| નથી ગમતું એ કામ પ્રામાણિક માણસને લાચાર થઇને કરવું પડે છે...! |
કોઇ પણ સામાન્ય પ્રશ્ર્નને આપણે ગહન સમસ્યા બનાવી દીધી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવો છે. ફરીથી લાચારી. માત્ર બાળકનો જ નહીં પણ પિતા તરીકે મારો પણ ઇન્ટરવ્યૂ લેવાય છે- ત્રીસેક વર્ષની જરા જરા મૂછવાળી કોઇ અધકચરા શિક્ષણવાળી મિજાજી સ્ત્રીને મારે મારી બુદ્ધિ અને સંસ્કારિત્વનાં સર્ટિફિકેટ આપવાં પડે છે! મારા સંતાનને પ્રવેશ મળે એ માટે!
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
મિસ્ટર કુકરેજાએ એરકન્ડિશન્ડ સેકંડ ક્લાસ પડદો ખેંચતાં કહ્યું : પહેલાં હું અજમેરમાં હતો. પછી મુંબઇમાં આવીને મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડમાં નોકરી કરી...છ વર્ષ નોકરી કરી. પછી છોડી દીધી. હવે મારું ક્ધસ્ટ્રક્શનનું કામ છે. મિસ્ટર કુકરેજા અને એમના સમૃદ્ધ કુટુંબમાં ત્રણ સભ્યોને જોઇને અનુમાન થઇ શકતું કે મિસ્ટર કુકરેજાએ સારા પૈસા બનાવ્યા હતા...
આ વાર્તા હિંદુસ્તાનમાં ઘણા ધનપતિઓ પાસેથી મળે છે. નોકરી કરી, પછી પોતાનો ધંધો શરૂ કર્યો. પહેલાં ભાગીદારીમાં, પછી પોતાનો. પહેલાં આણંદમાં હતો, હવે મુંબઇમાં છું. અથવા આઠ વર્ષ બેંગલોર હતા, હવે છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં છીએ. કદાચ આ પ્રકારની સફળતાની વાતો ધીરે ધીરે ઓછી થતી જશે. જેમ જેમ મ્યુનિસિપાલિટીઓ અને સરકારો સમાજકારણ કરતાં રાજકારણમાં વધારે રુચિ લઇ રહી છે. જેમ જેમ ઇમાનદાર નોકરિયાત કે બૌદ્ધિક વર્ગ મહાનગરોમાં દૂરનાં ઉપનગરો કે નાનાં ટાઉનોમાં ફેંકાતો જાય છે અને ઉપરની કમાણીવાળા ‘સાહસિક’લોકો મહાનગરના મધ્યબિંદુ તરફ ભેગા થતા જાય છે એમ એમ એક સામાજિક ઘટનાનો પણ લોપ થતો જાય છે. માણસ નોકરી છોડે, અને બીજા શહેરમાં બીજી પ્રવૃત્તિ શરૂ કરે - નોકરી નહીં પણ ધંધો, અને વધારે સંપન્ન થાય! હિંદુસ્તાનમાં બાપના ધંધામાં જ ઊતરનારાઓની સંખ્યા બહુ મોટી છે - ગુજરાતમાં કદાચ ઘણી વધારે હશે. ત્રણ પુત્રો ત્રણ અલગ લાઇનોમાં હોય એવું ઓછું જોવા મળે છે! બાપની લાઇનમાં જે ગુજરાતી બેટો જતો નથી એ મારી આંખોમાં મર્દ છે - પણ એ મર્દાઇ ને ફૂલો આવતાં વીસ વર્ષની જવાની શહીદ થઇ જાય છે. હવે આદર્શ મર્દાઇ પોષાય એ સ્થિતિ પણ રહી નથી. આ હિંદુસ્તાનમાં છે. બ્લૅકમાં સિનેમાની ટિકિટ લીધા વિના તમે પાછા ફરી શકો પણ આવતી કાલે લગ્ન પર કે વડોદરા કે મોત પર અમદાવાદ પહોંચવું હોય તો લુખ્ખાને દસની નોટ કે માસ્તરસાહેબને મિન્નત કરીને અંદર ઘૂસીને પછી ચા-પાણી આપીને જવું પડે છે. નથી ગમતું એ કામ પ્રામાણિક માણસને લાચાર થઇને કરવું પડે છે! તદ્દન નાનાં અને નકામાં કામો માટે આટલી બધી બેઇમાની કરવાની ફરજ પડે છે એ સ્વીકારી લો તો જ હિંદુસ્તાનમાં જીવી શકાય. આ સત્ય છે અને સત્યમેવ જયતે! ધંધાદારી દેશસેવકોએ કેવી સ્થિતિ સર્જી છે? એક ઔદ્યોગિક લાઇસન્સ લેવું હોય તો અફસરો ઝીણી આંખો કરીને ડઝનબંધ સવાલો કરી નાખે છે એવો વેપારીઓનો અનુભવ છે. સેલ્સ-ટૅક્ષ કે ઇન્કમટૅક્ષ કે મ્યુનિસિપલ લાઇસન્સ કેસમાં એવું હવામાન છે કે નિર્દોષતા તમારે સાબિત કરવાની છે!- દુનિયાના સંસ્કારી કાયદાઓનો નિયમ છે: જ્યાં સુધી ગુનો સાબિત થયો નથી ત્યાં સુધી તમે નિર્દોષ છો. અહીં જરા વિચિત્ર અનુભવ થાય છે. સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ માણસ પોલીસ સ્ટેશન કે સેલ્સ ટૅક્ષ ઑફિસ કે એવા કોઇ પ્રતિષ્ઠાનમાં બેઠો હોય ત્યારે એ ગુનેગાર લાગે છે જ્યાં સુધી પોતાની નિર્દોષતા સાબિત કરતો નથી! તમારે મુંબઇમાં ટેલિફોન જોઇએ છે? અગિયાર વર્ષ રાહ જુઓ પછી મળશે. ટેલિફોન સલાહકાર સમિતિમાં મિત્રો હતા પણ ઇમાનદારીની પરીક્ષા કરવી હતી માટે અગિયાર વર્ષ લાગ્યાં! ટેલિફોનવાળા કદાચ માને છે કે મુંબઇવાળા બસો વર્ષ જીવે છે! ઇંગ્લેન્ડ-અમેરિકામાં તો આ કોઇ સમસ્યા જ નથી. ગૅસનું સિલિન્ડર જોઇએ છે? છોકરી છેલ્લા વર્ષમાં આવે ત્યારે નોંધાવી રાખે...પરણશે ત્યારે દહેજમાં આપવા કામ આવશે! ટેલેક્ષ? એ લાખ્ખો-પતિઓની વસ્તુ છે. જનતાને એની સાથે કોઇ સંબંધ નથી. સીધું ન ચાલતું હોય તો પૈસા ફેંકો, ટેલેક્ષ ચાલવા માંડશે. પોસ્ટ ઑફિસમાં તમારા સેવિંગ્સના રૂપિયા લેવા ગયા છો? હિટલર-કટ મૂછ વાળતો કલાર્ક તમારી સામે એ રીતે જોશે કે તમે ભીખ માગવા ઊભા છો! અંદર જશો ત્યારે હુકમ કરશે, જાઓ, બહાર ખડા રહો! અંદર મત આઓ!... મહાનગરમાં મધ્યમવર્ગ વૃક્ષની જેમ એના ફ્લેટમાં ચોટી ગયો છે. નવી જગ્યા ખરીદવા જેટલા પૈસા આ જિંદગીમાં કમાઇ શકવાના નથી. એક જમાનો હતો. જગ્યા લેવાઇ ગઇ અથવા વારસામાં મળી ગઇ. બાળક જન્મે છે, જવાન થાય છે, પરણે છે, જીવે છે, મરે છે...એ જ ફલૅટમાં! કારણ કે મુંબઇમાં મધ્યમવર્ગનો માણસ હાલતુંચાલતું વૃક્ષ છે. ફલૅટ એની માતૃભૂમિ છે અને પિતૃભૂમિ છે...એની ધરતી છે. કોઇ પણ સામાન્ય પ્રશ્ર્નને આપણે ગહન સમસ્યા બનાવી દીધી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવો છે. ફરીથી લાચારી. માત્ર બાળકનો જ નહીં પણ પિતા તરીકે મારો પણ ઇન્ટરવ્યૂ લેવાય છે- ત્રીસેક વર્ષની જરા જરા મૂછવાળી કોઇ અધકચરા શિક્ષણવાળી મિજાજી સ્ત્રીને મારે મારી બુદ્ધિ અને સંસ્કારિત્વનાં સર્ટિફિકેટ આપવાં પડે છે! મારાં સંતાનને પ્રવેશ મળે એ માટે! એને દૂધનું કાર્ડ કે રેશનનું કાર્ડ કાઢવાનાં ભગીરથ કાર્યો તો હજી બાકી છે? આ શહેરી મધ્યમવર્ગીય સ્વર્ણભૂમિનું દૃશ્ય છે. ટેલિફોન, રેલવેની ટિકિટ, બાળકનો સ્કૂલ-પ્રવેશ, ગૅસનું સિલિન્ડર, દૂધનું કાર્ડ, રેશનિંગ ઑફિસ, ફલૅટ, બસ કે ટ્રેનમાં ઑફિસ જવાનું દૈનિક પરાક્રમ...! અંત નથી, તદ્દન નાના પ્રશ્ર્નો જેને મોટી સમસ્યાઓ બનાવી મૂકવામાં આવી છે. રેલવે સ્ટેશન પર કમ્પ્યુટર દ્વારા બુકિંગ થઇ શકે- મુંબઇથી રોજ માત્ર બૉમ્બે સેન્ટ્રલથી ટ્રેનો દોડે છે! જે આઠ-દસ ટ્રેનો જતી હોય એનો ચાર્ટ આંખની સામે રાખીને આ ન કરી શકાય? મુંબઇમાં બેઠા બેઠા આખી દુનિયામાં ક્મ્ફર્ટ બુકિંગ થઇ શકે છે પણ મુંબઇથી અમદાવાદ જવું હોય તો પંદર દિવસ પહેલાનું વેઇટિંગ-લિસ્ટ પરનું નામ જવાના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી ક્ધફર્મ થતું નથી...અને રાત્રે ટ્રેન ઉપડે છે ત્યારે ખબર પડે છે કે અડધો ડબ્બો ખાલી છે! મિસ્ટર કુકરેજાએ શહેરો બદલ્યાં. નોકરીઓ બદલી. આજે એ જરા કઠિન બની ગયું છે. તદ્દન સામાન્ય નાની વાતો પહાડ જેવી દુર્ગમ બનાવી દીધી છે! પ્રમાણિકતાનો એકેય શુદ્ધ શ્ર્વેત રંગ રહ્યો નથી. હવે પ્રમાણિકતા ઘણાં રંગોમાં મળે છે. બુદ્ધિ ચાલતી રહે, શહેરો બદલતી રહે, વ્યવસાયો ફેરવતી રહે તો જ અર્થતંત્ર પ્રગતિ કરે...આજના હિંદુસ્તાનમાં ગતિ ધીમી પડી ગઇ છે, સ્થિતિમાં ટકી શકાય તો પણ ઘણું! આર્થિક રીતે ઘાયલ થયેલા બૌદ્ધિક અથવા પ્રોફેશનલની કદાચ આ માનસિક હાલત છે. ***************************************************************** નોંધ : બક્ષીસાહેબ 2006માં સ્વર્ગવાસ પામ્યા છે પરંતુ તેમનું લખાણ આજે પણ આપણને લાગુ પડે છે ***************************************************************** |
Showing posts with label માણસ. Show all posts
Showing posts with label માણસ. Show all posts
Friday, July 15, 2016
પ્રામાણિક માણસની લાચારી-ચંદ્રકાંત બક્ષી
Sunday, January 10, 2016
ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર - મહેન્દ્ર પુનાતર
| ઈશ્ર્વરે સુખ બનાવ્યું, માણસે દુ:ખ ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર |
| જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
મનુષ્યનું
જીવન ઘડતર તેના સંસ્કારો પર આધારિત છે. શિક્ષણ અને ધર્મ સારા સંસ્કારોનું
સિંચન કરે છે. તેના પરથી તેની મનુષ્યતા અને રીતભાતનો ખ્યાલ આવે છે.
સંસ્કારી માણસ પોતાના કરતા બીજાનો વધુ વિચાર કરે છે. તે બીજા પ્રત્યે વિનય
અને વિવેક જાળવશે, સહિષ્ણુ બનશે અને કોઈ પણ જાતનું ખોટું કામ કરશે નહીં અને
સર્વ પ્રત્યે આદર રાખશે અને પોતાના થકી બીજાને દુ:ખ ન પહોંચે તેનો ખ્યાલ
કરશે. સંસ્કારની શરૂઆત ઘરમાંથી થાય છે. ઘરમાં જેવું વાતાવરણ હોય તે રીતે
બાળકનું ચારિત્ર નિર્માણ થાય છે. આમાં શાળા અને વિદ્યાલયો તેમજ સારી સંગત
પણ મહત્ત્વની બની રહે છે. આ ઉપરાંત ઘરમાં ધર્મનો માહોલ હોય તો તેનાથી
સંસ્કારનો પાયો વધુ મજબૂત થાય છે. મનુષ્યની સંસ્કારિતા તેના સમગ્ર જીવનનો
નિચોડ છે. તેમાં તેની બહુર્મુખી પ્રતિભાના દર્શન થાય છે. સંસ્કાર દેખાદેખી
કે અનુકરણમાંથી આવે નહીં. માણસનું આ સ્વયંભૂ વ્યક્તિત્વ છે. ખરા અર્થમાં
કહીએ તો માણસનો આ સ્વભાવ છે. તેનાથી માણસની સાચી ઓળખ થાય છે. સંસ્કાર વગરનો
માણસ ગમે તે રીતે વર્તે છે. તે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર કરતો નથી.
માણસ પોતાના અંગત માહોલમાં અને બહારની દુનિયામાં કેવો છે તેના પરથી તેના સંસ્કારનું માપ નીકળે છે. બહુધા માણસ બહારની દુનિયામાં વધુ સંસ્કારી અને સજ્જન દેખાય છે પણ તેના અંગત જીવનમાં તે એટલો સંસ્કારી અને સારી રીતભાતવાળો બની શકતો નથી. સંસ્કાર અને સજ્જનતા પણ કેટલીક વખત દેખાવ બની જાય છે. કેટલાય એવા માણસો છે જેઓ બહાર સારા સજ્જન દેખાય છે પણ ઘરમાં ઉપદ્રવ મચાવીને ઉદ્ધત વર્તન કરતા હોય છે. આ મુખવટો છે. ખરો સમય આવે છે ત્યારે આ મુખવટો ઉતરી જાય છે. મૂળભૂત સ્વભાવ જે હોય છે તે લાંબા સમય સુધી છૂપો રહી શકતો નથી. માણસ આખી દુનિયા સાથે મીઠાશથી વર્તતો હોય, પરંતુ નિકટના પ્રિયજનો અને ખાસ કરીને પત્ની સાથે કઠોર બનતા અચકાતો નથી. તેના કારણે ઉષ્માભર્યા સંબંધોમાં ઘસારો પહોંચે છે. આપણે ત્યાં માની લેવામાં આવ્યું છે કે જેની સાથે અંગત સંબંધ હોય તેની સાથે ગમેતેમ વર્તી શકાય. તેની પર આધિપત્ય જમાવી શકાય. ઘરમાં કલહ, કંકાસ, ઝઘડાનું મૂળ કારણ સંસ્કારનો અભાવ છે. સંબંધોમાં પ્રેમ અને સંવેદનશીલતા ઓછું થવાનું કારણ ટૂંકા સ્વાર્થ છે. સ્વાર્થ આવે એટલે સંસ્કારો રહેતા નથી. માણસ નીચલી કક્ષાએ ઉતરી જાય છે. કોઈ પણ પ્રજાના સંસ્કાર તેની રીતભાત જોયા વગર મૂલવી શકાય નહીં. બીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ હોય અને પોતાના કરતા બીજાનો ખ્યાલ મનમાં રહે તો તેનો ધબકાર અનોખો હોય છે. સંસ્કાર એટલે માણસ માણસ વચ્ચેનો વહેવાર વધુ સરળ અને ઉષ્માભર્યો બને એવો પરસ્પરનો અભિગમ. આપણે ત્યાં સત્ય, અહિંસા, અનુકંપા, દયા વગેરે અંગે સૂક્ષ્મ વિચારો અને ચર્ચાઓ થાય છે પણ તેનો અમલ કઈ રીતે કરવો, આ અંગે કેવી રીતે સભાન રહેવું તેની આપણે બહુ પરવા કરતા નથી. બધાને જે કાંઈ સારું છે તે ગમે છે પણ તેના માટે પ્રયાસ કરવો નથી. આપણા કરતા બીજા સારા બને તેની વધુ ચિંતા છે. મનુષ્ય સંબંધમાં કઈ રીતે ઓછામાં ઓછો ઘસારો લાગે અને સારા સંસ્કારો જીવનમાં કઈ રીતે વણાઈ જાય તેના પર આપણું સામાજિક જીવન અને નૈતિકતાનો આધાર છે જ્યાં આપણને કશો ફાયદો થવાનો ન હોય એવી પરિસ્થિતિમાં નાનામાં નાના માણસ સાથેનું આપણું વર્તન કેવું છે એ આપણા સંસ્કારોની કસોટી છે. આપણે આપણા હાથ નીચે કામ કરતા માણસો, નોકરો, ઘરકામ કરનારાઓ સાથે કેવો વર્તાવ રાખીએ છીએ તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કોઈને આપણે કામ માટે પૈસા આપીએ છીએ તેનાથી તેની સાથે ગમે તેમ વર્તવાનો કે તેનું અપમાન કરવાનો આપણને અધિકાર મળી જતો નથી. સંસ્કાર એટલે માણસના મૂળભૂત તત્ત્વમાં વિશ્ર્વાસ આપણા વહેવાર અને અભિગમથી સાચો માણસ જેટલે અંશે પ્રસન્ન થાય તેટલી આપણી સંસ્કારિતા. કામનું દબાણ, તંગદિલી અને ચિંતાના વાતાવરણમાં પણ સંસ્કારો ભૂલાવા જોઈએ નહીં. જીવન વહેવારમાં સ્વાર્થ અને સંકુચિત ભાવનાના કારણે મનની મોકળાશ જેટલી હોવી જોઈએ તેટલી રહી નથી. આપણા મનમાં કાંઈક હોય છે અને કરતા કાંઈક બીજું હોઈએ છીએ. દંભ આપણી પ્રકૃતિનો પ્રાણ બની ગયો છે. આપણને પોતાને શું લાગે છે તેના કરતા બીજાને કેવું લાગશે તેની વધુ ફિકર છે. દંભના કારણે સત્યનો ભોગ લેવાયો છે અને જુઠો વહેવાર ચાલે છે. દંભના કારણે માણસ જેવો છે તેવો દેખાતો નથી. જીવનમાં ખોટો દોરદમામ અને ખોટો દેખાવ સરળતા ને સાહજિકતાને હણી નાખે છે અને માણસ વધુ કઠોર, ડઠ્ઠર અને અસંવેદનશીલ બને છે. ધર્મના સિદ્ધાંતો અને નીતિનિયમોનું સાચું અનુસરણ જીવન જીવવાનો માર્ગ ચિંધે છે અને સંસ્કાર પ્રેરે છે. સાચો ધાર્મિક માણસ અસંસ્કારી, સંકુચિત અને દંભી હોઈ શકે નહીં. તે ખુલ્લા મનવાળો, સહૃદયી અને ઉદારમતવાદી હોવો જોઈએ. ધન, દોલત અને સંપત્તિની આસક્તિ કરતાંય વિચારોની આસક્તિએ ઘણા અનર્થો સર્જ્યા છે. હું કરું એ જ સાચું બીજું બધું નકામું એવી સંકુચિત વિચારધારાએ ઘણી આફતો ઊભી કરી છે. આમાંથી ધર્મના નામે ઝનૂન ઊભું થાય છે અને માણસ શેતાન જેવો બની જાય છે. વિચારોની ઉદારતા એટલે મનુષ્યની સભ્યતા, જે માણસનું મન ઉદાર છે તે જ નિર્ભય બની શકે છે. સમયની સાથે આજે દુનિયા બદલાઈ ગઈ છે. સંસ્કાર અને સંસ્કૃતિ સામે અનેક પડકારો ઊભા થયા છે. આજે માણસનું મૂલ્ય તેનાં સંસ્કારો અને માનવતાથી નહીં, પરંતુ તેની પાસે રહેલી ધન દોલત અને સત્તા-સંપત્તિથી અંકાય છે. ભૌતિક વસ્તુઓની બોલબોલા છે. દુન્યવી સુખો પાછળ આંધળી દોટે માણસને માણસ રહેવા દીધો નથી. આજનું જીવન આધી, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલું છે. ક્રોધ, માન, માયા અને લોભથી બચવા માટે મૈત્રી, પ્રેમ, કરુણા અને માનવમૂલ્યોને વધુ પ્રસરાવવાની જરૂર છે. સારું જોવું, સારું સાંભળવું અને સારું કરવું અને મન, વચન અને કર્મથી કોઈને દુ:ખ ન પહોંચે તેવું વર્તન રાખવું એ મનુષ્યતાનો સર્વોત્તમ વિજય છે અને ધર્મનો સાર છે. માણસ નમ્ર, નિખાલસ અને સરળ બને તો મોટાભાગની વિટંબણાઓ દૂર થઈ જાય. આ અંગે એક બોધ કથા પ્રેરક છે. પરમેશ્ર્વરે જ્યારે જીવનનું નિર્માણ કર્યું ત્યારે માનવી પોતાની બંને આંખે સારી વસ્તુઓ જોતો હતો, બંને કાને સારી વાતો સાંભળતો હતો અને બંને હાથે સારા કાર્યો કરતો હતો. આથી શેતાન સાવ નવરો બની ગયો હતો. એક દિવસ શેતાન ઉજ્જવળ સ્વરૂપ ધારણ કરીને માનવી પાસે ગયો અને કહ્યું: તમે કેવા ગાંડા લોકો છો. શું એક આંખે દેખાતું નથી, એક કાને શું સંભળાતું નથી, એક હાથે શું તમે કામ કરી શકતા નથી. જ્યાં એકની જરૂર છે ત્યાં બેનો ઉપયોગ કરો છો તેમાં શું મૂર્ખતા નથી? માણસને શેતાનની વાત ગળે ઉતરી ગઈ. બસ ત્યારથી તે એક આંખે જોવા લાગ્યો, એક કાને સાંભળવા લાગ્યો અને એક હાથે કામ કરવા લાગ્યો. આનું પરિણામ એ આવ્યું કે બીજા અંગનો કબજો શેતાને લઈ લીધો. પછી માણસની આંખોએ સારા સાથે નરસું જોવા માંડ્યું. એના કાને સાચાની સાથે ખોટું સાંભળવાનું શરૂ કર્યું અને તેના હાથ સત્કર્મની સાથે પાપકર્મ કરવા માંડ્યા. અને પછી તો માનવી એટલી ભૂલભૂલામણીમાં પડી ગયો કે સારામાંથી નરસું અલગ કરવામાં અને સત્યમાંથી જૂઠ તારવવામાં પડી ગયો અને દંભે સત્યનો આંચળો ઓઢી લીધો. ઈશ્ર્વરે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસ આનંદપૂર્વક જીવી શકે એવી તમામ સુવિધા આપી હતી. પ્રકૃતિના હર તત્ત્વમાં જીવન ધબકતું હતું, પરંતુ માણસે સુખની વધુ પડતી ખોજમાં પ્રકૃતિ સાથે ચેડાં કર્યા અને કુદરતી તત્ત્વોનો વિનાશ કર્યો. પ્રકૃતિ બદલવાની સાથે માણસ બદલાઈ ગયો. આચાર-વિચાર અને સંસ્કાર બદલાઈ ગયા. વિજ્ઞાને અને નવી નવી શોધોએ માણસને સુખ-સગવડતાના અનેક સાધનો આપ્યા પણ શાંતિ છીનવી લીધી. ઈશ્ર્વરે અર્પણ કરેલી સુંદર ભેટને માનવીએ કેવી વિકૃત કરી નાખી છે તેનું કોઈ દાર્શનિકે સુંદર નિરૂપણ કર્યું છે. ઈશ્ર્વરે પૃથ્વી બનાવી, માણસે પૈસા ઈશ્ર્વરે પ્રકૃતિ બનાવી, માણસે સંસ્કૃતિ ઈશ્ર્વરે ભૂગોળ બનાવી, માણસે ઈતિહાસ ઈશ્ર્વરે રણ બનાવ્યું, માણસે રણાંગણ ઈશ્ર્વરે પથ્થર બનાવ્યા, માણસે મૂર્તિ ઈશ્ર્વરે પાણી બનાવ્યું, માણસે શરબત ઈશ્ર્વરે અવાજ બનાવ્યો, માણસે નામ ઈશ્ર્વરે માટી બનાવી, માણસે કાચ ઈશ્ર્વરે ભૂખ બનાવી, માણસે રોટી ઈશ્ર્વરે સુખ બનાવ્યું, માણસે દુ:ખ ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર. |
Subscribe to:
Posts (Atom)