Showing posts with label આશુ પટેલ. Show all posts
Showing posts with label આશુ પટેલ. Show all posts

Saturday, May 4, 2013

પુત્રને નાની નાની સલાહ - આશુ પટેલ

જીવનમાં સંપૂર્ણતા માટે નહીં શ્રેષ્ઠતા માટે કોશિશ કરવી જોઈએ

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

હમણાં ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન’ પુસ્તક હાથમાં આવ્યું. એ પુસ્તકના લેખક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને નાની નાની સલાહ આપતી ડાયરી લખી હતી. પુત્રને આપેલી સલાહો પરથી એમને પુસ્તક તૈૈયાર કરવાનો વિચાર આવ્યો. આ પુસ્તક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને જ અર્પણ કર્યું છે. જેક્સન બ્રાઉને બહુ સરળ શબ્દોમાં પુત્રને શીખામણો આપી છે. આજના સમયમાં પિતા-પુત્ર વચ્ચે સંવાદ ઘટતો જાય છે. ત્યારે જેક્સન બ્રાઉનના પુસ્તકની કેટલીક સલાહ વાંચવા જેવી છે.

* જીવનમાં કંઈ પણ કરે ત્યારે સંપૂર્ણતા માટે નહીં, શ્રેષ્ઠતા માટે કોશિશ કરજે.

* પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એનું કામ બિલકુલ નજીવું લાગતું હોય.

* એવી રીતે જીવજે કે તારા પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે તેઓ તને યાદ કરે.

* વિચારો મોટા કરજે, પણ નાના-નાના આનંદ માણી લેજે.

* ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની કોશિશ કરજે.

* જેમને એ વાતની ક્યારેય જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારું કરવાની આદત કેળવતો રહેજે.

* બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. બીજા લોકોને એમનું મહત્ત્વ ભાસે એવું કરવાની તક શોધતો રહેજે.

* તારા કુટુંબને તું કેટલો પ્રેમ કરે છે એ દરરોજ શબ્દો વડે, સ્પર્શ વડે અને તારી વિચારશીલતા વડે દર્શાવતો રહેજે.

* હારમાં ખેલદિલી બતાવજે, જીતમાં ખેલદિલી બતાવજે. કોઈની પણ પ્રશંસા જાહેરમાં કરજે પણ ટીકા ખાનગીમાં કરજે.

* તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે, ભલે પછી એ નાનકડું ફુલ હોય.

* આપણાથી સહેજ જેટલું થઈ શકે એમ છે એવું લાગે માટે કશું જ નહીં કરવું એમ નહીં રાખતો. જે થોડુંક પણ તારાથી થઈ શકે એ કરજે જ.

* કોઈ પણ વિશે ક્યારેય આશા સમૂળગી છોડી દેતો નહીં. ચમત્કારો દરરોજ બનતા હોય છે. 


* તુચ્છ લાગે છે એને પારખી લેતા અને પછી અવગણતા આવડવું જોઈએ
ગઈકાલે જેક્સન બ્રાઉનના પુત્રને સલાહ આપતા પુસ્તકમાંથી કેટલીક શિખામણોની વાત કરી હતી. પોતાનો પુત્ર કરિયર માટે ઘર છોડીને બીજા શહેરમાં જઈ રહ્યો હતો. ત્યારે જેક્સન બ્રાઉને તેને જે લેખિત શિખામણો આપી હતી એના આધારે છપાયેલા પુસ્તકની કેટલીક વધુ વાતો:

* દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને એ માટે કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

* તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ ક્યારેય માનતો નહીં.

* સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ ક્યારેય નહીં વાંચી શકાય એમ લાગે.

* ખુશામત એવી ચીજ છે જે બધું અનિષ્ટ જાણવા, સમજવા છતાં પણ એને અવગણતા તકલીફ પડે છે.

* સુખના આધારે આપણે જેમને ચાહતા ને સન્માનતા હોઈએ એવા લોકો સાથેના આપણા સંબંધો આપણી સ્થિતિ પર રહે છે એટલું સમજજે.

* દિમાગ મજબૂત રાખજે, પણ કાળજું કૂણું રાખજે.

* કોણ સાચું છે એની ચિંતા કરવામાં સમય ઓછો બગાડજે અને શું સાચું છે એ નક્કી કરવામાં વધારે.

* દરેક ચીજ જે હાલતમાં મળે એના કરતા સહેજ સારી સ્થિતિમાં મૂકવાનો પ્રયાસ કરજે.

* સમય નથી મળતો એમ ક્યારેય ના વિચારતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળે છે, જેટલા હેલન કેલર અને બીજા મહાન માણસોને મળ્યા હતા.

* કોઈ પણ મહાન વસ્તુ તકલીફ સહન કર્યા વિના મળતી નથી.

* જે ગાંઠ છૂટી શકે એમ હોય એને ક્યારેય કાપતો નહીં. આ વાત સંબંધોની સાચવણી માટે અનિવાર્ય સમજજે.

* સફળ લગ્નજીવનનો મુખ્ય આધારસ્તંભ છે, યોગ્ય પાત્ર બનવું.

* એકંદર યુદ્ધમાં વિજય મેળવવા નાની નાની લડાઈઓમાં હારતા શીખજે.

Friday, April 12, 2013

ચાણક્ય નીતિમાંથી - આશુ પટેલ

કેવો માણસ સુખી રહી શકે?
ભય, શરમ, કુશળતા અને ત્યાગવૃત્તિ ન હોય એવા માણસ સાથે મિત્રતા કરવી જોઈએ
સુખનો પાસવર્ડ - આશુ પટેલ

આપણા દેશમાં ઘણા મહામાનવો જન્મ્યા અને ઈતિહાસમાં તેમની નોંધ લેવાઈ. પણ આપણા મહામાનવોમાં પણ ઉચ્ચ કક્ષાએ મૂકી શકાય એવા મહામાનવ એટલે વિષ્ણુગુપ્ત ચાણકય. લોકો એને ચાણકય નામથી હજારો વર્ષોથી ઓળખતા આવ્યા છે. ચાણકય જેવું વ્યક્તિત્વ હજારો વર્ષમાં ક્યારેક ધરતી પર જોવા મળતું હોય છે. ચાણકયએ હજારો વર્ષો અગાઉ કહેલી વાતો આજે પણ એટલી જ અસરકારક છે. ચાણકય નીતિશાસ્ત્રમાં અમૂલ્ય વિચારરત્નો કહેવાયા છે જે દરેક માણસને જીવનમાં ઉપયોગી થઈ પડે એવા છે. એવી કેટલીક વાતો આજે વાચકો સાથે શેર કરવી છે.

* જેમનામાં સ્વાશ્રયીપણુ, શરમ, ભય, કુશળતા અને ત્યાગવૃત્તિ ન હોય એવા માણસ સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ.

* જે દેશમાં આદર ન મળતો હોય, રોજીરોટી ન મળતી હોય, વિદ્યા ન હોય અને ભાઈ-મિત્રો ન હોય એવા દેશમાં રહેવું ન જોઈએ.

* દેવું કરનારો પિતા, વ્યભિચારી માતા, મૂર્ખ પુત્ર અને સુંદર પણ ઝેરીલી સ્ત્રી મનુષ્યના શત્રુ છે.

* સેવાની જરૂર પડે ત્યારે સેવકની, દુ:ખ પડે ત્યારે ભાઈઓની, મુશ્કેલીમાં મિત્રોની અને વૈભવ નાશ પામે ત્યારે પત્નીની પરીક્ષા થાય છે.

* અત્યંત સીધા સ્વભાવના રહેવું પણ યોગ્ય નથી. કારણ કે સીધાં વૃક્ષો જ પહેલાં કપાતાં હોય છે.

* બે બ્રાહ્મણ, અગ્નિ, પતિ-પત્ની, હળ-બળદ અને

નોકર-માલિક; આ બધાં વચ્ચે થઈને કદી પસાર થવું જોઈએ નહીં.

* અધમ માણસ ધનને ઈચ્છે છે, મધ્યમ કક્ષાનો માણસ ધન અને માન બંને ઈચ્છે છે, પરંતુ મહાત્મા માત્ર ઉત્તમ માનને ઈચ્છે છે. કારણ કે માન જ મહાત્માઓનું ધન છે.

* અન્ન અને ધનની આપ-લેમાં, વિદ્યાનો સંચય કરવામાં અને ખોરાકમાં તેમ જ વ્યવહારમાં જે માણસ શરમ નહીં રાખે એ સુખી રહેશે.

* બુદ્ધિશાળી માણસો સંપત્તિના નાશની, માનસિક સંતાપની, પત્નીના ખરાબ ચારિત્ર્યની, નીચ માણસે કહેલી વાતો તથા પોતાના અપમાનની વાત જાહેર કરતા નથી.

* જેની પત્ની દુષ્ટ હોય, મિત્ર ધૂર્ત હોય, નોકર સામે જવાબ આપનારો હોય અને જેના ઘરમાં સાપ રહેતો હોય તેને મૃત જાણવો.
* રાજ્ય ન રહે તો સારું પણ કુરાજ રહે તે સારું નથી. એ જ રીતે મિત્ર ન હોય તો વાંધો નહીં, પણ દુષ્ટ મિત્ર હોવો ખરાબ છે. શિષ્ય ન હોય તો વાંધો નહીં પણ જેની નિંદા થતી હોય એવો શિષ્ય ન હોય એ જ સારું છે. સ્ત્રી (પત્ની) ન રહે તો સારું પણ દુષ્ટ પત્નીનો સહવાસ સારો નથી.

* આતુર થઈએ ત્યારે, દુકાળના સમયમાં દુશ્મનો ત્રાટકે ત્યારે, રાજ્યની સામે જવાનું થાય ત્યારે અને સ્મશાનમાં પણ જે સાથે રહે તે બંધુ કહેવાય.

* મનની વિચારેલી વાત જાહેર ન કરવી જોઈએ, પરંતુ મંત્રણા દ્વારા ગુપ્ત રાખવી જોઈએ અને છૂપી રીતે યોગ્ય સમય આવે ત્યારે એ યોજના અમલમાં મૂકવાથી એ યોજના સફળ નીવડે છે.

* પોતાનો સમય કેવો છે, પોતાનો મિત્ર કોણ છે, પોતાનો દેશ કેવો છે એના ઉપર માણસે ધ્યાન રાખવું જોઈએ. લાભ અને નુકસાન સતત ચકાસવા જોઈએ અને પોતાનામાં શક્તિ છે એવું સતત માનવું જોઈએ.

* જે મનુષ્ય ખરાબ આચરણવાળો હોય, વ્યભિચારી હોય, ખરાબ સ્થાનમાં રહેનારો હોય અને દુર્જનોની દોસ્તી રાખતો હોય એનો અકાળે નાશ થાય છે.

* અભ્યાસથી વિદ્યાની, સુશીલતાથી કુળની, ગુણથી સારા માણસની અને આંખથી ક્રોધની ખબર પડે છે.

* આળસથી વિદ્યા, બીજના અભાવથી ખેતી, બીજાના હાથમાં પડવાથી ધન અને સેનાપતિ વિના સૈન્ય નાશ પામે છે.

* કામ-ધંધો કરવાથી ગરીબી રહેતી નથી, મૌન રહેવાથી કજિયો નથી થતો અને જાગૃત માણસ પાસે ભય નથી રહેતો.

* દુર્જન અને સાપમાંથી એકની પસંદગી કરવાની હોય તો સાપ સારો. કારણ કે સાપ તો કાળ (એટલે કે મોત) આવે ત્યારે કરડે છે. પણ દુર્જન ડગલે ને પગલે ડંસતો રહે છે.

* દયા વિનાના ધર્મનો ત્યાગ કરવો જોઈએ, વિદ્યાહીન ગુરુને છોડી દેવા જોઈએ, ક્રોધી સ્ત્રીની સોબત છોડી દેવી જોઈએ અને જ્યાં પ્રેમબંધન ન હોય એવા ભાઈઓનો ત્યાગ કરવો જોઈએ.

* મેઘજળ સમાન ઉત્તમ અન્ય કોઈ જળ નથી, પોતાના બળ સમાન બીજું કોઈ બળ નથી, નેત્ર સમાન કોઈ તેજ નથી અને અન્ન સમાન બીજી કોઈ પ્રિય ચીજ નથી.