| જૈન દર્શન: વંદન મસ્તકથી થાય છે, નમન હૃદયથી થાય છે |
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
પર્યુષણ
જૈનોને ધર્મનો એટેક આવવાની ઋતુ છે. એ અઠાઈ ધરથી સંવત્સરી સુધીના દિવસોમાં
જૈન જીવ સંસારમાંથી છટકી શકે છે, દુકાન કે ધંધો બંધ કરી દે છે અથવા બેસણું
કે એકાસણું કરી નાખે છે અથવા માત્ર મિચ્છામિદુક્કડં બોલી લે છે અથવા
ઉપાશ્રયમાં જ રહી જાય છે.
જૈન ધર્મ કે જૈન દર્શન વિશ્વનાં મહાન તત્ત્વજ્ઞાનોમાં સ્થાન પામે છે. જૈન દર્શને વિશ્વને ઘણું આપ્યું છે. ભારતવર્ષમાં જૈન વિચારધારાનું યોગદાન અમીટ છે: અહિંસા, વ્યાકરણ, દસમીથી બારમી સદી સુધીનું ભારતભરમાં પ્રકટેલું અદ્વિતીય જૈન શિલ્પસ્થાપત્ય, ગણિત, દેહદમન વિશેના આત્યંતિક વિચારો, ઉપવાસ, કૈવલ્ય, નવકારમંત્ર, સંથારો. આ યોગદાન ઈતિહાસની દૃષ્ટિએ અઢી હજાર વર્ષ જૂનું છે. જૈન માન્યતા પ્રમાણે સહસ્ત્રો, ખર્વો, નિખર્વો વર્ષોનું યોગદાન છે. મને જૈન ધર્મમાં સંથારો એક અદભુત વિચાર લાગ્યો છે, જ્યારે માણસ ઈશ્વર બની જાય છે. હું મારી ઈચ્છા પ્રમાણે મારા શરીરને હોલવીને દેહ છોડી દઉં છું. જૈનોની જીવવાની રીતનું મને બહુ આકર્ષણ નથી, પણ મરવાની રીત મહાન છે. વિશ્વના કોઈ ધર્મમાં આ નથી. સંથારા પછીનો બીજો વિચાર મિચ્છામિદુક્કડંનો છે, મિથ્યા મે દુષ્કૃત્યમ્, ‘ભૂલો માટે ક્ષમાયાચના.’ ભાવકની ભાષામાં - મનથી, વચનથી, કાયાથી - અને વકીલની ભાષામાં - જાણ્યે કે અજાણ્યે... અમે સર્વ જીવોને ખમાવીએ છીએ એમ તમને પણ ખમાવીએ છીએ. જૈન દર્શનનું મારે માટે એક આકર્ષણ છે: શબ્દો. આટલા તલસ્પર્શી, સ્પષ્ટઅર્થી, સૂક્ષ્મતમ્ શબ્દો અન્ય ધર્મદર્શનોમાં મને મળ્યા નથી. વિશેષણો અને સુપરલેટિવ્ઝની એક ભવ્યતા છે. પર્યુષણ ‘પર્વાધિરાજ’ છે, હેમચંદ્રાચાર્ય ‘કલિકાલસર્વજ્ઞ’ છે. આવા વિશેષતાસ્થાપક શબ્દો જૈન દર્શનનો જ ભાગ છે. ગુજરાતી ભાષાને જૈનોએ કેવી રીતે સમૃદ્ધ બનાવી છે? એક પુસ્તકના આરંભમાં લખ્યું છે. દ્રવ્યસહાયક: યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજીનાં આજ્ઞાનુયાયિની પ્રવર્તિની સાધ્વી શ્રી ચંપાશ્રીજી મહારાજનાં શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજના શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી કુમુદશ્રીજીના સદુપદેશથી... પછી એ પુસ્તક માટે દ્રવ્ય સહાય કરનાર વ્યક્તિનું નામ આવે છે! આજે જૈન વિશેષણકોશ ખોટા માણસો માટે ખોટી રીતે વપરાઈ રહ્યો છે. જૈન દર્શને ગુજરાતીમાં અને ભારતવર્ષની અન્ય ભાષાઓમાં શબ્દોનું જે અશ્વમેઘી સામ્રાજ્ય પાથર્યું છે એની તુલના શક્ય નથી. અને શબ્દો કેટલા વિવિધઅર્થી છે, કેટલા સૂક્ષ્મઅર્થી છે. સ્વર એટલે જેનો ઉચ્ચાર સદા થયા કરે, વ્યંજન એટલે જેની અંદર સ્વર ન હોય, એટલે એનો ઉચ્ચાર પૂર્ણ ન થઈ શકે, શરીર વ્યંજન છે, આત્મા એનો સ્વર છે, સ્વર વિનાનો વ્યંજન ખોડો લેખાય છે એમ આત્મા વગરનું શરીર અનિત્ય છે, અશાશ્વત છે. જૈન દર્શનમાં દરેક શબ્દની ચોક્કસ ક્રિયા છે. ચોક્કસ અર્થ છે. વંદન મસ્તકથી થાય છે, પણ નમન મસ્તક અને હૃદય બંનેથી થાય છે. શબ્દ એ ચકમક છે, અર્થ એ ફલક છે, ચકમક ફલક સાથે ઘસાય છે ત્યારે તણખો પ્રકટે છે, જે ભાવ છે. ભાવરૂપ પ્રકાશ મનુષ્યને યથાર્થ જ્ઞાન કરાવે છે. જૈન દર્શન શબ્દ સુધી આવીને અટકી શકતું નથી. વૃક્ષની જેમ, દરેક શબ્દને મૂળ છે, શાખા અને પ્રશાખા છે. ફૂલ ફૂલે છે પછી ફળ ફળે છે. જ્ઞાનપ્રાપ્તિ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાની વ્યાખ્યા અપાઈ છે: શાસ્ત્રની અને ગુરુવચનની સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવાની સ્થિતિ. જૈન દર્શનમાં આત્મવિકાસનાં બે અંગો છે; પુણ્ય અને નિર્જરા. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે, પણ આ સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય એ નિર્જરા કહેવાય છે. જ્ઞાની ભેદ સમજે છે, જ્ઞાનીને નિર્જરા થાય છે. ભેદ સમજવા એ પણ જ્ઞાન છે: પેય અપેય, કર્તવ્ય અકર્તવ્ય, સેવ્ય અસેવ્ય, હિત અહિત, લોક અલોક, સત્ય અસત્ય, દ્રવ્ય અદ્રવ્ય, કારણ કાર્ય, જ્ઞાન જ્ઞેય, સમ્યક્ અસમ્યક્, સ્વભાવ પરભાવ, જ્ઞાનમાં શ્રદ્ધાનું બહુ મોટું સ્થાન છે. જ્ઞાનની ભૂમિકાઓ છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન. જ્ઞાન શુદ્ધ હોય તો સજ્જ્ઞાન કહેવાય. અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તો અજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને અવધિજ્ઞાન અશુદ્ધ હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પછીનો માણસ સર્વજ્ઞ કહેવાય છે. કર્મનાં સંપૂર્ણ આવરણો બળી ગયા પછી એ પ્રાપ્ત થાય છે. ભગવાન પાર્શ્વનાથનો કાળ પ્રાજ્ઞકાળ હતો. જૈન શબ્દકોશ જેમ જેમ સૂક્ષ્મ બને છે એમ એમ ધર્મ શુદ્ધ દર્શન કે તત્ત્વજ્ઞાન બની જાય છે. અહીં ‘આત્મવીર્યોલ્લાસ’ જેવો શબ્દ છે. ‘શ્રેણિચારણ લબ્ધિ’ નામનો એક શબ્દ છે. એનો અર્થ: અગ્નિની બળતી જ્વાલાઓ ઉપર ચાલે તો પણ અગ્નિના જીવોને પીડા ન ઊપજે એવી ચાલવાની શક્તિ! એક જૈન શબ્દ કદાચ જૈન દર્શનનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. એ શબ્દ છે ‘અનભિગ્રહીક’. એનો અર્થ જરા વિચિત્ર છે: બધા જ ધર્મો સારા છે, બધી જ ફિલસૂફીઓ સરસ છે, સૌને વંદન કરીએ, કોઈની નિંદા ન કરીએ, ઝેર અને અમૃતને એકસમાન ગણીએ. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંનો આ એક પ્રકાર છે...! જૈન દર્શને જે ઝીણવટથી શબ્દોનો ઉપયોગ કર્યો છે એવો અન્ય કોઈ ધર્મે ભાગ્યે જ કર્યો છે. એક સ્થાનથી બીજે સ્થાને જતા જીવોને દુ:ખ ઉપજાવવાના પ્રકારો ઈરિયાવહિયં સૂત્રમાં વર્ણવ્યાં છે. સામા આવતાં પગથી હણ્યા હોય, ધૂળમાં કે કાદવમાં ઢાંક્યા હોય, જમીન સાથે મસળ્યા હોય, અંદર અંદર એકબીજાનાં શરીર મેળવ્યા હોય, સ્પર્શ કરીને દૂભવ્યા હોય, દુ:ખ દીધાં હોય, મરણતોલ કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યા હોય, પ્રાણરહિત કર્યા હોય, એ સંબંધી મને પાપ લાગ્યું હોય તો એ પાપ મિથ્યા થાઓ- જીવોની વિરાધના થઈ હોય. કઈ રીતે? જીવોને પગથી ચાંપવાથી, વાવેલા બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી, કીડીના દરને ચાંપવાથી, પાંચ વર્ણની સેવાળને ચાંપવાથી, સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી, કરોળિયાની જાળને ચાંપવાથી જો પીડા ઉપજાવી હોય તો એ પાપ મિથ્યા થાઓ- અને જીવો, કેવા જીવો? એક ઈન્દ્રિયવાળા (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય), બે ઈન્દ્રિયવાળા (કૃમિ, શંખ, અળસિયાં આદિ), ત્રણ ઈન્દ્રિયવાળા (જૂ, માંકડ, કીડી વગેરે), ચાર ઈન્દ્રિયવાળા (વીંછી, ચાંચડ, ભમરી, તીડ વગેરે) અને પાંચ ઈન્દ્રિયવાળા (નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. અને તિર્યંચમાં પણ જળચર, સ્થળચર અને ખેચર) જીવોને વિરાધ્યા હોય તો એ પાપ મિથ્યા થાઓ- તસ્સમિચ્છામિ દુક્કડં (તે મારાં પાપ મિથ્યા થાઓ). |
Showing posts with label જૈન દર્શન. Show all posts
Showing posts with label જૈન દર્શન. Show all posts
Friday, September 11, 2015
જૈન દર્શન- ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Posts (Atom)