Monday, September 14, 2015

|| જૈન શાશનમાં નવ સ્મરણોનું મહત્વ ||

જૈન શાસ્ત્રમાં નવ સ્મરણોનું મહાત્મ્ય અધિકાધિક ગણાયું છે.
જ્ઞાની ભગવંતોએ તેને ‘સુપર પાવર ટોનિક’નું નામ આપેલ છે.

સુપર ટોનીકના પ્રભાવ/પાવર :-

જૈન શાશનના આ પ્રગટ પ્રભાવી એવા નવ સ્મરણોના પ્રત્યેકના પ્રભાવ.

જૈન શાશનમાં નવ સ્મરણો :-

૧. શ્રી નવકારમંત્ર
૨. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર
૩.શ્રી સંતિકરમ સ્તોત્ર
૪.શ્રી તિજયપહુત્ત સ્તોત્ર
૫.શ્રી નમિઉણ સ્તોત્ર
૬. અજિશાંતિ સ્તોત્ર
૭. ભક્તામર સ્તોત્ર
૮.કલ્યાણ મંદિર સ્તોત્ર
૯.બૃહદ શાંતિ સ્તોત્ર

૧. શ્રી નવકારમંત્ર:-
જ્ઞાની ભગવંતોએ આ મંત્રને શાશ્વાતો બતાવ્યો છે. આ મંત્રમાં જિન શાશનના તમામ મહાત્મા (અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો)ઓને ભાવપૂર્ણ રીતે વંદના કરવામાં આવેલ છે. આ મંત્રના એક એક શબ્દ પ્રગટ પ્રભાવી હોઈ તેના શ્રવણમાત્રથી અનેકાનેક જીવો ભવ્ય શાતા અને સદગતિને પામ્યાના દાખલાઓ મોજુદ છે.

આ મહા મંગલકારી મંત્રના કિર્તન અને આરાધનાએ અનેક આત્માના માટે કલ્યાણકારી બનીને તેઓના આત્માને કલ્યાણ પ્રદાન કરેલ છે, અને વાસ્તવિક ફળથી વાંછિત બનેલ છે. અને તેથી જ આ મહામંત્રને જૈન ધર્મનો પ્રાણ કહેવાય છે.

૨. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર:-
અ સ્તોત્રમાં ૨૩મા તીર્થંકર શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરવામાં આવેલ છે. ભગવાન મહાવીરની પાટના ૧૪પુર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી આ સ્તોત્રના રચિયતા છે. આ સ્તોત્ર એવું તો ચમત્કારિક અને પ્રભાવી છે કે, તેનું વર્ણન કરવાની સમર્થતા ઇન્દ્રમાં પણ નથી. આ સ્તોત્રના નિત્ય પઠન અને શ્રવણથી તમામ પ્રકારના ભયનું નિવારણ થાય છે તથા મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

૩.શ્રી સંતિકરમ સ્તોત્ર:-
નવ સ્મરણનું આ ત્રીજું સ્તોત્ર તપાગચ્છ નાયકશ્રીમદ્ મુનિસુંદરસ્વામીએ રચેલ છે. જેમાં જૈન શાશનના તમામ દેવ દેવીઓ, વિદ્યાધરો, યક્ષયક્ષિણીઓનો બખુબી ઉલ્લેખ થયેલ છે. જેની ૧૪મી ગાથાનું વર્ણન મહાપ્રભાવી દર્શાવેલ છે. પૂર્વમાં થયેલા અનેક પ્રકારની આધિ, વ્યાધી અને ઉપાધિઓનો નાશ કરવા તથા સકલ જીવોની અનંત શાતા અને કલ્યાણ માટે આ સ્તોત્રની રચના કરવામાં આવેલ હતી. આ સ્તોત્રનું ત્રિકાળ સ્મરણ કરવાથી સર્વ વ્યાધિઓના નાશ સાથે સુલભ બોધીપણાની પ્રાપ્તિ થાય છે.

૪.શ્રી તિજયપહુત્ત સ્તોત્ર:-
પુર્વમાં શ્રી સંઘમાં વ્યંતરો દ્વારા થયેલા ભયંકર ઉપદ્રવોના શમન અને નિવારણ માટે આ સ્તોત્રની રચના શાશનના પરમ ઉપકારી શ્રીમદ માનદેવસૂરિએ કરેલ હતી. આ સ્તોત્રમાં ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર પરમાત્માઓની અનન્ય સ્તુતિ કરવામાં આવેલ છે. આજે પણ આ સ્તોત્ર અનેક પ્રકારના ઉપદ્રવના નિવારણ માટે ખુબ જ અસરકારક અને ફળદાયી સિધ્ધ થયેલ છે.

૫.શ્રી નમિઉણ સ્તોત્ર:-
આ મહાચમત્કારિક, ભયનાશક અને મહાન સ્તોત્રના રચિયતા બૃહદગચ્છીય આચાર્ય ભગવંત શ્રીમદ માન્તુંગસૂરિ છે. આ સ્તોત્રમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની વંદના કરાયેલ છે. આ સ્તોત્રના પ્રભાવથી તમામ પ્રકારના ઉપદ્રવો અને ભયનું નિવારણ થતું હોઈ આ સ્તોત્રને “ભયહરમ્ સ્તોત્ર” પણ કહેવાય છે. આસ્તોત્રના સ્મરણ અને આરાધનાથી દીર્ઘકાલીન સુખથી મનોહર મોક્ષની પ્રાપ્તિ થાય છે.

૬. અજિશાંતિ સ્તોત્ર:-
આ સ્તોત્રની રચના માટે બે મત છે. તેના રચિયતા શ્રી નંદીષેણસૂરિ છે. જેઓ એક મત અનુસાર ભગવાન મહાવીરના શાશનના હોવાનું મનાય છે, તો અન્ય મતે ભગવાન નેમિનાથના શિષ્ય હોવાનું પણ મનાય છે. આ સ્તોત્રની રચના શ્રી સિદ્ધાચલ શેત્રુંજય તીર્થ પર થયેલ હોવાનો ઉલ્લેખ છે. શ્રી શેત્રુંજય તીર્થ ઉપર આ ભગવાનનાં દેહરાં સામસામાં હતા, પણ આ સ્તવન પ્રથમ વખત બોલાતી વખતે તે એક હારમાં આવી ગયા.આ સ્તોત્રની એક એક ગાથામાં ક્રમશઃ શાંતિનાથ અને અજિતનાથ પ્રભુની સ્તવના કરવામાં આવેલ છે. પ્રાકૃત ભાષાના આ કર્ણપ્રિય સ્તોત્રમાં વિવિધ રાગ અને છન્દોથી પ્રત્યેક ગાથામાં પ્રભુનું અનુપમ વર્ણન થયેલ છે. આ સ્તોત્રના શ્રવણથી રોગ અને શત્રુના ઉપદ્રવોનું શમન થાય છે. વર્તમાનમાં આ સ્તોત્રનું પાક્ષિક (પકખી), ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં શ્રવણ થાય છે.

૭. ભક્તામર સ્તોત્ર:-
આ સ્તોત્ર વર્તમાનમાં અતિ લોકપ્રિય અને તમામ સ્થળોએ સાંભળવા મળે છે. સમગ્ર સ્તોત્રની રચના “વસંતતિલકા” રાગમાં હોઈ તે કર્ણપ્રિય હવા ઉપરાંત લોકભોગ્ય પણ છે. આ સ્તોત્રના કર્તા આચાર્ય શ્રી માન્તુંગસૂરિએ પ્રત્યેક ગાથામાં ભગવાન આદિનાથના અલંકારિક ભાષામાં શોભા,આભાના અને પ્રભાવને વિશિષ્ટરીતે વર્ણવેલ છે. આ આચાર્ય મહારાજને જયારે કોઈ રાજાએ(શ્રી હર્ષ રાજાએ) તેમની શક્તિ પરીક્ષા માટે 48 બેડીઓ પહેરાવી હતી, ત્યારે આ આચાર્ય મહારાજ જેમ જેમ શ્લોકો રચતા ગયા તેમ તેમ તે બેડીઓ તુટતી ગઈ. આથી જૈન ધર્મની ઉન્નતી થઇ અને રાજા જૈન ધર્મમાં પ્રીતિ વાળો થયો.આ સ્તોત્ર ચમત્કારિક અને પ્રભાવશાળી હોઈ પાપ રૂપી અંધકારનો નાશ કરનાર પણ છે.

૮.કલ્યાણ મંદિર સ્તોત્ર:-
શ્રીમદ સિધ્ધસેન દિવાકરસૂરિએ રચેલું આ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર(સ્તવન) છે. શ્રી ઉજ્જયિની નગરીમાં મહાકાળ નામના જૈન મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી, જેને બ્રાહ્મણોએ શિવલિંગ પધરાવી ઢાંકી દીધી હતી. બાદ આ સ્તોત્ર રચ્યું તેનો 11મો શ્લોક રચતાં તે લિંગ ફાટ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં. આને ભણવાથી સર્વ પ્રકારનાં વિધ્નો નાશ પામે છે અને સુખ મળે છે.

૯.બૃહદ શાંતિ સ્તોત્ર:-
સુપર ટોનિક સમા “નવ સ્મરણ”માં સહુથી છેલ્લા ક્રમે પ્રકાશવા આવતું આ અદભુત સ્તોત્ર છે. સામાન્યપણે આ સ્તોત્ર “મોટી શાંતિ”ના નામે જાણીતું છે. ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર ન્હવરાવવા ઇન્દ્રો અને દેવતાઓ લઇ જાય છે. ત્યાં તેમને ન્હવરાવવ્યાં પછી તેઓ શાંતિપાઠ બોલે છે. આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઈચ્છવામાં આવી છે. આને શ્રી નેમિનાથ પ્રભુની માતા શિવાદેવીએ દેવીપણામાં રચેલી છે તેમ કહેવાય છે. દરેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તથા સકલ સંઘની શાંતિ માટે આ સ્તોત્રનો ઉપયોગ અવારનવાર અને બહુધા થાય છે. આ સ્તોત્રનું પાક્ષિક (પકખી), ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ શ્રવણ થાય છે.

આ તમામ નવ સ્તોત્રો જૈન શાશનના સર્વોત્તમ બહુમુલ્ય અને ચમત્કારિક સ્તોત્રો છે.જે પુણ્ય રૂપી શરીરનું ઉત્પન્ન કરનારા છે.આત્માની ઉન્નતી અને પાવન કરનારા આ સ્તોત્રો મોક્ષગામી પણ છે.
**********************************

No comments:

Post a Comment