Sunday, November 22, 2015

કિયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર - મહેન્દ્ર પુનાતર

જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


જગતમાં બે પ્રકારના લોકો છે એક છે આગ્રહશીલ. આમ થવું જ જોઈએ. હું કહું એ જ સાચું. આ મારો સિદ્ધાંત છે. એમાં કશી બાંધછોડ નહીં એવું માનવાવાળા. આવા લોકો જિદ્દી હોય છે અને કેટલીક વખત હઠાગ્રહી પોતાની વાત છોડે જ નહીં, આવા લોકો તૂટી જાય પણ નમતું મૂકે નહીં. બીજા પ્રકારના માણસો સીધા અને સરળ હોય છે. તેઓ પોતાનો મત વ્યક્ત કરે છે પણ તેમને કોઈ આગ્રહ હોતો નથી. તમે તેની વાત સ્વીકારો કે ન સ્વીકારો તેમને કશો વાંધો નથી. આવા લોકો બીજાની વાત સાંભળે છે અને પછી અભિપ્રાય વ્યક્ત કરે છે. જ્યાં બોલવાનું જરૂરી હોય ત્યાં જ બોલે છે. વાતને ચગાવતા નથી. જીવનમાં જે કાંઈ ઘટના બને તેનો શાંત ચિત્તે સ્વીકાર કરે છે. મુશ્કેલી આવે તો તેને હસતા મોઢે કેમ દૂર કરવી તેનો વિચાર કરે છે વલોપાત કરતા નથી. તેમને કોઈ વાંધાવચકા નથી. જેવા સંજોગો ઊભા થાય તે પ્રમાણે તેઓ પોતાની જાતને વાળી લે છે. તેઓ કોઈ બાબતમાં ઘસડાતા નથી, પરંતુ સરળતાથી વહે છે.

એક નાની ઝેન કથા છે. એક નદીમાં ભારે પૂર આવ્યું. ઘાસના બે નાના તણખલાઓ તેમાં વહી રહ્યા છે. એક તણખલું આડું પડીને નદીના પ્રવાહને રોકવા મથી રહ્યું છે અને સાથે ઘસડાઈ રહ્યું છે. તે નદીની સામે લડી રહ્યું છે. નદીને આનાથી કોઈ ફરક પડતો નથી પણ આ તણખલુ મરણિયું થયું છે. બીજું તણખલું નદીના પ્રવાહ સાથે વહી રહ્યું છે, તેને નદી સામે કોઈ પણ જાતનો વિરોધ નથી. તે નદીની લહેરો પર સવાર થઈને આનંદથી ઝૂમી રહ્યું છે.

નદીના પૂર ઓસરી ગયા. આડુ પડેલું તણખલું વિરોધ કરીને તૂટી ગયું અને બીજું તણખલું ડોલતું ડોલતું હેમખેમ કિનારે પહોંચી ગયું.

જિંદગીમાં પણ જે લોકો પરિસ્થિતિ પ્રમાણે નમતા નથી, ઝૂકતા નથી, અક્કડ બનીને ઊભા રહી જાય છે, તેઓ છેવટે પોતાના ભારથી તૂટી પડે છે. વાવાઝોડું આવે ત્યારે વૃક્ષો નમી જાય છે, છોડવાઓ ઝૂકી જાય છે અને વાવાઝોડું તેમના પરથી પસાર થઈ જાય છે અને જે અક્કડ બનીને ઊભા રહે છે તેઓ ઉથલી પડે છે. લાઓત્સેએ કહ્યું છે. હવા જેવા બની જાવ અને નદીના પ્રવાહની જેમ વહો.

મુશ્કેલી એ છે કે ઘરમાં, કુટુંબમાં, સમાજમાં અને ધર્મમાં આપણે વહેતા નથી, પણ રોડાની જેમ આડા ઊભા રહી જઈએ છીએ. ચાલતા નથી અને કોઈને ચાલવા દેતા નથી. જિંદગી એ સમયનો પ્રવાહ છે એમાં મસ્ત બનીને વહેતા રહેવાનું હોય છે.

કેટલાક માણસો વાત વાતમાં ડહાપણ ડોળતા હોય છે, જાણે કે ન જાણે પણ પોતાને જ્ઞાની સમજતા હોય છે. આ માણસનો અહંકાર છે. અહંકાર અજ્ઞાનનું મૂળ છે, હું જાણતો નથી, હું આ અંગે અજ્ઞાન છું એમ કહેવું મુશ્કેલ છે. કેટલાક માણસો અધકચરી સમજણ સાથે ઉપદેશ આપવા બેસી જાય છે અને પોતે બીજા કરતાં વધુ સમજદાર છે તેમ સમજે છે. કોઈ પણ માણસ કોઈ પણ બાબતમાં પોતાની રીતે સમજે અને પોતાનો મત વ્યક્ત કરે તેમાં કશો વાંધો હોઈ શકે નહીં, પરંતુ આવા સમજદાર માણસો પોતાની વાત બીજા પર થોપવાનો પ્રયાસ કરતા હોય છે અને બીજાની વાત ખોટી છે, એમ માનતા હોય છે. તેઓ બીજાની વાત સાંભળવા પણ તૈયાર હોતા નથી. કોઈ બોલે તો અધવચ્ચેથી અટકાવીને પોતાનો કક્કો સાચો ઠેરવવાના પ્રયાસો કરે છે. કેટલાક માણસોનું કામ વાતનું વતેસર કરીને સમગ્ર બાબતને ગૂંચવી નાખવાનું હોય છે.

દરેક બાબતમાં જેટલી સમજ અને જેટલું જ્ઞાન હોય તેટલું જ બોલવું જોઈએ જે આપણું ક્ષેત્ર ન હોય, જે બાબતમાં આપણને પૂરતી જાણકારી ન હોય તેમાં ડહાપણ ડોળવા બેસીએ તો મૂર્ખામાં ખપીએ. કેટલાક માણસો વણમાગી સલાહ આપવા બેસી જાય છે. સલાહ આપવી ગમે છે, લેવી ગમતી નથી. જીદ અને અહંકારના કારણે માણસને સાચી વાત સમજાતી નથી. કદાચ સાચી વાત સમજાય તો પણ તેનો સ્વીકાર થતો નથી. આ અંગેની એક દૃષ્ટાંત કથા સમજવા જેવી છે.

એક સસરો અને જમાઈ ખેતર ખેડી રહ્યા હતા ત્યાં એક વટેમાર્ગુ સડક પરથી પસાર થયો તેણે પૂછ્યું, અહીંથી સ્ટેશન કેટલું દૂર છે? સસરાએ કહ્યું છ માઈલ અને જમાઈએ કહ્યું પાંચ માઈલ. આ વાતમાં સસરા અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ.

સસરો કહે અહીં મારો જન્મ થયો છે અને વર્ષોથી આ ભૂમિ પર રહું છું, અહીંની તસુએ તસુ જમીનનો મને ખ્યાલ છે. અહીં ફરીને મારા જોડા ઘસાઈ ગયા છે. સ્ટેશન અહીંથી છ માઈલ દૂર છે એમાં કોઈ શક નથી.

જમાઈ કહે તમે વૃદ્ધ થયા છો. તમારા હાથપગ બરાબર ચાલતા નથી એટલે બધું તમને દૂર લાગે છે સ્ટેશન અહીંથી પાંચ માઈલ દૂર છે, એમાં બે મત નથી.

સસરાએ કહ્યું, મેં તારા કરતાં ઘણી દિવાળીઓ વધુ જોઈ છે, તું મને ક્યાં સમજાવવા બેઠો તને શું ખબર પડે, તારામાં અક્કલ ક્યાં છે!

જમાઈ કહે, તમારા ધોળામાં ધૂળ પડી છે. હવે તમે ઘેર બેસો અને ભજન કરો, નહીંતર તમારી બુદ્ધિ બહેર મારી જશે.

વાતનું વતેસર થઈ ગયું. બંને વચ્ચે લાકડીઓ ઉછળે એ જ બાકી હતું ત્યાં દીકરી ભાથુ લઈને આવી ગઈ. પતિ અને પિતા બંને જીદે ચડ્યા હતા. કોઈ નમતું જોખવા તૈયાર નહોતા. દીકરી ડાહી હતી એટલે તેણે વાતને વાળી લીધી.

દીકરીને થયું પતિને સમજાવવો મુશ્કેલ છે. તેણે પિતાને કહ્યું ‘બાપુ તમે મને વહાલ કરો છો કે નહીં? બાપે કહ્યું: તારા કરતાં મારે વધુ શું છે! દીકરીએ કહ્યું: તમે તમારા આ છ માઈલમાંથી એક માઈલ મને ભેટ આપી દોને. બાપે કહ્યું: જા એક માઈલ તને આપ્યો. દીકરીએ કહ્યું; બાપુ છ માઈલમાંથી એક માઈલ તમે મને આપી દીધો હવે કેટલા માઈલ રહ્યાં? બાપે કહ્યું છ માંથી એક જાય તો પાંચ. હવે સ્ટેશન કેટલું દૂર? બાપે કહ્યું, પાંચ માઈલ.’

આમ ડાહી દીકરીએ ઝઘડો પતાવી દીધો. સસરાને અને જમાઈને ક્યાં સ્ટેશને જવું હતું. તે પાંચ માઈલ દૂર હોય કે છ માઈલ શું ફરક પડતો હતો, પરંતુ માણસની જીદ અને અહંકાર પોતાની વાતને છોડવા દેતા નથી. લોકો પોતાને કશું લાગતું વળગતું ન હોય એવી વાતોમાં જીદે ચડી જાય છે અને મહાભારત સર્જે છે.

મોટાભાગના ઝઘડાઓ અને તકરારો કારણ વગર, નજીવી બાબતોમાં થતી હોય છે. હું કહું એ જ સાચું એવો હઠાગ્રહ વહાલાને વેરી બનાવે છે. માણસે ખુલ્લું મન અને ઉદાર મતવાદી બનવું જોઈએ. અસહિષ્ણુ બનવાથી કશો ફાયદો નથી. બીજાની વાત ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ. કેટલાક લોકોને બધે વાકું દેખાય છે એને આપણે ગુલાબ પાસે લઈ જઈએ તો પણ કાંટા દેખાશે. માણસની વક્રદૃષ્ટિ તેને સાચું જોવા પ્રેરતી નથી.

જગતમાં બધું જ સારું અને સુખમય છે. જેવી આપણી દૃષ્ટિ હોય એવું આપણને દેખાશે. સારું જોવું હોય તો સારું દેખાશે. ખરાબ જોવું હોય તો ખરાબ દેખાશે. આપણું રચનાત્મક વલણ હોય તો બધું સારું છે. નકારાત્મક વલણ હોય તો બધું ખરાબ છે. વસ્તુ તો તેની તે જ હોય છે, પણ દરેક તેને પોતાની દૃષ્ટિથી જોશે અને એવો અહેસાસ કરશે. કેટલાક માણસોને બીજાનું સારુ દેખાતું નથી. તેઓ બીજાના ગુણો નહીં પણ દોષોને જોતા રહે છે. સારા માણસો ગુણગ્રાહી હોય છે તેઓ સારી બાજુને જુએ છે ખરાબ પર તેમની નજર જતી નથી. સારા માણસોને કોઈ ખરાબ દેખાતું નથી. યુધિષ્ઠિરને કોઈ ખરાબ દેખાતું નહોતું અને દુર્યોધનને કોઈ સારું દેખાતું નહોતું. આપણે જેવા હોઈએ એવા જ બીજાને જોઈ શકીએ છીએ.

માણસની આંખો પર અહંકારની પટ્ટી લાગેલી છે, એટલે તે જે છે તે જોઈ શકતો નથી, પરંતુ તેને જે જોવું હોય તે જોઈ શકે છે. અહંકાર પ્રબળ છે તેમાં સાચી વસ્તુ ઢંકાઈ જાય છે. અહંકારને કઈ રીતે દૂર કરી શકાય? હુંનો ભાવ ન રહે અને માણસ ધીરે ધીરે સરળ બનતો જાય. પોતાના અહમને સંકોરતો રહે. માન, યશ અને પ્રતિષ્ઠા માટે ફાંકા ન મારે અને કોઈ પણ જાતની અપેક્ષાથી મુકત બની જાય તો અહંકાર એની મેળે ઓગળી જશે. આ માર્ગ જરા કઠીન છે તો બીજો એક સીધો સાદો રસ્તો આમાંથી મુક્ત થવાનો છે. ઉદાર અભિગમ, બધાનો સ્વીકાર અને બધાને પોતાનામાં સમાવી લેવાની ભાવના, પ્રેમપૂર્ણ વ્યવહાર અને દયા-કરુણાનો ભાવ હોય તો અહંકાર ન રહે. અહંકાર માન-અભિમાન, સંકુચિતતા અને સાંકડી મનોવૃત્તિમાંથી ઊભો થાય છે. અહંકાર આપણને બહારથી ફુલાવે છે પણ અંદરથી કમજોર કરે છે. અહંકાર ન રહે તો બધા દોષો પણ ન રહે. જીવનની બધી આપાધાપી હું અને મારુમાં રહેલી છે. હું માં તું દેખાવા લાગે તો જીવનનો માર્ગ સરળ થઈ જાય. અહંકાર સર્વ પાપોનું મૂળ છે. કબીરે કહ્યું છે તેમ...

"કોટી કરમ લાગી રહે,

એક ક્રોધ કી લાર,

કિયા કરાયા સબ ગયા,

જબ આયા અહંકાર.

No comments:

Post a Comment