Sunday, January 13, 2013

કેન્સર તથા અન્ય અસાધ્ય રોગો -સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ


સમજુ માણસોએ બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીથી દૂર રહેવું

હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી

શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, ઊલટી, ઝાડા જેવી તકલીફો સર્જાય છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો થઈને ગાડી પાછી પાટે ચડી જાય છે

સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

‘તબીબી ક્ષેત્રે હિંસા’ પુસ્તકમાં ડૉ. મનુ કોઠારી તથા ડૉ. લોપા મહેતા લખે છે કે સ્ત્રીઓની ફૅશન જેમ બદલાતી રહે છે એમ સતત કંઈક નવું બજારમાં મૂકવાની ઘેલછાથી દવાઓ પણ બદલાતી રહે છે. આ બદલાતી દવાઓ કંઈ મેડિકલ ક્ષેત્રની પ્રગતિની નિશાની નથી. દવા બનાવનારી કંપનીને પહેલેથી જ પોતાની પ્રોડક્ટની પોકળતાની ખબર હોય છે. ડૉક્ટરો સુધી આ પોકળતાની માહિતી પહોંચે ત્યાં સુધીમાં તો દવા કંપની એ દવાને પાછી ખેંચીને બીજી બે દવા બજારમાં મૂકી દે છે... આટલું કહીને ડૉક્ટર કોઠારી અને ડૉ. મહેતા એક ધણું અગત્યનું વિધાન કહે છે: ‘દવા બનાવવા અને વેચવાનો ઉદ્યોગ એક અનોખો છે જેમાં શોષણ કરવાની પ્રવૃત્તિને પણ પરોપકારની ઉમદાવૃત્તિનું મહોરું પહેરાવાય છે.’

બ્રિટિશ મેડિકલ જર્નલના ૧૯૯૭ના એક અંકમાં તંત્રીલેખના શબ્દો ટાંકીને આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યાં સુધી તમારી પાસે એવું વજૂદ કે એવા પુરાવા ન હોય કે તમારી તપાસ કે ડાયગ્નોસિસને લીધે દર્દીનું વહેલું નિદાન કરવાથી એને ફાયદો થવાનો છે ત્યાં સુધી કોઈ પણ બીમારી માટે નિયમિત આગોતરી તપાસ કરતા રહેવું અયોગ્ય છે.’

પ્રોસ્ટેટના કૅન્સરની બાબતમાં આ વિધાન થયું છે. અમેરિકામાં આ વિધાન થયું છે. અમેરિકામાં પ્રોસ્ટેટના કૅન્સરની નિયમિત આગોતરી તપાસ કરાવવાનું ચલણ શરૂ થયા પછી એ કૅન્સરના પ્રમાણની નોંધ રાતોરાત વધી ગઈ. બાયોપ્સી અને શસ્ત્રક્રિયા વડે પ્રોસ્ટેટને દૂર કરવાનો આંક એકદમ ઉપર જતો રહ્યો.

આ ડૉક્ટરબેલડી દૃઢપણે માને છે કે હૃદયરોગનો હુમલો, પક્ષાઘાત કે બ્લડપ્રેશરમાં થતો ઉંમર સહજ વધારો જેવા રોગો માનવદેહની રચનાના કાર્યક્રમમાં જ સમાયેલા છે... સંધિવાનો રોગ એ સમગ્ર શરીરના તાંતણાના માળખામાં ઉંમર સહજ થતા ફેરફારોનું સ્વરૂપ છે. ભીંડો કેવો ઘરડો થઈ જાય છે, તેવી જ રીતે શરીરના તાંતણાની ઉંમર સાથે કુણાશ ઘટતી જાય છે. હૃદયની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે સંધિવા રોગીને મદદરૂપ નીવડે છે. સાંધાના દુખાવાથી વ્યક્તિની દોડાદોડી ઘટી જાય છે જેથી કરીને હૃદય પર ક્યારેય અતિ શ્રમ પડતો નથી. કૅન્સર, હૃદયરોગ અને હાઈ બીપી જેવા અન્ય રોગની જેમ ડાયાબિટીસ પણ મનુષ્યદેહના કાર્ય અને એની રચનાના અંતર્ગત કાર્યક્રમનો એક સ્વતંત્ર પ્રસંગ છે. એને માતાપિતામાં ડાયાબિટીસ હતો કે નહીં એની સાથે કંઈ લેવાદેવા નથી. જન્મથી માંડીને જીવનના કોઈ પણ તબક્કે આ પ્રસંગ ભજવાય છે.

આ ડૉક્ટરો સમજાવે છે કે માનવ શરીરનું અખૂટ ડહાપણ શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી તકલીફો ઊભી કરે છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો કરીને ગાડીને પાછી પાટે ચડાવવાનો ઈરાદો હોય છે. દવા બનાવનાર કંપનીઓ આવી તકલીફોને શરીર પર થયેલા ત્રાસદાયક આક્રમણ તરીકે બદનામ કરે છે અને ટપલું મારીને તકલીફને દબાવી દેવાનું કહે છે. આવી દરેક તકલીફ એ શરીરના શાણપણની નિશાની છે.

આ ડૉક્ટર લેખકોનું એક અન્ય પુસ્તક છે: ‘જીવન, મરણ અને તબીબી ક્ષેત્ર! વાસ્તવિક નજરે.’ આ પુસ્તકમાં હૃદયરોગ, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ વિશેના એક પ્રકરણમાં તેઓ કહે છે: ‘હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી. આ કથન કોઈ પણ સામાન્ય માણસને ગળે ઊતરવું કઠિન છે. હકીકતે (હૃદયરોગ માટે) જે કંઈ દવાઓ વપરાય છે એ સર્વેની શરીરમાં અન્યત્ર ઠેર ઠેર વ્યાપક અનિચ્છનીય આડકતરી અસરો જોવા મળે છે. માટે જ તો ડૉક્ટરો નિતનવી દવાઓનો વપરાશ કરતા હોય છે. હૃદયરોગનો હુમલો શું છે, શેને કારણે છે એની જ ખબર ન હોય તો તેના પર અસરકારક રામબાણ દવાની આશા કેવી રીતે સેવી શકાય?

બાયપાસ સર્જરી વિશે લેખકોનું કહેવું છે કે આ શસ્ત્રક્રિયાને કારણે હૃદયના જ્ઞાનતંતુઓ છેદાઈ જતાં હૃદય દ્વારા દુખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી શકતો નથી. હૃદયના જે ભાગમાંથી દુખાવાની ફરિયાદ થતી હતી તે ભાગ શસ્ત્રક્રિયા કરવાથી પૂરેપૂરો મરી જાય છે એટલે જ ત્યાંથી પછી દુખાવો શરૂ થતો નથી. દુખાવો શાંત થઈ જવાથી દર્દી અને ડૉક્ટર બેઉ શસ્ત્રક્રિયાની અકસીરતા પર વારી જાય છે. હકીકતમાં આંગણાં મોકળાં મૂકી ખાળે ડૂચા મારવામાં આવે છે.

આ મૂલ્યવાન પુસ્તકમાં ડૉક્ટર લેખકોએ નિખાલસ બનીને સ્પષ્ટ સલાહ આપી છે: સૌ અભણ અને સાક્ષર વ્યક્તિઓને અમારી એક જ સલાહ છે કે ભલે (હૃદયરોગનો) ઉપચાર (જેવા કે) બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી તમને તર્કસુસજ્જ દેખાતાં હોય પણ એ ઉપચારો હૃદય માટે તેમ જ તમારા મગજ માટે નુકસાનકારક છે. હૃદયરોગ નિષ્ણાત અને હૃદય શસ્ત્રક્રિયા નિષ્ણાત અત્યારે વાવ પર ચઢી બેઠા છેે અને એના પરથી ઊતરવા તૈયાર નથી, કારણ કે તે બહાદુરીને કારણે જ પૈસાના ધોધનો બદલો મળે છે તે તરત જ અટકી પડે. હૃદય ધમનીનો એક્સ-રે દ્વારા અભ્યાસ, કોરોનરી એન્જિયોગ્રાફી અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી - આ ત્રણેય આજે દુનિયાભરમાં વધુ બીજા રોગો બક્ષનાર ત્રિપુટી છે. એક સમજુ માણસે પોતાના હૃદયની ધમનીની માળા પર કોઈને હાથ લગાડવા દેવો નહીં, પછી ભલેને એ ખૂબ આધુુનિક લેઝર હોય કે ટીમર હોય કે રોટર હોય કે જે કંઈ હોય, અને તે વાપરનાર ડૉક્ટર ભલે ને કોઈ દેવનો દીકરો દેખાતો હોય.

આ પુસ્તકનું ‘દેહદાન અને અંગદાન! કેટલી ભ્રમણા, કેટલું સત્ય’ પ્રકરણ પણ વાચકની આંખ ઉઘાડનારું છે. લેખકો કહે છે કે ઈ.સ. ૧૯૬૧થી આજ સુધીના અમારા શેઠ જી. એસ. મેડિકલ કૉલેજના અનુભવ પરથી કહી શકીએ કે કોરોનરની પરવાનગીથી અમને જરૂરી હોય એટલા બિનવારસ મૃતદેહો મળી રહે છે. બીજું, માણસના મર્યા પછી એના દેહની માલિકી એની પોતાની રહેતી નથી. કાયદેસરના વારસદારો એના માલિક બને છે. માટે વારસદારોની ઈચ્છા પ્રમાણે મૃતદેહનો નિકાલ થઈ શકે.

ડૉક્ટરલેખકો અંગદાન વિશે કહે છે કે આંખ પરના પડદા કોર્નિયા લોહી વગર આખી જિંદગી ટકે છે છતાં ૫૦ ટકા વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરેલી કોર્નિયા ટકતી નથી. તબીબી શલ્યચિકિત્સકો આજ સુધી સફળતાપૂર્વક એક ચોરસ ઈંચની ત્વચા પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા નથી તો પછી મૂત્રપિંડ, હૃદય, યકૃત અસ્થિમજ્જાની તો વાત જ શું કરવી?

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનું ચોથું પુસ્તક (પ્રથમ પુસ્તક કૅન્સર વિશેનું) ‘જીવન, ઘડપણ, રોગ અને મૃત્યુ’ વાંચીને કોઈ પણ વ્યક્તિ રોગના ડરથી, વૃદ્ધાવસ્થાના ભયથી અને મૃત્યુના ખૌફથી મુક્ત થઈ જાય એવી એવી વાતો એમાં લખેલી છે. આ પુસ્તક વાચીને વાચક પોતાની જીવનશૈલીને અનુરૂપ જીવન જીવતો થઈ જાય, લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિકલેઈમની જંજાળમાંથી છૂટી જાય અને બેશક, રેગ્યુલર ચૅકઅપ, દવાઓ તથા ડૉક્ટરો - ઈસ્પિતાલોથી સાવધ થઈ જાય. મેડિકલ ક્ષેત્રની સીમાઓ ક્યાં અને કેટલી છે તથા તબીબી ક્ષેત્રના વ્યાપારીકરણનો ભોગ ન બનવાની સૌ કોઈને સ્વતંત્રતા છે એવી સમજ ફેલાવવાનું કામ આજના યુગના ઋષિ સમાન ડૉ. મનુ કોઠારીએ ખૂબ સમજદારીથી અને વિશ્ર્વસનીયતાથી કર્યું છે. વંદન.

No comments:

Post a Comment