Showing posts with label સાધના. Show all posts
Showing posts with label સાધના. Show all posts

Sunday, August 28, 2016

સાધના અને મુક્તિનો માર્ગ - મહેન્દ્ર પુનાતર

જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ સાધના અને મુક્તિનો માર્ગ
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

જ્ઞાન, દર્શન, અને ચારિત્ર્ય અને તપ એ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી માણસ જાણી શકે છે, સમજી શકે છે. દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ચારિત્ર્યથી નિરોધ, નિષેધ અને ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે. ચારિત્ર્ય એટલે સંયમ, ત્યાગ અને તપથી શરીર અને મન વિશુદ્ધ થાય છે. આ એક સાધના છે. પર્યુષણ પ્રસંગે આ ભક્તિ-સાધના વધુ બળવતર બને અને આ ચેતનાનો પ્રકાશ અંતરમન સુધી પહોંચે એવા પ્રયાસો કરવાના છે.

જ્ઞાનથી આપણે વસ્તુને પદાર્થને જાણી અને સમજી શકીએ. પરંતુ માત્ર જાણવું પુરતું નથી. એમાં સંપૂર્ણ શ્રદ્ધા ઊભી થવી જોઇએ અને તે પ્રકારનું આચરણ ઊભું થવું જોઇએ. જાણવું એ ઉપરછલ્લી બાબત છે. માત્ર જાણી લેવાથી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જ્યાં સુધી આપણને પોતાને તેનું યથાર્થ દર્શન ન થાય. પ્રતીતિ ન થાય અને જ્યાં સુધી આપણે આપણી પોતાની આંખોથી જોવાનું શરૂ ન કરીએ ત્યાં સુધી સત્યદર્શન અને શ્રદ્ધા ઊભી થતી નથી. કોઇ બાબતમાં વિશ્ર્વાસ એ ઉભો થાય પરંતુ વિશ્ર્વાસ એ શ્રદ્ધા નથી વિશ્ર્વાસ એ ભરોસો છે. કોઇની પાસેથી જે અપેક્ષા હતી તે પૂર્ણ થાય એટલે વિશ્ર્વાસ ઊભો થાય છે અને આવું વારંવાર બને ત્યારે વિશ્ર્વાસ દૃઢ થાય છે.

આપણે ધાર્યું હતું તેવું થયું અને આપણે ધાર્યું હતું તેવું ન થયું એટલે વિશ્ર્વાસ તૂટી ગયો. આ એક શરત છે. શ્રદ્ધામાં એવી કોઇ શરત હોતી નથી. એમાં અપેક્ષા નથી. ગમે તે બને, સારું નરસું પણ શ્રદ્ધા ટકી રહે છે. આ આપણું પોતાનું દર્શન છે. આ આપણો પોતાનો અનુભવ છે. વિશ્ર્વાસ ઉપરનો છે. શ્રદ્ધા અંતરની છે. કોઇએ જોયું આપણે સાંભળી લીધું અને માની લીધું તેનાથી શ્રદ્ધા ઊભી નહીં થાય અને કદાચ ઊભી થશે તો એ જુઠ્ઠી હશે જે ઉપરથી થોપેલું છે. તેનાથી આંતરિક પરિવર્તન ઊભુ થશે નહીં. શ્રદ્ધા સ્વયંભૂ છે અને તેનો આધાર સત્યદર્શન, સમ્યગ્દર્શન છે.

આપણને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ત્યારે આચરણ એની મેળે આવી જાય. ધર્મ આપણને ત્યાગ કરવાનું કહે અને આપણે બધુ ભેગું કર્યા કરીએ અને પરિગ્રહ કરતા રહીએ. કશુ છૂટે નહીં. મનથી પણ મુક્ત ન બની શકીએ તો આપણી શ્રદ્ધા અધૂરી ગણાય.

જીવનનો આધાર માત્ર જ્ઞાન પર નથી. દર્શન અને દ્રષ્ટિ પર છે. તર્કથી, બુદ્ધિથી, વિચારથી જે વાત યોગ્ય લાગે તેને આપણે સ્વીકારી લઇએ છીએ. તર્ક એ દલીલ છે. મનને મનાવી લેવાની વાત છે. તર્ક અને દલીલ ખોટી વાતને સાચી ઠરાવી શકે છે. જે વાત હૃદય સુધી પહોંચતી નથી અને અંતરમનને આંદોલિત કરતી નથી એ શ્રદ્ધા બની શકે નહીં. ધર્મ એ તર્ક નથી સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવનાનો વિષય છે. આમાં શંકા ઊભી થાય તો ગાડી પાટા પરથી ઊતરી જશે. શ્રદ્ધા એ સમપર્ણ છે. જેના વગર જીવી ન શકીએ એ પ્રેમ અને શ્રદ્ધા. વિશ્ર્વાસ બીજા પર આધારિત છે અને શ્રદ્ધા આપણા પર. આમાં કશુ મેળવવાની વાત નથી. ત્યાગની વાત છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણને નવું બળ પૂરું પાડે છે. આમાં બીજાનો અનુભવ કામ લાગે નહીં. સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે જ તેને માતા હોવાનો ખરો અનુભવ થાય છે. બાળકને દત્તક લઇને પણ માતા બની શકાય છે પણ તેનાથી ખરા અર્થમાં જાણી નહીં શકાય કે માતૃત્વ શું છે. અનુભવ વગરનું જ્ઞાન એ સાચું દર્શન નથી.

ધર્મમાં શ્રદ્ધાથી ચાલવાનું હોય છે. જે બુદ્ધિથી તર્કથી ચાલે છે. તેઓ ભટકી જાય છે. આવા લોકો સાવધાનીથી ચાલે છે. એક એક કદમ હિસાબ માંડીને ચાલે છે. પરંતુ શ્રદ્ધાથી જેઓ ચાલે છે તેમાં કોઇ હિસાબ-કિતાબ હોતો નથી માત્ર સમર્પણ અને સ્વીકારની ભાવના હોય છે. ધર્મમાં શ્રદ્ધાથી જેઓ ચાલે છે તેમના માટે એક છલાંગ પૂરતી છે. પરંતુ આ આપણું પોતાનું દર્શન હોવું જોઇએ. અંધશ્રદ્ધા નહીં.

મહાવીર કહે છે જ્ઞાનથી સમજ, દર્શનથી શ્રદ્ધા, ચારિત્ર્યથી નિષેધ અને તપથી મનુષ્ય વિશુદ્ધ થાય છે. ધર્મને સમજવા માટે જ્ઞાન જરૂરી છે પરંતુ શ્રદ્ધાના સહારા શિવાય તે હૃદય સુધી પહોંચી શકશે નહીં. જેમાં શ્રદ્ધા ન હોય એ આપણા ચારિત્ર્યમાં ઊતરી શકે નહીં. શ્રદ્ધા વિનાની ક્રિયાનું યોગ્ય પરિણામ ઊભુ થાય નહીં. જ્ઞાન હોય, જાણકારી હોય પણ તેનો યોગ્ય ઉપયોગ ન થાય, જ્ઞાનની સાથે આચરણ ન હોય તો તેનો અર્થ સરે નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ એકબીજા સાથે સંકળાયેલાં છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ દ્વારા વ્યર્થને છોડવાનું છે અને સાર્થકને પકડવાનું છે.

ધર્મના આ ચાર સ્થંભો છે. તેના વગર જીવનને રૂપાંતરિત કરી શકાય નહીં અને સાચું સુખ પ્રાપ્ત થઇ શકે નહીં. આ સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. અહંકાર ઓગળે એટલે આપોઆપ બધી વૃત્તિઓ શાંત પડવા માંડે છે. રાગ-દ્વેષ અને અહંકારને દૂર કરવા મનને શુધ્ધ બનાવવું જરૂરી છે. આ બધો મનનો ખેલ છે. મન અંકુશમાં રહેશે તો બધી વાસનાઓ શમી જશે. મન પર ઇચ્છાઓ અને વાસનાઓના થર બાજેલા છે. એટલે માણસ સાચુ જોઇ શકતો નથી. કામ,ક્રોધ, લોભ અને મોહનું આવરણ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આત્માનું દર્શન થઇ શકશે નહીં. સ્વાર્થ, દંભ અને અભિમાન આપણને સાચે રસ્તે જવા દેતુ નથી. કષાયોના કારણે આપણે સતત ભય અને અસલામતી અનુભવી રહ્યા છીએ. ભગવાન મહાવીરના વચનો છે ‘વાસનાનો અગ્નિ, દ્વેષનો અગ્નિ અને અહંકારનો અગ્નિ જ્યારે બુઝાઇ જાય ત્યારે હૃદયને સુખ થાય છે.

જ્ઞાન અને દર્શનથી ધર્મને યથાર્થ રીતે સમજી શકાય છે. અજ્ઞાનથી માણસ અથડાતો રહે છે. જીવનનો સાચો માર્ગ મળતો નથી. મોટાભાગના પાપો અજ્ઞાનના કારણે થતા હોય છે. ચારિત્ર્ય એ સંસ્કારનો પાયો છે તેના પર જીવનનું ઘડતર થાય છે. ચારિત્ર્ય વગરનું જીવન સુગંધ વગરની અગરબત્તી જેવુ છે. ચારિત્ર્યથી આત્મા સુધી પહોંચી શકાય છે. રાખમાં અંગારો હોય અને જેમ આપણને દેખાતો નથી તેમ આત્મા પર આવરણો છવાયેલા છે એટલે તે આપણને દેખાતો નથી. રાખમાં ફૂંક મારીએ અને અંગારો દેખાય એમ આ બધા આવરણો ખરી પડે ત્યારે આપણને શુદ્ધ આત્માના દર્શન થાય છે. આ રાખ છે આપણી વાસનાની, રાગ-દ્વેષની અને અહંકારની. આ બધા પડળો જેમ જેમ દૂર થતા જાય તેમ આત્મા ચંદ્ર પરથી વાદળો જેમ જેમ દૂર થાય અને દેખાવા લાગે તેમ તેનો પ્રકાશ દેખાવા લાગે છે.

તપ દેહ શુદ્ધિ અને મન શુદ્ધિ માટે છે અને મન પર અંકુશ મેળવવાની આ સાધના છે. તપનો અર્થ છે જીવનમાં આવતા દુ:ખો અને મુશ્કેલીઓનો સહજતાથી સ્વીકાર કરવો. સુખ આવે તો પકડવું નહી અને દુ:ખ આવે તો ભાગવુ નહીં. સુખ આવે તો સમજવું કે આ પૂણ્યનું કર્મોનું ફળ છે. કર્મો સારા કે ખરાબ ભોગવવા પડે છે સુખ અને દુ:ખ બંને આવશે અને સમય પૂરો થતા ચાલ્યા જશે. જે આવે છે તે જવાના માટે હોય છે. એટલે એના પ્રત્યે રાગ કે મોહ રાખવાનું કોઇ કારણ નથી. જૈન ધર્મના ૧૨ તપ ૬ બાહ્ય અને ૬ અભ્યંતર તપ. તેના દ્વારા કષાયોને દૂર કરીને મુક્તિના માર્ગે જઇ શકાય છે. સમ્યક્ દર્શન વગર જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર્ય નહીં, ચારિત્ર્ય વગર આત્મદર્શન નહીં અને આત્મદર્શન વગર મોક્ષ નહીં અને મોક્ષ વગર પરમ આનંદ નહીં.

આચરણ વગરનું જ્ઞાન નકામું છે. આપણે બધી વાતને સમજીએ પણ જીવનમાં ઉતારીએ નહીં તો તેનો અર્થ સરે નહીં. વિચાર અને આચરણ એક યાત્રાના બે હિસ્સા છે. વિચાર પહેલું કદમ છે અને આચરણ અંતિમ કદમ. કોઇ વિચાર આચરણ ન બને તો માની લેવું કે તે વિચાર આપણો નથી. જે વિચાર આપણો નથી તે આચરણ બની શકે નહીં. જંગલમાં આગ લાગી હોય અને એક અપંગ માણસ બિલકુલ ચાલી શકતો નથી તે આગને જોઇ તો શકે છે પણ ચાલી નહીં શકવાના કારણે આગની લપેટમાં આવી જાય છે.

એક અંધ માણસ ચાલી શકે છે પણ જોઇ શકતો નથી તેથી આગથી બચી શકતો નથી. તે આગની સામે ઊભો રહી જાય છે. જેની પાસે સમજ છે પણ આચરણ નથી તે માણસ પંગુ છે અને જે માણસ પાસે આચરણ છે પણ જ્ઞાન અને સમજ નથી તે માણસ અંધ છે. તે ફાંફાં માર્યા કરે છે પણ રસ્તો જડતો નથી. જ્ઞાન અને આચરણ બંને સાથે હોય તો સંસારની આગમાંથી બચી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ આ ચાર ધર્મ ચક્રો આપણને મુક્તિના માર્ગે લઇ જાય છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રે જેમ કહ્યું છે તેમ...

‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ

ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ’

Sunday, May 15, 2016

સાધના- મહેન્દ્ર પુનાતર

તપ અને સંયમ દ્વારા અંદર રહેલી સૂક્ષ્મ હિંસાને દૂર કરવી એનું નામ સાધના
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


ધર્મમાં તપ અને સંયમનું સવિશેષ મહત્ત્વ છે. તપ અને સંયમ દ્વારા વૃતિઓને અંકુશમાં રાખી શકાય છે. પણ આ માટે તપ શું છે તે સમજવું જરૂરી છે. માત્ર ઉપવાસ કરવાથી કે ભૂખ્યા રહેવાથી તપ થઇ જતું નથી. જો આને તપ ગણાતું હોત તો દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને ભોજન નસીબ થતું નથી તેઓ પણ તપસ્વી ગણાય. તપમાં ભોજનનો સ્વેચ્છાએ ત્યાગ કરવા ઉપરાંત વૃત્તિઓને અંકુશમાં રાખીને ધર્મ આરાધના કરવાની છે. આમાં દેખાવ નહીં પણ અંતરની ભાવના હોવી જોઇએ. ઉપવાસ કર્યા પછી કે તપ કર્યા પછી શું ઉપલબ્ધ થયું તેનું નિરીક્ષણ કરવાનું છે. તપ અને સાધના કર્યા પછી આપણામાં કશું પરિવર્તન ન આવે તો સમજવું કે આમાં કાંઇક કચાશ છે. આ તપ અને સંયમનો ભાવ બહારથી થોપેલો નહીં પણ આંતરિક હોવો જોઇએ. સંયમ સમજણના પરિપાકરૂપે મનુષ્યને સહજપણે ઉપલબ્ધ થાય ત્યારે તેમાં દિખાવટ રહેતી નથી. એ મનુષ્યનો સ્વભાવ બની જાય અને કામ, ક્રોધ, લોભ અને મોહ એની મેળે દૂર થઇ જાય. જે વસ્તુ ઉપરથી લાદવામાં આવે છે અથવા સમજ્યા વગર કરવા ખાતર કરવામાં આવે છે ત્યારે તેનું યથાર્થ પરિણામ ઊભું થતું નથી. જે વસ્તુને આપણે વધારે પડતી દબાવીએ તે મોકો મળતા વરાળની જેમ બહાર નીકળી જાય છે. તપ અને સંયમમાં હઠ, દબાણ કે આગ્રહ કામયાબ નિવડે નહીં. દબાણ અને દેખાવ હોય ત્યારે માણસ વિભાજિત થાય છે. બહાર અને અંદર જુદું હોય છે. બહાર માણસ ધાર્મિક દેખાય છે પણ અંદર પોકળ. કેટલાક લોકો પોતાની વૃત્તિઓને દાબી દેવામાં કુશળ હોય છે. આ જાતનો સંયમ લાંબો સમય ટકતો નથી. ઉપરથી માણસ અહિંસક દેખાય, પરંતુ અંદર હિંસાની આગ જલતી હોય. ઉપરથી માણસ શાંત અને વિનયી દેખાય પરંતુ અંદર ક્રોધ ભભૂકતો હોય તો સમય આવ્યે અને બહાનું મળતા અંદર રહેલી આ વૃત્તિઓ બહાર આવ્યા વગર રહેતી નથી. વૃત્તિઓને સમજણપૂર્વક સાધના દ્વારા દૂર કરી શકાય તેને દબાવી શકાય નહીં.

જેને સ્વયંનો આધાર ન હોય અને બીજાને સહારે રહેવાનું હોય તે વસ્તુ લાંબો સમય ટકતી નથી. અસત્યને પણ ટકી રહેવા માટે સત્યનો ચહેરો ધારણ કરવો પડે છે. તેમ અસંયમને ઊભા રહેવા માટે સંયમનું મોહરું પહેરવું પડે છે. સત્ય શબ્દોમાં નહીં ભાવમાં રહેલું છે. શબ્દો ગમે ત્યારે બદલાવી શકાય છે. વાતને છુપાવવી, સ્વાર્થ હોય ત્યારે સાચું બોલવું, બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ છે. જીવનમાં દંભ આવે છે ત્યારે સત્યનો અંચળો ઓઢીને અસત્ય ગોઠવાઇ જાય છે. મન જ્યારે વિભાજિત હોય ત્યારે સત્ય રહેતું નથી. સત્યનો પ્રભાવ છે એટલે સમાજ સાચા માણસોથી ડરે છે પણ આ માટે અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડે છે. પાપ પણ પુણ્યનો ચહેરો લગાવીને જીતે છે. આ સંદર્ભમાં આપણે હિંસાને સૂક્ષ્મ સ્વરૂપમાં જોવી પડશે. હિંસા સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર પ્રસરેલી છે. તે ક્રોધના રૂપમાં હોય, ધૃણાના કે તિરસ્કારના રૂપમાં હોય કે મોહ-માયાના આવરણ હેઠળ હોય. મનની અંદરના આ બધા કષાયો દૂર ન થાય ત્યાં સુધી આપણે સાચા અહિંસક બની શકીએ નહીં આપણે પ્રથમ આપણી અંદર રહેલી હિંસાને દૂર કરવી પડશે.

આ હિંસા દૂર થશે તો પ્રેમ એની મેળે પ્રગટ થશે. કોઇ પ્રત્યે દુર્ભાવ રહેશે નહીં. રાગ-દ્વેષ નાબૂદ થશે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. ઉપરથી તપ અને સંયમ હોય પણ અંદર સૂક્ષ્મ હિંસા રહેલી હોય તો તેનો કોઇ અર્થ નથી. હું અને તું છે ત્યાં સુધી હિંસા રહેવાની છે, આ મારું અને આ તારું છે ત્યાં સુધી વેરઝેર-ધૃણા અને તિરસ્કાર રહેવાનો છે. હિંસાના આ બધા ઇંધણો છે. આપણે કોઇને આપણા નહીં પણ બીજા સમજીએ ત્યાં સુધી અંદરની આ હિંસા દૂર થવાની નથી. બીજાને પોતાના સમજવાની જે ક્ષણો છે તે પ્રેમની ક્ષણો છે.

મનુષ્ય મોટે ભાગે પોતાના પર વધુ હિંસા કરતો હોય છે. માણસ પોતાની જાતને જેટલું દુ:ખ આપે છે, દમન કરે છે એટલું ભાગ્યે જ બીજા કોઇ સાથે કરે છે. માણસ ક્રોધ કરે છે બીજાને હેરાન કરવા માટે પણ ખૂદ પરેશાન થાય છે. કોઇને સતાવવા માટે આપણે રીબાવું પડે છે. કોઇને બંધનમાં રાખવા આપણે ગુલામ બનવું પડે છે. ક્રોધ શાંત બનીને થતો નથી. અંદરથી ઉકળવું પડે છે. અંદરથી જલન થાય છે ત્યારે આગ પ્રગટે છે. જે વ્યક્તિએ હિંસા પ્રત્યે જાગૃત થવું હોય તેણે પ્રથમ પોતાના પરની હિંસામાંથી બચવું પડશે. અંદરથી જ્યાં સુધી પરિવર્તન ઊભું નહીં થાય ત્યાં સુધી બહાર પ્રભાવ પડવાનો નથી. મોટાભાગના માણસો દંભનો અંચળો લગાવીને બેઠા હોય છે. માણસને સારા-સજ્જન દેખાવું છે પણ બનવુ નથી. પુણ્યશાળી બનવું છે પણ પાપ છોડવા નથી. દયા અને કરુણાનો સાચો ભાવ નથી. દુનિયાને બતાવવા માટે જે કાંઇ થાય તે સાચો ધર્મ નથી.

જીવનમાં કોઇ પણ વસ્તુ અતિ સારી નથી. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણે એવી રીતે જીવીએ કે આપણી હસ્તીનો ખ્યાલ ન આવે. આપણે કંઇક છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. બહાર દેખાવું છે એટલે દંભ અને દેખાવનો અંચળો ઓઢવો પડે છે. ધર્મ કહે છે જીવનમાં કોઇ પણ વસ્તુ અતિ સારી નથી. અતિ લાભ, અતિ ક્રોધ, અતિ ભોજન, અતિ નિદ્રા, અતિ ધન આ બધું ક્યાંય ને ક્યાંય દુ:ખ અને મુશ્કેલી ઊભી કરે છે. માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. આપણું મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એટલે ઘડીક દોસ્તી, ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ, ઘડીક ધૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમાની લાગણી અને ભાવો ઊભા થયા કરે છે. આપણું મન કોઇને શીખર પર ચડાવી દે છે તો કોઇને નીચે ગબડાવી મૂકે છે. મન બે અતિ વચ્ચે રહી શકતું નથી. મન અતિ પર હોય ત્યારે તણાવ ઊભો થાય છે અને મન અતિ પર હોતું નથી ત્યારે શાંતિ અને સ્થિરતા સર્જાય છે.

મહાવીર ભગવાનનો ઉપદેશ તમામ આયામોમાં સંતુલન જાળવવાનો છે. આ માટે તેમણે સમ્યક શબ્દનો ઉપયોગ કર્યો છે. સમ્યક વિહાર, સંમ્પર્ક વ્યાયામ, સમ્યક ભોજન, સમ્યક નિદ્રા અને જીવનની તમામ પ્રવૃત્તિ સમ્યક બની જાય તો સંતુલન ઊભું થાય. સમ્યકનો સીધો સાદો અર્થ છે કાંઇ વધુ નહીં, કાંઇ ઓછું નહીં, બધુ પ્રર્યાપ્ત. જીવનમાં જે કાંઇ બને તે સ્વાભાવિક રીતે બનતું રહે. બધી વસ્તુઓનો સ્વીકાર દુ:ખ આવે કે સુખ બંનેને સમાન આવકાર કોઇને પકડવાની કે છોડવાની વાત નહીં. અસ્તિત્વનો નિયમ છે જે વસ્તુને આપણે પકડી રાખીશું તે છટકી જશે અને જેેને દૂર કરવાનો પ્રયાસ કરીશું તે વળગી રહેશે. દુ:ખને ઓછુ કરવાનો એક સરળ ઉપાય છે તેનો સહજતાથી સ્વીકાર.

ધર્મ કહે છે તમે કેવું કરો છો તેનું મહત્ત્વ નથી પણ તમે કેવા છો તેનું મહત્ત્વ છે. તમારી પાસે શું છે તેનું નહીં પણ તમારુ આચરણ કેવું છે તેની મહત્તા છે. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણને ખબર ન પડે કે આપણે છીએ. આપણે છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. એટલે જ દરેક માણસને કહેવું પડે છે કે હું છું. મારી સામે જુઓ, મારી હસ્તીનો ખ્યાલ કરો. સંયમી માણસો બહાર દેખાતા નથી. તેમને કશું પ્રદર્શિત કરવાનું રહેતું નથી. તેઓ પોતાની જાતને સંકોરી લે છે.

જીવનમાં તપ, સંયમ અને સંતુલન હશે તો મન સ્થિર અને શાંત રહેશે અને કોઇ સમસ્યા આપણને પરેશાન કરી શકશે નહીં.

એક વખત એક સંત પાસે એક ભક્ત આવ્યો અને તેમના પગમાં પડી ગયો અને કહ્યું: આપ સાક્ષાત ભગવાનના અવતાર છો. આપની ચરણરજ લઇને અને આપના દર્શન કરીને હું ધન્ય થઇ ગયો છું. સંત પ્રશંસા સાંભળતા રહ્યા પણ કશું બોલ્યા નહી.

થોડીવાર થઇ ત્યાં બીજો માણસ આવ્યો. તેને કાંઇક વાકું પડ્યું હશે તેણે આવતાંની સાથે કટુ વચનો અને ગાળો ભાંડવા માંડી અને તે ગાળો આપતા થાકી ગયો એટલે ચાલ્યો ગયો. આ સમયે પણ સંત કશું બોલ્યા નહીં સાંભળ્યા કર્યું.

હાજર રહેલા ભક્તોએ સંતને કહ્યું : આ માણસ ગેમ તેમ એલફેલ બોલી ગયો અને તમે કશું બોલ્યા નહીં. આવો અભદ્ર વહેવાર તમે કેમ સાંખી લીધો

સંતે કહ્યું તેણે મારી સાથે કશો અનુચિત વહેવાર કર્યો નથી. તે ખાતું સરભર કરી ગયો. તેણે માત્ર બેલેન્સિંગ કર્યું છે. હમણાં એક માણસ મને પ્રભુના સાક્ષાત અવતાર કહી ગયો હતો. તેણે એટલી મારી પ્રશંસા કરી કે મારું સંતુલન ડગી ગયું હતું. આ માણસે તેને સરખું કરી નાંખ્યું છે. હવે આ બે માણસો આવ્યા પહેલાં હું જે હતો તે થઇ ગયો છું. ખાતું સરભર થઇ ગયું. મગજ પર હવે કોઇ ભાર નથી.

જિંદગીમાં સંયમ દ્વારા આવું સમતુલન કેળવવું જરૂરી છે. અતિ પરથી ઊતરી જઇએ અને મધ્યમ માર્ગ અપનાવીએ તો બધું સરળ છે. આ માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દૃષ્ટિ જોઇએ. મહાવીર આને સંયમ કહે છે. ધર્મ અને મુક્તિનો આ માર્ગ છે.