Friday, April 10, 2015

કાશ્મીર: સરદાર પટેલ હોત તો...!- ચંદ્રકાંત બક્ષી



બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


સરદાર વલ્લભભાઈ પટેલે જીવનનાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં સામ, દંડ અને ભેદથી (સરદારના જીવનમાં "દામનો પ્રશ્ર્ન જ ન હતો.) હિન્દુસ્તાનનો નકશો એકરંગી બનાવ્યો અને રજવાડાઓના પીળા ડાઘ ભૂંસી નાખ્યા. ઉત્તરનાં ઝિંદ, નાભા, કપૂરથલા, પટિયાલા જેવાં શીખ રાજ્યો, રાજપૂતાનાં બિકાનેર, જોધપુર, જયપુર, ભરતપુર, અલવર જેવાં રાજપૂત રાજ્યો, ગાયકવાડ અને સિંધિયા જેવાં મરાઠા રાજ્યો, ભોપાલ જેવું અજ્જડ પાકિસ્તાનતરફી મુસ્લિમ રાજ્ય, ત્રાવણકોર- કોચીન (કેરાલા) ના સર સી. પી. રામસ્વામી અય્યર જેવા ત્રાંસા અને લગભગ દ્રોહી દીવાનો, માયસોરથી મયૂરભંજ સુધીનાં સેંકડો રાજ્યોના સર્વેસર્વા અન્નદાતાઓ જેમના દરેક અવાજનો ઉત્તર "ઘણી ખમ્મા ! અને "હુકમ ! અને "જી, બાપજી ! અપાતો હતો.... આ બધાને સરદારે એક કતારમાં ઊભા કરી દીધા હતા. પછી સરદારે હૈદરાબાદ અને જૂનાગઢને ઝબ્બે કર્યા, અને ઘણાને ખબર નથી પણ લક્ષદ્વીપ લઈ લીધું (લક્ષદ્વીપ લગભગ ૧૦૦ ટકા મુસ્લિમ છે, પણ એ ૧૯૪૭ના દિવસોમાં સરદારે જબરદસ્ત દીર્ઘદષ્ટિ અને વિધુત ઝડપ વાપરીને કબ્જે કરી લીધું હતું !) અને માઉન્ટ આબુનો ગુજરાતમાં સમાવેશ કરી લીધો હતો! પછીના કૉંગ્રેસી દૂરીતીરી પ્રકારના મુખ્યમંત્રીઓ આવ્યા અને આબુુ રાજસ્થાને પડાવી લીધું.

અને કાશ્મીર રહી ગયું, કારણકે કાશ્મીર પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનો વિષય હતો. નેહરુ કાશ્મીરી પંડિત હતા એ પણ એક કારણ હતું. કેટલાક ગંભીરતાથી માને છે કે જો સરદારે કાશ્મીર પ્રશ્ર્ન હાથમાં લીધો હોત તો કાશ્મીર ક્યારનું ય ઇન્ડિયામાં હોત! આ તર્ક ગુજરાતીઓનેે ગમે એવો છે પણ બહુ વાસ્તવિક નથી, કારણ કે કાશ્મીર જૂનાગઢ કે હૈદરાબાદની જેમ ચારે તરફ હિન્દુસ્તાનથી ઘેરાયલું નથી પણ છ સ્વતંત્ર દેશોની સરહદો કાશ્મીરને મળે છે. કાશ્મીરની તત્કાલીન ભૌગોલિક-રાજનીતિક પરિસ્થિતિ જુદી હતી. પણ એટલું ચોક્કસ છે કે કાશ્મીર સમસ્યા આજે જેટલી જટિલ બની ગઈ છે એટલી જટિલ સરદાર હોત તો કદાચ ન બનત. સરદારની યોજના પ્રમાણે હિન્દુસ્તાન ચાલ્યું હોત તો કાશ્મીરમાં હિન્દુ-શીખ બહુમતી હોત, અને કદાચ સિક્કિમની જેમ કાશ્મીર હિન્દુસ્તાનનો એક અવિભાજ્ય હિસ્સો હોત. અને સરદાર હોત તો પાકિસ્તાનને આટલી ગુંલાટો, છલાંગો, ઠેકડા, ભુસ્કા મારવા દેત નહીં. હિન્દુસ્તાનના બદનસીબે આપણા ઇતિહાસમાં એક કાલખંડ એવો આવી ગયો કે પાકિસ્તાનથી મુકાબિલ થવા માટે તદ્દન કાયર અને કરોડરજ્જુ વિનાના પ્રધાનમંત્રીઓની એક કતાર આવી ગઈ: વી. પી. સિંહ, ચંદ્રશેખર, ઇન્દરકુમાર ગુજરાલ, દેવેગૌડા, નરસિંહ રાવ ! દરમિયાન પાકિસ્તાન કાશ્મીર મસલાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં સફળ થઈ ગયું.

ઇંગ્લેડની ઇચ્છા હતી કે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય ! સરદારે ૧૯૪૭ના જુલાઈમાં કાશ્મીરના મહારાજાને સૂચન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં જોડાઈ જાઓ, પણ સપ્ટેમ્બરમાં જોડાવાની મહારાજાની ઑફરનો નેહરુએ અસ્વીકાર ર્ક્યો. નેહરુને અટકાયતમાં રહેલા એમના મિત્ર શેખ અબ્દુલ્લાની મુક્તિ વધારે મહત્ત્વની લગતી હતી! તાયફાવાળાઓનું આક્રમણ આવ્યું, મહારાજાએ જોડાણ કરાર (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન) પર સહી કરી, સામાન લઈ જનારાં હવાઈ જહાજોમાં ઇન્ડિયન આર્મીના પ્રથમ દસ્તા શ્રીનગર પહોંચ્યા. પાછળથી કૃષ્ણમેનને યુનોમાં કહ્યું કે આ દસ્તાઓમાંનો એક પણ સૈનિક જીવતો બચ્યો ન હતો ! અને એ શરૂનાં વર્ષોમાં પંડિત નેહરુ કલકત્તામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર એક જાહેર સભામાં બોલ્યા હતા, જે મને યાદ છે, કારણકે હું એ સભામાં ગયો હતો. જે સૈનિકો મોકલાયા હતા એમાંના કેટલાક મદ્રાસ રેજિમેન્ટના હતા અને એમણે જિંદગીમાં પહેલી વાર બરફ જોયો હતો! એ મદ્રાસી સૈનિકો કહેતા હતા : અહીંની તો મિટ્ટી પણ સફેદ છે...!

નવેમ્બર ૧૯૪૭માં જિન્નાહે પાકિસ્તાન આર્મીને કાશ્મીરમાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો, જેનો સુપ્રીમ કમાન્ડર સર કલોડ ઓકીનલેકે વિરોધ કર્યો અને ધમકી આપી કે જો પાકિસ્તાની લશ્કર કાશ્મીરમાં આવશે તો દરેક અંગ્રેજ અફસર પોતાના પદનું ત્યાગપત્ર આપી દેશે. જિન્નાહને ઝૂકવું પડ્યું પણ એમણે બીજી બાજી ગોઠવી. જિન્નાહે પંડિત નેહરુ અને સરદાર પટેલને ચર્ચા કરવા માટે લાહૌર આવવાનું આમંત્રણ આપ્યું. પંડિત નેહરુ માની ગયા પણ સરદારે સાફ ના પાડી દીધી. નેહરુની તબિયત નાદુરસ્ત હતી એટલે એમણે માઉન્ટ બેટનને જવા કહ્યું. આ મિટિંગમાં કાશ્મીર સમસ્યાને યુનોમાં લઈ જવાનો વિચાર પહેલી વાર કરવામાં આવ્યો હતો. જિન્નાહે પ્લેબીસાઇટ અથવા જનમતનો વિચાર વહેતો મૂક્યો, માઉન્ટ બેટને સુધારો કર્યો કે આ પ્લેબીસાઇટ યુનોના માર્ગદર્શન નીચે થવું જોઈએ. પંડિત નેહરુએ યુનોના આધિપત્ય નીચે આવું થાય એ નિર્દોષતાથી સ્વીકારી લીધું અને નવેમ્બર ૧૯૪૭માં સંસદમાં જાહેર પણ કરી દીધું. ડિસેમ્બર ૨૦, ૧૯૪૭ને દિવસે ભારતના પ્રધાન મંડળે યુનોમાં આ પ્રશ્ર્ન લઈ જવાનો ઠરાવ કરી દીધો. યુનોમાં કાશ્મીર સમસ્યા લઈ જવાનો માઉન્ટ બેટનનો સખ્ત આગ્રહ હતો. જૂન ૧૯૪૮માં માઉન્ટ બેટને હિન્દુસ્તાન છોડી દીધું. આ બધી અન્દરૂની માહિતીનું એક સૂત્ર ચંદ્રશેખર દાસગુપ્તાનું પુસ્તક "વૉર ઍન્ડ ડિપ્લોમસી ઇન કાશ્મીર, ૧૯૪૭-૧૯૪૮ છે.

આજે ૫૫ વર્ષ પછી કાશ્મીરનો પ્રશ્ર્ન વધારે જટિલ બની ગયો છે કારણ કે ઘણાં બધાં બાહ્ય પરિબળોએ ભાગ ભજવ્યો છે. એક વિચારધારા એવી છે કે જો અમેરિકા અફઘાનિસ્તાન પર આક્રમણ કરી શકે અને ઇરાક પર પ્રથમ હુમલો (પ્રિએમ્પટિવ સ્ટ્રાઇક) કરી શકે, જો રશિયા જ્યોર્જીઆમાં ચેચન બળવાખોરોને આશ્રય આપવા માટે જ્યોર્જીઆ પર પ્રથમ આક્રમણની ધમકી આપી શકે તો ભારત શા માટે આતંકવાદી અડ્ડાઓ પર તૂટી પડતું નથી ? કારણ કે ભારત પાસે અમેરિકાની જેમ બુશ કે રશિયાની જેમ પુટિન નથી...?

કાશ્મીરમાં માત્ર કાશ્મીરની ખીણ કે ઘાટી નથી, આ રાજ્યનું નામ "જમ્મુ અને કાશ્મીર છે, અને એમાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એમ ત્રણ પ્રદેશો છે. આર.એસ.એસ. રાજ્યના ૩ ટુકડાઓ કરવા માગે છે, અને એમના તર્કમાં થોડું તથ્ય પણ છે. હિન્દુસ્તાનના ૧૨ કરોડ મુસ્લિમોમાં કાશ્મીરમાં ફક્ત ૫૦ લાખ જેટલા મુસ્લિમો છે. અહીંની સરકારના સવા બે લાખ સરકારી કર્મચારીઓમાંથી કાશ્મીરની ઘાટીમાં જમ્મુ અને લદ્દાખના પૂરા બસો પણ સરકારી અફસરો નથી ! જમ્મુ અથવા લદ્દાખનો કોઈ માણસ ક્યારેય કાશ્મીરનો મુખ્યમંત્રી બની શકશે નહીં, કારણકે ૮૭ સભ્યોની વિધાનસભામાં કાશ્મીરની ૪૬ સીટ છે. અને આ કૃત્રિમ બહુમતીની પાછળ કેવી બદમાશી રમાઈ છે? જમ્મુનો વિસ્તાર કાશ્મીરની ઘાટીથી લગભગ ડબલ છે.

જમ્મુની વસતિ પણ ઘાટીની વસતિ કરતાં વધારે છે. પણ વિધાનસભામાં જમ્મુના પ્રતિનિધિઓ કાશ્મીરના પ્રતિનિધિઓ કરતાં હંમેશાં ઓછા રહે એ માટે જમ્મુમાં દર ૮૫૦૦૦ મતદાતાઓ માટે એક પ્રતિનિધિ, અને કાશ્મીરમાં દર ૫૫૦૦૦ મતદાતાઓ માટે એક પ્રતિનિધિ નક્કી કરવામાં આવ્યો છે ! એટલે પરિણામ એ આવ્યું કે ઓછી વસતિવાળું કાશ્મીર વિધાનસભામાં ૪૬ પ્રતિનિધિઓ મોકલે છે, જ્યારે વધારે વસતિવાળા જમ્મુને ફક્ત ૩૭ પ્રતિનિધિઓ મળે છે ! અને આ સરાસર અન્યાયની સામે આપણા બધા જ રાજકીય પક્ષો શા માટે ચૂપ છે ?

કાશ્મીરનો પ્રશ્ર્ન આપણા નબળા નેતૃત્વને લીધે ચૂંથાઈ ગયો છે. પાકિસ્તાનનો કેસ કમજોર છે પણ પ્રસ્તુુતિ જોરદાર છે, આપણો કેસ મજબૂત છે, પણ આપણી પ્રસ્તુતિ આપણા નબળા નેતૃત્વને કારણે કમજોર પડી જાય છે...

No comments:

Post a Comment