Tuesday, August 20, 2013

જીવન એક ખેલ: આખી બાજી કદી આપણા હાથમાં હોતી નથી - મહેન્દ્ર પુનાતર

બધું આપણી ઈચ્છા અને અપેક્ષા મુજબ થવાનું નથી. સુખ-દુ:ખ આપણી ઈચ્છાથી આવતાં નથી અને જતાં નથી. કાળના જખમો દરેક માણસે સહન કરવા પડે છે. દુ:ખને દૂર કરવાનો સરળ ઉપાય છે પરિસ્થિતિનો સ્વીકાર. સુખમાં સાથ અને દુ:ખમાં એકાંત જરૂરી છે. સુખનો આનંદ એકલા માણી શકાતો નથી અને દુ:ખ ટોળામાં વહેંચી શકાતું નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવન ખૂબ જ વિસ્મયકારક અને રહસ્યપૂર્ણ છે. કાલે શું થવાનું છે, કેવી ઘટનાઓ ઘટિત થવાની છે તેની કોઈને કશી ખબર પડતી નથી. કાળનું ચક્ર ફર્યા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે અને માણસ તેની આસપાસ ભમ્યા કરે છે. આ જટિલ જગતમાં જ્યાં આપણું જીવન ઘણી બાબતો પર આધારિત છે ત્યાં હંમેશાં બધું આપણી ઈચ્છા મુજબ થવાનું નથી. કશુંક તો અપેક્ષા વિરુદ્ધ થવાનું જ છે. મનગમતી વાત હંમેશાં બનવાની નથી. જીવન એકબીજા સાથે પરસ્પર સંકળાયેલું છે તેથી તેની સંભવિત સારી-માઠી અસર પડવાની છે. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. સુખ-દુ:ખ, આધિ-વ્યાધિ, આશા-નિરાશા આ બધી બાબતો જીવનનો એક ભાગ છે. આપણે આ બધું ટાળી શકવાના નથી. સમય અને કાળના ચક્રને યથાર્થ રીતે સમજીને તેને અનુરૂપ થઈ શકીએ તો સારા-કપરા સમયને પાર કરી શકાય. સુખ-દુ:ખ તો પરિસ્થિતિનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છીએ, તેના પર આધારિત છે. દુ:ખ અને મુસીબતના સમયમાં જે માણસ ધૈર્ય ગુમાવતો નથી અને પરિસ્થિતિને અનુરૂપ થઇને વાસ્તવિકતાનો જે સ્વીકાર કરે છે તે માણસ ટકી શકે છે. સુખ અને દુ:ખ આપણી ઇચ્છાથી આવતાં નથી અને જતાં નથી. તે સમયચક્રનું પરિણામ છે. દુ:ખ અને નિરાશાનો અનુભવ દરેક માણસને એક યા બીજા સ્વરૂપે થતો હોય છે. કોઈ માણસ જલદીથી બધું ભૂલી જાય છે તો કોઈના મનમાં આ બાબત લાંબા સમય સુધી ખટક્યા કરે છે. કાળના જખમો દરેક માણસને સહન કરવા પડે છે. વાંક ન હોવા છતાં મુસીબત આવી પડે છે. માણસ ધારણા, અપેક્ષા અને કલ્પનામાં રાચતો હોય છે. સ્વપ્નાના મહેલો રચાતા હોય છે. મનોરથો સર્જાતા હોય છે. માણસને બધું એની મેળે મળી જતું નથી, આ માટે મહેનત અને પુરુષાર્થ કરવો પડે છે. ઈચ્છાઓ અને અપેક્ષાઓ કદી સુખ આપી શકતી નથી. દુ:ખ જરૂર આપી શકે છે.

કોઈ બાબત આપણી ધારણા અને અપેક્ષા મુજબ બને તો તેનો એટલો આનંદ હોતો નથી કારણ કે આ અપેક્ષિત હતું, ધારેલું હતુ. આપણું અનુમાન સાચું પડયું. જે બન્યું તે સાધારણ અને રાબેતા મુજબનું બન્યું. દીકરો સુખથી રાખશે એવી બાપને અપેક્ષા હોય અને તેમ બને તો તેમાં કશું નવાઈ જેવું હોતું નથી, પણ દીકરો બાપને ઘરમાંથી કાઢી મૂકે તો તે ઘટના અસાધારણ અને અનપેક્ષિત બની જાય. ધારણાથી વિપરીત થાય ત્યારે તેનું દુ:ખ અપાર હોય છે. હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ ‘કોઈનો પ્રેમ ઓછો હોતો નથી પણ આપણી અપેક્ષા વધુ હોય છે’ અપેક્ષાઓ સુખદ કરતા વધુ દુ:ખદ હોય છે.

દુ:ખ, મુશ્કેલી અને વિપત્તિ આવે છે ત્યારે મન ઉદ્વેગ અનુભવે છે. જીવતર કડવું ઝેર બની ગયાનું લાગે છે. બનેલી ઘટનાને અનુલક્ષીને ભાવિનો ભય સતાવ્યા કરે છે. કોઈ આપણા વિશે શું ધારશે, શું વિચારશે, નજીકના લોકોનો શો પ્રતિભાવ હશે એવી ચિંતાઓ માણસને સતાવ્યા કરે છે. કેટલીક વખત દુ:ખ હકીકતમાં એટલું મોટું હોતું નથી, પણ ભયના કારણે તેની માત્રા અનેકગણી વધી જાય છે. મોટા ભાગનાં દુ:ખો માનસિક હોય છે. મન પરથી બોજો હટી જાય તો દુ:ખ જલદીથી ભૂલી શકાય છે. દુ:ખોને આપણે વાગોળી વાગોળીને ઘેરા બનાવી દઇએ છીએ. સુખ કરતા દુ:ખનું સ્મરણ લાંબો સમય ચાલે છે. વિચારો અને કલ્પનાઓના ઘોડાઓ દોડાવીને જખમોને પંપાળતા રહીએ છીએ. કોઇપણ સમસ્યા એવી નથી જેનું સમાધાન ન હોય. સમયની સાથે બધું ઉકલી જતું હોય છે. આ સમયે માણસ બની ગયેલી ઘટનાઓ અંગે વિચારે તો તેને લાગશે કે આ બધી વ્યથા અને સંતાપ વેઠવાની જરૂર નહોતી. દુ:ખના સમયે માણસ સ્થિર રહી શકતો નથી. તેનું મન આ અંગે કેન્દ્રિત થઈ જાય છે, તેને બીજું કશું સૂઝતું નથી.

એક રીતે જોઈએ તો જીવનમાં આપણે ધારીએ છીએ તેવા સુખ-દુ:ખ હોતા નથી. સગવડતા અને અગવડતા હોય છે. આપણને જે અનુકૂળ હોય તે સુખ લાગે છે અને પ્રતિકૂળ હોય તે દુ:ખ લાગે છે. સ્થિરતા અને સમતા હોય તો બધી બાબતો અનુકૂળ અને સ્વીકાર્ય બની જાય છે. દુ:ખને દૂર કરવાનો સરળ ઉપાય છે પરિસ્થિતિનો સ્વીકાર. આપણે કોઇપણ બાબતને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ, ત્યારે મનનો ઊભરો શાંત બની જાય છે અને આંતરિક શક્તિ ઊભી થાય છે અને ઊભી થયેલી પરિસ્થિતિને દૂર કરવા માટે નવું બળ મળે છે. કોઈપણ માણસ ૨૪ કલાક ક્રોધમાં કે વ્યગ્રતામાં રહી શકે નહીં. આ ઊભરો શમી જવા માટે સર્જાયેલો હોય છે. અંદરનો ડહોળ ધીરેધીરે દબાઈ જાય છે અને માણસ દુ:ખને ભૂલીને સુખના કોઈ નવા ખ્યાલમાં ઢળવા માંડે છે. આમ છતાં કેટલાંક દુ:ખોને ટાળી શકાતા નથી. તેની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે. મૃત્યુનું દુ:ખ આ પ્રકારનું છે. માત્ર સમયની સાથે તેની યાદો વિલિન થાય છે. જીવનનું આ મોટું દુ:ખ છે પણ તેમાં આપણું કશું ચાલતું નથી. બધું ઈશ્ર્વરને. નિયતિને આધીન છે નરસિંહ મહેતાની ઉક્તિ મુજબ મનને મનાવવું પડે છે.

"જે ગમે જગતગુરૂ  દેવ જગદીશને

તે તણો ખરખરો ફોક કરવો

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે

ઉગરે એક ઉદ્વેગ ધરવો

કોઇપણ કપરા સંયોગથી ગભરાઈ જવાથી કશું વળતું નથી. આખરે મુસીબત સામે લડ્યે જ છૂટકો છે. આપણે હસતે મોઢે આ પડકારનો સામનો કરીએ કે દુ:ખી વદને પીડા સહન કરીએ. એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. માણસના દુ:ખનો તાગ મેળવવાનું અતિ કઠિન છે. ચહેરા પર સ્મિત હોય, પરંતુ હૃદયમાં ઊંડી વેદના ભરી હોય. કેટલીક વખત વેદનાને વાચા આપી શકાતી નથી. માણસે પોતાનાં દુ:ખોને ભીતરમાં સમાવી લેવાનાં હોય છે. દુ:ખ અને મુસીબતના સમયે રોદણા રોવાનો કોઈ અર્થ નથી. આપણા દુ:ખ અને મુસીબતની વાતો સાંભળવાની કોઈને ફુરસદ નથી. આપણા સંતોષ ખાતર સામો માણસ આપણી વાત સાંભળી લેશે અને આવી તકલીફ પોતાને નથી એ જાણી તેનો અહમ્ સંતોષાશે. આપણે તકલીફની વાતો કોઈ ખોટા માણસને કરીશું તો તે અંદરખાનેથી ખુશ થશે. દુ:ખ અને મુશ્કેલીને દૂર કરવાનો માર્ગ આપણે પોતે જ શોધી કાઢવાનો હોય છે. સુખમાં સાથ અને દુ:ખમાં એકલતા જરૂરી છે. સુખનો આનંદ એકલા માણી શકાતો નથી અને દુ:ખ ટોળામાં વહેચી શકાતું નથી. કેટલીક વખત માણસ જેવું વિચારે છે તેવું બને છે. દુ:ખનો વિચાર કરતા હોઈએ તો દુ:ખ નજર સમક્ષ આવે. સારી ભાવના અને સારા વિચારો હોય તો બધું સારું દેખાય. નકારાત્મક વિચારો અને દુ:ખોની સંભવિત કલ્પના દ્વારા માણસ મુશ્કેલી આવે તે પહેલાં ઢીલો પડી જાય છે. ધારણા અને કલ્પનાઓ દ્વારા તે દુ:ખો માટે સેજ તૈયાર કરી રાખે છે. જેવું વાંચ્છે છે તેવું પરિણમે છે. આ અંગે ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક માણસ અથડાતો કુટાતો કલ્પવૃક્ષ નીચે પહોંચી ગયો. તેને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે. પોતે થાક્યો પાક્યો હતો. તેથી વૃક્ષ નીચે આરામ કરતો બેઠો હતો. તેણે વિચાર્યું કે ભૂખ લાગી છે. આસપાસ કાંઇક ભોજન મળી જાય તો મજા પડે.

તે વૃક્ષ તો કલ્પવૃક્ષ હતું. તમે ઈચ્છો એવું મળે તુરત સુવર્ણ થાળીઓમાં જાતજાતના મિષ્ટાન અને પકવાન હાજર થઈ ગયા. આ માણસ એટલો ભૂખ્યો હતો કે તેણે વિચાર્યું પણ નહીં કે આ ભોજન તત્કાળ ક્યાંથી આવ્યું. તેને થયું આ કોઈ પુણ્યનું ફળ છે જન્મોજન્મની કમાણી છે અને માળા કંઈ ઓછી જપી નહોતી. આ ઈશ્ર્વરની કૃપા છે. આવું સુખ તો બહુ જલ્દીથી મળવું જોઈતું હતું, પરંતુ વિલંબ થયો છે.

ભોજન કર્યા બાદ સ્વાભાવિક રીતે વિચાર આવ્યો સુવા માટેની સુંદર જગ્યા હોય સરસ ગાદીતકિયા હોય તો જરા વિશ્રામ થઈ જાય. તુરંત સુંદર શૈયા, ગાદી-તકિયા હાજર થઈ ગયા અને તે આરામથી સૂઇ ગયો. બે ત્રણ કલાક પછી આંખો ખૂલી ત્યારે તેણે મનોમન વિચાર કર્યો તરસ લાગી છે સુમધુર શિતળ જળ મળે તો સારું અને ગુલાબની ખુશ્બુવાળું શીતળ મીઠું શરબત હાજર થઈ ગયું. આવું મધુર જળ તેણે કયારેય પીધું નહોતું. શરબત પીતા પીતા તેને જરા ખ્યાલ આવ્યો આ બધું શું છે? પહેલા ભોજનનો થાળ આવ્યો, પછી શૈયા આવી અને પછી શીતળ જળ. આ બધું ક્યાંથી આવ્યું? આ વૃક્ષમાં કોઈ ભૂતપ્રેત તો નહીં હોય ને? બસ તુરત ભૂતપ્રેત પ્રગટ થઈ ગયા.

કલ્પવૃક્ષ તો કલ્પવૃક્ષ છે જેવું ઈચ્છો તેવું પામો. તેની આસપાસ નંગધડંગ ભૂતપ્રેત નાચવા લાગ્યા. તે ખૂબ ગભરાઈ ગયો. તેને થયું બસ હવે હું મરી ગયો. તુરત ભૂતપ્રેત છાતી પર ચડી બેઠા. તેને ખૂબ દબાવ્યો, માર્યો પીટ્યો અને અંતે ગળું દબાવી દીધું. જે કાંઈ વિચાર્યું તે પ્રમાણે બન્યું. માણસને દુ:ખની કલ્પનાઓ અને ધારણાઓ પિડિત કરે છે. તેને એમ થાય છે કે દુ:ખ આવી ગયું અને ખરેખર દુ:ખ આવી જાય છે. દુ:ખ કરતાં ય માણસને દુ:ખની ભ્રમણા વધુ પરેશાન કરે છે અને તે ડરીડરીને મરતો રહે છે. મનમાંથી ડર અને ભય દૂર થઈ જાય તો મુશ્કેલી લાંબો સમય રહેતી નથી. સુખ અને દુ:ખમાં માણસને વર્તમાન કરતાં ભાવિ વધુ સતાવતું હોય છે. ભાવિનો ડર માણસને અકળાવી નાખે છે. દરેક માણસ સુખને ટકાવી રાખવા અને દુ:ખને ટાળવા મથે છે. જીવનની આખી બાજી કદી આપણા હાથમાં હોતી નથી. આપણે બાજીને સુધારવી પડે છે. કેટલીક વખત ખરાબ બાજી સુધરી જાય છે અને કેટલીક વખત સારી બાજી હોવા છતાં હારી જવાય છે. આ કુદરતનો ખેલ છે. જીવનની ગૂંચો કેટલીક વખત ઉકેલી શકાતી નથી. કાળના ચક્ર પાસે માણસનું કશું ચાલતું નથી. સમર્થ માણસ પણ લાચાર બની જાય છે. માણસ માત્ર નિયતિને આધીન છે.

No comments:

Post a Comment