત થાય. આબરૂ અને પ્રતિષ્ઠા વધે. પૈસા ચાલ્યા ગયા તો બધું ખલાસ. માણસ કોડીનો થઈ જાય. નજીકના લોકો દૂર ખસી જશે. મિત્રો વિદાય થશે. સૌ કોઈ મુખ ફેરવી લેશે. લોકો માણસને નહીં પૈસાને પૂજે છે. સમાજ અને ધર્મમાં પણ પૈસાનું મહત્ત્વ વધ્યું છે.

પૈસો બહુ કામની ચીજ છે, પણ તે એક સાધન છે, સાધ્ય નહીં. તેમાંથી સુખ મળશે એ નિશ્ર્ચિત નથી, પરંતુ સગવડો અને સુવિધાઓ જરૂર મળશે. તેનાથી દુ:ખ ઓછું થઈ જશે એ કહેવાય નહીં, પરંતુ કપટ જરૂર ઓછું થઈ જશે. ધન શ્રીમંતો માટે દુ:ખનું કારણ બની શકે છે, જ્યારે ગરીબો માટે તે કષ્ટ નિવારણ છે. દુ:ખ માનસિક છે અને કષ્ટ શારીરિક છે. શ્રીમંતોને કષ્ટ હોતું નથી, દુ:ખ હોય છે, જ્યારે ગરીબોને દુ:ખ હોતું નથી કષ્ટ હોય છે.

ધનના સારા ગુણો એ છે તેનાથી આત્મવિશ્ર્વાસ વધે છે, સલામતીની ભાવના ઊભી થાય છે. સાચું કહેવાની હિંમત આવે છે અને માણસ થોડો ઉદાર બને છે અને કદીક સારું કરવાના વિચારો પણ પ્રગટે છે. પૈસાથી બધું ખરાબ થયું છે એવું નથી, ઘણું સારું પણ થઈ શક્યું છે.

ધનથી જો અભિમાન આવે, અહંકાર ઊભો થાય, દંભ વધે અને તુમાખી આવે તો તે ધનનો કોઈ અર્થ ન રહે. ધન સારું કે ખરાબ નથી. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર બધો આધાર છે. પ્રામાણિકપણે શુદ્ધ દાનતથી, પરિશ્રમ દ્વારા નીતિના માર્ગે જે ધન આવે છે તેનો આનંદ અપાર હોય છે. સહેલાઈથી મહેનત વગર જે ધન મળે છે તેને જતાં પણ વાર લાગતી નથી. પૈસા હોવા છતાં તેનું બેહૂદું પ્રદર્શન ન કરે, અહમ્ ન આવે અને નાના માણસ સાથે પણ નમ્રતાપૂર્વક પ્રેમપૂર્ણ વહેવાર કરે તેનું ધન દીપી નીકળે છે. આ તેની શ્રીમંતાઈ છે.જીવનમાં જે ચાર પુરુષાર્થ કહ્યા છે તેમાં ધર્મ પછી ધનનું બીજું સ્થાન છે. આમ છતાં પૈસો સર્વસ્વ નથી. પૈસાથી જીવનમાં બધાં સુખો મળશે એવી આશા રાખવી નકામી છે. જીવનની જરૂરિયાત સંતોષાય એટલો પૈસો જરૂરી છે. બાકીનો પૈસો મોજમજા અને એશઆરામમાં ખર્ચાય છે.

જીવનમાં જેમ ધન આવે છે તેમ જરૂરિયાત વધતી જાય છે અને માણસ સુખનો એદી બની જાય છે. ગાડી વગર ન ચાલે, નોકરચાકર જોઈએ, બંગલો, વાડી, ફર્નિચર અને ભૌતિક સુખોમાં માણસ અટવાઈ જાય છે. મહેનત, પરિશ્રમ ઓછો થઈ જાય છે. શરીર સ્વસ્થ રહેતું નથી અને આધિ, વ્યાધિ અને ઉપાધિ વધે છે. સુખ જરા ઓછું થઈ જાય તો દુ:ખના ડુંગરા આવી ગયા હોય એવું લાગે છે. જીવનમાં બધું થોડું થોડું મીઠું છે. એક સામટું સુખ અને એક સામટું દુ:ખ માણસને ડગમગાવી નાખે છે.

ધન વધતાં લોભ અને સંચયની વૃત્તિ વધે છે અને માણસ પરિગ્રહી બની જાય છે. જે મળે છે તેને ઓછું લાગે છે. સાચું સુખ સંતોષમાં છે. પૈસા આવે તેમ માણસ ઉદાર બનવો જોઈએ. માણસ મનથી દરિદ્ર હોય તો ધન-દોલત પણ તેને સુખ આપી શકે નહીં. ધન કેટલીક વખત માણસને સંકુચિત અને જડ બનાવી નાખે છે. માણસ પૈસા ગણતો થઈ જાય છે. પરિગ્રહમાં પણ સૂક્ષ્મ હિંસા સાથે ભય રહેલો છે. કોઈ પણ વસ્તુની માલિકી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે તેની ગુલામી પણ સ્વીકારી લેતા હોઈએ છીએ. આપણે જે કંઈ મેળવ્યું છે તે ચાલ્યું તો નહીં જાયને, કોઈ છીનવી તો નહીં લેને, ખોટ તો નહીં જાયને એવો ભય હંમેશાં સતાવ્યા કરે છે. વધુ મેળવવાની લાયમાં કેટલીક વખત પૈસા ગુમાવવા પડે છે. જેટલી કીમતી વસ્તુ આપણી પાસે હોય તેટલો ભય વધારે. મોટા ભાગના લોકો ધન-દોલતને પકડીને બેસી જાય છે. જીવન જેમ વીતતું જાય છે તેમ તેઓ તેના ગુલામ બની જાય છે. ધનથી સાથે માણસ બંધાઈ જાય છે. સાચો ત્યાગ એ છે કે તમે કોઈ વસ્તુમાં બંધાવ નહીં. પ્રાપ્તિમાં અને તેના અભાવમાં બંનેમાં સુખ માણો.

એક ફકીરનો મરવાનો સમય નજીક આવી ગયો હતો. તેની પાસે થોડાક પૈસા હતા. તેણે શિષ્યને કહ્યું, આ ગામના સૌથી ગરીબ માણસને હું આ પૈસા આપવા માગું છું.

આ જાણ થતાં ગામના લોકો આવવા લાગ્યા, પરંતુ ગરીબ તેને જણાયો નહીં. તેણે કહ્યું: હજુ અસલી ગરીબ આવ્યો નથી.

ત્યાં ગામના રાજાની સવારી નીકળી. રાજા પોતાના કટક સાથે બીજા ગામ પર ચડાઈ કરવા નીકળ્યો હતો.

રાજા જેવો માર્ગમાં ફકીરની ઝૂંપડી પાસેથી પસાર થયો કે ફકીરે પૈસાની થેલી તેના રથમાં ફેંકી.

રાજાએ કહ્યું, શી વાત છે? પૈસાની થેલી મારા પર શા માટે ફેંકી?

ફકીરે કહ્યું: હું મારી પૂંજી સૌથી ગરીબ માણસને આપવા ઈચ્છતો હતો અને મને એ ગરીબ માણસ મળી ગયો એટલે મેં આ થેલી ફેંકી છે.

રાજા સાથે રહેલા સેનાપતિએ કહ્યું: તું પાગલ થયો છે કે? જેની પર તે થેલી ફેંકી છે તે રાજા છે. તે સૌથી અમીર માણસ છે. તેમની પાસે શું નથી?

ફકીરે કહ્યું: રાજા પાસે ભલે ગમે તેટલું હોય પણ તેને હજુ વધુ જોઈએ છે. એટલે તો તેઓ બીજાના રાજ્ય પર ચડાઈ કરવા નીકળ્યા છે. જેમની પાસે ઓછું હોય છે તેમની ગુલામી પણ ઓછી હોય છે. રાજા પાસે અધિક છે. તેમની ગુલામી પણ મોટી છે અને ગરીબી પણ મોટી છે. તેમના જેવો ગરીબ માણસ મને બીજો કોઈ દેખાતો નથી.

જેમની પાસે વધુ હોય છે તેમની તૃષ્ણા અને લાલસાનો કોઈ અંત નથી. જેમની પાસે ઓછું હોય છે તેમની આશા તૃષ્ણા ધીરે ધીરે મરતી જાય છે. તેઓ પરિસ્થિતિને સ્વીકારી લે છે. મેળવવાની અને ગુમાવવાની તેમની શક્તિ સીમિત બની જાય છે. માણસ બહારથી જેમ સમૃદ્ધ બને છે તેમ અંદરથી પણ બનવો જોઈએ. મોરારીબાપુએ સુખની વ્યાખ્યા બતાવી છે. ‘ધન ઓછું, તન મધ્યમ અને મન મોટું એ માણસ સુખી.’

આપણે સૌ અંદરથી ખાલી છીએ એટલે બહારથી ભરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે આ ખાલીપાને ધન-દોલત, પદ અને પ્રતિષ્ઠા દ્વારા ભરવાની મથામણમાં જિંદગીને વિતાવી દઈએ છીએ અને છેવટે બધું ખાલી રહે છે. હૃદય અને મન તૃપ્ત ન થાય ત્યાં સુધી માણસ કંગાળ રહેવાનો છે. ગમે તેટલું ભેગું કરીએ છેવટે અહીં પડી રહેવાનું છે. કબીરે કહ્યું છે તેમ ‘કબીર સો ધન સંચીએ જો આગે કો હોય, શીષ ચઢા કે ગાંઠરી જાત ન દેખા કોય.’

ધન કોઈ સાથે લઈ જઈ શક્યું નથી. બધું અહીં ને અહીં રહેવાનું છે. ધનનો જો સદુપયોગ થશે તો લોકો તેને યાદ રાખશે. સત્કાર્યો યાદ રહેશે. બાકી દુનિયા કોઈને યાદ કરતી નથી. ધન, શક્તિ અને સત્તા મેળવવી સહેલી છે, પરંતુ તેનો સદુપયોગ કરવો મુશ્કેલ છે. ધનની ત્રણ ગતિ છે દાન, ભોગ અને નાશ. જે ધન ઉદાર હાથે આપતો નથી અને ભોગવતો નથી તેનું ધન તિજોરીમાં પડ્યું રહે છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ દાન છે. બીજાનાં આંસુ લૂછવામાં ધનનો ઉપયોગ થાય તો તેના જેવો બીજો કોઈ ધર્મ નથી.

આજે ધન વધ્યું છે પણ ચહેરા પર ખુમારી અને ખુશાલી નથી. ધનની, પદની અને પ્રતિષ્ઠાની દીવાલો રચાઈ ગઈ છે. દરેકને બીજાને ભોગે સુખી થવું છે અને ધતિંગો ને છળકપટો ચાલી રહ્યા છે. પૈસા પૂજાય છે અને સારા, સાચા માણસોનો કોઈ ભાવ પૂછતું નથી. આ સંદર્ભમાં કુતુબ ‘આઝાદ’ની એક રચના...

ખુમારી રહી છે ન લાલી રહી છે

ન ચહેરા ઉપર કંઈ ખુશાલી રહી છે

ચમનમાં હવે હીંચકો બાંધીએ ક્યાં

ન વૃક્ષો રહ્યાં છે ન ડાળી રહી છે

પથારા છે કંટકના ડગલે ને પગલે

રહી છે તો બસ પાયમાલી રહી છે

ખુદા જાણે! કયો ધર્મ પાળે છે દુનિયા

ધતિંગોની વણઝાર ચાલી રહી છે

ખજાનાના માલિકને સમજાવો કોઈ

જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે

ભલાનો ભલા ભાવ પણ કોણ પૂછે

બુરાઈ જ્યાં ફૂલીને ફાલી રહી છે

ખુમારી છે ‘આઝાદ’ થઈને રહો તો

ગુલામી હંમેશાં નમાલી રહી છે.

Thursday, June 6, 2013

ધર્મ મંદિરમાં, પ્રેમ ઘરમાં અને જ્ઞાન વિદ્યાલયોમાં કેદ -મહેન્દ્ર પુનાતર

ધર્મમાં દંભ અને દેખાડો વધ્યા છે, પાયાનું સત્ય વીસરાઈ ગયું છે. ધંધાને ધર્મ બનાવી ન શકાયો, પરંતુ ધર્મ ધંધો બની ગયો છે અને પાખંડી લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રેમ સંકુચિત અને સ્વાર્થી બનવાથી તેનું વાસનામાં રૂપાંતર થઈ ગયું છે. આજનું જ્ઞાન ઊંચે જોતાં શીખવે છે, પરંતુ નીચે ખાઈ તરફ નજર જતી નથી 

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર 


ધર્મ, પ્રેમ અને જ્ઞાન એ જીવનનાં પરમ તત્ત્વો છે. જીવન જીવવાની એ જડીબુટ્ટી છે. આમ છતાં ધર્મ, પ્રેમ અને જ્ઞાન અંગે માણસ ઘણી ઉલઝનમાં છે. યોગ્ય સમજણના અભાવે તેનું અર્થઘટન જુદી જુદી રીતે થઈ રહ્યું છે. આપણે આ ત્રણે બાબતોને સાંકડા વર્તુળમાં સીમિત કરી દીધી છે. ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, તમામ જીવો પ્રત્યે પ્રેમ અને ઈશ્ર્વરનાં પરમ તત્ત્વોને સમજવાનું જ્ઞાન હોય તો જીવન ધન્ય બની જાય. આપણે ધર્મને સમજતા નથી એટલે જીવન સમજાતું નથી, અને જીવનને સમજતા નથી એટલે ધર્મનું જ્ઞાન અધૂરું રહી જાય છે.

આજે ધર્મનો જયજયકાર હોવા છતાં મોટા ભાગના માણસો તેનાં મૂળભૂત તત્ત્વોને સમજતા નથી અને ગાડરિયા પ્રવાહની જેમ ચાલી રહ્યા છે. માત્ર ક્રિયાકાંડ એ ધર્મ નથી. એ તો માત્ર બાહ્ય આડંબર છે. જ્યાં સુધી અંતરનો ભાવ ન આવે ત્યાં સુધી ક્રિયાઓનું કોઈ મૂલ્ય નથી. હાથમાં માળા અને મન બીજે ભટકતું હોય તો તેનો કોઈ અર્થ નથી. ભક્તિ અને પૂજાપાઠ કરતી વખતે મન જો સ્થિર ન હોય તો પ્રભુને પામી શકાય નહીં. ધર્મ શક્તિ માણસના જીવનને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે અને નવી શક્તિ બક્ષે છે, પરંતુ ધર્મને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. ધર્મ આપણને જીવન જીવતાં શીખવે છે અને આપણે યોગ્ય રીતે જીવન જીવીએ તો એ ધર્મ બની જાય છે. ધર્મ અને જીવન જુદાં નથી. એકબીજાનાં પૂરક છે. ધર્મ વગરનું જીવન આડે પાટે ચડી જાય. ધર્મ આપણને સન્માર્ગે વાળે છે. ધર્મ એ જીવનનું ધારક બળ છે. એક અદ્ભુત શક્તિ છે. જ્યારે બધી દિશાઓ બંધ થઈ જાય છે ત્યારે ધર્મ આધાર બનીને ઊભો રહે છે. સુખ અને દુ:ખના સમયમાં તે નવો વિશ્ર્વાસ ઊભો કરે છે અને ઊંડા અંધારામાંથી પ્રકાશ તરફ આપણને દોરે છે. જગતના તમામ ધર્મોએ ઉત્કૃષ્ટ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે, પરંતુ માણસોએ તેનાં ખોટાં અર્થઘટનો કરીને દીવાલો ઊભી કરી દીધી છે. દરેક ધર્મના પાયાના સિદ્ધાંતો લગભગ સરખા છે. કોઈ પણ ધર્મ ચોરી કરવાનું, અપ્રામાણિક બનવાનું, બીજાને છેતરી લેવાનું, જુઠું બોલવાનું, નિર્દયતા દાખવવાનું કે અત્યાચારી બનવાનું શીખવતો નથી. પ્રેમ, દયા, કરુણા અને પરોપકાર એ તમામ ધર્મોએ પ્રરૂપેલા સિદ્ધાંતો છે. તમામ ધર્મોએ આ સત્ય સમજાવ્યું હોવા છતાં માનવજાત અહંકાર, વેરઝેર, કાવાદાવા, અણહકનું છીનવી લેવું અને બીજાના ભોગે સુખ પ્રાપ્ત કરવામાં રત છે. સુખની આ કહેવાતી ખોજમાં જીવન ખોવાઈ ગયું છે.

દરેક ધર્મે આદર્શ સમાજરચના માટેના ઉત્તમ સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે. ઊંચનીચના ભેદભાવ ન હોય, અસમાનતા ન હોય, પરિગ્રહ અને સંચયની ભાવના ન હોય, અહિંસા, દયા, કરુણા અને પ્રેમ હોય અને જ્યાં ક્ષમા અને મૈત્રીનો ભાવ હોય એ સમાજ કદી દુ:ખી, લાચાર કે અશાંત હોઈ શકે નહીં, પરંતુ આજે શોષણ, સંગ્રહખોરી, કાળાબજાર, ભેળસેળ અને છેતરપિંડી ચાલી રહી છે. માણસને કોઈ પણ ભોગે જેટલું બની શકે તેટલું ઝડપથી પ્રાપ્ત કરી લેવું છે. આ અણહકનું ઝૂંટવી લેવામાં માણસ કેટલું ગુમાવે છે તેનું તેને ભાન રહેતું નથી. માણસે સૌથી કીમતી ચીજ જો ગુમાવી હોય તો તે મનની શાંતિ છે. આજે ચોમેર અશાંતિ, બેચેની અને અજંપો છે, પૂરતું મળ્યા પછી પણ માણસને સંતોષ નથી.

ધર્મના સિદ્ધાંતો માણસને આ બધાં કળણોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે, પણ ધર્મ સાચા અર્થમાં સમજાયો નથી. દંભ અને દિખાવટ વધી છે. પાયાનું સત્ય વીસરાઈ ગયું છે અને જૂઠી આસ્થા, અંધશ્રદ્ધા, દેખાદેખી વધી છે. ધર્મ બહારથી દેખાય છે પણ તેનું આચરણ જીવનમાં ઊતરતું નથી. કેટલાક ધાર્મિક ગણાતા માણસોના દંભી ચહેરાઓ પાછળ અધર્મ સિવાય કશું દેખાતું નથી. વાતો કરવી અને જીવનમાં ઉતારવું એમાં મોટો ફરક છે. આજે ધર્મની ભવ્યતા જેટલી બહાર દેખાય છે એટલી પોકળતા પણ જોવા મળે છે. ધર્મ એક ધંધો બની ગયો છે. ધર્મમાં પૈસાનો વહેવાર ઘૂસી ગયો છે. મંદિરનો ધર્મ ઘરો અને દુકાનો સુધી પહોંચ્યો નથી, પણ દુકાનો મંદિરો સુધી પહોંચી ગઈ છે. માત્ર બાહ્ય આચરણ ધર્મ નથી. વ્યવહાર શુદ્ધિ વગર જીવન શુદ્ધિ શક્ય નથી. ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા વધી છે. મંદિરો અને દેરાસરોમાં ભીડ વધી છે, પરંતુ આંતરિક ધર્મભાવના વિકસિત થઈ શકી નથી.

આજે સિદ્ધાંત વગરનો સમાજ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનો ભોગ, નીતિ વગરનો વ્યવસાય, ધર્મ વગરનું શિક્ષણ, માનવતા વગરનું વિજ્ઞાન અને સમર્પણ વગરની પૂજા-પ્રાર્થના ઠેર ઠેર જોવા મળે છે. 

ધર્મની જેમ પ્રેમ પણ સીમિત બની ગયો છે. સ્નેહ અને પ્રેમની ભાવના નષ્ટ થવાના કારણે વેરઝેર અને દુશ્મનાવટ વધી છે. ઘરોમાં પણ કલહ વધ્યો છે. એકબીજા માટે કાંઈક કરી છૂટવાની ત્યાગની ભાવનાનો લોપ થયો છે. માણસોએ સંવેદના ગુમાવી છે. તેમનું વલણ વધુ કઠોર, લાગણીશૂન્ય બન્યું છે. પ્રેમનાં ઝરણાંઓ સુકાઈ ગયાં છે, જેમના પ્રત્યે પ્રેમ હોય તેને દુ:ખ પહોંચાડાય નહીં, તેનું દિલ દુભાવાય નહીં, પણ આવું હવે રહ્યું નથી. પ્રેમનું ફલક સંકોચાઈ ગયું છે. પ્રેમ ઘરમાં કેદ થઈ ગયો છે. આપણા પોતાના સિવાય બીજા પ્રત્યે આવી લાગણી રહી નથી. બહાર કોઈનું દુ:ખ જોઈને આપણું હૃદય દ્રવી ઊઠતું નથી. ધર્મ અને પ્રેમની સાથે જ્ઞાન ન હોય, સમજણ ન હોય તો એ પોથીમાંનાં રીંગણાં જેવું બની જાય. જ્ઞાન માણસને સાચો રસ્તો બતાવે છે, પણ જ્ઞાન અને વિદ્યાની સ્થિતિ પણ આજે બજારુ બની ગઈ છે. શિક્ષણ સત્ત્વ વગરનું બની ગયું છે અને તેનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. પોપટિયું જ્ઞાન વિદ્યાર્થીઓને સારા જીવન માટે કશો પ્રકાશ આપી શકતું નથી. શિક્ષણનો ઉદ્દેશ અર્થોપાર્જન, પૈસા કમાવા સિવાય બીજો કશો રહ્યો નથી. શિક્ષણમાં ધર્મ, સદાચાર, પ્રામાણિકતા અને નીતિમત્તાના સંસ્કારો પર કશું જોર આપવામાં આવતું નથી. ગુરુ અને શિષ્યો વચ્ચેના સંબંધો બજારુ બની ગયા છે. ગુરુ પ્રત્યે આદર રહ્યો નથી અને ગુરુઓ પણ આદરને લાયક રહ્યા નથી. શિક્ષણ વ્યવસાય બની ગયું છે એમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો વેપારી અને ગ્રાહક જેવા બની ગયા છે. શિક્ષણનો મૂળભૂત સંદર્ભ બદલાઈ ગયો છે. શિક્ષણ સંસ્કારી અને વિનમ્ર બનાવે તેના બદલે અહંકારનો પારો ઊંચે ચડાવે એવું બની ગયું છે. જે વિદ્યા જીવનનો માર્ગ ન બતાવી શકે એ વિદ્યા શા કામની? શિક્ષણ અને ડિગ્રીઓ મેળવીને માણસો ધન, પદ અને પ્રતિષ્ઠા પાછળ દોટ મૂકી રહ્યા છે, પરંતુ આગળ ખાડો છે તેની કોઈને ખબર નથી. એક પ્રખર જ્યોતિષ એક રાતે ઊંડા ખાડામાં પડી ગયો અને બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યો. તે વખતે નજીકથી જતી એક વૃદ્ધ ખેડૂત મહિલાએ તેનો અવાજ સાંભળ્યો અને ખૂબ મહેનત કરીને તેને બહાર કાઢ્યો. બહાર નીકળીને જ્યોતિષે પેલી મહિલાને કહ્યું: મા, તારો ખૂબ ઉપકાર. હું ઘણો પ્રખ્યાત જ્યોતિષ છું. આકાશના તારા, ગ્રહો સંબંધી મારા જેટલું જ્ઞાન બીજા કોઈને નથી. જો તારે તારા ભવિષ્ય અને ગ્રહો અંગે કાંઈ જાણવું હોય તો જરૂર તું મને મળજે. મારી ફી તો ઘણી મોટી છે, પણ હું કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર તને બધું જણાવીશ.

પેલી વૃદ્ધ મહિલાએ કહ્યું: બેટા, તું બેફિકર રહે. હું કદી તારી પાસે આવીશ નહીં, કારણ કે જેને જમીનના ખાડા દેખાતા નથી તેના આકાશ અને ગ્રહો સંબંધી જ્ઞાનનો હું કેવી રીતે ભરોસો કરી શકું?

જ્યોતિષ રાતના તારાઓ તરફ જોઈને ચાલતો હતો અને ખાડામાં પડ્યો. આજનું જ્ઞાન પણ આવું છે, જે ઊંચે જોતાં શીખવે છે, પરંતુ નીચે ખાડા તરફ કશો નિર્દેશ કરતું નથી.

શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. મોકો મળે એટલે એકબીજાને ખંખેરી નાખવાની જ વાત છે. કોઈ મુસીબતમાં હોય ત્યારે તેને મદદ કરવાના બદલે તેની લાચારીનો લાભ લેવાતો હોય છે. ઓછું આપીને વધુ લઈ લેવાની રસમ ચારેબાજુ જોવા મળે છે. મોજશોખમાં ધૂમ પૈસા ઉડાવનારાઓ પોતાના કર્મચારીઓને કે નોકરોને તેના હક્કના પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરે છે. 

નાના નાના છેતરપિંડીના, એકબીજાને ઉલ્લુ બનાવવાના અને બીજાનું પડાવી લેવાના કિસ્સાઓ રોજબરોજ બનતા રહે છે. આપણને એનું ભાન પણ થતું નથી કે આમ કરીને આપણે અધર્મ અને અન્યાય કરી રહ્યા છીએ. બીજાનું શોષણ કરીને મેળવેલા ધનમાંથી થોડા પૈસા દાન-ધર્મ માટે વાપરીને આપણી જાતને ધાર્મિક ગણાવીશું પણ આ સાચો ધર્મ નથી. આ દેખાવ, દંભ અને પ્રભુ સાથેની છેતરપિંડી છે.

પ્રેમ, ધર્મ અને જ્ઞાન આ ત્રણેય આપણા જીવનના આધારસ્તંભો છે. એના વગર આપણું અસ્તિત્વ ટકી શકે નહીં. પ્રેમને આપણે ઘરમાં, ધર્મને મંદિરમાં અને જ્ઞાનને વિદ્યાલયોમાં કેદ કરી નાખ્યું છે. ગૂંગળાઈ રહેલા પ્રેમને ઘરમાંથી બહાર કાઢીને વ્યાપક અને વિસ્તૃત બનાવવો જોઈએ જેથી સમસ્ત માનવજાતને તેનો લાભ મળે. ધર્મને મંદિરમાંથી બહાર કાઢીને હાટડીઓ સુધી પહોંચાડવો જોઈએ. ધંધામાં જ્યારે ધર્મ ભળશે ત્યારે માણસ કશું ખોટું નહીં કરી શકે, અને વિદ્યાને વિદ્યાલયોમાંથી બહાર કાઢીને અજ્ઞાનના ખાડાઓને પૂરવા જોઈએ. જ્ઞાનનો ઉપયોગ માત્ર આપણા માટે નહીં, બીજાને માટે પણ થવો જોઈએ. પણ આનાથી ઊલટું થયું છે. ધર્મ દુકાનો સુધી પહોંચી શક્યો નહીં પણ દુકાનો ધર્મ સુધી પહોંચી ગઈ છે. ધંધાને ધર્મ બનાવી શકાયો નહીં, પણ ધર્મ ધંધો બની ગયો છે અને પાખંડી લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. પ્રેમને ઘરના સાંકડા વર્તુળમાં બાંધી રાખ્યો છે એટલે બહાર પ્રેમ જેવું કશું રહ્યું નથી. જ્ઞાનનો પણ ડિગ્રી અને પૈસા કમાવા સિવાય બીજો કશો ઉપયોગ રહ્યો નથી. લગ્નના બજારમાં પણ ડિગ્રીઓની કિંમત વધી છે. ઉચ્ચ શિક્ષણ પામેલાઓની અપેક્ષા વધી ગઈ છે. તેઓ હવે ઊંચા ભાવો માગી રહ્યા છે. ધર્મ, પ્રેમ અને વિદ્યાને સંકુચિત વાડામાંથી બહાર કાઢીને તેને વ્યાપક બનાવવાની જરૂર છે. પ્રેમ ઘરમાંથી, ધર્મ મંદિરમાંથી અને જ્ઞાન વિદ્યાલયોમાંથી બહાર નીકળીને માનવજાતના કલ્યાણ માટે લાગી જશે ત્યારે માણસ ખરા અર્થમાં માણસ બનશે અને જીવન સાચો ધર્મ બની જશે.