Sunday, June 19, 2016

પ્રેમ- મહેન્દ્ર પુનાતર

ધર્મ જો પ્રેમ અને આનંદ બને તો પરમસુખ

જિન દર્શન - મહેન્દ્ર પુનાતર

ભગવાન મહાવીરનાં વચનો છે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને મૈત્રીભાવ. પ્રેમ, કરુણા અને મૈત્રી હોય ત્યાં હિંસા સંભવી શકે નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં રાગદ્વેષ ન હોય. પ્રેમ એટલે સમર્પણ, કશી અપેક્ષા નહીં. પણ સાચો પ્રેમ શું છે એ સમજવું મુશ્કેલ છે. વાસના, ઈચ્છા આકાંક્ષા અને કશું પ્રાપ્ત કરવાની ભાવના પ્રબળ બને ત્યારે પ્રેમ ધીરે ધીરે અદૃશ્ય થાય છે. આવો પ્રેમ લાંબો સમય ટકતો નથી.

પ્રેમ એ જીવનનું અમૃત છે. ધન વગર માણસ જીવી શકે, પરંતુ પ્રેમ વગરનું જીવન શુષ્ક બની જાય. માણસના તમામ સંબંધો પ્રેમ પર આધારિત છે. પ્રેમમાં સ્વાર્થ આવે છે ત્યારે તે પ્રેમ રહેતો નથી પણ સોદો બની જાય છે. પ્રેમ બંધન છે અને મુક્તિ પણ છે. સાધારણ રીતે આપણે જે પ્રેમને જાણીએ છીએ તે બંધન છે તેને પ્રેમ કહેવાનું વ્યર્થ છે. પ્રેમનું બંધન અપેક્ષાઓથી નિર્મિત થાય છે. પ્રેમના સંબંધો કશું મેળવવા માટે હોય તો આમાં પ્રેમ સાધન છે સાધ્ય નહીં. આમાં સમગ્ર નજર મેળવવા પર છે. દેવાનું ગૌણ બને છે. માણસ કોઈને પ્રેમ કરે છે તો સામે મેળવવા માટે જ. આમાં પણ આપ્યા વગર પ્રેમ મળી જાય તો એ વધુ માફક આવે. મનુષ્યનો સ્વભાવ છે કશું આપવું નથી અને બધું મેળવી લેવું છે. પણ હકીકત એ છે કે આપ્યા વગર દુનિયામાં કશું મળતું નથી. અને પ્રેમ તો એવી ચીજ છે જેટલા પ્રમાણમાં આપીએ તેટલા પ્રમાણમાં મળે. પ્રેમમાં સ્વાર્થ, લોભ અને સાંકડી મનોવૃત્તિ હોય તો અંતે કશું હાથમાં આવતું નથી.

પ્રેમ એ સોદો નથી એમાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું એવો હિસાબ થઈ શકે નહીં. પ્રેમ જ્યારે લેવડદેવડનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સ્વાર્થ, લોભ અને રાગ-દ્વેષ ઊભો થવાનો. જ્યાં ભય, દબાણ અને ઝૂંટવી લેવાની ભાવના હોય ત્યાં પ્રેમ સંભવી શકે નહીં. આ પ્રકારના પ્રેમમાં કેટલું આપવું પડ્યું તેના પર ધ્યાન કેન્દ્રિત હોય છે. કેટલું મળ્યું છે તે દેખાતું નથી. દરેકને એમ થાય છે કે હું સામી વ્યક્તિ પ્રત્યે કેટલો પ્રેમ કરું છું પણ તેને મારા પ્રેમની કદર નથી. હું જેટલું કરું છું તેટલું સામેથી મળતું નથી. એવો ખ્યાલ જ ખોટો છે. માને પોતાનાં સંતાનો માટે અપાર પ્રેમ અને ચાહના હોય છે તે કદી એમ નહીં વિચારે કે બદલામાં મને શું મળ્યું. પ્રેમના સંબંધોમાં જેમને એવો વિચાર થાય કે મને શું મળ્યું તો નિશ્ર્ચિત માનજો કે તેણે સાચો પ્રેમ કર્યો નથી. માત્ર કર્તવ્ય નિભાવ્યું છે. ફરજ બજાવી છે. આથી વિશેષ કશું નહીં. જ્યારે દૃષ્ટિ મેળવવા પર હોય ત્યારે પ્રેમ પ્રગટ થતો નથી. અપેક્ષાઓ યુક્ત પ્રેમ બંધન બને છે. આમાં દુ:ખ અને પીડા સિવાય બીજું કશું નિષ્પન થતું નથી.

સાચો પ્રેમ હોય ત્યાં લેવડદેવડનો વિચાર હોય નહીં. આમાં સમર્પણની અને ન્યોછાવર થવાની જ ભાવના હોય. આમાં દેવાનું જ મહત્ત્વ છે. કશું લેવાનો સવાલ નથી. પ્રેમમાં કશું મેળવવાની અપેક્ષા એ બંધન છે અને સમગ્ર ધ્યાન આપવા પર જ હોય ત્યારે મુકિત છે. આમાં કશી ઈચ્છા અને લાલસા નથી. કશું જોઈતું નથી. એટલે કશી પીડા નથી. જ્યારે મન આપવા માટે જ ઉત્સુક હોય અને સામી વ્યક્તિ તેના પ્રેમનો સ્વીકાર કરે તેનો આનંદ અનોખો હોય છે. જેનું ધ્યાન લેવા પર હોય તેનો ભિક્ષાભાવ વધતો જાય છે. ભિખારી ગમે તેટલું મળે આભાર માની શકતો નથી. તેની આકાંક્ષા વધુ હોય છે. એટલે તેને જે મળે તે ઓછું લાગે છે. માત્ર લેવાની જ દાનત હોય તે હંમેશાં ભિખારી રહેવાનો. જ્યારે આપણે કોઈની પાસે હાથ લાંબો કરીને ઊભા રહી જઈએ છીએ અને આ આદત પડી જાય છે ત્યારે કોઈને કશું આપવું પડે ત્યારે હાથ સંકોચાવા લાગે છે. માણસને એમ થાય છે કે તેનું કાંઈ છીનવાઈ રહ્યું છે. નહીં આપવા માટે બહાના શોધવા પડે છે. આમ છતાં આપવાની ફરજ પડે અને કાંઈ ઉપાય ન રહે ત્યારે આપીએ તેમાં બરકત રહે નહીં. આપવામાં આનંદ હોય અને મન ઉદાર હોય તો એની અનોખી મજા છે. જીવનમાં આપ્યા વગર કશું મળતું નથી. આ અંગે દૃષ્ટાંત કથા બોધરૂપ છે.

એક ભિક્ષુક રાજમાર્ગ પર ઊભો હતો અને ત્યાં સામેથી રાજાની સવારી આવતી નજરે પડી. રાજા સુવર્ણરથ પર બેઠો હતો. તેના આનંદનો પાર રહ્યો નહીં. તેને થયું આજે દળદર ફીટી જશે. રાજા પાસેથી બે ચાર સોનામહોર મળી જશે.

રાજાનો રથ તેની પાસે આવીને ઊભો રહ્યો અને રાજા રથમાંથી ઊતરીને ભિખારી પાસે આવ્યો અને તેની પાસે હાથ લાંબો કરીને ઊભો રહી ગયો અને કહ્યું આજે તારે મને કાંઈક આપવું પડશે. ભિખારીને થયું આ તો લેવાના દેવા થઈ ગયા. રાજાને કશું આપવા જીવ ચાલ્યો નહીં. ભિક્ષુકનો હાથ થેલીમાં ગયો. થેલીમાં મુઠ્ઠીભર ચોખા હતા. પણ આપવા માટે જીવ ચાલ્યો નહીં.

રાજા હાથ પ્રસારીને ઊભો હતો. કાંઈક આપવું પડશે. ભિક્ષુકનું મન કચવાઈ રહ્યું હતું પણ આપ્યા વગર છૂટકો નહોતો. મથામણ પછી તેનો હાથ થેલીમાંથી બહાર નીકળ્યો તેમાં એક ચોખાનો દાણોે હતો તે રાજાના હાથમાં મૂકી દીધો. રાજા પાછો રથમાં બેસીને ચાલ્યો ગયો. પણ ભિક્ષુકનું મન દુ:ખી દુ:ખી થઈ ગયું. તેને થયું કે ગરીબની ખીચડીમાંથી રાજાએ એક દાણો છીનવી લીધો.

આવું વિચારતો વિચારતો દુ:ખી મને તે ઘેર આવ્યો અને થેલી થાળીમાં ઠાલવી તો મુઠ્ઠીભર ચોખામાં એક સોનાનો દાણો હતો.

ભિક્ષુક આ જોઈને દિગ્મૂઢ થઈ ગયો. રાજાના રૂપમાં ભગવાન તેની પાસે આવી ગયા હતા પણ તે મોકો ચૂકી ગયો. તેેને ભારે અફસોસ થયો. તેને થયું મેં આખી થેલી રાજાના હાથમાં કેમ ધરી દીધી નહીં.

પ્રેમનો જાદુ એવો છે માગો તો કશું મળે નહીં અને ન માગો તો બધું પ્રાપ્ત થઈ જાય. પ્રેમમાં કશું કરવાનું હોતું નથી. પ્રેમમય બની જવાનું હોય છે.

પ્રેમ અને કર્તવ્યમાં ફરક છે. માતા માંદગીના બિછાને હોય અને પુત્ર તેની સારવાર માટે બધી વ્યવસ્થા કરે. જોઈતી હોય તે દવા પૂરી પાડે. જરૂર પડે તો નર્સ પણ રાખે. આ ફરજ નિભાવી ગણાય પણ તે માતાની ખુદ સેવા કરે તો તે પ્રેમ ગણાય. જેમની પ્રત્યે પ્રેમ હોય તેની ખુદ સેવા કર્યા વગર આપણે રહી શકીએ નહીં. પ્રેમનો બીજો કોઈ પર્યાય નથી. માણસ જો પ્રેમપૂર્ણ બની જાય તો કશો દંભ રહે નહીં. પ્રેમપૂર્વકનું જે આચરણ છે તે સ્વાભાવિક છે. જે લાદેલું છે તે કૃત્રિમ છે. પ્રેમ જો હોય તો માણસ કોઈની પ્રત્યે જે કાંઈ કરશે તે આનંદપૂર્વક કરશે. પ્રેમ નહી હોય ત્યારે ફરજ અને કર્તવ્ય બોજ બની જાય છે. સંતાનો મા-બાપને ખરેખર પ્રેમ કરતા હોય તો તેમની સેવામાં તેમને આનંદ આવશે. જે સેવામાં પ્રેમ અને આનંદ હોય તે આપણે કર્યા વગર રહી શકતા નથી. તેના વગર જીવી શકીએ નહીં. ધર્મ, પ્રેમ અને આનંદ બને તો તે પરમસુખ છે.

પ્રેમ હોય ત્યાં ભાર લાગે નહીં. એક નાની છોકરી પોતાના ભાઈને ઊંચકીને પહાડ ચડી રહી હતી. કોઈએ તેને પૂછયું આને ઊંચકીને તું ઉપર ચડી રહી છો. તને ભાર નથી લાગતો? છોકરીએ કહ્યું: ભાર શાનો લાગે? આ તો મારો ભાઈ છે? પ્રેમમાં કોઈ શરત નથી, ફરજ નથી, કર્તવ્ય નથી કે કોઈ માગણી નથી. બસ કરવાનો જ આનંદ છે. આ પ્રેમની ધારાને કોઈ રોકી શકતું નથી. સંત કબીરે કહ્યું છે તેમ ‘પ્રેમ ન બાકી ઉપજે પ્રેમ ન હાડ બીકાય’ પ્રેમ ક્યાંય ઉગાડી શકાતો નથી. પ્રેમ બજારમાં કયાંય વેચાતો મળતો નથી. પ્રેમ એ તો અંતરની અભિલાષા છે. તીવ્ર ઝંખના છે. પ્રેમ તો હૃદય અને મનની શુદ્ધ ભાવના છે.

પ્રેમના ત્રણ પ્રકાર છે. એક પ્રેમ છે શરીરનો, બીજો મનનો અને ત્રીજો આત્માનો. શરીર સાથેનો પ્રેમ વાસનાનો છે. એમાં નાદાનિયત છે. પાગલપન છે. તેમાં દુ:ખ અને પીડા છે. બીજો પ્રેમ છે મનનો. સારું- ખરાબ બધું મન કરાવે છે. મન પોતાને ગમે તેવા રંગો પૂરી શકે છે. આ એક ભ્રમણા છે. ત્રીજો પ્રેમ છે આત્માનો. તે શુદ્ધ અને આત્મિક છે. તેમાં કશું કરવાનું નથી પણ કરુણાસભર વહેવાનું છે. પરમાત્મા સુધી પહોંચવાનો આ માર્ગ છે.

પ્રેમપૂર્ણ બનવા અને આનંદપૂર્વક રહેવા માટે કોઈ નક્કર કારણની જરૂર નથી. પ્રેમ જો સ્વભાવ બની જાય તો માણસ ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિમાં ખુશી અનુભવી શકે છે. સુખ અને દુ:ખમાં પ્રેમ અને આનંદ આપણને ટકાવી રાખે છે. પ્રેમ જો સાચા અર્થમાં સમજાય તો તે ભક્તિ બની જાય. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. પ્રેમ વગરની દુનિયા નિર્ધન છે. પ્રેમમાં મોહ ડુબાડે છે અને ભક્તિ તારે છે ટાગોરે જેમ કહ્યું છે તેમ...

‘મુજ મોહ સઘળો જે બધો

મુક્તિરૂપે સળગી ઊઠો

મુજ પ્રેમ સઘળો જે બધો

ભક્તિરૂપે વ્યાપી રહો’

No comments:

Post a Comment