Sunday, April 7, 2013

શાહો-બાદશાહોની તઘલખી દુનિયા -સુનીલ મેવાડા

શાહો-બાદશાહોની તઘલખી દુનિયા
વાત એવા રાજાઓની જે આપખુદ તો હતા જ, પણ ઇશ્ર્વરથીય પોતાને સર્વોપરી માનતા
સુનીલ મેવાડા

ઇતિહાસ એવો વિષય છે જેની વાત કરવા માટે કોઇ સીઝન નથી હોતી, અને રીઝન પણ નહીં. સિવાય કે વાત કરનાર અને સાંભળનાર ઇતિહાસપ્રેમી હોય! એ વાતમાં બેમત નથી કે આજનું વાતાવરણ કહેવાતા સત્તાધીશોના રાજમાં પણ અરાજકતાથી પીડાઇ રહ્યું છે. ત્યારે યાદ આવે છે ઇતિહાસનાં પાનાંમાં છુપાઇ ગયેલા દેશદુનિયાના ઘણા એવા રાજાઓની જે ખરા અર્થમાં પ્રજાના રાજા હતા, બાદશાહ હતા અને પોતાની રાજ્યસત્તાને જ નહીં, પરંતુ રાજ્યને પણ અને સત્તાને પણ પ્રેમ કરતા હતા. એ રાજાઓના ઉલ્લેખ સાથે મનમાં એવાય ઘણા રાજાનાં ચિત્રો આવી જાય છે જેમનાં નામ પોઝિટિવ કરતાં નેગેટિવ વાતો માટે વધારે જાણીતાં બન્યાં હોય. એવાં અમુક નામોની વાત આજે કરવી છે.

ભારતમાં મધ્યકાળ(મેડીવલ પિરિયડ)ની દિલ્હી સલ્તનતના રાજાઓ પર ઘણું લખાયું છે તેમની રસપ્રદ કથાઓ માંડીએ તો ક્યાંય અંત દેખાતો નથી. તેમાંના એક સુલતાન મહંમદ બિન તુઘલકનું નામ જાણીતું છે એની બદકિસ્મતી માટે! તેના મહત્ત્વાકાંક્ષી નિર્ણયોના દર વખતે ઊંધા પરિણામો આવતાં, અને તેથી આપણા અમુક નિર્દય ઇતિહાસકારોની મહેરબાનીથી તેને ‘મહંમદ ગાંડો’ જેવું ઉપનામ મળી ગયું! રાજધાનીની બદલી અને ચલણી નાણાંને વપરાશમાં લાવવાની તેની મહત્ત્વકાંક્ષી યોજના તદ્દન નિષ્ફળ રહ્યી સાવ નજીવાં કારણોથી! હકીકતમાં મહમદ બિન તુઘલક અત્યંત પ્રતિભાશાળી અને દીર્ઘદ્રષ્ટા સુલતાન હતો. તેની યોજનાઓની સમસ્યાએ હતી કે તે મધ્યકાળમાં આધુનિક હતી. સુલતાન મહંમદ બિન તુઘલક વિશે એક ઇતિહાસકારે બહુ સરસ લખ્યું છે કે ‘હી વોઝ બોર્ન બિફોર હિઝ ટાઇમ!’

મહંમદ તુઘલક પહેલાં સત્તા પર હતા ખીલજી. ‘માર્કેટ રિફોર્મ્સ’ના પ્રણેતા ગણાતા અલ્લાઉદ્દીન ખીલજીને ખૂબ જ ક્રૂર અને ઘાતકી સુલતાન લેખવામાં આવે છે, તેની ક્રૂરતા તપાસવા એક જ ઉદાહરણ પર્યાપ્ત છે: તેના રાજ્યમાં કોઇ વેપારી દાણચોરી કરતાં પકડાય તો તેણે જેટલા વજનના અનાજાદિનો ગોટાળો કર્યો હોય એટલા જ વજનનું માંસ એના શરીરમાંથી કાઢી નાખવામાં આવતું...! ભારતના મધ્યકાળમાં સૌથી મોટો રસ તો સ્લેવ ડાયનેસ્ટીમાં પડે એવો છે. એના અભ્યાસ પછી તો ગંડુ રાજાના ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ના ન્યાયમાં જરીકે અતિશયોક્તિ ન લાગે. સ્લેવ ડાયનેસ્ટીની ખાસિયત હતી કે એમાં એક પછી એક સુલતાન તેમના ગુલામોને પદાધિકાર આપતા ગયા અને સુલતાન બનાવતા ગયા! તેમાંનું એક રોચક નામ છે ઝિયાસ ઉદ્દીન બાલબન. તે બાદશાહ ઇલ્તુતમિશનો ગુલામ હતો પણ તેને મહત્ત્વનાં સુકાન મળ્યાં હતાં સુલતાન કુતુબુદ્દીન ઐબકના હુકમથી- જેનો ઇલ્તુતમિશ ગુલામ હતો! એ બાલબન જાણીતો છે એની ‘કિંગશિપની થિયરી’ માટે, જેના પ્રમાણે એની સત્તા દૈવીય તત્ત્વની ઇચ્છાથી પ્રસ્થાપિત થઇ છે અને કોઇ માણસને એના વિશે અભિપ્રાય આપવાનો હક્ક નથી. એની માન્યતાઓ ભયંકર હતી. તે માનતો હતો કે ‘કિંગશિપ’એ દૈવીય વસ્તુ છે એનું માન જળવાવું જોઇએ. એ જાહેરમાં, મહેલમાં કે કોર્ટમાં(જ્યાં ધર્મપ્રધાનો સાથે બેસી ચર્ચા થતી) ક્યારેય હસતો નહીં. લોકોને, પ્રધાનોને કે બીજા કોઇને જલદી મળતો નહીં. અનિવાર્ય સંજોગોમાં જ કોર્ટમાં આવતો, તેની કોર્ટમાં પ્રધાનોને હસવાની સખ્ત મનાઇ રહેતી. અને બહુ સખ્તાઇથી માનતો કે સુલતાને આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ કે ઉદાસી જેવા કોઇ ભાવ પ્રદર્શિત ન કરવા અને ચહેરો ગંભીર જ રાખવો જોઇએ. પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પણ બાલબનના ચહેરાની રેખાઓ હલી ન હતી. આવા બાલબન માટે ઘણા મજાકિયાઓ ગીતાનો સ્થિતપ્રજ્ઞ વિશેનો ‘સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા... કિમ્ પ્રભાષિત... કિમ્ આસીત... વ્રજેત કિમ્...’વાળો શ્ર્લોક અવળચંડાઇથી યાદ કરતા હોય છે! બાલબનને ‘ભારતીય કેલીગુલા’ ન કહી શકાય? ઘણા લોકોએ આ રોમન સમ્રાટનું નામ તો સાંભળ્યું જ હશે. કેલીગુલા પણ પોતાને ભગવાન માનતો હતો, દેવપ્રતિમાઓના માથા પડાવીને પોતાનું માથું કોતરાવતો. પોતાની મૂર્તિઓ બનાવડાવતો, મંદિરો બંધાવતો તેણે પોતાના એક મંદિરમાં એક ઘોડાને પૂજારી તરીકે નિયુક્ત કર્યો હતો. તે એટલો સનકી હતો કે એક જગ્યાએ તો એવો સંદર્ભ છે કે તે મનોરંજન માટે રાજ્યના કેદીઓ સિંહોને ખવડાવી દેતો, એ પણ જાહેર કાર્યક્રમ જેવું આયોજન કરીને! એક વાર કેદીઓ ખૂટી પડ્યા, તો પ્રક્ષક તરીકે આવેલા લોકોની ભીડમાંથી અડધાને પકડીને સિંહ સામે નાખી દેવાનો તેણે આદેશ આપી દીધો. એનું એકમાત્ર કારણ હતું: તે કંટાળી રહ્યો હતો!

ભારતમાંથી બહાર નીકળી દુનિયાની લટાર મારીએ તો પણ રાજાઓની અચરજ ભરેલી વાતો ઓછી પડે એમ નથી. ચીનની દીવાલ ‘છાંગ છાંગ’(ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના)થી તો બધા જ પરિચિત હશે, તે બાંધવાની જેણે શરૂઆત કરેલી તે રાજા, નામે શી હુઆંગ ડી કેટલો ધૂની હશે એની કલ્પના કરવી ઘટે! ઉત્તરમાંથી થતાં આક્રમણોના ભયે શી હુઆંગ ડીને આ વોલ બનાવવા પ્રેર્યો હતો. એ સમયે તેણે ફર્સ્ટ વર્લ્ડ વોરની જેમ ‘લેટ ધ ફર્સ્ટ વર્લ્ડ વોલ બિગેઇન!!’ જેવો સૂત્રોચ્ચાર કર્યો હોવો જોઇએ, કારણ કે તેના રાજમાં કોણે કેવી હેરસ્ટાઇલ રાખવી તે પણ એ પોતે નક્કી કરીને કહેતો! આખેઆખા પર્વતો રંગી દેવાના આદેશોથી તેના સૈનિકોને આશ્ર્ચર્ય ન થતું, અમુક વાર કોઇ ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થવાનું બન્યું હોય અને આંધી નડતી હોય તો તેના સૈનિકોએ સંપૂર્ણ જંગલ જ કાપી દેવાના આદેશનું પાલન કરવું પડતું! ચીનની મહા-દીવાલ બાંધવાની તો એણે શરૂઆત જ કરેલી પણ એના જેવું જ પ્રચંડ બાંધકામ એણે કરાવેલું અને એ હતી એની પોતાની કબર! એણે પોતાના ‘નિર્વાણ’ માટેની વ્યવસ્થામાં કબરની આસપાસ ૭૦૦૦ સૈનિકો તહેનાત રાખ્યા હતા (અધધધ સૈનિકો... ટેરાકોટાના)! આ સૈનિકોને ‘ટેરાકોટા આર્મી’ કહેવામાં આવે છે અને તે દુનિયાની આઠમી અજાયબી પણ મનાય છે. ચીનના આ રાજા વિશેની ઘણી ભયંકર વાતો હચમચાવી મૂકે એવી છે. ક્ધફ્યુસિનિઝમ ચીનનું અભિન્ન અંગ છે પણ શી હુઆંગ ડીએ તે બંધ કરાવ્યું હતું. એકચક્રી શાસનમાં માનતા આ રાજાએ સમગ્ર રાજ્યમાંથી દૈવીય અને ઔષધીય વિષયક છોડીને તમામ ગ્રંથો બાળી નખાવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તેના રાજ્યકાળની સરખામણી ઇતિહાસના (અલબત્ત, ચીનના જ) કોઇ રાજ્યકાળ સાથે ન થાય અને ચીનનો ઇતિહાસ તેની ડાયનેસ્ટીથી જ શરૂ થવો જોઇએ એવું તે ચાહતો હતો. ફક્ત પોતાની ક્વીન ડાયનેસ્ટીના ઇતિહાસનાં જ પુસ્તકો તેણે જાળવ્યાં હતાં, અને બીજી એક વાત કે પ્રતિબંધિત ગ્રંથો સાથે પકડાયેલા ૪૬૦ જેટલા વિદ્વાનોને જીવતા જ દાટી દીધા હતા.

ફ્રાન્સમાં જે નોર્મન (નોર્થથી આવેલા લોકો) તરીકે ઓળખાય છે તે વિકિંગ્સ યુરોપના ભયંકર યોદ્ધાઓ હતા. આજનું નોર્મેન્ડી આ નોર્મનો દ્વારા જ સ્થપાયું હતું. કિંગ કેનેટ ધ ગ્રેટ એ જ ભયાનક વિકિંગ્સ યોદ્ધાઓમાંનો એક હતો અને તે માનતો હતો કે પોતે ભરતી રોકવાની શક્તિ ધરાવે છે. તેથી તે તેનું રાજસિંહાસન લઇને દરિયાકિનારે બેસતો અને મોજાંને પાછા વળવાના આદેશો આપ્યા કરતો. તે કહેતો રાજ્યમાં રાજા જ સર્વેસર્વા હોવાથી પોતાના રાજ્યનાં ઝાડપાન, માટી, પથ્થર બધાંએ રાજાનો હુકુમ માનવાનો જ હોય. પછી તે દરિયો હોય તો શું થયું??!

રાજાશાહીમાં વારસાગત પદાધિકારીની ક્ધસેપ્ટ સૌથી પહેલાં અરબના દ્વિપમાં રાજા સેરગોન દ્વારા શરૂ કરવામાં આવી એવું મનાય છે. પ્રાચીનકાળના ઇતિહાસમાં જેની ગણના ગ્રેટેસ્ટ કિંગ્ડમ્સમાં થાય છે તે અક્કાડિયન એમ્પાયર રાજા સેરગોને સ્થાપેલું. સેરગોન વિશે એકથી વધારે માન્યતાઓ છે પણ તેની આધારભૂત વાર્તા કંઇક આવી છે: સેરગોન આમ તો એક સામાન્ય ગાર્ડનર હતો, કંઇક ગરબડથી તે રાજાનો ખાસ સેવક બન્યો. રાજાએ તેને બીજી જગ્યાએ કામ કરવા મોકલ્યો અને એક દિવસ એને ભ્રમ થયો કે દેવી ઇશતાર એને આવીને આશિર્વાદ અને શક્તિ આપી ગયાં છે કે આ દુનિયા પર તારે રાજ કરવાનું છે જા! તેથી સેરગોનભાઇ તો ઉત્સાહિત થઇને ઊપડી ગયા લડવા... અને લડતાં લડતાં રાજા પણ બની ગયા!!

રાજાઓ-બાદશાહો વિશેની આવી વાતો તો બેહિસાબ છે. ઇતિહાસમાં વિલીન થઇ ચૂકેલા સત્તાધીશો વિશે આવી આવી હકીકતો જાણ્યા પછી થાય છેને મન ફરી રાજા-મહારાજા, શાહો-બાદશાહોની દુનિયામાં ખોવાઈ જવાનું?

-----------------

મોજાં રોકવા દરિયાકિનારે બેસી ગયેલો કિંગ કેનેટ - શી હુઆંગ ડીની કબર, જ્યાં આજે પણ ઊભેલા છે ૭૦૦૦ માટીના સૈનિકો

No comments:

Post a Comment