Friday, October 16, 2015

સમર્થન હોય તો બુદ્ધિ પણ શક્તિ બની જાય છે! - ચંદ્રકાંત બક્ષી



બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


સન ૧૯૭૬માં એક વિચિત્ર ઘટના બની હતી. એ વર્ષે દરેક નોબેલ પારિતોષિક અમેરિકનો જીતી ગયા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સાહિત્ય બધામાં એક જ વર્ષમાં એક જ દેશમાંથી બુદ્ધિમાનો નીકળે. પણ આ પ્રશ્ર્નનો ઉત્તર સરળ છે. ૧૯૭૬માં અમેરિકાની બાયસેન્ટેનરી અથવા દ્વિ-શત વાર્ષિકી હતી અને અમેરિકાનું વર્ચસ વિશ્ર્વની ઘણી સંસ્થાઓ પર સંપૂર્ણ છે. નોબેલ ઈનામ આપનારી કમિટીઓ અમેરિકન મહાસત્તાની અસર નહિ પણ અમેરિકન મહાસત્તાના અંકુશમાંથી કેમ મુક્ત રહી શકે? બધાં જ ઈનામો અમેરિકાને ખુશ કરવા અમેરિકન નાગરિકોને અપાયાં.

અને પછી નોબેલ પારિતોષિકો આપવામાં આ સિલસિલો ચાલુ રહ્યો છે. જે દેશ ફોક્સમાં હોય એ દેશને, અથવા એ પ્રજાને ઈનામ એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે વારંવાર મુકાતું હતું, પણ એમને ક્યારેય ન અપાયું. પછી મધર ટેરેસાને અપાયું. તિબેટ પર હક ચાલુ રાખનાર દલાઈ લામાને અપાયું. બ્રહ્મદેશની વિરોધી નેતા સુ કીને અપાયું. સાહિત્યમાં આ બદલાતા રાજકીય પરિવેશનો સ્પષ્ટ પ્રતિસાદ સંભળાય છે. ૧૯૮૨માં લૅટિન અમેરિકાના લેખક ગેબ્રિઅલ ગાશિઆ માર્કવેઝને ઈનામ અપાય છે કારણ કે એ દશકમાં દક્ષિણ અમેરિકા સમાચારોમાં હતું. ૧૯૮૬માં નાઈજીરિયાનો આફ્રિકન કાળો લેખક વોલ સોયિકા પસંદ કરાયો, જે પ્રથમ નોબેલ વિજેતા આફ્રિકન લેખક હતો.

૧૯૮૭માં અમેરિકાસ્થિત અને સોવિયેત રશિયાવિરોધી રશિયન કવિ જોઝેફ બ્રોદ્સ્કીની પસંદગી સાહિત્યિક કરતાં રાજનીતિજ્ઞ વિશેષ હતી. ૧૯૮૮માં ઈજિપ્તના નગીબ મેહફૂઝની પસંદગી થઈ કારણ કે હવે કોઈ આરબ લેખક આવવો જોઈએ. આ નોબેલ ઈનામવિજેતા પ્રથમ આરબ હતો. પોલેન્ડના લેસ વાલેસાને એ માટે શાંતિ પારિતોષિક અપાયું હતું કારણ કે એણે પોલેન્ડમાં કમ્યુનિસ્ટ શાસન અને આંદોલન જગાવ્યું હતું. હડતાળો પડાવી હતી, સંગઠિત વિરોધ કર્યો હતો.

ઈનામો-પુરસ્કારો જીતી શકે એવી મેધા પ્રકટાવવા માટે કોઈ દેશકાળની જરૂર પડે છે કે એ એક તદ્દન વ્યક્તિગત સિદ્ધિ છે? એક સમયે જે પ્રદેશ પૂર્વ જર્મની તરીકે ઓળખાતો હતો એ પ્રદેશમાંથી વિશ્ર્વના પ્રથમ કક્ષાના કહી શકાય એવા અત્યંત પ્રતિભાવાન સંગીતજ્ઞો, દાર્શનિકો, લેખકો, કવિઓ, ચિત્રકારો પ્રકટ્યા હતા (કાર્લ માર્ક્સ, ગઅટે, હેગલ, કેન્ટ, બિટોવન વગેરે.) પણ ૧૯૪૯નું જર્મનીનું વિભાજન થયા પછી જે પ્રદેશ પૂર્વ જર્મની બન્યો એણે એક પણ સારી નવલકથા કે ફિલ્મ કે નાટક વિશ્ર્વને આપ્યું નથી.

એ સિવાય ઓષધો કે સ્થાપત્ય કે અન્ય કોઈ બૌદ્ધિક શાસ્ત્રમાં પણ સામ્યવાદી પૂર્વ જર્મનીનું ખાસ પ્રદાન રહ્યું નથી. ફકત એક જ વસ્તુમાં પૂર્વ જર્મની અગ્રેસર રહ્યું છે: ઑલિમ્પિક્સમાં અને અન્યત્ર સ્વર્ણચંદ્રકો જીતવામાં. વિશ્ર્વના કેટલાક શ્રેષ્ઠ એથ્લીટ અહીં પૈદા થયા. પૃથક્કરણના શોખીનોને અભ્યાસ કરવાની મજા આવે એવો આ વિષય છે. કોઈ પણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. કોન્ફ્યૂશિયસની વિચારધારા સેંકડો વિચારધારાઓમાંની એક હતી. પછી સમ્રાટ ગાઓ ઝૂ (ઈસા પૂર્વ ૨૫૬-૧૯૫)એ કોન્ફ્યૂશિયસના વિચારો માટે આદર બતાવ્યો. બીજા સમ્રાટ વુ દીએ કોન્ફ્યૂશિયસ સિવાયના બધા જ વિચારો પર પ્રતિબંધ મૂક્યો. અંતે એક પછી એક હાન વંશના સમ્રાટો કોન્ફ્યૂશિયસને ઉચ્ચતમ સ્થાન આપતા ગયા અને કોન્ફ્યૂશિયસનો ધર્મ ચીનનો પ્રમુખ ધર્મ બન્યો. હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટ અશોકનું આ જ યોગદાન છે. જો અશોક ન હોત તો બૌદ્ધવાદનો આટલો ફેલાવો ન થયો હોત.

ગુજરાતમાં જૈન ધર્મનો આજે સદીઓ પછી અન્ય કોઈ રાજ્યના જૈન ધર્મ કરતાં વધારે પ્રભાવ છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં કુમારપાળ જેવો એક સશક્ત જૈનધર્મી રાજા રાજ્ય કરી ગયો. એના સમકાલીન હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના સમયમાં જૈન ધર્મની નીંવ ગુજરાતમાં ઊંડી ઊતરી ગઈ. યુરોપમાં રોમન સામ્રાજ્યનો પૂરો ઈતિહાસ નવા ધર્મ ક્રિસ્ટીઆનિટી પરના સતત જુલ્મનો છે. શરૂના ખ્રિસ્તીઓને રોમનો સિંહોની સામે ફેંકી દેતા અને નાગરિકો કોલોઝિયમ કે સ્ટેડિયમમાં બેસીને જોતા.

ખ્રિસ્તી ધર્મને સૌથી મોટો સમર્થક શાર્લમેન મળે છે. એના કાળમાં ક્રિસ્ટીઅન ગુલામોનો સમય પૂરો થયો, એની ઈચ્છા આખા યુરોપને ખ્રિસ્તી બનાવવાની હતી. શાર્લમેન ખ્રિસ્તી ધર્મનો અત્યંત શક્તિમાન સમ્રાટ હતો. એણે જ્યારે સેક્સન પ્રજાને જીતી ત્યારે ફરમાન કાઢ્યું કે પરાજિત પ્રજા પાસે બે જ વિકલ્પ છે: કતલ થઈ જાઓ અથવા ખ્રિસ્તી બની જાઓ! એણે એક જ દિવસમાં ૪૫૦૦ સેક્સનોને ખ્રિસ્તી ન થવા માટે કતલ કરી નાખ્યા હતા. ખ્રિસ્તી ધર્મપ્રસારમાં શાર્લમેનનું સૌથી મોટું આરંભિક યોગદાન છે.

એ જ રીતે મધ્ય યુગમાં ખ્રિસ્તી ધર્મ જ્યારે ભ્રષ્ટ થઈ ગયો ત્યારે પ્રોટેસ્ટંટ સુધારાવાદના સ્થાપક માર્ટિન લ્યુથરનો પ્રવેશ થાય છે.

માર્ટિન લ્યુથરના મુકદ્દરમાં પણ જીવતા જલી જવાનું હતું, જે ગતિ ચેકસ્લોવેકિયામાં ધર્મપ્રચારક જ્હોન હ્યુસની થઈ હતી. પણ જ્યારે એની એ ગતિ થવાની હતી ત્યારે જ ડ્યૂક ઑફ સેક્સનીએ લ્યુથરને ઉપાડી લીધો અને એના વાર્ટબર્ગના કિલ્લામાં સંતાડી દીધો. લ્યુથર બચી ગયો અને પ્રોટેસ્ટંટ ધર્મનો ઉદય થયો. જો આ જર્મન રાજકુમાર માર્ટિન લ્યુથરને બચાવવા ન આવ્યો હોત તો સુધારાવાદી પ્રોટેસ્ટંટ ધર્મની જુદી જ ગતિ થઈ હોત.

દેશકાળ, કિસ્મત, સંજોગો, એકાદ પક્ષધર માણસ... કોઈ ક્યાંક સહાય કરતું હોય છે. હિંદુસ્તાનમાં ઝૈલસિંઘ રાષ્ટ્રપતિ થવા માટે કદાચ સૌથી નકામા ઉમેદવાર હતા અને માટે જ થયા, કારણ કે શ્રીમતી ઈન્દિરા ગાંધી શીખોને ખુશ કરવા માગતાં હતા, અને એમને એક ઘસાયેલા રબર સ્ટેમ્પ જેવો માણસ જોઈતો હતો. ઝૈલસિંઘ લગભગ અભણ હતા, ભરપૂર આજ્ઞાંકિત હતા, ગાંધી-નહેરુ પરિવારના ઘરઘાટી તરીકે ઝાડુ મારવાની પણ એમની તૈયારી હતી, અને શીખ હતા. આટલી બધી યોગ્યતાવાળો વફાદાર માણસ, સ્લોટમાં સિક્કો ફિટ થઈ જાય એવો, એક જ હતો. માટે એ માણસને આ દેશના રાષ્ટ્રપતિની ખુરશી સોંપવામાં આવી.

પોલેન્ડમાં લેચ વાલેસાના સોલિડેરિટી સંગઠને સામ્યવાદી શાસકોને દુ:ખી દુ:ખી કરી નાખ્યા હતા. એક સામાન્ય ડોક મજદૂર એક પૂરી રાજ્યવ્યવસ્થા સામે ઝૂઝી રહ્યો હતો. એ દેશ સામ્યવાદની દીવાલ તોડવા માટે કામ આવી રહ્યો હતો. પોલેન્ડનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં રોમન કેથલિક પ્રજાની બહુ મોટી વસતિ છે. અત્યાર સુધી માત્ર ઈટાલીઅન ધર્મગુરુઓ જ પોપ બનતા હતા, પહેલી વાર એક પોલીસ ધર્મગુરુ પોપ બની રહ્યો હતો. પોપની નિયુક્તિ કે નિર્વાચન ધાર્મિક કરતાં વાસ્તવરાજનીતિક વિશેષ હતું. ઈતિહાસમાં ઘણાં દૃષ્ટાંતો છે. સિકંદર દુનિયા જીતવા નીકળ્યો એટલે ગ્રીક નાટકો એની સાથે સાથે હિંદુસ્તાન સુધી આવ્યાં. અંગ્રેજો આખી દુનિયાના સમુદ્રો પર ફેલાતા ગયા અને એટલે શેક્સપિયર વિશ્ર્વનો શ્રેષ્ઠ નાટ્યકાર બની ગયો. માત્ર મેધા કે પ્રતિભાથી દુનિયા જીતી શકાય છે? સંજોગો, કિસ્મત, ગોડફાધર, તરવારની નોક... કંઈક જોઈએ છે.

No comments:

Post a Comment