Thursday, November 21, 2013

ચાણક્ય- સૌરભ શાહ

‘શત્રુ સામેથી મદદ કરવા આવે તો પણ એ સ્વીકારવી નહીં’
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું તમને લાગવા માંડે ત્યારે તમારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની. ચાણક્યની.

ચાણક્યનાં કેટલાંક સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલટાઈમ ગ્રેટ સુવાક્યો પરનો કૉપીરાઈટ ચાલુ હોત તો આજે ચાણક્યના વારસદારો ભારતના સૌથી ધનિક નાગરિકો હોત.

પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો વિશ્ર્વાસ ક્યારેય ન કરવો એવાં અનેક ચાણક્ય સૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી તમને પ્રાપ્ત થાય. ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીઓના મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિક્લ ઍડવાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત. અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એનાં પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-જાયન્ટ્સ-રોટરી અને ગુજરાતી જ્ઞાતિઓનાં સોશ્યલ ગ્રુપ્સ એની કુટિરની બહાર લાઈન લગાવતાં હોત.

ચાણક્યે કૌટિલ્યના નામે અર્થશાસ્ત્રનો ગ્રંથ લખ્યો જેનો અંગ્રેજી અનુવાદ પૅન્ગિવિન જેવી આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાના બેસ્ટ સેલર્સના લિસ્ટ પર કંઈ કેટલાય વખતથી છે. ચાણકયને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. ચાણકયનાં સૂત્રોને જોવાનો એ એક દૃષ્ટિકોણ છે. દુનિયામાં તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણકય તમને અન્એથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રૅક્ટ્કિલ વધુ લાગશે. પોતાનું કે પોતાના રાષ્ટ્રનું હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણકયના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી અમેરિકન વિદુષી ઍય્ન રૅન્ડ (‘ધ ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ડ’ નૉવેલ્સ ફેઈમ) એ ‘ધ વર્ચ્યુ ઑફ સેલ્ફિશનેસ’ પુસ્તક નથી લખ્યું?

ખૂબ બધાં કામ ચડી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની સૂઝ નથી પડતી. ચાણકય આ મૂંઝવણનું સિમ્પલ સૉલ્યુશન આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું.

ક્યારેક લાગે કે આ બધાં જ કામ નકામાં છે, કશામાંથી ફાયદો થાય એમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે. ઑન અ સીરિયસ નોટ, એ સંજોગોમાં જે કામ ન કરવાથી સૌથી મોટું નુકસાન થઈ શકે એમ હોય તે પહેલાં કરવું.

કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રોમાં ફેરવી ફેરવીને આ વાત એ આપણા દિમાગમાં ઠસાવવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં, એમાં શરાબ હોવાની શક્યતા નકારી શકાય નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ કયારે તમારું ગળું પકડી લે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધુ પડતું સન્માન કરવા લાગે કે અચાનક લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું. આ દેખાડુ નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.

કોઈ પણ કાર્ય કરતી વખતે અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ન લેવાય એવું ચાણક્યે ગાઈબજાવીને કહ્યું છે. સામેથી સપોર્ટ આપવા આવે તો પણ નો, થૅન્ક યુ કહીને એને પાછો કાઢવાનો. કારણ કે એ તમને એટલા માટે ટેકો આપવા માગે છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે એ ટેકો ખસેડીને તમને પાડી નાખવાની એને તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.

ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ માણસ તમારી પાસે કશું માગવા આવે તો એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી સામે હાથ લંબાવીને ઊભો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરવાને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. પણ અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો પણ મૂકવાં જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ઢીંકણી કલમના સંદર્ભમાં વાંચવાની હોય એવું જ કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સામે ચાણક્યે અગાઉ એમ પણ કહ્યું છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વખત લખી ગયા, છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે એવા માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એટલે એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. ટૂંકમાં યાચકની અપેક્ષા સંતોષતાં પહેલાં તમારી કોઠાસૂઝ અને તમારા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.

ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ થઈ હોય તોય એની આજીવિકા નષ્ટ ન કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને, મરણિયો બનીને તમારા પર હુમલો કરશે. પોતાનામાં રહેલી તમામ તાકાત નિચોવીને હુમલો કરશે. બમ્બૈયા હિન્દીમાં એને મરતા ક્યા નહીં કરતા ફિનોમિનન કહેવાય છે, તમે શત્રુની રોજીરોટી પણ છીનવી લેશો તો એ આજે નહીં તો દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા બધા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.

બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ન કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધારે ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.

કોઈ કંઈક પૂછે તો એનો ફટ દઈને જવાબ ન આપી દેવાય. પ્રશ્ર્ન પાછળનો હેતુ શું છે તે વિચારવું. પ્રશ્ર્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ર્ન કરવો. શઠ લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધાર્યી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.

ચાણક્યના કયા વિચારોને જીવનમાં ઉતારવા અને કયા છોડી દેવા એનો નિર્ણય વાંચનારે પોતે કરવાનો. ચાણક્યની ડહાપણભરી વાતોમાં હજુ રસ પડે છે?


‘તમામ સંબંધો સ્વાર્થને આધીન છે’
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ધન વિશે ચાણકયે કહ્યું કે માણસે પોતે અમર છે એમ માનીને ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ર્ચિત જ છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધીને લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય.

કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ પ્રકારનાં હીન કામો કરવા તૈયાર થઈ જાય છે. પણ ચાણકય કહે છે કે ‘માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે.’ બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારીને તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી દે છે. બહુ સરસ વાત છે આ - ભૂખ્યા રહીને પણ જીવી શકાય છે.

ચાણકય માને છે કે ચતુર માણસને ક્યારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહાર કુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં આજીવિકા મેળવી લે છે. ધન વિશેની એક કડવી સચ્ચાઈ ચાણકય પાસેથી જાણી લઈએ. એ કહે છે કે પૈસા વિનાના માણસની સાચી શિખામણને પણ કોઈ કાને ધરતું નથી. બીજી એક વાત ચાણકય કહે છે કે જરૂરી દ્રવ્યની જોગવાઈ કર્યા વિના કોઈપણ કાર્યનો આરંભ કરવો એ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરવા બરાબર છે. કામ તો શરૂ કરો, પૈસાની જોગવાઈ આગળ જતાં આપોઆપ થઈ રહેશે એવું કહેનારાઓની સલાહ માનનારાઓ ભવિષ્યમાં ઊંધે માથે પછડાય છે. જે કામ માટે જેટલા ધનની આવશ્યકતા હોય તે અંગે કાર્યના આરંભે જ નિશ્ર્ચિત ગોઠવણ થઈ ગઈ હોવી જોઈએ.

ચાણકયના આ એક સૂત્રને ઉવેખવાની બેદરકારી પણ ન ચાલે: ‘દરેક પ્રકારના પ્રયત્નો કરીને સંપત્તિ એકઠી કરવી જોઈએ. આ સલાહ રાજા માટે છે અને દરેક માણસ પોતાના મનોરાજ્યનો નૃપ છે એવું માનીને તમે ચાલી શકો છો. સ્વકલ્યાણ માટે કે પરોપકાર માટે સંપત્તિ હોવી અનિવાર્ય.

આડ વાત. ગો. મા. ત્રિ.નો સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડીને ગાડામાં મનોહરપુરી થઈ રત્નનગરીની દિશામાં જતો હતો ત્યારે રસ્તામાં અર્થદાસ નામનો વાણિયો પોતે ગરીબ અને લાચાર છે એવું કહીને સરસ્વતીચંદ્રને કરગરતો હતો. આવે વખતે સરસ્વતીચંદ્રને પોતાની જાતની ઘૃણા ઉપજી કે હું શા માટે છતી લક્ષ્મીએ અકિંચન થઈ ગયો. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના વાચકોને યાદ હશે કે સરસ્વતીચંદ્રના પિતા પાસે આઠથી દસ લાખ રૂપિયા હતા. ૧૮૮૦-૯૦ના ગાળામાં આજના અમુક સો કરોડ રૂપિયા થાય. સરસ્વતીચંદ્રની પોતાની પાસે માનો વારસો મળ્યાથી લાખની મૂડી તેમ જ વાલકેશ્ર્વરમાં પિતાના ત્રણચાર બંગલામાંનો એક બંગલો હતો. પિતાની મૂડીમાંથી, જે વારસો મળે એમ હતો તે તો પાછો જુદો. આ બધું છોડીને ભાઈ (સરસ્વતીચંદ્રને એના ઘરમાં પિતા, ઓરમાન મા ગુમાન ઈત્યાદિ ભાઈ કહેતા. ૧૮૮૫માં લખાયેલી નવલકથાની આ વાત છે. તે વખતે દાઉદના દાદાનોય જન્મ થયો નહોતો) પહેરેલા કપડે નીકળી પડ્યો છે. સરસ્વતીચંદ્ર અફસોસ કરે છે: ‘એનું દુ:ખ ભાંગવા જેટલો પઈસો મ્હારી કને હતો, તે મ્હેં છોડ્યો. દ્રવ્યનો આવા પ્રસંગે ઉપયોગ થતો હશે તેનું મને ભાન ન રહ્યું.’

સત્તર વર્ષે એમ.એ. પછી એલ.એલ.બી. અને બૈરિસ્ટર થયેલા વિદ્વાન ગર્ભશ્રીમંતને મોડે મોડે પણ દ્રવ્યનું મૂલ્ય સમજાયું. હાલ તુરંત એની પાસે આપવા જેવું કંઈ નહોતું સિવાય કે ધોતિયાના છેડે બાંધેલી છ-સાત હજારની કિંમતની મણિમુદ્રા અર્થાત્ વીંટી જે કુમુદ સુંદરીની આંગળી શોભાવવા બનાવવામાં આવી હતી. ભાઈએ એ ગરીબ વાણિયાને આપી દીધી. એ વાત અલગ છે કે સરસ્વતીચંદ્રને બહારવટિયો ધારીને પેલા વાણિયાએ ગરીબ હોવાનું માત્ર નાટક કર્યું હતું.

આખી વાત કહેવા જઈશું તો ચાણકય રહી જશે. એક વાત નક્કી છે કે ગો. મા. ત્રિ.ના દિમાગમાં આ મહાનવલના લેખન દરમ્યાન ચાણકયના સૂત્રો રમતા હશે. લિટરેચરના સ્ટુડન્ટ્સ માટે પીએચ.ડી.ની થીસિસનો વિષય બની શકે: ‘ગોવર્ધનરામ પર ચાણકયની અસર - સરસ્વતીચંદ્રના સંદર્ભમાં.

પૌલ જ્હૉન્સને વિશ્ર્વના કેટલાક ઉત્તમ સાહિત્યકારો, ચિંતકો, વિચારકોની પોલ ખોલતું ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’ પુસ્તક લખવાનું માંડી વાળ્યું હોત જો એણે ચાણકયની આ સલાહ માથે ચડાવી હોત: રત્ન ક્યારેય અખંડિત હોતું નથી. અર્થાત્ કોઈ પણ કિંમતીમાં કિંમતી મણિમાં પણ ક્યાંક કોઈક પ્રકારની નાનકડીય ખરાબી હોવાની. જેવું રત્નનું એવું જ મહાપુરુષોનું. વ્યક્તિ સાધારણ હોય કે અત્યંત પ્રતિભાવાન, એના નાના નાના અવગુણોને જ કેન્દ્રમાં રાખીશું, એનામાં રહેલા સદ્ગુણો પર નજર નહીં રાખીએ તો નુકસાન આપણને જ છે, એને નહીં.

ચાણકય નીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે: ‘તમામ સંબંધો સ્વાર્થને આધીન છે.’ બે રાજ્ય વચ્ચે હોય કે બે વ્યક્તિઓ વચ્ચે, પરસ્પર સ્વાર્થ ન હોય તો સંબંધો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો સંબંધ હોઈ શકે જ નહીં. એક આખું પુસ્તક લખાય એવી માર્મિક વાતો આ એક જ સૂત્રમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે.

ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલાં નીકળ્યાં કે ધંધામાં ચાર કરોડની ખોટ ગઈ - કોઈએ પૂછયું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, શું કરું આ બધું મારી આળસનો પ્રતાપ છે - એવું કહેશે. કહેનારને લાગે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે. પણ દરેક સાંભળનારનું મન તમે કળી શકવાના નથી. ચાણકય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ન કરવી. કારણ? તો કહે: શત્રુ હંમેશાં તમારી નબળાઈઓ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણકય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ એટલું જ નહીં લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર પણ કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ન મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.

ચાણકયનું એક ઔર સૂત્ર કોતરાવી રાખવા જેવું છે: સંયોગવશાત્ ઊધઈ પણ સુંદર આકૃતિ દોરે છે. અર્થાત્ લાકડાની દુશ્મન એવી ઊધઈ લાકડાને અંદરથી ખોખલું બનાવી દે ત્યારે કોઈ કોઈ વખત સપાટી પર સુંદર આકૃતિ સર્જાયેલી હોય એવું દેખાય છે. દુર્જન દ્વારા તમને લાભ થયો છે એવું જતાવવાની કોઈ કોશિશ કરે ત્યારે તમારું ધ્યાન સપાટી પરની ડિઝાઈન તરફ નહીં પણ ખવાઈ ગયેલા લાકડા પ્રતિ જવું જોઈએ. બાહ્ય રીતે કોઈ આપણું સારું કરી રહ્યું છે એવો ભાસ થાય ત્યારે અંદર એનાં શું પરિણામ આવશે તે વિચારવું જોઈએ.

ચાણકયની એક ઔર સલાહ હરીન્દ્ર દવેએ માની હોત તો એમને ક્યારેય આ શેર લખવાની નોબત ન આવી હોત:

મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.

ચાણકયે કહ્યું છે કે મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના પોતાના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા એમ: ડંખીએ નહીં પણ ફૂંફાડો રાખવાનો. આ જ સંદર્ભમાં બીજું એક ચાણકય સૂત્ર છે કે અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા. આનો અર્થ એ નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડ ગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન કરવું નહીં. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા - વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં અને જો એવું કરે તો એમને ટકોર કરીને રોકવા.

આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણકય ક્યારેક તમને કઠોર, લાગણીશૂન્ય લાગે. પણ ના, એવું નથી. એક જગ્યાએ એ એક નાનકડી પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.

સાચી વાત છે. સંતાનોના માથે હાથ ફેરવવાથી કે એમને છાતીએ વળગાડવાથી માબાપને જે સુખ મળે છે એનાથી ચડિયાતું બીજું કયું સુખ હોઈ શકે આ સંસારમાં.

No comments:

Post a Comment