Sunday, April 7, 2013

તમે ભગવાનમાં માનો છો?- સૌરભ શાહ

ભગવાન તમારું ભલું કરો અને તમે ભગવાનનું
જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો યોગ્ય નથી
સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

તમે ભગવાનમાં માનો છો? આવો સવાલ કોઈ પૂછે ત્યારે હું એમની સાથે બહસમાં ઊતરવાનું ટાળું છું. પૂછનાર વ્યક્તિ ભગવાનમાં માનતી હશે અને મારો જવાબ ‘ના’માં હશે તો એ જોરશોરથી દલીલો કરીને મારું મગજ ખરાબ કરી નાખશે. પૂછનાર નાસ્તિક હશે અને મારો જવાબ ‘હા’માં હશે તો પણ એ જોરશોરથી દલીલો કરીને મારું મગજ ખરાબ કરી નાખશે. સાચું પૂછો તો મને એવી કોઈ જિજ્ઞાસા નથી કે ભગવાન છે કે નહીં, આ સૃષ્ટિ કોણે બનાવી, એનું સંચાલન કોણ કરે છે, મૃત્યુ પછી આ જીવનું શું થાય છે, માણસના મૃત્યુ પછી અને નવા જન્મ પહેલાં આત્મા ક્યાં રહે છે, પુનર્જન્મ જેવું કંઈ છે કે નહીં. અગમનિગમને લગતા આવા સવાલોનું કુતૂહલ મને ક્યારેય થયું નથી. જેમને થતું હોય એમને મારાં જયશ્રી કૃષ્ણ પણ આવી બધી ચર્ચાઓ કરવાનું કે આવા વિષયોમાં ઊંડા ઊતરવાનું મને ગમતું નથી.

કોઈ અતિ વિદ્વાન અને મૌલિક વિચારક એવા જૈન મહારાજસાહેબ અથવા એવી જ કક્ષાના ઉત્તમ સાધુપુરુષો સાથે મને તક મળે ત્યારે એમનાં ચરણોમાં બેસીને જ્ઞાનપ્રાપ્તિ કરવાનો લહાવો હું છોડતો નથી, પણ હજુ સુધી મેં ક્યારેય એમની સામે ભગવાન છે કે નહીં કે પછી પેલા અગમનિગમ પ્રકારના વિષયોની ચર્ચા કરી નથી. એમની સાથે ચર્ચાઓ કરીને માણસો માટેની, આ દુનિયા માટેની મારી સમજણ વિકસે એટલું મને પૂરતું લાગે છે.

નાનીમોટી કોઈ પણ આપત્તિમાં મને મારાં માબાપ અને ભગવાન બેઉ યાદ આવે છે. ખુશીના સમયમાં પણ. એવું નથી કે માબાપ હયાત નથી એટલે યાદ આવે છે. એમની હયાતીમાં પણ યાદ આવતાં. એવું પણ નથી કે માબાપને મેં મારી જિંદગીની સૌથી નિકટની વ્યક્તિ તરીકે ચાહ્યા હોય કે પછી તેઓ મને મારી જિંદગી માટે સર્વશક્તિશાળી લાગ્યાં હોય, પણ જન્મતાંની સાથે એક અનુબંધ, એક બૉન્ડ બંધાઈ ગયો હોય તે આજીવન ટકતો હોય છે- માર્ગમાં ગમે એટલા ખાડાટેકરા, યુ ટર્ન્સ આવે તો પણ.

ભગવાન સાથેનું પણ કંઈક એવું જ હશે. સુખદુ:ખમાં એ યાદ આવે, પણ મારાં દુ:ખો માટે મેં એમને ક્યારેય બ્લેમ નથી કર્યા. હસવામાં કહું એ જુદી વાત છે. પણ સિરિયસલી ક્યારેય નથી કર્યા. એ જ પ્રમાણે જિંદગીમાં કંઈક સારું થતું હોય ત્યારે કોઈકના મોઢે કહીએ કે ‘ભગવાનની કૃપા છે’ એ જુદી વાત છે, પણ ખરેખર હું એવું નથી માનતો હોતો. કંઈક સારું થાય ત્યારે એ મારે કારણે જ થાય છે એવી ભ્રમણામાં પણ હું નથી રાચતો. મને ખબર છે કે આવું બધું ચાલ્યા કરવાનું. કેટલીય વખત તમારા કોઈ જ પ્રયત્ન વિના તમારું સારું થતું હોય છે. એ જ રીતે કેટલીય વખત તમારા કોઈ જ વાંકગુના વગર તમારું અહિત થતું હોય છે, બસ. એનાં કારણોમાં ડૂબી જઈને સમય વેડફવાની એક્સરસાઈઝ કરવાને બદલે જે કામ હાથમાં હોય તે કર્યા કરવું અને કોઈ કામ હાથમાં ન હોય તો મનગમતું કામ શોધીને કરતા રહેવું એ જ શ્રેષ્ઠ છે.

આ બધામાં ભગવાન ક્યાં આવ્યા? મંદિરો, દેરાસરો કે ધર્મસ્થળોમાં જવું મને ગમે છે, પણ ભગવાન ત્યાં વાસ કરે છે એવું હું બિલકુલ નથી માનતો. ભગવાન કોઈની સેવા કરવાથી કે દરિદ્રનારાયણને રીઝવવાથી મળે છે એવું પણ નથી માનતો. ઘરેથી બહારગામ નીકળતી વખતે ભગ-વાનની છબીને પગે લાગવાનું ગમે છે. ભગવાનની બાજુમાં રાખેલી મારા પરદાદાની છબીને પગે લાગવાનું પણ ગમે છે. એમના આશીર્વાદથી મારી યાત્રા સુખદ કે સફળ નીવડશે એવું હું નથી માનતો, પણ એમના આશીર્વાદ લીધા પછી હું આ યાત્રા સુખદ કે સફળ નીવડે એ માટે કૉન્શ્યસ થઈને પ્રયત્નો કરતો રહીશ એવું હું ચોક્કસ માનું છું અને આમ છતાં ક્યારેક સુખદ કે સફળ ન નીવડે તો હું એમને કે મારા પ્રયત્નોને બ્લેમ નથી કરતો.

ભગવદ્ ગીતાને આત્મસાત્ કરવાનો દાવો ગાંધીજી જ કરી શકે અને એને આચરણમાં મૂકવાનો દાવો કરવાનું ગજું પણ એમનું જ. આપણે સૌ ભગવદ્ ગીતામાંથી આપણી તત્કાલીન સમજણ અને આપણી તત્કાલીન જરૂરિયાત મુજબનું મેળવી શકીએ તોય ઘણું.

ભગવદ્ ગીતામાંના બે શ્ર્લોકની ચાવી જડી જાય તો ગંગા નાહ્યા. પછી ભગવાન છે કે નહીં, આત્માનું શું થાય છે ને શું નહીં વગેરે પ્રશ્ર્નોની જંજાળમાંથી બહાર આવી જઈએ. સાંખ્યયોગમાં ‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ’વાળા અને એની પછીના ‘તત્ર કા પરિદેવના’વાળા શ્ર્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે: ‘જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય નથી.’

આગળ કહે છે: ‘જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ (અર્થાત્ આપણે જેટલો સમય જીવીએ છીએ એટલો તબક્કો) જ વ્યક્ત છે એટલે કે પ્રગટ છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે?’ અનુવાદ: (ગાંધીજી, ‘અનાસક્તિ યોગ’ ૨:૨૭/૨:૨૮)

એટલે હવે અગમનિગમની વાતોનો તો જાણે સાવ છેદ જ ઊડી ગયો. જે અવ્યક્ત છે એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જે વ્યક્ત છે તે જ અર્થાત્ જિંદગી જ મહત્ત્વની છે અને ભગવદ્ ગીતાનું કેન્દ્ર માણસની જિંદગી જ છે.

હવે ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’ વાળો શ્ર્લોક લો. બાકીની સમસ્યા પણ દૂર થઈ જશે. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, પાણી પલાળી શકતું નથી વગેરે કહીને એક વાત સ્થાપિત થઈ ગઈ કે આત્મા અમર છે. જો જિંદગી પહેલાંની અને જિંદગી પછીની પરિસ્થિતિઓ અવ્યક્ત હોય તો તમે આત્માની અમરતા કઈ રીતે લઈ આવ્યા?

તે એ રીતે કે કોઈના વિચારો, એનું વર્તન, એનો સ્વભાવ, એની રહેણીકરણી વગેરે બધું જ એના સીધા કે આડકતરા સંપર્કમાં હોય એવી વ્યક્તિ પર છાપ પાડતું રહે છે. કોઈ મૃત્યુ પામે પછી પણ આવી છાપ ઝીલનારી ડઝનબંધ, સેંકડો કે પછી એથીય વધુ વ્યક્તિઓ જીવતી રહે છે. આ સેંકડો કે હજારો વ્યક્તિઓમાં પેલા મૃત્યુ પામેલા કોઈક જીવનો આત્મા આ રીતે ‘રહેતો’ હોય છે. તમારા પિતાના ગયા પછી એમનો સ્વભાવ, એમના વિચારો ઈત્યાદિ તમારા સહિત તમારા કુટુંબના કેટલાક સભ્યોમાં કે એમના મિત્રો વગેરે તથા સમાજજ્ઞાતિના પરિચિતોમાં છાપ મૂકી જાય. એ રીતે તમારા પિતાનો આત્મા અમર. તમે જશો પછી તમારો આત્મા પણ અમર. આત્મા અમર છે તે આ અર્થમાં.

ભગવાન, આત્મા આ બધું એક સુંદર ક્ધસેપ્ટ છે. આવી અદ્ભુત કવિતાની કવ્વાલી બનાવીને ધંધો કરનારાઓ દરેક ધર્મમાં હોવાના. કકળાટ નહીં કરવાનો. એકાંતમાં કવિતાનું સાંનિધ્ય માણતા રહેવાનું. હવે હું તમને એક સવાલ પૂછું: તમે ભગવાનમાં માનો છો? 


મારી નોંધ : સૌરભભાઈની રજૂઆત સારી રહી પણ તેઓ દૂધ અને દહીંમાં પગ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે .
મંદિરે જાય છે પણ ભગવાનમાં માનતા નથી . ફોટાઓને પગે લાગે છે પણ તેમ આસ્થા નથી . માણસ ક્યારે ય સ્વાર્થ વગર આવું કરી ન શકે તેનો કોઈ ગર્ભિત સ્વાર્થ જરૂર હોય જ છે સહમત થઈએ કે ન થઇએ   લાલો લાભ વગર ક્યારે લોટ તો નથી .

No comments:

Post a Comment