Thursday, July 3, 2014

તાજા કલમ: હું તને ચાહું છું


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ


જોતાંવેંત ગમી જાય એવું પ્રોડક્શન ધરાવતાં પુસ્તકોમાં વાંચનસામગ્રી પણ એટલી જ ઠોસ હોય ત્યારે ઝવેરીબજારમાં અત્તરનું ટેન્કર ઢોળાયું હોય એવું લાગે. ‘પી. એસ.: આય લવ યુ’ આવું જ એક પુસ્તક છે. આ પુસ્તક એક મિત્રે ભેટ આપ્યું તે દિવસે મિજબાની થઈ ગઈ. વર્ષો પહેલાં પ્રગટ થયેલા પુસ્તકની ડઝનબંધ આવૃત્તિઓ વેચાઈ છે. પુસ્તકના સંકલનકાર એચ. જૅક્સન બ્રાઉન, જુનિયરે પ્રસ્તાવનામાં લખ્યું છે કે છેલ્લાં કેટલાંય વર્ષ દરમ્યાન મારી માએ મને અને મારી બહેનને સેંકડો પત્રો લખ્યા. આ પત્રોમાં સૌથી વધારે મઝા પત્ર નીચેની તાજા કલમ (પોસ્ટ સ્ક્રિપ્ટ)માં આવતી. થોડાક જ શબ્દોમાં મા અમને પ્રોત્સાહન મળે એવાં માર્મિક વાક્યો લખીને પ્રેમપૂર્વક શિખામણ આપતી. આ પુસ્તક આવી જ તાજા કલમોનો સંગ્રહ છે.

નાનકડા કદના આ પુસ્તકમાં એક પાના પર એક તા.ક. છે. એક તાજા કલમમાં મા લખે છે: ‘તમારા પિતાની દૃષ્ટિએ પ્રામાણિક માણસ એ છે જેની જોડે ફોન પર, એકબીજાની ગેરહાજરીમાં, કાગળ પર મીંડું-ચોકડી રમી શકાય.’ બીજી એક તાજા કલમ તો મા જેવી અનુભવી અને હૂંફાળી વ્યક્તિ જ લખી શકે: ‘કોઈ તમારા માટે ફૂલ લઈને આવશે એવી રાહ જોઈને બેસી રહેવા કરતાં તમારો પોતાનો જ બગીચો શા માટે નથી બનાવતા?’

પત્રોમાં, સરકારી કે બિઝનેસને લગતા પત્રો સિવાયના પત્રોમાં, અંગત લાગણીઓ નિખાલસતાથી વ્યક્ત થવી જોઈએ એવું ઘણાં ઓછાં સ્વજનો-મિત્રો સમજતા હોય છે. અત્રે સૌ કુશળ હોઈ તમારી કુશળતા ઈચ્છીએ છીએમાં જ મોટાભાગની લાગણીઓ નિચોવાઈ જતી હોય છે. વૉટ્સઍપના આ જમાનામાં પણ પત્રવ્યવહારની કળા જેની પાસે નથી તેને પોતાનામાં કશીક અધૂરપ છે એવું લાગવું જોઈએ. આ પુસ્તક વાંચવાથી કદાચ એ કળાના પ્રાગટ્યનો પહેલો તણખો વાંચનારના મનમાં થાય પણ ખરો. એક જગ્યાએ લખ્યું છે: ‘ક્યારેક આંખ જે નથી જોઈ શકતી તે હૃદય જોતું હોય છે.’

માબાપે જિંદગીભર છોકરાં ઉછેરવાનું જે કામ કર્યું હોય છે તે કામ પાછળની ભાવના કેવી હોવી જોઈએ? છોકરાંઓ જ્યારે પોતે મા-બાપ બને ત્યારે એમણે આ વાત સમજવી જોઈએ કે: ‘આપણે સૌએ થોડાંક વૃક્ષ એવાં ઉછેરવાં જોઈએ જેના છાંયામાં બેસવાનું સદ્ભાગ્ય આપણને ક્યારેય મળવાનું નથી.’ અનુભવની સાથે જો પુખ્તતા આવે તો જ માણસને આ વાત સમજાવાની છે કે: ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે કે જુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની હવે જરૂર પણ જણાતી નથી.’

વારંવાર બીજાઓની વર્તણૂકથી અકળાઈ જનારાઓ માટે સલાહ છે: ‘ખરાબ મૅનર્સવાળા લોકોને નભાવી લેવાની ઉદારતા પણ કેટલીક વખત સારી મૅનર્સ તરીકે ઓળખાતી હોય છે.’ કુટુંબમાં સંબંધોનાં સમીકરણ ક્યારેક જટિલ બની જતાં હોય છે. આ જટિલતાને ઉકેલી આપતાં મા કહે છે: ‘પોતાનાં સંતાનો માટે પિતા જો કોઈ ઉત્તમમાં ઉત્તમ કામ કરી શકે તો તે છે એ સંતાનોની માને ચાહવાનું.’

સગાંઓ અને મિત્રો વચ્ચે ફરક હોય છે. સગાં તમારી પસંદગીનાં નથી હોતાં, મિત્રો હોય છે. મા આ ફરક બરાબર જાણે છે. સગાઈના સ્વાર્થ અને મૈત્રીના નિ:સ્વાર્થથી એ સારી રીતે પરિચિત હોય છે. ત્યારે જ તો એક પત્રની નીચે એ આવી નોંધ મૂકી શકે છે: ‘તમારા વિશે બધું જ જાણે છે છતાં જે તમને ચાહે છે એ જ વ્યક્તિ તમારી મિત્ર છે.’

કિશોરાવસ્થામાં પહોંચતાં સંતાનોમાં વગર કારણે સમાજ કો બદલ ડાલોની રિબેલ વૃત્તિ આવી જતી હોય છે. દુનિયામાં અને બધા જ લોકોમાં બધું જ ખોટું છે અને બધું જ બદલાઈ જવું જોઈએ એવું ટીન એજ સંતાનોને જ્યારે લાગવા માંડે ત્યારે મા શું કહે છે: ‘બધું જ બદલી નાખવા માટે માત્ર તમારી દૃષ્ટિ, તમારો અભિગમ બદલી નાખો.’ એક જગ્યાએ મા વિન્સ્ટન ચર્ચિલને ટાંકતાં કહે છે: ‘ખરાબ શબ્દો ગળી જવાથી કોઈને પેટનો દુખાવો થયો હોય એવું હજુ સુધી બન્યું નથી.’

માણસને પોતાની સિદ્ધિઓ વિશે જ્યારે વધુ પડતું અભિમાન થઈ જાય અને ગૌરવ જ્યારે ગુમાનમાં પલટાઈ જાય ત્યારે મા શું વિચારતી હશે? શકટનો ભાર જેમ શ્ર્વાન તાણેની ઊંચાઈએ લઈ જતા ફિલોસોફિકલ અંદાજમાં મા કહે છે: ‘બણગાં ના ફૂંકો. ટ્રેન કંઈ વ્હિસલ વાગવાને કારણે આગળ વધતી નથી.’

સંતાનોની ખાવાની કચકચ સાથે માએ વર્ષો સુધી પનારો પાડ્યો હોય છે. મોટા થયા પછી આ બાબતમાં માનું સ્થાન પત્ની લેતી હોય છે. જેમના ઘરમાં રોજ રસોઈની બાબતમાં માથાકૂટ થતી હોય અને દરેક જણ આ ભાવે ને પેલું ન ભાવે એવી જીદ કરતું હોય એવા કુટુંબના ડાઈનિંગ ટેબલ પાસે આ વાક્ય ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા વિના મોટા અક્ષરે લખીને ટિંગાડી દેવું જોઈએ: ‘યુ હૅવ ટુ ચૉઈસીઝ ફૉર ડિનર. ટેક ઈટ ઑર લીવ ઈટ.’

મધ્યમવર્ગીય પરિવારોમાં છોકરાંઓ પરણીને ઠરીઠામ થઈ જાય એ પછી પણ શું માબાપને આર્થિક નિશ્ર્ચંતતા હોય છે? જૅકસન બ્રાઉન જુનિયરની માતા એક પી. એસ.માં લખે છે: ‘ગઈ કાલે હું અને તારા પપ્પા અમારી નિવૃત્તિ પછીની બચત ગણવા બેઠાં. અમને લાગ્યું કે જે રકમ છે એ બાકીની આખી જિંદગી ચાલશે, સિવાય કે અમે કશું ખરીદવાનું નક્કી કરીએ.’

ઉદારતાના સંસ્કાર જે મા પોતાનાં સંતાનોમાં ઉછેરી શકે એ મા શ્રેષ્ઠ. અહીં કહે છે: ‘તમારી રોજની જરૂરિયાતની બે રોટી માટે કમાણી કરતી વખતે એમાંથી એક ટુકડો તમારા કરતાં ઓછા નસીબદારો માટે બાજુએ કાઢી લેજો.’ નિષ્ફળતામાં પણ પ્રોત્સાહન આપી શકે અને હતાશાની ગર્તામાંથી બહાર કાઢી શકે એવા સ્વજનની કિંમત અમૂલ્ય છે. મા કહે છે: ‘તમે જો તમારી બેસ્ટ કક્ષાએ કામ કરતા હો તો પછી નિષ્ફળતા વિશે વિચારવાનો સમય પણ તમને નહીં હોય.’ અને પછી બીજી વાત કહે છે: ‘જિંદગીને આનંદમય અને ભરી ભરી બનાવવા માટે જુદા જુદા લોકો જુદો જુદો માર્ગ લેતા હોય છે. કોઈ વ્યક્તિ તમે ચાલો છો એ માર્ગે ચાલતી ન હોય તો એવું નહીં માની લેતા કે એ રસ્તો ભૂલી ગઈ છે.’

અને છેલ્લે માની ચોવીસ કૅરેટની સલાહ અને જેને કારણે આ પુસ્તક તમારી બુકશેલ્ફ પરનું એક કીમતી ઘરેણું બની રહે એવું વાક્ય: કોઈ જોતું નથી એવું લાગે ત્યારે આપણે જે કંઈ કરીએ છીએ એ જ આપણું સાચું ચારિત્ર્ય.’

No comments:

Post a Comment