Saturday, December 20, 2014

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકર ની અનકહી કહાની - સૌરભ શાહ




‘સર, મારા મિત્રો મને કહ્યા કરે છે કે ભારતનું બંધારણ (સંવિધાન, કૉન્સ્ટિટ્યુશન) મેં ઘડ્યું છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે આ બંધારણને બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ. મારે એ નથી જોઈતું. એ કોઈનુંય ભલું કરે એમ નથી...’

બે-ચાર હાર્ટ ઍટેક સામટા આવી જાય એવી હકીકત એ છે કે આ શબ્દો ‘ભારતના બંધારણના ઘડવૈયા’ તરીકે જેમને સ્થાપી દેવામાં આવ્યા છે તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકરના છે. આ શબ્દોના સંદર્ભો માટે જુઓ: પ્રોસીડિંગ્સ ઑફ ધ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (રાજ્યસભા), ૨ સપ્ટેમ્બર ૧૯૫૩, - કૉલમ: ૮૬૪-૮૦ અને ૩ સપ્ટેમ્બર, ૧૯૫૩ - કૉલમ: ૯૯૭-૧૦૦૩.
આંધ્ર પ્રદેશની નોખા રાજ્ય તરીકે રચના અંગે રાજ્યસભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરના આ શબ્દો બોલાયા. આંબેડકર આવેશમાં આ શબ્દો બોલી ગયા હતા? ના. એ આપણે પાછળથી જોઈશું. આંબેડકરના આ વિધાન અંગે પ્રતિક્રિયા આપતાં તે વખતના મદ્રાસ રાજ્યના યુવાન સભ્ય કે. એસ. હેગડેએ (પાછળથી તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને તે પછી લોકસભાના સ્પીકરપદે પણ રહ્યા હતા) રાજ્યસભાના સભ્યો સમક્ષ કહ્યું હતું કે જેમને એક પ્રધાન તરીકે બંધારણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે પોતે જ બંધારણને બાળી નાખવાની વાત કરતા હોય તે ભારે આઘાતજનક કહેવાય. હેગડેએ કહ્યું, ‘તેઓ (આંબેડકર) શું સારો દાખલો બેસાડી રહ્યા છે? મને દુ:ખ થાય છે કે ડૉ. આંબેડકર ગૃહની નિંદા કરીને ગૃહમાંથી બહાર નીકળી ગયા. તેઓ જો ગૃહને હલકું ચીતરવા માગતા હોય તો એમના નિવેદનની પ્રતિક્રિયા સાંભળવાની તૈયારી પણ એમનામાં હોવી જોઈએ. બહુ જ હળવા શબ્દો વાપરીને હું કહું તો આંબેડકર જ્યારે કહે છે કે આ બંધારણ સાથે પોતે સહમત થતા નથી ત્યારે તેઓ નિર્લજ્જપણે એવી ઘોષણા કરે છે કે એક બનાવટને, એક ઠગાઈને, છેતરામણીને તેઓ શાશ્વતી બક્ષી રહ્યા છે. એમની આખી જિંદગી આવા અનેક વિરોધાભાસોથી ખીચોખીચ છે. આરંભે તેઓ જાતિવાદના જોરે આગળ આવવા મથ્યા અને હવે એ ભૂતકાળમાંથી બહાર નીકળવા માટે ઘણું મોડું થઈ થઈ ચૂક્યું છે. મને એમના માટે માત્ર દયા આવે છે...’

કે. એસ. હેગડેના વિધાનનું છેલ્લેથી બીજું વાક્ય સૂચક છે. આંધ્ર પ્રદેશની રચના કરવાની ચર્ચા દરમ્યાન આંબેડકરે ભાષાવાદ અને જાતિવાદને કારણે દેશના ટુકડેટુકડા ન થઈ જાય એ વિશે સલાહો આપી હતી. આંબેડકરના રાજયસભામાં બોલાયેલા પેલા શબ્દો, ક્ષણિક આવેશ નહોતો. આ જ શબ્દો એમણે ત્રણ વર્ષ પછી, પોતાના મૃત્યુ (છ ડિસેમ્બર, ૧૯૫૬ના થોડાક મહિના અગાઉ રાજકીય બાબતોના અભ્યાસી તથા જીવનકથાકાર માઈકલ બ્રેકરને કહ્યા હતા. બ્રેકરે આંબેડકરના એ શબ્દોને ઑફસફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થયેલા પોતાના પુસ્તક ‘નેહરુ અ પોલિટિકલ બાયોગ્રાફી’ના ૪૨૩મા પાને ટાંક્યા છે.

ભારતનું નવું બંધારણ ઘડવા માટેની બંધારણીય સભાની રચના કરવા માટે પ્રાંતીય ધારાસભાઓની ૧૯૪૬માં ચૂંટણી થઈ. કુલ ૧૫૮૫ બેઠકોમાંથી આંબેડકરના શેડયુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને માત્ર એક જ બેઠક મળી. એટલું જ નહીં, બૉમ્બે પ્રેસિડન્સીની ૧૭૫ બેઠકોમાંથી ક્યાંય આંબેડકરના ફેડરેશનને સમ ખાવા પૂરતી એક બેઠક પરથી પણ જીત ન મળી. છેવટે, ધનંજય કીર દ્વારા લખાયેલી આંબેડકરની જીવનકથામાં જણાવ્યા મુજબ, આંબેડકર મુસ્લિમ લીગની મદદ લઈને બંગાળમાંથી ચૂંટાયા. પણ પછી તો બંગાળના ભાગલા થયા એટલે આંબેડકરનો મતવિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં જવાનો થયો. આંબેડકરના સદનસીબે કૉન્ગ્રેસે નવ-ભારતની રચનાની આગલી સંધ્યાએ આ તમામ ખરડાયેલો ભૂતકાળ દાટી દેવાનું નક્કી કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ સ્ટેટના તે વખતના મુખ્ય પ્રધાન બી. જી. ખેરને સૂચના આપી અને તે મુજબ મુંબઈની બેઠક પરના લાયક ઉમેદવારોને ઉમેદવારી ન નોંધાવવા માટે સમજાવી દેવામાં આવ્યા અને આંબેડકર મુંબઈથી ચૂંટણી જીતીને બંધારણીય સભામાં જાય એવી સગવડ કરી આપવામાં આવી. આંબેડકર પોતે પહેલેથી જ બંધારણીય સભાની રચનાના વિરોધી હતા. ૧૯૪૫ની ૭મી મેએ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશને એક ઠરાવ પસાર કર્યો હતો જેના શબ્દો આંબેડકરના પોતાના હતા. એ ઠરાવમાં સપ્રુ કમિટીએ કરેલા બંધારણીય સભા રચવાના સૂચનને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યું હતું. બંધારણીય સભા બોલાવવાના મૂળભૂત વિચારનો જ એ ઠરાવે વિરોધ કર્યો હતો.

આંબેડકરના આ વિચારો ૧૯૪૬ના આખાય વર્ષ દરમ્યાન પણ રહ્યા. ૧૯૪૬ની ૯મી ડિસેમ્બરે બંધારણીય સભાની પ્રથમ બેઠક મળી તેના થોડાક દિવસ પહેલાં પણ આંબેડકર બંધારણીય સભાનો વિરોધ કરતા રહ્યા. આ બાબતના પુરાવા તમને ‘ટ્રાન્સફર ઑફ પાવર’ના નવમા ગ્રંથના પૃષ્ઠ ૧૯૭-૬૯૮ પરથી મળે છે. બંધારણીય સભાની પ્રથમ બેઠકના માંડ પખવાડિયા પહેલાં, નવેમ્બર, ૧૯૪૬માં, આંબેડકર મુસ્લિમ લીગની સાથે મળીને બંધારણીય સભાના તીવ્ર વિરોધનો જુવાળ ફેલાવે એવી પૂરેપૂરી શક્યતા હતી. ૨૭ નવેમ્બર, ૧૯૪૬ના રોજ રવાના થયેલા ‘પ્રાઈવેટ ઍન્ડ સીક્રેટ’ સંદેશામાં વાઈસરૉય લૉર્ડ વેવલે બ્રિટનના વિદેશ પ્રધાનને જણાવ્યું: ‘ધ ઑલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન (જેના આંબેડકર સર્વેસર્વા હતા) દ્વારા જાહેરાત થઈ છે કે ટૂંક સમયમાં જ તેઓ નિર્ણય લેશે કે બંધારણીય સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો કે નહીં, અત્યારે તો તેઓ એવું જ કરશે એવું લાગે છે, અને જો તેઓ એવું કરે તો એનો અર્થ એ થશે કે તેઓ મુસ્લિમ લીગ સાથે ભળી ગયા છે.’

આ વાતની જાણ ભારતની આઝાદી માટે લડી રહેલા સૌ નેતાઓને હતી. રાજકારણમાં વિરોધીઓને પોતાની પાંખમાં લઈ લેવાનો કે ચૂપ કરી દેવાનો શ્રેષ્ઠ ઉપાય ક્યારેક એ પણ હોય છે કે વ્યક્તિ જેનો વિરોધ કરી રહી હોય એ જ જવાબદારી એને સોંપી દેવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના કિસ્સામાં એવું જ બન્યું હતું.


૧૪ મે, ૧૯૪૬ના રોજ બ્રિટિશ કેબિનેટ મિશનના એક સભ્ય એ.વી. એલેક્ઝાન્ડરને બાબાસાહેબ આંબેડકરે લખેલો એક પત્ર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રકાશિત બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ક્રમના ગ્રંથમાં પૃ. ૪૯૨થી ૪૯૯ સુધી પ્રગટ કર્યો છે. આ પત્રમાં આંબેડકર લખે છે: ‘અછૂતોને (બાબાસાહેબે અનટચેબલ્સ શબ્દ વાપર્યો છે) કારણે જ બ્રિટિશર્સ ભારત પર રાજ કરી શક્યા છે, ઘણા બ્રિટિશર્સ માને છે કે ક્લાઈવ-હેસ્ટિંગ્સ-વગેરે જેવાઓને કારણે અંગ્રેજો ભારત સર કરી શક્યા. આ ખોટી વાત છે. અંગ્રેજો દ્વારા ભારત જિતાયું છે - ભારતીય લશ્કરથી અને તે એવા લશ્કરથી જેમાં તમામ સૈનિકો અછૂત હતા. અછૂતોએ બ્રિટિશને ભારત પર કબજો જમાવવામાં મદદ ન કરી હોત તો ભારત પર અંગ્રેજ શાસન આવી શક્યું ન હોત. પ્લાસીની લડાઈનો જ દાખલો લો, જેને કારણે ભારતમાં બ્રિટિશ શાસનનાં મૂળિયાં નખાયાં. અથવા તો ખડકીની લડાઈનો દાખલો લો. આ બેઉ નિર્ણાયક લડાઈઓમાં બ્રિટિશો વતી જે સૈનિકો લડ્યા તે બધા જ અછૂતો જ તો હતા...’

ગ્રંથ ૯ના પૃષ્ઠ ૬૩થી ૬૭ પર આંબેડકરે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (ગોળમેજી પરિષદ) દરમિયાન બ્રિટિશ વડા પ્રધાનને સંબોધીને કરેલા પ્રવચનનો પાઠ આપવામાં આવ્યો છે: ‘વડા પ્રધાનશ્રી, એક બાબતની સ્પષ્ટતા કરવાની મને રજા આપો. બ્રિટિશે ભારતીય પ્રજાને તાબડતોબ સત્તા સોંપી દેવી જોઈએ એવી માગણી કરતી લડત દલિતોએ ક્યારેય શરૂ કરી નથી કે એ માટે (આઝાદી માટે) દલિતો આતુર પણ નથી અને બૂમરાણ મચાવતા પણ નથી. સાદી રીતે કહું તો રાજકીય સત્તા મરણ માટે (અર્થાત્ આઝાદી માટે) અમને સહેજ પણ તાલાવેલી નથી, આતુરતા નથી (વી આર નૉટ ઍન્કસિયસ ફૉર ટ્રાન્સફર ઑફ પોલિટિકલ પાવર).

અહીં જરા વાર અટકીને બાબાસાહેબ આંબેડકરના રાજકારણમાંથી ફોકસ હટાવીને એમના ધર્માંતર તરફ નજર કરી લઈએ. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તેની પાછળ એમની ઊંડી સમજણને બદલે ઊંડી ગણતરી હતી એવું કહેવું વધુ યોગ્ય ગણાશે. આંબેડકરે જે પ્રકારના બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો તેમાં અને મૂળભૂત બૌદ્ધ ધર્મમાં જમીન-આસમાનનો તફાવત છે. બૌદ્ધ ધર્મના જેવી ઉમદા ફિલસૂફીથી કોઈપણ વિચારવંત વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. આંબેડકરે જો એ જ ફિલસૂફીનો પ્રચાર દલિતોમાં કર્યો હોત તો પણ એમણે ઘણું મોટું પ્રદાન કર્યું છે એમ કહેવાત.

અરુણ કાંબળે નામના પ્રૉફેસરે બાબાસાહેબ આંબેડકરના જીવન વિશે સારું એવું સંશોધન કર્યું છે. એમની રિસર્ચનું એક તારણ એવું છે કે આંબેડકર હિંદુ મટીને શીખ બનવા માગતા હતા. આંબેડકરે કહ્યું હતું, ‘હું હિન્દુ ધર્મ નહીં પાળું, મુસલમાન પણ નહીં બનું. મારા માટે બૌદ્ધ ધર્મ સિવાય કોઈ ત્રીજો ધર્મ છે જ નહીં.’

પણ આવું જાહેર કરતાં પહેલાં, એટલે કે ૧૯૪૦-૪૧ની સાલ પહેલાં, આંબેડકરે શીખ ધર્મ અપનાવવા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો ત્યારે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મના આગેવાનોએ એમને પોતાની પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ એ બેઉ ધર્મોમાં આંબેડકરને રસ નહોતો પડ્યો. આ વિશે આંબેડકરે કરેલું મનોમંથન જાણવા જેવું છે. પ્રૉફેસર કાંબળે દ્વારા સંશોધિત પત્રોમાંના એક પત્રમાં આંબેડકર પોતાના એક સાથીને લખે છે:

‘હરિજનો હિંદુ ધર્મ છોડીને શીખ બનશે તો તેઓ હિંદુ સંસ્કૃતિમાં જ ગણાશે, પરંતુ મુસ્લિમ કે ખ્રિસ્તી બની જશે તો હિંદુ સમાજમાંથી તેઓ ફેંકાઈ જશે.’

પ્રૉફેસર કાંબળેએ અનેક દસ્તાવેજી પુરાવાઓ સાથે પુરવાર કર્યું છે કે આંબેડકરે પોતાના સંખ્યાબંધ અનુયાયીઓ સાથે શીખ બનવાનો નિર્ણય કરી નાખ્યો હતો. પણ ગાંધીજીએ એ વિચારનો વિરોધ કર્યો હતો. તે વખતે દક્ષિણના હરિજન નેતાઓ ડૉ. શંકરાચાર્ય કુર્ટકોટ્ટી તથા આર. બી. રાજા પણ હાજર હતા. પણ આંબેડકરને ગાંધીજીની દલીલો ગળે ઊતરતી નહોતી. શીખ ધર્મ અંગીકાર કરવાના સંદર્ભે આંબેડકરે ૧૯૩૬માં ઈંગ્લૅન્ડનો પ્રવાસ પણ કર્યો હતો. ત્યાંની શીખ સંસ્થા તરફથી એમને ખર્ચ પેટે રૂ. ૭,૦૦૦ આપવામાં આવ્યા હતા જેની નોંધ અમૃતસરના ગુરુદ્વારા ગૅઝેટમાં જોવા મળે છે.

આંબેડકર માનતા કે હિંદુ તથા ઈસ્લામ ધર્મની કેટલીક સારી વાતોને શીખ ધર્મે પોતાનામાં સમાવી લીધી છે. તમામ કોટિના શીખો લંગરમાં એકસાથે કોઈ ભેદભાવ વિના જમવા બેસતા એ પ્રથા પણ એમને ગમતી.

આમ છતાં આંબેડકરને કેશ વધારવાની અને હાથે પહેરવાના કડાની શરત ગમતી નહોતી. તેઓ માનતા કે આધુનિક જમાનામાં આ બે શરતો અગવડરૂપ છે. કિરપાણ સામે એમને વાંધો નહોતો. શીખ પ્રજાની બહાદુરી માટે એમને માન હતું. જોકે, શીખ ધર્મમાં વપરાતી ગુરુમુખી લિપિ અંગે આંબેડકરને બહુ સંતોષ નહોતો. એમને લાગતું કે મહારાષ્ટ્રમાં શીખ બનનારા લોકો ગુરુમુખી લિપિ અને પંજાબી ભાષા વિના ચલાવી શકે એમ છે.

આંબેડકર શીખ ધર્મ અપનાવવા વિશે ભારે મનોમંથન કરી રહ્યા હતા એ જ અરસામાં એમને જાણ થઈ હતી કે શીખોમાં પણ પછાત કોમ જેવું હોય છે. એક બાજુ તેઓ એ હકીકતથી પ્રભાવિત હતા કે ગુરુ ગોવિંદસિંહે પોતાના લશ્કરમાં ઘણા બધા અસ્પૃશ્યોને સ્થાન આપ્યું હતું. પણ શીખોમાં પછાત કોમ અને છૂતાછૂતની સમસ્યા હોય એ વાત એમને કનડતી રહી. આ જ અરસામાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ વધતાં એમને જાણ થઈ કે બૌદ્ધધર્મીઓ વર્ગભેદમાં માનતા નથી અને ભીમરાવમાંથી તેઓ ભીમસિંહ થતાં થતાં રહી ગયા.



૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળનું સ્થાન ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં કેટલું મહત્ત્વનું છે તે સૌ કોઈ જાણે છે. સંખ્યાબંધ દેશનેતાઓએ ૧૯૪૨ની ‘ક્વિટ ઈન્ડિયા’ની લડતમાં ભાગ લીધો. આ સમયે બાબાસાહેબ આંબેડકર ક્યાં હતા?

આંબેડકર વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના લેબર મેમ્બર હતા અર્થાત્ ભારતમાંની બ્રિટિશ સરકારના પ્રધાનમંડળના સભ્ય હતા.

અનેક દસ્તાવેજી પુરાવાઓ દ્વારા સિદ્ધ થાય છે કે પૂરાં વીસ વર્ષ સુધી આંબેડકરે એ જ વિચારો પ્રગટ કર્યા જે બ્રિટિશર્સ ખુદ પ્રગટ કરવા ચાહતા હતા, જે બ્રિટિશર્સની તરફેણના હતા. ૯મી ઑગસ્ટ, ૧૯૪૨ની વહેલી સવારે ગાંધીજી તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ થઈ ત્યાર બાદ પણ આંબેડકરે બ્રિટિશર્સને અનુકૂળ હોય એવા જ વિચારો પ્રગટ કર્યા એટલું જ નહીં, અમુક વિચારો તો બ્રિટિશર્સે જાહેર કરેલી ઈચ્છાને માન આપવા ખાતર જ પ્રગટ કર્યા.

વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકેની આંબેડકરની વરણી ૨૦ જુલાઈ, ૧૯૪૨ના રોજ થઈ. તેઓ તરત જ દિલ્હી ગયા અને નવી રચાયેલી કાઉન્સિલના સત્રોમાં હાજરી આપવાનું એમણે શરૂ કર્યું. કૉન્ગ્રેસે ૮મી ઑગસ્ટે ‘હિંદ છોડો’ના ઠરાવ પસાર કર્યો એ પછી તાબડતોબ, અંગ્રેજોની પૂર્વતૈયારીના ભાગરૂપે, તમામ મોટા નેતાઓની ધરપકડ શરૂ થઈ ગઈ. પણ એનું પરિણામ અંગ્રેજોએ ધાર્યું નહોતું એવું આવ્યું. નેતાઓની ગેરહાજરીમાં આંદોલન મોળું પડી જવાને બદલે ઔર ભડકયું. ઠેર ઠેર હડતાળો પડી, દેખાવો થયા, સત્યાગ્રહો થયા અને ગાંધીજીના આદેશનું ઉલ્લંઘન કરીને હિંસાત્મક બનાવો પણ બન્યા. અંગ્રેજ સરકાર, સ્વાભાવિક રીતે જ, દેખાડો એવો કરવા માગતી હતી કે નેતાઓની ધરપકડ પછી જનતામાં રોષ ફેલાયો નથી, ખાસ કંઈ પ્રતિક્રિયા આવી નથી. આંબેડકરે આ બાબતમાં અંગ્રેજોએ આપેલી બ્રીફ કરતાં પણ વધુ કામ કર્યું.

પંદરમી સપ્ટેમ્બર ૧૯૪૨ના રોજ એસેમ્બલીમાં દેશભરમાં થયેલાં આંદોલનો તથા હડતાળો વિશે એક નિવેદન કરતાં આંબેડકરે જે કંઈ કહ્યું તે મહારાષ્ટ્ર સરકારે પ્રગટ કરેલાં એમનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ગ્રંથના પાના નં. ૫૫૩ થી ૫૫૭ વચ્ચે પ્રગટ થયું છે. આંબેડકરે કહ્યું કે ભાગ્યે જ કોઈ દેખાવો થયા છે અને હડતાળો પણ બહુ ઓછી પડી છે. એટલું જ નહીં એને લગતી કોઈપણ વિગત પ્રગટ કરવી જાહેર જનતાના હિતમાં નથી એમ કહી એમણે આ અંગે કશીય માહિતી આપવાનો ઈનકાર કરી દીધો: ‘આ અંગે કોઈપણ માહિતી આપવી પ્રજાના હિતમાં નથી... હું કહી ચૂકયો છું એમ હું સહેજ પણ માહિતી આપવા તૈયાર નથી કારણ કે માહિતી આપવી જનતાના હિતમાં નથી... મેં કહી દીધું છે કે માહિતી આપવી જનતાના હિતમાં નથી...’ આમ એકના એક વાક્યનું પુનરાવર્તન કરી કરીને આંબેડકરે ‘ક્વિટ ઈન્ડિયા મુવમેન્ટ’ તરીકે પાછળથી ઓળખાતી થયેલી આ મહાન ઘટનાની વિગતો પર પડદો પાડી દેવાની બ્રિટિશ ઈચ્છાને અમલમાં મૂકી હતી.

ત્રણ દિવસ પછી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં દેશભરમાં થયેલી રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ વિશે ચર્ચા થઈ ત્યારે આંબેડકરે આ ધરપકડને તેમ જ સરકારનાં અન્ય પગલાંને વાજબી ઠેરવ્યાં હતાં. ત્યારબાદનાં બેત્રણ વર્ષ દરમ્યાનનાં આંબેડકરના એસેમ્બલીમાંના અનેક પ્રવચનોમાંના એકનો અંશ જુઓ:

‘કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિના લગભગ બધા જ નેતાઓનો અહિંસા પરથી વિશ્વાસ  ઊઠી ગયો છે. મોટા ભાગનાઓ અહિંસાના વિચારથી વિમુખ થઈ ગયા છે એટલું જ નહીં કૉન્ગ્રેસે વ્યવસ્થિત હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું એવું નિર્દેશ કરતા પૂરતા પુરાવાઓ મળી ગયા છે.’

આ વખતે એસેમ્બલીમાં એક સભ્યે કહ્યું હતું, ‘તમે ખોટાં વિધાનો કરી રહ્યા છો.’ બીજા કેટલાક સભ્યોએ કહ્યું હતું, ‘આ વાત ખોટી છે.’ ‘આવા કોઈ પુરાવા નથી.’ પણ આંબેડકર પોતાના નિવેદનને ઝનૂનપૂર્વક વળગી રહ્યા, કોઈ નક્કર પુરાવાઓ પેશ કર્યા વગર.

આંબેડકરે કૉન્ગ્રેસને હિંસાવાદી ચીતરવાની બ્રિટિશ ઈચ્છાનો અમલ કરતાં એસેમ્બલીમાં કહ્યું હતું કે દેવલાલીની અટકાયત દરમ્યાન જયપ્રકાશ નારાયણ ચોરીછૂપીથી એમનાં પત્નીને ખાનગી કાગળિયાં સરકાવી દેતાં પકડાઈ ગયા ત્યારે એ કાગળિયામાં પૂરતા પુરાવા મળી આવ્યા હતા કે કૉન્ગ્રેસ માત્ર દેખાવ ખાતર જ અહિંસાની વાતો કરે છે.

અહીં એક વાતનો ઉલ્લેખ જરૂરી છે કે બ્રિટનના વિદેશ પ્રધાને ભારતના વાઈસરૉયને મોકલેલાં સૂચનોમાં તેમ જ વૉર કૅબિનેટે લંડનમાં લીધેલા નિર્ણયોનો એક સાર એ હતો કે કૉન્ગ્રેસની વિશ્વનીયતાને જાહેર જનતાની આંખમાં ખતમ કરવી, કૉન્ગ્રેસને યેનકેનપ્રકારેણ બદનામ કરવી.

બ્રિટિશ દ્વારા મળેલા પ્રધાનપદનું ઋણ ચૂકવતા હોય એમ આંબેડકર બેંતાળીસની લડત વિરુદ્ધ બ્રિટિશ સરકાર દ્વારા લેવાયેલાં પગલાંનો એસેમ્બલીમાં બચાવ કરતા રહ્યા એટલું જ નહીં એમણે એમ પણ જાહેર કર્યું કે ભારત પર શાસન કરતી આજની (બ્રિટિશ) સરકાર જ ભારત માટે ઉત્તમ છે!

આંબેડકરે કહ્યું: ‘જો ભારતીયો એક એવી સરકાર ચાહતા હોય જેમાં લોકશાહી હોય, સરમુખત્યારશાહી ન હોય... તો ગૃહને મારે એક વાતની ખાતરી આપવી છે કે અત્યારે આપણી પાસે જે છે એના કરતાં બહેતર સરકાર બીજી કોઈ હોઈ શકે જ નહીં.’

તે વખતની સરકારમાં વાઈસરૉયને અપાયેલા વીટો પાવરને કારણે વ્યવહારમાં તેઓ એક પ્રકારના સરમુખત્યાર જ બની જતા હતા. કૉન્ગ્રેસી નેતાઓ જેલમાં હતા ત્યારે આંબેડકરે બ્રિટિશ સરકાર વતી રેડિયો પર પ્રજાજોગું ઉદબોધન કર્યું હતું. ૧ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ પ્રસારિત થયેલા નિવેદનમાં તેઓ બ્રિટિશ સરકાર વતી બોલ્યા હતા: ‘બ્રિટિશ સરકાર રાષ્ટ્રવાદની હાલની ઘેલછાને પ્રોત્સાહન આપવા માગતી નથી. રાષ્ટ્રવાદનો અર્થ જો એટલો જ થતો હોય કે પ્રાચીન સમયને વળગી રહેવું, જૂનાની જ પૂજા કરવી અને જેનાં મૂળ કે રંગ સ્થાનિક નથી તે સઘળાની અવગણના કરવી તો એવા રાષ્ટ્રવાદને અંગ્રેજ સરકાર સ્વીકારી શકે એમ નથી. સરકાર મૃતમાંની જીવંત શ્રદ્ધાને જીવતાઓની મૃત શ્રદ્ધા બનવા દઈ શકે નહીં. ભૂતકાળનો ભરડો સમાજને ગૂંગળાવી દે અને વર્તમાનનું જેને કોઈ મૂલ્ય ન હોય તથા ભવિષ્ય માટેની જેને કોઈ આશા ન હોય એવી કોઈ પરિસ્થિતિ બ્રિટિશ સરકાર ચલાવી નહીં લે... ક્વિટ ઈન્ડિયાના નારાને બદલે પ્રજાને ન્યુ ઈન્ડિયાનો નારો મળવો જોઈતો હતો... ભારતની આઝાદીના દુશ્મનો ભારતીયો જ છે, બીજા કોઈ નહીં...’

આંબેડકરનાં આ અને આવાં અનેક નિવેદનોને સિફતપૂર્વક ઈતિહાસના કોઈ ખૂણામાં ધૂળ ખાવા મોકલી આપવામાં આવ્યા છે. એને બદલે આંબેડકરની એક જુદી જ છબિ ભારતીય પ્રજા સામે મૂકવામાં આવી છે. એવી છબિ જે દલિતોના વોટ લાવી આપે. એવી છબિ જેના વડે દલિત નેતાઓ પોતાની પ્રજાનું હજુ વધારે શોષણ થવા દઈ પોતે સોનાના મહેલો બનાવી શકે.



મહાત્મા ગાંધીને અને એમના નેતૃત્વ હેઠળ ચાલતી આઝાદીની ચળવળને ઉતારી પાડવામાં, એમનો વિરોધ કરવામાં સામ્યવાદીઓ, એમ. એન. રૉય અને બાબાસાહેબ આંબેડકર જેવાઓની બ્રિટિશ સરકારને સખત જરૂર રહેતી. એમ. એન. રૉય જાણીતા વિચારક, લેખક અને રૅડિકલ ડેમોક્રેટિક પક્ષના સ્થાપક હતા. ગાંધીજીના તેઓ આકરા ટીકાકાર હતા. એમ. એન. રૉયનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવાય છે, આંબેડકરની જેમ જ. રૉય અને આંબેડકર આ આદરને કેટલા પાત્ર છે, હતા- એ વિશે તપાસ કરીએ.

એમ. એન. રૉયને બ્રિટિશ સરકાર તરફથી મોટી રકમ એમના ‘કામ’ના વળતરરૂપે મળે છે એ કૌભાંડ રૉયના વર્તુળમાં, આ રકમ અંગેની વહેંચણીમાં મતભેદ થતાં જ બહાર આવ્યું હતું. શરૂમાં આ રકમ માહિતી અને પ્રસારણ ખાતા તરફથી ચૂકવવામાં આવતી હતી. પાછળથી લેબર ડિપાર્ટમેન્ટ અથવા તો શ્રમ વિભાગ તરફથી ચૂકવાતી અને આ વિભાગ આંબેડકરને હસ્તક હતો.

આ કૌભાંડ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ખૂબ ચર્ચાયું. સભ્યોએ જાણવા માગ્યું: શું એમ. એન. રૉય દ્વારા ઈન્ડિયન લેબર ફેડરેશનને દર મહિને રૂપિયા તેર હજાર ચૂકવવામાં આવે છે?

૧૯૪૩-૪૪ની સાલમાં સોનાનો હાઈએસ્ટ ભાવ ૯૬ રૂપિયા ૪ આના હતો અને લોએસ્ટ ૬૫ રૂપિયા ચાર આના. સરાસરી પકડો તો ૭૬ રૂપિયા ૧૧ આના ૬ પાઈનો ભાવ થયો- તોલા દીઠ. આ ગણતરીથી એ વખતની ૧૩ હજાર રૂપિયાની રકમ આજના કેટલા રૂપિયા બરાબર થઈ? હવે બાકીની ગણતરી તમે કરો. આજના લગભગ પચાસ લાખ રૂપિયા જેવી રકમ થઈ.

લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પૂછાયું કે આ જે રકમ એમ. એન. રૉયને ચૂકવવામાં આવે છે તેનું ઑડિટિંગ થાય છે? જો થતું હોય તો એ હિસાબ ગૃહમાં રજૂ કરશો?

આ પ્રશ્ર્નોનો જવાબ આપતાં ૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ આંબેડકરે કબૂલ કર્યું કે એમ. એન. રૉય થ્રુ ઈન્ડિયન લેબર ફેડરેશનને ‘ઔદ્યોગિક કામદારોનો નૈતિક ઉત્સાહ ટકાવી રાખવા માટે પ્રચાર કરવાના કામસર’ દર મહિને રૂપિયા તેર હજાર ચૂકવવામાં આવે છે.’ આંબેડકરે કહ્યું કે હા, આ પૈસાનો હિસાબ રાખવામાં આવે છે, પરંતુ ‘ગૃહમાં એ હિબાબ રજૂ કરવાનો કોઈ ફાયદો નથી.’

ગૃહના સભ્યોએ પૂછ્યું કે ફેડરેશન જેમની દેખરેખ હેઠળ ચાલે છે તે વ્યક્તિ (અર્થાત્ એમ. એન. રૉય) શું બીજાઓને આ પૈસા વહેંચીને એમને પ્રચારનું કામ સોંપી શકે છે? આંબેડકરે કહ્યું કે આ પૈસાની વહેંચણી કેવી રીતે થાય છે એ અંગે મારી પાસે કોઈ જાણકારી નથી.

ઑડિટમાં આ અંગે (પૈસાની વહેંચણી અંગે) કશો પ્રકાશ પાડવામાં આવ્યો નથી? સભ્યોએ પૂછ્યું.

‘મને કોઈ માહિતી નથી,’ આંબેડકરે કહ્યું, ‘જાહેર નાણાંના ખર્ચ અંગે જે રીતે હિસાબનું ઑડિટિંગ થાય એ જ રીતે આ ખર્ચનું પણ થાય છે.’

ફેડરેશને આ પૈસાની વહેંચણી અંગેના કોઈ નિયમો બનાવ્યા છે? આ નિયમો સરકારને જણાવવામાં આવ્યા છે?

આંબેડકરે કહ્યું: ‘મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી.’

તમે એ અંગે તપાસ કરશો?

આંબેડકર: ‘માનદ્ સભ્ય શ્રી સત્તાવાર પ્રશ્ર્નની નોટિસ રજૂ કરશે તો એ અંગે હું તપાસ કરાવીશ.’

મુદ્દાને વળગી રહેતાં સભ્યોએ પૂછયું, ‘અન્ય કોઈ સંસ્થાને આ રીતે પૈસા આપવામાં આવે છે?’

આંબેડકરે જવાબ આપ્યો, ‘આવા સવાલ અંગે મને પહેલેથી નોટિસ મળવી જોઈએ.’

યુવાન સભ્ય ટી. ટી. ક્રિશ્ર્નમાચારીએ પૂછયું, ‘તમને ખાતરી છે કે આ જ એક માત્ર સંસ્થા કામગારોનો નૈતિક જુસ્સો જાળવીને સરકારને મદદ કરી શકે છે?’

‘મારી પાસે માહિતી નથી. આ સવાલ મને પૂછતાં પહેલાં એ અંગેની નોટિસ મને મળવી જોઈએ.’ આંબેડકરે જવાબ આપ્યો.

એક દિવસ ગૃહમાં એક સભ્યે જ્યારે પૂછયું કે આ (તેર હજાર રૂપિયાની) રકમનો એક ભાગ કૉન્ગ્રેસ વિરોધી પ્રચાર માટે વાપરવામાં આવે છે એની સરકારને જાણ છે કે કેમ ત્યારે આંબેડકરે કહ્યું, ‘સરકારને આ વિશે કોઈ માહિતી નથી.’

જોકે, આ વાત ખોટી હતી. હોમ (પોલિટિકલ) ડિપાર્ટમેન્ટની એ અરસાની ખાનગી ફાઈલો દર્શાવે છે કે સરકાર મહાત્મા ગાંધી વિરુદ્ધનાં એમ. એન. રૉયનાં ઉચ્ચારણોની વિગતવાર નોંધ રાખતી હતી.

શરૂમાં સરકારને રૉયથી ખૂબ સંતોષ હતો પણ પાછળથી ઈન્ટેલિજન્સ બ્યુરોએ જ્યારે માહિતી આપી કે રૉય પોતાની પાર્ટી (રૅડિકલ ડેમોક્રેટિક પાર્ટી) સ્થાપી રહ્યા છે ત્યારે સરકારને રૉયમાંથી રસ ઊડવા માંડ્યો અને રૉયનું સ્થાન સામ્યવાદીઓએ લીધું. બ્રિટિશ સાથેની છૂપી સમજૂતી અનુસાર સામ્યવાદીઓ ‘પીપલ્સ વૉર’ નામની એમની પ્રચારપત્રિકામાં ગાંધીજી, સુભાષચન્દ્ર બોઝ અને જયપ્રકાશ નારાયણ વિશે આવડી ને આવડી ગાળો લખતા હતા.

માસિક તેર હજાર રૂપિયાવાળી વાત પર પાછા આવીએ. જે ફેડરેશનને એમ. એન. રૉય હસ્તક રકમ મળતી તે ફેડરેશનના પ્રમુખ જમનાદાસ મહેતા પોતે લે જિસ્લેટિવ એસેમ્બલીના સભ્ય હતા. એમણે જાહેર નિવેદન કર્યું: ‘સરકાર તરફથી ફેડરેશનને માસિક તેર હજાર રૂપિયા મળે છે એ વાત કાળામાં કાળું જુઠ્ઠાણું છે.’

તો હવે સાચું કોણ?

એક બાજુ સરકાર વતી આંબેડકર કબૂલ કરી ચૂક્યા છે કે ફેડરેશનને આ રકમ ચૂકવાય છે. બીજી બાજુ એ જ ફેડરેશનના પ્રમુખ કહે છે કે આવી કોઈ રકમ સંસ્થાને મળતી જ નથી. એસેમ્બલીના સભ્યોએ જાણવા માગ્યું છે કે આ બે વાતમાંથી સત્ય શું છે?

આંબેડકરે ગૃહમાં જવાબ આપ્યો, ‘બે નિવેદનોમાંથી સાચું કયું, ખોટું કયું તે વિશે સ્પષ્ટતા કરવાની મારી ફરજ નથી. તમે ધારો તે તારણ આમાંથી કાઢી શકો. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે રકમ આપવાની વ્યવસ્થા સંસ્થા સાથે થઈ છે, વ્યક્તિ (રૉય) સાથે નહીં.’

બીજે દિવસે લેખિત પ્રશ્નના ઉત્તરમાં આંબેડકરે નામોશીભરી કબૂલાત કરવી પડી કે આવી રીતની રકમ અન્ય કોઈ કામગાર યુનિયનને અપાતી નથી. આ બાજુ પ્રમુખ જમનાદાસ મહેતાએ જાહેર નિવેદન દ્વારા સત્તાવાર પત્રવ્યવહાર ખુલ્લો પાડીને કહ્યું કે, ‘ફેડરેશન કે તેના પ્રમુખ કે તેની કારોબારી સમિતિની જાણ બહાર ફેડરેશનના નામે રૂા. ૧૩,૦૦૦ની માસિક રકમ એમ. એન. રૉયને, તેઓ મનફાવે તે રીતે વાપરી શકે એ માટે, મળે છે.’

ગૃહમાં ફરી વિવાદ થયો. જમનાદાસ મહેતાના આ સનસનાટીભર્યા વિસ્ફોટના સંદર્ભમાં સવાલ પૂછાયો ત્યારે થૂંકેલું પાછું ગળવું પડે એવી હાલત થઈ. પણ એને બદલે આંબેડકરે ગૃહને કહ્યું, ‘હું અગાઉ જે જવાબ આપી ચૂક્યો છું તેમાં મારે કોઈ ઉમેરો કરવાનો નથી.’

આખી વાતની ક્લાઈમેક્સ હવે આવે છે. ફેડરેશનના અંચળા હેઠળ તો એમ. એન. રૉયને બ્રિટિશ સરકાર રૂપિયા તેર હજારનો માસિક દરમાયો તો આપતી જ હતી. એ ઉપરાંત સરકાર રૉયને બીજા તેર હજાર રૂપિયા દર મહિને આપતી હતી: રૉયની રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીના સાપ્તાહિક ‘ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડિયા’ની દર અઠવાડિયે ૧,૦૦૦ નકલ માટેના લવાજમ પેટે અને પાર્ટીના દૈનિકની રોજની ૨,૦૦૦ નકલના લવાજમ પેટે!

મહાત્મા ગાંધી વિરુદ્ધ પ્રચાર કરવા માટે મહિને છવ્વીસ હજાર (આજના લગભગ એક કરોડ) રૂપિયાની બ્રિટિશ મહેરબાની મેળવનારાઓ અને એમને છાવરનારાઓની છબિઓ તથા એમનાં પૂતળાંઓને આજે આપણે હારતોરા કરીએ છીએ.
બાબાસાહેબ આંબેડકર વિશેના આ છેલ્લા હપ્તામાં જાણીએ કે ‘બંધારણના ઘડવૈયા’ આંબેડકર નહીં પણ ખરેખર કોણ હતા.

આંબેડકરને બંધારણનો મુસદ્દો ઘડવાની સમિતિના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા હતા ખરા, પણ આ સમિતિ છેક રચાઈ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ, જ્યારે બંધારણીય સભાનું કામકાજ ડિસેમ્બર ૧૯૪૬થી શરૂ થઈ ચૂક્યું હતું - નવ મહિના પહેલાં. ડ્રાફ્ટિંગ સમિતિ રચવાના નિર્ણયની ઘોષણા કરતી વખતે બંધારણીય સભામાં જણાવાયું હતું કે આ સમિતિ ‘બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણના મુસદ્દાના અધિકૃત પાઠની ચકાસણી કરવા માટે’ રચવામાં આવે છે.

આમ, બંધારણનો મુસદ્દો આંબેડકર પિક્ચરમાં આવ્યા તે પહેલાં તૈયાર જ હતો. કોણે ઘડ્યો હતો એ મુસદ્દો? આ પ્રશ્ર્નને બદલે કોણે કોણે એ ઘડ્યો હતો એમ પૂછવું વધુ વાજબી લેખાશે. ભારતનું તંત્ર ચલાવવા કયા કયા નીતિનિયમોની જરૂર પડશે એ વિશે અનેક નેતાઓએ વર્ષો સુધી આ વિષય પર કામ કરીને બંધારણના મુસદ્દાની એક એક ઈંટ ગોઠવી હતી. છેક ડિસેમ્બર, ૧૯૨૪માં એક રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના નેતાઓએ ‘ધ કૉમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલ’ ઘડ્યું હતું જે જાન્યુઆરી, ૧૯૨૫માં અખિલ ભારત સર્વપક્ષીય અધિવેશનની બેઠક મળી ત્યારે રજૂ કરવામાં આવ્યું અને એ જ વર્ષના એપ્રિલમાં એને આખરી સ્વરૂપ મળ્યું. ૧૯૨૭ના મે મહિનામાં મુંબઈમાં મળેલી કૉન્ગ્રેસ મહાસમિતિની બેઠકમાં ‘સ્વરાજનું બંધારણ’ ઘડવા માટેની જવાબદારી કૉન્ગ્રેસની કાર્યકારી સમિતિને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદનાં વર્ષોમાં આ અંગે ખાસ્સું એવું કામ થયું. મોતીલાલ નેહરુ સમિતિએ પણ આરંભિક યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ૧૯૪૪માં સર તેજ બહાદુર સપ્રુના નેતૃત્વ હેઠળની સમિતિએ નાગરિકોના મૂળભૂત હક્કો વિશે તથા અનુસૂચિત જાતિ તેમજ લઘુમતીના હક્કો વિશે ઉપરાંત સંસદ - વિધાનગૃહો અને સરકારી તંત્રની રચના વિશે સંખ્યાબંધ ઉપયોગી અને વિગતવાર સૂચનો કર્યાં.

જુલાઈ, ૧૯૪૬માં કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિએ બંધારણીય સભા રચવા માટેની તૈયારી કરવા એક નિષ્ણાત સમિતિ રચી. આ સમયે ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને બોલાવીને કહ્યું હતું, ‘અત્યારે તમારા હાથમાં જે કામ હોય તેને છોડીને આ સમિતિના કાર્યમાં જોડાઈ જાવ તો સારું. આ ખૂબ જ અગત્યનું કામ છે અને તમારે એનો બોજો તમારા ખભા પર લઈ લેવો જોઈએ.’ આ સમિતિએ કેબિનેટ મિશન પ્લાનના માળખામાં રહીને મુસદ્દા તૈયાર કર્યા. મુનશીએ ‘પિલગ્રિમેજ ટુ ફ્રીડમ’ના પ્રથમ ગ્રંથમાં પોતાના આ કાર્ય વિશે વિગતે વાત કરી છે.

ટૂંકમાં, બંધારણીય સભા ડિસેમ્બર, ૧૯૪૬માં મળી ત્યાર બાદ બંધારણ ઘડવાનું કામ શરૂ થયું નહોતું. દાયકાઓ અગાઉથી એ માટે મોટા મોટા વિદ્વાન નેતાઓ પોતપોતાના દિમાગનું દહીં કરતા રહ્યા હતા.

સપ્ટેમ્બર, ૧૯૪૬માં સર બી. એન. રાવે મૂળભૂત હક્કો વિશે બે વિગતવાર નોંધ તૈયાર કરી. કે. ટી. શાહે પણ પોતાની નોંધ તૈયાર કરી હતી.

૧૯૪૭ના જાન્યુઆરીની ૨૪મીએ મૂળભૂત હક્કો (ફન્ડામેન્ટલ રાઈટ્સ) તથા લઘુમતીઓ અને આદિવાસીઓના હક્કો વિશેની સલાહકાર સમિતિ રચાઈ જેમાં પચાસ સભ્યોનાં નામ હતા. સમિતિના પ્રમુખને બીજા ૨૨ સભ્યો નીમવાની સત્તા હતી. સમિતિના ચૂંટાયેલા પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આ સમિતિએ પાંચ પેટાસમિતિઓ રચી. આચાર્ય ક્રિપલાની, કનૈયાલાલ મુનશી, સર બી. એન. રાવ, એચ. વી. આર. ઐયંગર, એસ. એન. મુખર્જી ઈત્યાદિ આ પેટાસમિતિઓ સાથે સંકળાયેલા હતા. સર અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર, એન. ગોપાલસ્વામી ઐયંગર, કે. એમ. પણિકર ઈત્યાદિએ પોતપોતાની રીતે મહત્ત્વનો ફાળો બંધારણ ઘડવામાં આપ્યો.

બી. એન. રાવે બંધારણીય સભાના સભ્યોને વિશ્ર્વના કેટલાક દેશોના બંધારણોની જોગવાઈઓ વિશે નોંધ તૈયાર કરીને આપી. આ વિવિધ બંધારણોમાંની કઈ કઈ કલમ ભારત માટે અનુકૂળ છે અને કઈ જોગવાઈઓને લાગુ પાડતાં વ્યવહારુ તકલીફો ઊભી થઈ શકે છે એવી ટિપ્પણીઓ આ નોંધમાં હતી. બી. એન. રાવની વ્યાપક નોંધમાં અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, યુગોસ્લાવિયા, ટર્કી, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, આયર્લેન્ડ, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, રશિયા, ચીન, પોર્ટુગલ, ગ્રીસ, બ્રાઝિલ સહિતના બે ડઝનથી વધુ દેશોનાં બંધારણોની જોગવાઈઓ અને ભારતના સંદર્ભમાં તેની ખૂબીઓ તથા ખામીઓ વિશે નેત્રદીપક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

બી. એન. રાવે બંધારણીય સભાના મુખ્ય મુસદ્દાકાર એસ. એન. મુખર્જીની મદદ લઈને ૧૯૪૭ના ઑક્ટોબરમાં ‘ભારતીય સંવિધાનનો પ્રથમ મુસદ્દો’ ગૃહ સમક્ષ રજૂ કર્યો. એ વખતે એમાં ૨૪૩ કલમો હતી અને કુલ ૧૩ પરિશિષ્ટ હતાં. આ પ્રથમ મુસદ્દા વિશે બંધારણીય સભાએ લગભગ બે વર્ષ સુધી ચર્ચાવિચારણા કરી, સુધારા-ઉમેરા કર્યા અને સભાના પ્રમુખે આખરી મુસદ્દો ૩ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ગૃહમાં રજૂ કર્યો જે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ પસાર થયો. આ આખરી મુસદ્દામાં હવે ૩૯૫ કલમો હતી અને ૮ પરિશિષ્ટો હતાં.

બંધારણીય સભાની આ ચર્ચાઓ કુલ ૧૨ ગ્રંથોમાં પ્રગટ થઈ છે. સંવિધાનને આખરી સ્વરૂપ મળ્યું તે પહેલાં ૭,૬૩૫ બંધારણીય સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા, જેમાંના ૨,૪૭૩ પસાર થયા. કુલ ૨૨૦ કલમોમાંની વિગતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ જ્યારે બીજી ૧૨૦ કલમોમાંના શબ્દોમાં સારા એવા ફેરફારો કરવામાં આવ્યા.

ભારતના બંધારણની રચના આ રીતે થઈ. ખૂબ બધા સભ્યોની ખૂબ બધી મહેનત દ્વારા ભારતનું બંધારણ ઘડાયું. આંબેડકર પણ આમાંના એક સભ્ય હતા. કેટલીક બાબતોમાં એમણે પણ અગત્યનો ભાગ જરૂર ભજવ્યો. પણ તેઓ ખૂબ બધામાંના એક હતા, એમણે બંધારણની નીતિનું માળખું ઘડ્યું નહોતું. આમ છતાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રગટ થયેલા ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનો’ના ગ્રંથોમાં ભારતના બંધારણનો આખો મુસદ્દો પ્રગટ કરવામાં આવ્યો છે જેને કારણે છાપ એવી ઊભી થાય છે કે ભારતનું સંવિધાન આંબેડકરની એકલાની મહેનત તથા બુદ્ધિનું પરિણામ છે.

આંબેડકર વિશેનાં આ સત્યો તમે જાહેરમાં રજૂ કરો છો ત્યારે દલિતો તરફથી તમને ‘મનુવાદી’ હોવાની ગાળ ખાવા મળે છે અને કહેવાતા બુદ્ધિજીવીઓ તમને જમણેરીઓના પ્રચારક તરીકે ઉતારી પાડવાની કોશિશ કરે છે. ભલે. આ બધા પછી પણ સત્ય તો સત્ય જ રહે છે.

જોકે, મારી મૂંઝવણ જુદી છે. આપણાં સંતાનો, એમનાં સંતાનો મોટાં થશે ને એમને શાળામાં ભારતના સંવિધાન વિશે ચાર વાતો શીખવવામાં આવશે, ત્યારે ઘરે બચ્ચાઓને ભણાવતી વખતે તમને પૂછવામાં આવશે કે તમે તો આંબેડકર વિશેની વાતો ‘મુંબઈ સમાચાર’ની ‘ગુડ મોર્નિંગ’ કોલમમાં બહુ રસથી વાંચતા હતા તો અમને બાબાસાહેબ વિશે ટૂંકી નોંધ તૈયાર નહીં કરી આપો?

એવા સમયે તમે ધર્મસંકટમાં મુકાઈ જશો. તમારી વિટંબણા એ જ હશે કે બચ્ચાને પરીક્ષામાં શિક્ષકો પૂરા માર્ક્સ ત્યારે જ આપશે જ્યારે એ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ લખીને આવશે. તમે જે કહેશો તેના પરથી નોંધ લખીને આવશે તો પાઠ્યપુસ્તકને ન અનુસરવા બદલ જવાબ પર મોટો ચોકડો મળશે. પરીક્ષામાં બાળકના ગુણ ન કપાય તે માટે તમારે ઈતિહાસની હકીકતો પર પથ્થર દાબી રાખવો પડશે. એમાં જ બાળકનું હિત છે ને એમાં જ એનો સ્વાર્થ સચવાય છે. રિઝલ્ટ આવ્યા પછી પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવવા બદલ તમે બાળકને આઈસક્રીમ ખવડાવવા લઈ જતી વખતે વિચારતા હશો. તમારામાં અને રાજકારણીઓમાં કોઈ ફરક છે ખરો. એ લોકો પણ પોતાનું હિત સાચવવા અને સ્વાર્થ જાળવવા ઈતિહાસની હકીકતો પર પથ્થર દબાવી રાખે એમાં એમનો શું ગુનો.


1 comment:

  1. બાબાસાહેબ સારા વ્યકિત હતા અને રહેશે જય ભીમ

    ReplyDelete